Anger Management | એક સ્ત્રી, ભારે કજિયાળી. તેને વાત-વાતમાં ગુસ્સો આવે. તેના આ સ્વભાવથી અડોસ-પડોશથી માંડી તેના પરિવારજનો પણ પરેશાન થઈ ગયા હતા અને તેના પરિવારમાં હંમેશા કંકાસ જ રહેતો. મહિલા પણ આ વાત જાણતી હતી, પરંતુ તે ઇચ્છવા છતાં પણ પોતાના ક્રોધ પર કાબૂ ( Anger Management ) રાખી શકતી નહીં.
એક દિવસ તેના દ્વાર પર એક સંન્યાસી આવ્યા. મહિલાએ પોતાની સમસ્યા તેમને જણાવી અને કોઈ ઉપાય બતાવવા કહ્યું. પેલા સંન્યાસીએ કહ્યું, ચિંતા ન કર બેટા, તારા ક્રોધને કાબૂ ( Anger Management ) માં કરવા માટે મારી પાસે ખાસ ઔષધિ છે. જેને મેં કઠોર સાધના કરી બનાવી છે. આમ કહી સંન્યાસીએ પોતાના થેલામાંથી એક પ્રવાહી ભરેલી શીશી કાઢી મહિલાને આપી અને કહ્યું, જ્યારે તને ક્રોધ આવે ત્યારે આમાંથી ચાર ટીપાં જીભ પર મૂકી દેજે. આ દવા તારે ૧૦ મિનિટ સુધી મોંમાં રાખવાની છે અને આ દરમિયાન બિલકુલ મોં ખોલવાનું નથી. નહીં તો આ દવા અસર નહીં કરે. મહિલાએ સંન્યાસીના કહ્યા મુજબ દવાનો પ્રયોગ શરૂ કર્યો અને સાત દિવસમાં જ ચમત્કાર થયો. તેને ક્રોધ આવવાની સમસ્યામાંથી છુટકારો મળી ગયો.
સાત દિવસ બાદ પેલા સંન્યાસી ફરી તેના ઘેર આવ્યા. ત્યારે મહિલા તેમના પગમાં પડી ગઈ. તેણે કહ્યું, મહારાજ, તમારી દવાએ ચમત્કાર કર્યો, મારો ક્રોધ ગાયબ ( Anger Management ) થઈ ગયો. હવે મારા પરિવારમાં સંપૂર્ણ શાંતિ રહે છે. આજુબાજુના લોકો સાથે પણ મને ખૂબ જ બને છે. ત્યારે સંન્યાસીએ હસીને કહ્યું, બેટા, એ કોઈ જ ઔષધિ ન હતી. તે તો માત્ર સાદું પાણી જ હતું. ક્રોધનો શ્રેષ્ઠ ઇલાજ માત્ર મૌન જ છે. કારણ કે ક્રોધાવેશમાં માનવી ગમે તેમ બોલી નાખે છે, જેનાથી વિવાદ વધે છે. માટે ક્રોધ આવે ત્યારે મૌન બની જવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.