શાળા-મહાશાળાઓમાં નમાજ અને હિઝાબ - મસ્તી કી પાઠશાળાને મજહબ કી પાઠશાળા બનતી અટકાવો
કર્ણાટકની શાળાના વર્ગખંડમાં જ નમાજ પઢવાની અને કોલેજમાં હિજાબ પહેરી આવવાની જીદની ઘટનાઓ બાદ દેશમાં હવે સરકારી શાળા-મહાશાળાઓને પણ મજહબના અખાડા બનાવાઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે શું છે આ આખો વિવાદ અને શું કહે છે આ વિશે બંધારણ અને ન્યાય-વ્યવસ્થા જાણીએ આ વિશેષ પ્રસ્તુતિમાં...
શાળા એ નામ સાંભળતાં જ આપણી સમક્ષ એક જ ગણવેશ પહેરેલા અનુશાસનબદ્ધ બાળકોનું ચિત્ર તરવરી ઊઠે છે. આપણા દેશમાં જ નહીં, સમગ્ર વિશ્ર્વમાં શાળામાં આવતા વિદ્યાર્થીઓ માટે ગણવેશ ફરજિયાત છે. ધર્મ-જાતિ-અમીર-ગરીબને બદલે તેને શાળાના એક વિદ્યાર્થી તરીકે જ જોવામાં આવે છે, પરંતુ આખા દેશનાં કર્ણાટકની એક શાળામાં કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં જ નમાજ પઢવા દેવાની જીદ શાળા પ્રશાસને ધર્મ વિશેષના વિદ્યાર્થીઓની આ તદ્દન અવ્યવહારિક માંગણીને ફગાવી દેવાને બદલે તેમની જીદ સામે ઝૂકી વર્ગખંડમાં જ નમાજ પઢવાની પરવાનગી આપી ત્યાર બાદ અહીં વર્ગખંડમાં જ નમાજ પઢવાની પરંપરા શરૂ થઈ ગઈ.
આવી જ એક ઘટના કર્ણાટકની જ એક ઇન્ટર કોલેજમાં બની. જ્યાં કેટલાક મુસ્લિમ વિદ્યાર્થીઓએ વર્ગમાં ઇસ્લામિક પોશાક પહેરીને આવવાની છૂટ આપવાની માંગણી કરી, પરંતુ જ્યારે તેમને શાળાના નિયમોની યાદ અપાવી છૂટ આપવાની ના પાડી દીધી ત્યારે તેઓ વિરોધ પર બેસી ગયા અને મામલો છેક કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ બે ઘટનાઓ સાબિત કરે છે કે દેશમાં દિન-બ-દિન પરિસ્થિતિ ખૂબ જ કટ્ટર અને ભયજનક બની રહી છે. કેટલાક લોકો બાળકોમાં ય પણ ધાર્મિક કટ્ટરવાદનું ઝેર ભરી રહ્યા છે, ત્યારે વિચાર કરો કે આપણા દેશનાં શિક્ષણ સંસ્થાનો જ ધર્મની પ્રયોગશાળા બની ગઈ તો સમાજમાં કેટલો મોટો વિસ્ફોટ સર્જાશે, પરિસ્થિતિ કેટલી હદે વણસી જશે ?
કર્ણાટકના કોલાર જિલ્લામાં બની છે આ ઘટના
૨૧ જાન્યુઆરીના રોજ કર્ણાટકના કોલાર જિલ્લા સ્થિત એક સરકારી શાળામાં વર્ગખંડમાં જુમ્માની નમાજ પઢવામાં આવી. આશ્ર્ચર્ય એ વાતનું છે કે બાળકોને નમાજ પઢવાની પરવાનગી શાળા પ્રશાસન દ્વારા જ આપવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક બાળકો વર્ગખંડમાં જ માથે ટોપી પહેરી નમાજ પઢતા દેખાઈ રહ્યા છે. એક ક્ષણ માટે તો એવું લાગે કે આ વીડિયો કોઈ મસ્જિદનો છે. નમાજ પઢી રહેલા બાળકોના કહેવા મુજબ લગભગ બે મહિનાથી અમે શાળામાં જ નમાજ પઢીએ છીએ અને આની જાણકારી શિક્ષકોથી લઈ આચાર્યને પણ છે. શાળાના અન્ય ધર્મના વિદ્યાર્થીઓના કહેવા મુજબ જ્યારે તેઓએ આનો વિરોધ કર્યો ત્યારે એમ કહીને ચૂપ કરાવી દીધા કે, નમાજ એક પવિત્ર પ્રાર્થના છે. જો તમે તેના વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમને પાપ લાગશે. એટલે કે નમાજ પઢનારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને જે બાળકોએ આનો વિરોધ કર્યો તેમને ભ્રમિત કરવામાં આવ્યા. જો કે સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થયા બાદ વિવાદ થતાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે શાળા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે, પરંતુ આ મુદ્દે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ જ ફરિયાદ નોંધવામાં આવી નથી. એટલે કે આ મામલો પણ થોડાક જ દિવસોમાં રફે-દફે થઈ જશે, પરંતુ સવાલ એ છે કે આ મામલે ઢાંક-પિછોડો કરવાથી આ કટ્ટરજેહાદી સમસ્યા હમેશા માટે દબાઈ જશે ખરી ?
બીજી એક ઘટનામાં કર્ણાટકના જ ઉડ્ડપી જિલ્લામાં ૧ જાન્યુઆરીના રોજ અહીંની ઇન્ટર કોલેજમાં કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓ અચાનક વર્ગખંડમાં હિજાબ પહેરીને પહોંચી ગઈ જેને લઈ વર્ગશિક્ષકે તેમને વર્ગખંડમાં પ્રવેશવા દીધી નહીં, જેના વિરોધમાં આ તમામ વિદ્યાર્થિનીઓ શાળામાં જ વિરોધ પ્રદર્શન કરવા લાગી અને કહેવા લાગી કે બંધારણ અમને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે માટે તેમને કોલેજમાં હિજાબ પહેરી આવતાં કોઈ જ રોકી ન શકે. ત્યારે સવાલ એ થાય છે કે શું ખરેખર આપણા બંધારણમાં આવી કોઈ વાતનો ઉલ્લેખ છે ? તેના વિશે વાત કરીશું પણ પહેલાં વાત કરીએ અફઘાનિસ્તાનની.
ગત વર્ષે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કર્યો ત્યારે ત્યાં આદેશ આપવામાં આવ્યા હતા કે, દેશની કોઈપણ કિશોરી યુવતીને શાળા-કોલેજમાં ઇસ્લામિક પોશાક હિજાબ પહેર્યા વગર પ્રવેશ દેવામાં આવશે નહીં, ત્યારે ત્યાંની યુવતીઓએ સોશિયલ મીડિયામાં આ ફતવાનો જોરદાર વિરોધ કર્યો હતો ત્યારે સવાલ એ થાય છે કે આપણા દેશનો મુસ્લિમ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે ?
કર્ણાટકની આ બે ઘટનાઓ એ તરફ ઇશારો કરી રહી છે કે કટ્ટરવાદીઓ દ્વારા હવે શિક્ષણ-વ્યવસ્થામાં પણ જેહાદી કટ્ટર ઝેર ભેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને પાઠશાળાઓને જ ધર્મની પ્રયોગશાળામાં બદલવાનાં જેહાદી ષડયંત્રો ચાલી રહ્યાં છે, અત્યાર સુધી આપણા દેશમાં માત્ર શાળાઓ જ એવી એક માત્ર વ્યવસ્થા હતી, જ્યાં ધાર્મિક કટ્ટરતાનું આ સંક્રમણ પગપેસારો કરી શક્યું ન હતું.
શાળાઓમાં એકરૂપતા કેમ જરૂરી ?
વિશ્ર્વના મોટાભાગના દેશોની શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે અને એકરૂપતા જળવાય તે માટે ગણવેશ ફરજિયાત છે અને આ બાળકોમાં સમાનતાનો ભાવ જન્માવવા માટે જરૂરી પણ છે, પરંતુ જો શાળામાં ગણવેશ નહીં હોય તો શું થશે ? જે બાળકો ઇસ્લામ ધર્મમાં માને છે તેઓ ટોપી અને લાંબી દાઢી રાખવા માંડશે અને પોતપોતાના વર્ગખંડમાં નમાજ પઢવાની માંગણી કરવા લાગશે તેની સામે જે બાળકો હિન્દુ ધર્મના છે તેઓ તિલક લગાવી ભગવા પોશાકમાં શાળામાં આવશે અને વર્ગખંડમાં પૂજા કરવાની માંગ કરશે. જે બાળકો ઈસાઈ મતના છે તેઓ ક્રોસ લઈ શાળામાં આવશે અને બની શકે કે તેઓ પણ શાળામાં ક્રોસ લગાવી પ્રાર્થના કરવાની પરવાનગી માગે તો જે બાળકો શીખ સહિત અન્ય પંથના છે તે પણ તેમનાં ધાર્મિક અનુષ્ઠાનો કરવાની માંગણી કરવા માંડશે અને આમ થયું તો આ દેશની શાળાઓ શાળાઓ નહીં, મંદિર-મસ્જિદ-ચર્ચ-ગુરુદ્વારા બની જશે.
આ સમસ્યાનું મુખ્ય કારણ
આપણા દેશની આ સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે આપણા દેશના બંધારણ અને કાનૂનોમાં આ અંગે કોઈ સ્પષ્ટતા જ નથી. બંધારણની કલમ ૧૪માં ઉલ્લેખ છે કે ભારત દેશના તમામ નાગરિકોને દેશના કાનૂનો દ્વારા સમાન રૂપે સંરક્ષિત કરવામાં આવશે. મતલબ કે દેશની સરકાર અને પ્રશાસન વ્યવસ્થા દ્વારા એક પરિસ્થિતિમાં તમામ લોકો સાથે સમાન વ્યવહાર કરશે, પરંતુ તેમાં એ ઉલ્લેખ નથી કે શું બાળકો શિક્ષણ સંસ્થાનોમાં પોતાનાં ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે સ્વતંત્ર હશે કે પછી ત્યાં સમાનતાનો સિદ્ધાંત જ લાગુ પડશે ?
બંધારણની જેમ આપણા દેશના કાયદાઓમાં પણ આ અંગે કોઈ સ્પષ્ટતા નથી. અત્યારે દેશમાં એવો કોઈ કાયદો નથી કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ગણવેશને કોઈ નિર્દેંશ આપતો હોય. સરકારી શાળાઓમાં તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે જ્યારે ખાનગી શાળાઓમાં આ નિર્ણય જે તે શાળા પ્રબંધકોના હાથમાં હોય છે. માત્ર કાનૂન જ નહીં, આ મુદ્દે આપણી ન્યાયિક વ્યવસ્થા પણ આજ સુધી અસમંજસમાં જ રહી છે. આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ.
કાનૂન પણ આ મુદ્દે એકમત નથી
૨૦૦૯માં મધ્યપ્રદેશની એક મિશનરી શાળામાં લાંબી દાઢી રાખવાને લઈ મુસ્લિમ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ મધ્યપ્રદેશ હાઈકોર્ટેં શાળાના આ પગલાને યોગ્ય ઠેરવ્યું હતું. બાદમાં મોહમ્મદ સલીમ નામનો આ વિદ્યાર્થી આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયો. ત્યારે ન્યાયાલયે કહ્યું કે, શાળા આવાં પગલાં ભરવા સ્વતંત્ર છે અને દેશને તાલિબાન બનવા ન જ દેવાય એટલું જ નહીં અદાલતે એમ પણ કહ્યું હતું કે જો આમ જ ચાલ્યું તો ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થિની શાળામાં બુરખો પહેરી આવવાની માંગણી કરશે ત્યારે શું કરશો ? પરંતુ અહીં એક ટ્વિસ્ટ આવે છે. જો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય અહીં પૂરો થઈ જાત તો શાળામાં ગણવેશને લઈને પરિસ્થિતિ સ્પષ્ટ બની જાત, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો અને પોતાની તાલિબાનવાળી ટિપ્પણી પર દિલગીરી પણ વ્યક્ત કરી હતી. એટલે કે ન્યાયાલય પણ ખરેખર નક્કી કરી શક્યું ન હતી કે શું યોગ્ય અને શું અયોગ્ય છે. હવે વાત આપણા દેશમાં સમાનતાનો સિદ્ધાંત કેમ જરૂરી છે તેની...
સમાનતાનો સિદ્ધાંત કેમ જરૂરી છે ?
૨૦૧૧ની વસતી-ગણતરી મુજબ ભારતમાં લગભગ ૮૦ ટકા હિન્દુ છે. ૧૪ ટકા મુસ્લિમ છે અને ૨.૩ ટકા ઈસાઈ છે. ૧.૭ ટકા શીખ અને ૦.૭ ટકા બૌદ્ધ અને ૦.૪ ટકા લોકો જૈન છે. આજથી ૭૨ વર્ષ પહેલાં ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું ત્યારે આ સમસ્યાને પહેલેથી જ ભાખી ચૂકેલ ડૉ. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, રૂઢિવાદી સમાજમાં ધર્મ ભલે દરેક અંગને પ્રભાવિત કરતો હોય પરંતુ આધુનિક લોકશાહીમાં ધાર્મિક ક્ષેત્રના અધિકારને ઘટાડ્યા વગર અસમાનતા અને ભેદભાવને ક્યારેય દૂર કરી શકાવાનો નથી, માટે જ દેશ સમાનતાનો સિદ્ધાંત અપનાવે.
આપણે આ લેખમાં જ આગળ અફઘાનિસ્તાનની વાત કરી હતી, પરંતુ હાલ ત્યાંની શાળા-કોલેજોની શી પરિસ્થિતિ છે. ત્યાં કોલેજમાં યુવક-યુવતીઓ વચ્ચે પડદો લગાવી તેમને ભણાવવામાં આવે છે ત્યારે વિચારો કે ભારતમાં આવી વ્યવસ્થાની માંગણી થઈ તો અહીં એ વાત પણ વિચારવી રહી કે આજે જે બાળકો શાળામાં પોતાના વર્ગખંડમાં નમાજ પઢવાની માંગણી કરે છે તે આગળ જઈ કોલેજમાં પણ આવી માંગણી કરશે. કોલેજ બાદ તે જે કંપનીમાં નોકરી ખરે ત્યાં પણ આવી માંગણી કરશે ત્યારે શું થશે ?
આ મુદ્દે ફ્રાન્સે દાખલો બેસાડ્યો છે
આ જ પ્રકારની સમસ્યા કેટલાંક વર્ષો પહેલાં ફ્રાન્સમાં પણ સર્જાઈ હતી. ત્યારે ફ્રાન્સે ૨૦૦૪માં તાબડતોબ કાયદો બનાવ્યો હતો કે ત્યાંની સરકારી શાળાઓમાં ભણતા કોઈ બાળક કોઈપણ પ્રકારની ધાર્મિક ઓળખ છતી કરી શકશે નહીં, દા. ટોપી, લોકેટ, હિઝાબ કે પછી બુરખો પહેરી શાળામાં આવી શકશે નહીં. ત્યારે આજે ભારતમાં પણ આવા જ કાનૂનની જરૂર છે અને તે ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણા દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ પાડવામાં આવશે. જે કહે છે કે જો દેશ એક છે તો કાનૂન પણ તમામ ધર્મના લોકો માટે એક જ હોવો જોઈએ. બંધારણની કલમ ૪૪ પણ એ નિર્દેંશ આપે છે કે સમય આવે તમામ ધર્મો માટે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવે.
કર્ણાટકમાં હિઝાબ વિવાદ વકરી રહ્યો છે
કર્ણાટકમાં હિજાબ પહેરવાનો વિવાદ વધી રહ્યો છે. શુક્રવાર સવારે કુંડાપુરના ભંડારકર કોલેજના ગેટ પર ૪૦ યુવતીઓ હિજાબ પહેરીને પહોંચી પરંતુ તેમને એન્ટ્રી ન આપવામાં આવી. તો બીજી બાજુ જિલ્લાના બેંદૂરમાં હિન્દુ યુવકોને સ્કૂલમાં એન્ટ્રી પહેલાં ભગવા ખેસ પહેરાવવામાં આવ્યો. આ આખો મામલો પ્રી-યુનિવર્સિટી કોલેજનો છે, જ્યાં હિન્દુ સંગઠનોએ ભગવા ખેસ પહેરવાનું કેમ્પેન શરૂ કર્યું છે.
કુંડાપુરની ભંડારકર કોલેજના ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલમાં એવો નિર્દેશ હતો કે યુવતીઓને હિજાબ પહેરવાની મંજૂરી હશે, પરંતુ તેનો કલર સ્કૂલ યુનિફોર્મના રંગ જેવો જ હોવો જોઈએ. યુવતીઓને કોલેજમાં એન્ટ્રી ન મળતાં લગભગ ૪૦ મુસ્લિમ યુવકો પણ તેમના સપોર્ટમાં કોલેજની બહાર પ્રદર્શન કરવા બેસી ગયા છે. કર્ણાટકના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રએ હિઝાબ વિવાદ પર કહ્યું હતું કે બાળકોએ સ્કૂલમાં હિજાબ કે ભગવો ખેસ પહેરીને ન આવવું જોઈએ. તેઓ અહીં ભારત માતાના બાળકની જેમ આવે. પોતાના ધર્મનું પાલન કરવા માટે નહીં, પરંતુ સમાનતાનું શિક્ષણ લેવા આવે. તો બીજી બાજુ રાજ્યના શિક્ષણ મંત્રી બીસી નાગેશે કહ્યું કે તેઓ પહેલાં હિજાબ પહેરતાં ન હતાં. હવે અચાનક તેમને કેમ હિઝાબ યાદ આવ્યો ?
છાત્રાઓના સમર્થનમાં આવ્યા
પૂર્વ CM સિદ્ધારમૈયા
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા મુસ્લિમ વિદ્યાર્થિનીઓના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે હિજાબ મુસ્લિમોનો મૌલિક અધિકાર છે. શિક્ષણ મૌલિક અધિકાર છે. જો તેમને સ્કૂલમાં આવવાથી રોકવામાં આવે છે તો તે તેમના મૌલિક અધિકારોનું હનન છે. યુવતીઓ મુસ્લિમ છે તેથી માત્ર તેમને શિક્ષા પ્રાપ્ત કરવાથી વંચિત ન કરી શકાય.