ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન - ગાંધીનગરના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલે કહ્યું હતું કે, શિક્ષણનીતિ ૨૦૨૦ શિક્ષકોની તાલીમમાં મહત્ત્વનાં પરિણામ લાવનારી સાબિત થશે, કારણ કે, નવી શિક્ષણનીતિમાં સૌથી વધુ ભાર મુકાયો હોય તો તે શિક્ષકોની તાલીમ પર છે. અત્યારે સ્નાતક પછી બે વર્ષમાં બી.એડ. અભ્યાસક્રમની વ્યવસ્થા છે, જે પહેલાં એક જ વર્ષનો હતો. પરંતુ ૨૦૧૫થી બે વર્ષનો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે નવી શિક્ષણનીતિ મુજબ આ અભ્યાસક્રમને ચાર વર્ષનો કરી દેવામાં આવ્યો છે. એટલે કે ધોરણ ૧૨ બાદ ચાર વર્ષનો બી. એડ. અભ્યાસક્રમ રહેશે. જ્યારે સ્નાતક બાદ બે વર્ષ અને અનુસ્નાતક બાદ એક વર્ષનો બી. એડ.નો અભ્યાસક્રમ રહેશે. પરંતુ અહીં એક વાત નોંધવી રહી કે આ બે વર્ષનો અભ્યાસક્રમ અથવા તો ચાર વર્ષનો બી.એડ.નો અભ્યાસક્રમ યુનિવર્સિટી અથવા તો ચાર વર્ષનો બી.એડ. અભ્યાસક્રમ ચાલે છે તે જ સંસ્થાઓ ઓફર કરી શકશે.
શિક્ષકોની તાલીમ માટે અપડેટની વ્યવસ્થા બનાવવામાં આવી છે, એટલા માટે કે હવે ચાર વિભાગો થયા છે. ત્યારે આ ચાર વિભાગોમાં પણ તે ફાઉન્ડેશન કોર્ષમાં હોય કે સેકન્ડરી એજ્યુકેશનમાં હોય તેને એવું ન થાય કે, હું આ સ્તરે છું માટે આવું ભણાવું છું અને પેલા કરતાં કંઈક જુદો છું માટે કેટલાક કોર્ષ કરીને તે પોતાને અપડેટ પણ કરી શકે છે. તેને ફાઉન્ડેશન કોર્ષમાંથી સેકન્ડરી એજ્યુકેશન કોર્ષમાં સ્વીચ ઓવર થવું છે તો તે કેટલાક કોર્ષ કરી સ્વીચ ઓવર પણ થઈ શકે છે.
(વાઇસ ચાન્સેલર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર)