મનમાં એક ઉલ્લાસની ઊર્જાને જગાવો. આ ચીજો જ તમને આ કઠિન પરિસ્થિતિમાં સંભાળી રાખશે - આચાર્ય પ્રમાણસાગરજી

    29-May-2021
કુલ દૃશ્યો |

acharya pranamsagarji_1&n 
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.

માનવતા જ મહામારીની ઢાલ બનશે : આચાર્ય પ્રમાણસાગરજી

 
‘પોઝિટિવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં આચાર્ય પ્રમાણસાગરજી મ.સા.એ જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ ભયાનક રૂપ લીધું છે. દિન-પ્રતિદિન સંક્રમિતો અને મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી રહી છે. આ ત્રાસદીપૂર્ણ સમયમાં મનને મજબૂત બનાવો. બીમારી આવી છે તો તેને જવાનું જ છે. મન જો મજબૂત હશે તો આ બીમારી તમારુ કાંઈ જ બગાડી શકવાની નથી. વિશેષજ્ઞો મુજબ ૮૫ ટકા લોકોને તો ખબર પણ નથી પડતી કે તેઓને કોરોના થયો છે અને તે ખુદ જ ઠીક થઈ જાય છે. પોતાની અંદર આધ્યાત્મિક જ્યોત પ્રગટાવી રાખવાનો આ સમય છે.
 
કોરોના તમારા તનને બીમાર કરી શકે છે, મનને નહીં. આ તનની બીમારીને મન પર હાવી થવા ન દેશો, કારણ કે તનની બીમારીનો ઇલાજ છે, પરંતુ મનની બીમારીનો કોઈ જ ઇલાજ નથી. પોતાની અંદરની જિજીવિષાને જીવિત રાખો. મૃત્યુનો ડર રાખવાની જરૂર નથી. આત્મા ન તો જન્મે છે કે ન તો મૃત્યુ પામે છે. માત્ર શરીર નાશવંત હોય છે, આત્મા નહીં. જ્યારે આપણે મૃત્યુરૂપ છીએ જ નહીં તો પછી મૃત્યુનો ડર કેવો ? મનમાં એક ઉલ્લાસની ઊર્જાને જગાવો. આ ચીજો જ તમને આ કઠિન પરિસ્થિતિમાં સંભાળી રાખશે. સારવાર સાથે મનની મજબૂતી પર પણ ધ્યાન આપો અને આ માટે યોગાદિ ક્રિયાઓ કરો. ભાવના યોગથી જીવનને યોગ્ય દિશા મળે છે.
 
સાવધાની રાખો. ઘરની અંદર રહો. બને તેટલો એકબીજા સાથેનો સંપર્ક ટાળો. પરંતુ સંક્રમિત થવાનો ડર મનમાંથી હટાવી દો. આ સમય માનવતાવાદી દૃષ્ટિકોણ દાખવવાનો છે. માનવતાવાદ જ આ મહામારી આપણી ઢાલ બનશે. કોઈ પીડિત છે. તેને સંપૂર્ણ સહાનુભૂતિ દાખવો. યથાસંભવ આર્થિક સહયોગ આપવો પણ આપણું કર્તવ્ય છે.