જ્યારે માનવ પોતાના આરાધ્ય અને ઈષ્ટદેવ પર વિશ્ર્વાસ કરે છે ત્યારે તેને ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ સમાધાન પ્રાપ્ત થાય છે

    29-May-2021
કુલ દૃશ્યો |
 
sadhvi ritambhara_1 
 
 
હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે ૧૧થી ૧૫ મે દરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, જૈન મુનિ પ્રમાણસાગર મ.સા., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીજી, પદ્મવિભૂષણ સોનલ માનસિંહ, સંત જ્ઞાનદેવસિંહ જેવા પ્રમુખ મહાનુભાવોને એક મંચ પર લાવી તેમના સંબોધન થકી લોકોમાં આત્મવિશ્ર્વાસ પેદા કરવા અને કોવિડ-૧૯ બાદના આગામી પ્રયાસો માટે પ્રેરિત કરવાનો સુંદર પ્રયાસ થયો હતો.

જીત લિયા મન જીસને ઉસને જીત લિયા જગ સારા : પૂ. સાધ્વી ઋતંભરાજી

 
‘પોઝિટિવ અનલિમિટેડ’ વ્યાખ્યાન શ્રૃંખલામાં પ્રવચન આપતાં પૂજ્ય દીદી મા સાધ્વી ઋતંભરાજીએ જણાવ્યું હતું કે, ખૂબ જ વિપરીત પરિસ્થિતિ છે, પરંતુ આ પ્રકારની વિપરીત પરિસ્થિતિઓમાં જ સમાજના ધૈર્યની કસોટી થાય છે. આપણો સમગ્ર દેશ એક વિચિત્ર મહામારીનો સામનો કરી રહ્યો છે. આ સમય આપણી આંતરિક શક્તિનો જાગૃત કરવાનો છે. આ દેશે તપશ્ર્ચર્યા, ત્યાગની આગ શું હોય છે તેમાંથી પસાર થવાનું શીખ્યું છે, જાણ્યું છે. એ તપશ્ર્ચર્યાની આગમાં તપીને એક કુંદનની જેમ ચમક કેવી રીતે મેળવવી એ આપણને આપણા વડવાઓએ શીખવ્યું છે. આપણા વડવાઓનો એ અનુભવ આપણા ધર્મગ્રંથોમાં વાડ્મય રીતે સંગ્રહાયેલો છે. વિપત્તિ જ્યારે આવે છે ત્યારે કાયર લોકો જ ડરી જાય છે. સૂરમા લોકો વિચલિત થતા નથી. એક પળ માટે પણ સૂરમા ધીરજ ખોતા નથી. વિઘ્નોમાંથી પણ રસ્તો શોધી કાઢે છે. કાંટામાં પણ રસ્તો બનાવી દે છે. મોંમાંથી ક્યારેય ઉફ કહેતા નથી. જે આવી પડ્યું છે તેને સહે છે. માનવ જ્યારે જોર લગાવે છે ત્યારે પથ્થર પણ પાણી બની જાય છે.
 
મનુષ્યની સામે, તેના સંકલ્પ અને સાહસ સામે મોટા મોટા પર્વત પણ ટકી શકતા નથી. નદીનું પાણી જ્યારે વહેણ બને છે ત્યારે મોટી મોટી ચટ્ટાનોને પણ રેતીમાં પરિવર્તિત કરવાનું સાહસ રાખે છે. માટે આ વિકટ પરિસ્થિતિમાં નાસીપાસ થઈ પોતાને અસહાય માની લેવાથી કાંઈ જ વળવાનું નથી. યુદ્ધની આંતરિક શક્તિને જગાડવાનો સમય છે. એક પૌરાણિક કથા અહીં યાદ આવી જાય છે. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. કુરુક્ષેત્રના મેદાનમાં એક ટીટોડીના કરુણ રુદનને શ્રીકૃષ્ણે સાંભળ્યું. તે ભગવાન શ્રીકૃષ્ણના રથની ગોળગોળ ચક્કર લગાવી રહી હતી અને કરુણ આક્રંદ કરી રહી હતી. શ્રીકૃષ્ણએ મૌનમાં જ તેની પ્રાર્થના સાંભળી લીધી તે કહી રહી હતી કે, પ્રભુ, કુરુક્ષેત્રના આ મેદાનમાં યોદ્ધાઓ સાથે યુદ્ધ થશે. તલવારોથી તલવારો ટકરાશે. મારી નાનકડી દુનિયા છે. અહીં મારાં ઈંડાં છે. તેનું શું થશે ? ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે, અર્જુન, સામે જે હાથી છે તેની સાંકળથી બાંધેલ ઘંટડી પર બાણ ચલાવ. અર્જુને તીર ચલાવ્યું અને ઘંટડી નીચે આવી પડી. અને યુદ્ધ પત્યા બાદ શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું, હવે આ ઘંટડીને હટાવી લે. અર્જુને ઘંટડી હટાવતાં જ તેની નીચેની ટીટોડીનાં ચાર બચ્ચાં નીકળ્યાં. આમ ટીટોડીનાં એ બચ્ચાં મૃત્યુના એ મહાસાગરમાં જીવનનાં ગીત ગાતાં બહાર આવ્યાં હતાં.
 
આમ કુરુક્ષેત્રના એ મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણે ટિટોડીને ત્રણ હપ્તા સુધી લોકડાઉન થઈ જવા જણાવ્યું હતું. (કરી દીધી હતી.) અને પોતાની શક્તિઓને ઓળખવાનું કહ્યું હતું. તેના પરિણામે તેના સંકટનું સમાધાન થયું હતું. આમ જ્યારે મનુષ્ય પોતાના પર વિશ્ર્વાસ કરે છે ત્યારે સમાધાન અવશ્ય મળે છે. જ્યારે માનવ પોતાના આરાધ્ય અને ઈષ્ટદેવ પર વિશ્ર્વાસ કરે છે ત્યારે તેને ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ સમાધાન પ્રાપ્ત થાય છે માટે આપણે વિશ્ર્વાસપૂર્વક આ મહામારીમાંથી પાર ઊતરી જ જઈશું.
 
આ સમયે કોણે શું કર્યું, કોણે શું ન કર્યું તેવા દોષારોપણ કરવાનો નથી. તેનાથી કશું જ વળવાનું નથી. રાજ્ય પોતાની વ્યવસ્થામાં લાગેલું જ છે, પરંતુ આ કામ રાજ્ય એકલાથી જ થઈ શકવાનું નથી. એક રાષ્ટ્ર તરીકે આપણે પણ આ મહામારી સામે લડવાનું છે અને રાજ્ય એટલે શાસન-પ્રશાસન અને રાષ્ટ્ર એટલે આ દેશના નિવાસી. જ્યારે રાષ્ટ્ર પોતાના આત્મબળ, આત્મસંયમને જાગ્રત કરે છે ત્યારે મોટી મોટી સમસ્યાઓ પણ તેની સામે ટકી શકતી નથી. એક બીજા પર દોષારોપણ ખૂબ થઈ રહ્યું છે. ગલતીઓ સે જુદા મેં ભી નહીં તૂ ભી નહીં. ઇન્સાન હૈ હમ ખુદા મેં ભી નહીં તૂ ભી નહીં. એક દૂસરે કો ઇલ્જામ દેતે હૈં. હમ પર ખુદ કે અંદર ઝાંકતા મે ભી નહીં ઔર તૂં ભી નહીં. બહોત સારી ગલતફહેમીઓને પેદા કર દી હૈ દૂરિયાં. ફિતરત કા બૂરા મૈં ભી નહીં તૂં ભી નહીં. આપણે માનવી છીએ અને આ પરિસ્થિતિમાં આપણે માત્ર નકારાત્મકતા ફેલાવતા રહીશું તો સારું કરવાનું સામર્થ્ય અને નવી શક્તિ જ સમાપ્ત થઈ જશે. માટે આ વિપરિત પરિસ્થિતિઓમાં ભારત જેવો આધ્યાત્મિક દેશ જે સમગ્ર વિશ્ર્વને માર્ગદર્શન આપતો આવ્યો છે તેનું ખુદમાં વિખરાવું યોગ્ય નથી. માટે પથ્થર જો ચોટ ખા કે ટૂટ ગયા, વો કંકણ બન ગયા, ઔર પથ્થર જો ચોટ સહ ગયા વો શંકર બન ગયા. આપણે આ પરિસ્થિતિઓના ડરથી ખુદને વિખરાવા દેવાના નથી, ખુદને નિખારવાના છે અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો ધૈર્ય છે. આપણે એક વિષાણુથી પરાજિત ન થઈ શકીએ. આપણો સંકલ્પ એટલો કમજોર નથી કે એક અજ્ઞાત વિષાણુથી પરાજિત થઈ જાય. શીખ સુનેહરી પુરખોથી જીસને રખી યાદ. કિયા વક્ત બરબાદ જિન્હોંને હુએ વહી બરબાદ, કઠિન કાલમેં વીર કભી ભી પીઠ નહીં દિખલાતા, યા તો હંસા મોતી ચૂગતા યા ભૂખા મર જાતા. શુભ કર્મોં કે બિના કભી ભી હવા નહીં નિસ્તારા, જીત લિયા મન જીસને ઉસને જીત લિયા જગ સારા.
 
માટે સંકલ્પવાન બનો. મનને જીતો. આંતરરાષ્ટ્રીય ષડયંત્રોને ઓળખો. તેના શિકાર ન બનશો. આ દેશમાં જેઓ અફવાઓ ફેલાવે છે તે દેશદ્રોહી છે. જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ છાતી કાઢી પોતાની અને પોતીકાઓની રક્ષા માટે ઊભા છે તે જ દેશમાતાના સાચા લાલ છે.