Motivational Story | જાણો છો, પેલા મૃત્યુશય્યા પર પડેલા વ્યક્તિના ત્રણેય મિત્રોનાં નામ શું હતાં ?

    ૦૬-માર્ચ-૨૦૨૧
કુલ દૃશ્યો |

Motivational Story_1 


Motivational Story | એક વ્યક્તિના ત્રણ મિત્ર હતા અને જીવનભર એ ત્રણેય મિત્રોએ પેલા વ્યક્તિનો સાથ પણ નિભાવ્યો. એક દિવસ પેલો વ્યક્તિ મરણપથારીએ પડ્યો. તેણે પોતાના ત્રણેય મિત્રોને બોલાવી કહ્યું, હવે મારો અંતસમય આવી ગયો છે. તમે લોકો આજીવન મારી સાથે રહ્યા તે માટે તમારો આભાર, પરંતુ મને હવે તમારી એવી તો આદત પડી ગઈ છે કે હું સદાય-સદાય તમારી સાથે રહેવા માંગું છું. શું મૃત્યુ બાદ પણ તમે મારો સાથ નિભાવશો ?
 
પહેલો મિત્ર બોલ્યો, માફ કરજે મિત્ર, મેં જીવનભર તારો સાથ નિભાવ્યો, પરંતુ હવે હું મજબૂર છું. હવે હું તારી કોઈ જ મદદ કરી શકું તેમ નથી. બીજા મિત્રએ કહ્યું, હું પણ આજીવન તારી સાથે રહ્યો છું અને તારા મૃત્યુ બાદ તારા અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિવિધાનથી થાય. અને તારા આત્માની શાંતિ માટે જે પણ કરવાનું હશે તે હું કરી છૂટીશ. આપણા બન્નેનો સંબંધ બસ ત્યાં સુધી જ.
 
ત્રીજા મિત્રએ કહ્યું, મિત્ર, તું જરાય ચિંતા ન કરીશ, કારણ કે તારા મૃત્યુ બાદ પણ સદાય હું તારી સાથે જ રહેવાનો છું. તું જ્યાં પણ જઈશ ત્યાં હું તારી સાથે સાથે જ રહીશ.
 
જાણો છો, પેલા મૃત્યુશય્યા પર પડેલા વ્યક્તિના ત્રણેય મિત્રોનાં નામ શું હતાં ? ધન, પરિવાર અને કર્મ. મનુષ્યના ત્રણ મિત્રો સાથી હોય છે. ધન, પરિવાર અને કર્મ. આમાંથી માત્ર કર્મ જ તેનો કાયમી સંગાથી હોય છે, જે મૃત્યુ બાદ પણ તેની સાથે રહે છે.
 
Motivational Story in Gujarati