... અંતે સ્વામીજીનો સંદેશ જે સફળતા તરફ દોરી જશે..!

    ૧૨-જાન્યુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

swami vivekananda_1 
 
સ્વામી વિવેકાનંદના જન્મદિનને ‘રાષ્ટ્રીય યુવાદિન’ તરીકે ઊજવાય છે, કારણ કે યુવાનો માટે સ્વામીજી ખૂબ જ આશાઓ ધરાવતા હતા. યુવાનોને સંબોધીને તેમણે અનેક સંદેશ આપ્યા છે. યુવાનો સામેના પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન પણ આપ્યું છે. ભારત સ્વતંત્ર થયું તેનાં ૫૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલા એક પ્રવચનમાં સ્વામીજીએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, ‘મારો વિશ્ર્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ સારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમથી વિશ્ર્વને બદલી નાંખશે.’ સ્વામીજીનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. ફક્ત ૩૯ વર્ષ, ૫ માસ અને ૨૨ દિવસના ટૂંકા આયુષ્યમાં તેમણે અનેક યુવાનોને પ્રેરિત કર્યા. સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. કોઈકે બરાબર કહ્યું છે કે, જો તમે સ્વામીજીનું પુસ્તક સૂતાં સૂતાં વાંચો તો સ્વાભાવિક જ ઊઠીને બેઠા થઈ જશો. જો બેઠા થઈને વાંચશો તો ઊઠીને ઊભા થઈ જશો અને જો ઊભા થઈને વાંચશો તો સ્વાભાવિક રીતે કામમાં પરોવાઈ જશો. પોતાના લક્ષ્ય તરફ ચાલ્યા જશો. ભારતનાં અનેક યુવાનો સફળ થયાં છે અને અનેક હજુ આગળ ધપી રહ્યાં છે, સંઘર્ષ કરી રહ્યા છે. તે સૌ માટે સ્વામીજીનો આ સંદેશ છે. અત્યંત વ્યવહારિક રીતે માર્ગદર્શન આપે છે. તે સંદેશ જ આ આવરણકથાનો ઉપસંહાર...
 

લક્ષ્ય નિર્ધાર

 
સ્વામી વિવેકાનંદના મતે વ્યક્તિનો જન્મ ખરેખર લક્ષ્યની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, "જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો રમતીગાતી, હસતીબોલતી લાશ જ છે. જ્યારે વ્યક્તિ પોતાના જીવનના વિશિષ્ટ લક્ષ્યને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ. આપણે બાળપણથી જ શું બનવું છે તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતે કારકિર્દીના મર્યાદિત વિકલ્પોમાં ઘેરી લે છે અને જીવનમાં કરવા યોગ્ય બાબતોનો વિચાર જ નથી કરતા, કરવા યોગ્ય વિચાર કરશે તો બનવાનું તો પોતાની મેળે જ બનીને રહેશે.
આમ, લક્ષ્ય-નિર્ધાર જ જીવનકર્મ છે. એના આધારે આજીવિકા મેળવવાનું સ્વાભાવિક રીતે જ નિશ્ર્ચિત બની જશે.
 

આત્મવિશ્ર્વાસ

 
જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્ર્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્ર્વરમાં વિશ્ર્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્ર્વાસ વ્યક્ત કરવાનું જણાવે છે. પહેલાં કહેવાતું હતું કે, ઈશ્ર્વરમાં વિશ્ર્વાસ નહિ કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્ર્વાસ નથી એ નાસ્તિક છે. આપણે આપણી શક્તિઓની પરીક્ષા કર્યા વગર જ તેને મર્યાદિત કરી દીધી છે. આપણે એમ માનીને ચાલીએ છીએ કે આપણે આટલું જ કરી શકીએ, જ્યારે આપણી શક્તિઓ અમર્યાદ છે. જો યુવાનો દૃઢ નિર્ધાર કરે તો તેમના માટે શું અશક્ય છે ? આપણે સામાન્ય વ્યક્તિઓની અસામાન્ય સિદ્ધિઓથી આશ્ર્ચર્યચકિત પણ થઈ જઈએ છીએ અને તેમનાં વખાણ પણ કરીએ છીએ, પરંતુ શું આપણે એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ ? શું આપણી ભીતર આત્મવિશ્ર્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાની-મોટી, સકારાત્મક-નકારાત્મક બધી જ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શક્તિને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.
 

સમર્પણ

 
કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. સ્વામીજી તેને અધ્યવસાયની સંજ્ઞા આપે છે. "અધ્યવસાયી આત્મા કહે છે કે, હું સાગરને પી જઈશ. એ છીપની જેમ સ્વાતિ નક્ષત્રના એક ટીપાને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવે છે. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જાય છે, જ્યાં સુધી તેનું મોતી ન બની જાય. આપણા યુવાનોને આવા અધ્યવસાયની જરૂર છે. આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ, પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભશૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.
  

સંગઠન

 
વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યક્તિગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફટવેરનું, એને જ મહત્ત્વ મળે છે જે ટીમ સ્પિરિટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્ર્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે એ જ ગુણને મહત્ત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠનકાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે, ભારતમાં પણ આ સંગઠન કૌશલ્યને પુનર્જીવિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને, સંન્યાસીઓ સુધી સંગઠન કરીને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી.
 
* * *
 
સ્વામી વિવેકાનંદના વિચારો ભારતના યુવાનોનાં માર્ગમાં સતત અજવાળું પાથરે છે અને એ વિચારોને આત્મસાત્ કરીને દેશને ગૌરવ અપાવનારા આજના પ્રતિભાશાળી યુવાનો અનોખી પ્રેરણા પૂરી પાડે છે. હજુ દેશનાં અનેક યુવાનો પ્રગતિની રાહ પર મક્કમપણે આગળ ધપી રહ્યાં છે. એ સૌ યુવાનોને સ્વામીજીનો આ સંદેશ દૃઢ મનોબળ પુરૂ પાડશે અને સફળતા તરફ દોરી જશે એ વાત નિશ્ર્ચિત છે. સૌને ‘રાષ્ટીય યુવાદિન’ની શુભેચ્છાઓ.