કચ્છ ( Kutch ) ની ધરા એ સંતો અને શૂરાઓની ભૂમિ છે, અહીંની માટીમાંથી અનેક સંતો પેદા થયા છે, એટલું જ નહીં, કચ્છમાં વસતા લોકો પરાપૂર્વથી ભક્તિ અને ઈશ્ર્વરપરાયણતામાં અગ્રેસર છે, જેના પરિણામે દરેક ધર્મ-સંપ્રદાયનાં પ્રાચીન ધર્મસ્થાનો અને દેવાલયો અહીં ગામેગામ જોવા મળે છે. રામાયણ-મહાભારત કાળથી અહીં શૈવપંથીઓ દ્વારા શિવાલયો, વિષ્ણુપંથીઓ દ્વારા તેના અવતારોનાં દેવાલયો અને શાક્ત પંથીઓ દ્વારા મા જગદ્અંબાનાં સ્વરૂપોનાં વિવિધ મંદિરો અહીં જોવા મળે છે, જેની સંખ્યા હજારોમાં થવા જાય છે. પણ અહી આપણે દરિયાદેવની નિશ્રામાં બિરાજમાન પિંગલેશ્ર્વર મહાદેવના મંદિરની વાત કરીશું
દરિયાદેવની નિશ્રામાં બિરાજમાન પિંગલેશ્ર્વર મહાદેવ | Pingleshwar Mahadev
અરબી મહાસાગરમાં કચ્છ ( Kutch ) ના અખાતના છેવાડે દરિયાકિનારે આવેલ પિંગલેશ્ર્વર મહાદેવ ( Pingleshwar Mahadev ) નું સ્થાન કચ્છના દરિયાકિનારે આવેલાં તમામ સ્થાનોના શિરમોર સમાન છે. લગભગ ૭૦૦ વર્ષ પુરાણા આ પિંગલેશ્ર્વર મહાદેવના સ્થાનના નામકરણ અંગે બે પ્રચલિત દંતકથાઓ છે, જે પૈકી એકમાં પિંગળશી નામના માલધારીને આ મંદિરમાં અનેરી શ્રદ્ધા હતી. તે મંદિરની સેવાપૂજામાં પોતાનો સમય વ્યતીત કરતો હતો. ભોળાનાથ ભગવાને તેને સાક્ષાત્ દર્શન આપેલાં હોવાથી પિંગળના ભગવાન પિંગલેશ્ર્વર એવું નામ પ્રચલિત બન્યું છે અને બીજી માન્યતા પ્રમાણે મંદિરના પ્રસ્થાપિત શિવલિંગનો રંગ પીળો હોવાથી પિંગલેશ્ર્વર કહેવાય છે. મંદિરમાં બિરાજમાન પિંગલેશ્ર્વર મહાદેવ ( Pingleshwar Mahadev ) નું બીજું નામ રોકડિયા મહાદેવ પણ છે, કારણ કે આ મહાદેવની પૂજાઅર્ચના કરવાથી તે તરત જ પ્રસન્ન થાય છે. શિવલિંગનું કદ દર વર્ષે વધતું હોવાની માન્યતા પણ પ્રચલિત છે.