ખેડબ્રહ્માના મતદારોએ કદાવર નેતાનો ખેલ કરી નાખ્યો છે. અહીં મતદારોએ સાબિત કર્યુ છે કે તેઓ મત ઉમેદવારને નહી પણ પક્ષને જોઇને આપે છે. ઉલ્લેખનીય વાત એ છે કે અહીં NOTA ને પણ સૌથી વધારે વોટ મળ્યા છે. ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની આખી ચૂંટણી એક કેસસ્ટડી સમાન છે પણ એમાય આ ખેડબ્રહ્માની બેઠક ખરે ખરે સમજવા લાયક છે…આવો સમજીએ...
ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠક છે જેમાંથી ૩ બેઠક હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા બેઠક સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. આ ત્રણમાંથી ઇડર એસસી અને ખેડબ્રહ્મા એસટી બેઠક એટલે કે અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક છે. આપણે વાત ખેડબ્રહ્માની જ કરવાની છે. આ બેઠક આદિવાસીઓની વસ્તી વધારે છે. કોંગ્રેસનો ગઢ આ બેઠક ગણાય છે. છેલ્લા ત્રણ ટર્મથી અહીં ભારી માર્જિનથી કોંગ્રેસનો ઉમેદવાર જ જીતે છે. આ ઉમેદવાર એટલે અશ્વિન કોટવાલ. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કોટવાલ ૨૦૦૭માં અહીં ૨૨૦૦૦ના માર્જિનથી, ૨૦૧૨માં ૫૦,૦૦૦ થી વધુ માર્જિનથી અને ૨૦૧૭ની ચૂંટણીમાં ૧૧,૦૦૦ના માર્જિનથી જીત્યા છે.
મહત્વની વાત હવે આવે છે. આ વખતે આ અશ્વિનભાઈ ચૂંટણી હારી ગયા છે પણ કોંગ્રેસ અહીંથી જીતી ગઈ છે. આવું કેમ? કેમ કે અશ્વિનભાઈ આ વખતે કોંગ્રેસમાંથી નહી પણ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. અશ્વિનભાઈ સામે કોંગ્રેસના ડો. તુષાર ચૌધરી ચૂંટણી લડ્યા. અશ્વિનભાઈને ૬૫,૬૮૫ મત મળ્યા અને તુષારભાઈને ૬૭,૩૪૯ મત મળ્યા. કોંગ્રેસના તુષારભાઈની માત્ર ૧૯૬૪ મતની સરસાઈથી જીત થઈ છે.
ઉલ્લેખનીય વાત એ છે કે આપના ઉમેદવાર બિપિનચન્દ્ર ગામેતિએ તો અહીં વોટ તોડ્યા છે પણ નોટાએ પણ વોટ તોડ્યા છે. આપના ઉમેદવારને અહીં ૫૫,૫૯૦ મત મળ્યા અને NOTA ને અહીં સૌથી વધુ ૭૩૩૧ મત મળ્યા છે એટલે જીતની સરસાઈથી ખૂબ વધારે મત NOTA ને મળ્યા છે.