Kalo Dungar Dattatreya Temple | કચ્છના કાળા ડુંગરના દત્ત મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે
આપણી પશ્ર્ચિમ સીમાના સંત્રી એવા કચ્છના ડુંગર ( Kalo dungar ) પર દત્ત શિખર ( Dattatreya temple ) તરીકે વિખ્યાત બનેલા તીર્થધામ મધ્યે ગુરુઓના મહાગુરુ તેમજ સમગ્ર સમાજના હૃદયસ્થ સમરસતાના પ્રતીક સમા ભગવાન દત્તાત્રેય ( Dattatreya temple ) બિરાજમાન છે. એક દંતકથા મુજબ અહીં દત્તાત્રેયજીએ સાધના કરી હતી અને ભૂખ્યા લોકો ઉપરાંત તેમના દ્વારે મૂંગાં પશુઓને પણ પ્રસાદ મળતો. એક વાર એક ભૂખ્યું શિયાળ આ દિગંબરના દરબારે આવીને ઊભું તે સમયે તેમની પાસે તેને આપવા કાંઈ ભોજનસામગ્રી નહોતી, પોતાના દ્વારેથી કોઈ ભૂખ્યું પાછું ન ફરે તે નિયમને જાળવી રાખવા માટે પોતાના શરીરનું એક અંગ ભૂખ્યા શિયાળની જઠરાગ્નિ ઠારવા ભોજન માટે અર્પિત કરેલ અને કહેવાય છે કે જંગલી શિયાળ પણ પોતાના પેટની આગ ઠારવા અર્પિત થયેલ અંગ આરોગ્યા વગર પાછું ચાલ્યું ગયેલ. શિયાળમાં ઉદ્ભવેલ એ સંસ્કારને યાદ કરીને તેમજ શિયાળ ગુરુ દત્તાત્રેયનું વાહન ગણાતું હોઈ આજે પણ ભગવાન દત્તાત્રેયને ધરાવેલ ‘નૈવેદ્ય’ થાળ શિયાળને અર્પણ થાય છે. આ સંસ્કારને યાદ કરીને નૈવેદ્ય પ્રસાદ થાળ ગ્રહણ કરતાં ‘લો-અંગ, લો-અંગ’ શબ્દનો અપભ્રંશ થઈને ‘લોંગ લોંગ’ના નાદ સાથે શિયાળનું આહ્વાન થાય છે અને આ નૈવેદ્ય થાળ આરોગવા આજે પણ શિયાળ અચૂક બંને સમય આવે છે.
ભુજથી ખાવડા અને ખાવડાથી કુંવરબેટ (ઇન્ડિયા બ્રિજ)ના રસ્તા પર ૬ કિ.મી. દીનારા ગામ પછી ધ્રોબાણા પાટિયું આવે છે. અહીંથી જમણી બાજુ એક રસ્તો ધ્રોબાણા ગામ તરફ ફંટાય છે અને ધ્રોબાણાથી પણ જમણી તરફનો રસ્તો કાળા ડુંગર પર જાય છે. ધ્રોબાણાથી ૯ કિ.મી.ના અંતરે ડામર અને સિમેન્ટનો સર્પાકાર વાંકોચૂંકો મુશ્કેલીભર્યો અને પર્વતીય ખડકાળ રસ્તો છેક મંદિરના પગથિયા સુધી પહોંચાડે છે.
અસ્તાચળ સમયે કંચનવર્ણ બની જતાં સૌંદર્યપ્રેમીઓને માટે અનેરા આકર્ષણરૂપ છે. ૨૦૦૧ના ભૂકંપ બાદ આ સરહદ પરથી હિંદુ વસ્તીની હિજરત શરૂ થઈ જતાં તે ચિંતાનો વિષય હતો. બરાબર તે જ તબક્કે ભયજનક ભૂકંપ દરમિયાન ધરાશાયી થયેલ નિજ મંદિર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન સરસંઘચાલક શ્રી સુદર્શનજી દર્શનાર્થે પધાર્યા ત્યારે નિજ મંદિર અને પરિસરના પુન:નિર્માણની ઇચ્છા વ્યક્ત કરી. તત્કાલીન પ્રચારક શ્રી દિલીપભાઈ દેશમુખની ભલી લાગણીઓના ફળસ્વરૂપે યોજાયેલ આ મુલાકાત વખતે તત્ સમયના ભૂજ વિસ્તારના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ ઝવેરીએ આ સ્થાનના પુન:નિર્માણ માટે શુભ સંકલ્પ કરેલ અને ભૂકંપ બાદની પ્રથમ દત્ત જયંતી ઉત્સવ પ્રસંગે યોજાયેલ ધર્મસભામાં એ જાહેરાત કરી, જેને ઉપસ્થિત જનમેદનીએ વધાવી લેતાં સ્વ. બાબુલાલ મુલચંદ ઝવેરી પરિવાર દ્વારા પુન: એકવાર નવનિર્મિત અને આધુનિક ઢબે બંધાયેલ નિજ મંદિરમાં તા. ૧૯, ૨૦, ૨૧ ફેબ્રુઆરી - ૨૦૦૩ના રોજ પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ તે માટે યોજાયેલ સમારંભ પ્રસંગે ઉપસ્થિત પશ્ર્ચિમ ક્ષેત્રના સંપર્ક પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મણીયાર, શ્રી ડૉ. હિતેશભાઈ જાની અને શ્રી દુષ્યંતભાઈ પંડ્યા સમક્ષ યાત્રિકોની સુવિધા અને રસોડું ડાઇનિંગ હોલ, સ્ટોર વગેરેના નવનિર્માણ માટે વિનંતી કરાતાં સેવા ભારતી ગુજરાત સમક્ષ આ માંગ મૂકવા સૂચન થતાં, ત્યાં માંગણી કરતા રૂ. ૧૫ લાખ જેટલી માતબર રકમ ઉપરોક્ત પુન:નિર્માણ માટે મંજૂર કરવામાં આવી અને તા. ૮-૯-૨૦૦૩ના દિને તે માટેનો પ્રથમ રૂ. ૫ લાખનો ચેક સેવા ભારતી ગુજરાતના પ્રમુખ શ્રી વલ્લભભાઈ સાવલિયા દ્વારા આ જ મંદિરના પ્રાંગણમાં મંદિરની સંચાલન સમિતિના પ્રમુખ શ્રી હીરાલાલ રાજદેને સુપ્રત કર્યો છે, જેનું બાંધકામ હાલ ચાલુમાં જ છે તે પૂર્ણ થતાં આ સુવિધા પુન: શરૂ થઈ જશે.
આજે અહીં વિ.હિ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પીઠબળનો અહેસાસ થતાં હિંદુ હિજરત અટકી ગઈ છે.
- હીરાલાલ રાજદે