કચ્છ ( Kutch ) ની ધરા એ સંતો અને શૂરાઓની ભૂમિ છે, અહીંની માટીમાંથી અનેક સંતો પેદા થયા છે, એટલું જ નહીં, કચ્છમાં વસતા લોકો પરાપૂર્વથી ભક્તિ અને ઈશ્ર્વરપરાયણતામાં અગ્રેસર છે, જેના પરિણામે દરેક ધર્મ-સંપ્રદાયનાં પ્રાચીન ધર્મસ્થાનો અને દેવાલયો અહીં ગામેગામ જોવા મળે છે. રામાયણ-મહાભારત કાળથી અહીં શૈવપંથીઓ દ્વારા શિવાલયો, વિષ્ણુપંથીઓ દ્વારા તેના અવતારોનાં દેવાલયો અને શાક્ત પંથીઓ દ્વારા મા જગદ્અંબાનાં સ્વરૂપોનાં વિવિધ મંદિરો અહીં જોવા મળે છે, જેની સંખ્યા હજારોમાં થવા જાય છે. પણ અહી આપણે અરબી સમુદ્ર જેનાં ચરણ પખાળે છે એવા ‘કોટેશ્ર્વર મહાદેવ’ મંદિરની વાત કરીશું
યાત્રાધામ નારાયણ સરોવર ( Narayan Sarovar Kutch ) થી માત્ર ૩ કિ.મી.ના અંતરે કોટેશ્ર્વર મહાદેવ ( Koteshwar Mahadev ) નું અતિ પ્રાચીન અને પૌરાણિક મહત્ત્વ ધરાવતું મંદિર આવેલું છે. કચ્છ ( Kutch ) ના પશ્ર્ચિમ દિશાના દરિયાકિનારે જ્યાં દિવસ-રાત ઘૂઘવતો અરબી સમુદ્ર જેના ચરણ પ્રક્ષાલન કરે છે એ દેવાધિદેવ કોટેશ્ર્વર મહાદેવ ( Koteshwar Mahadev ) નું આ સ્થાન પુરાતન કાળનું છે. ઊંચા ટેકરા પર આવેલા કોટેશ્ર્વર તથા તેની પાસેના કલ્યાણેશ્ર્વર મહાદેવનાં મંદિરોનો કચ્છના રાજવીઓએ પોતાની શ્રદ્ધાના પ્રતીક સ્વરૂપે વખતોવખત ર્જીણોદ્ધાર કરાવ્યો હોવાના શિલાલેખ મોજૂદ છે. કચ્છના લખપત ( Lakhapat Kutch) તાલુકાના છેવાડે આવેલ આ સ્થાનનું ભુજથી અંતર ૧૬૩ કિ.મી. છે. આ દરિયાઈ સરહદી વિસ્તાર હોવાથી મંદિરમાં કે આસપાસ રાત્રિરોકાણની મનાઈ છે, પરંતુ પાસેના જ નારાયણ સરોવર( Narayan Sarovar Kutch ) તીર્થમાં રહેવા-ભોજનની પૂરતી વ્યવસ્થા છે.