સંસ્કૃતિ સુધા । સત્યનો સૂર્ય સદાકાળ હોય છે | સત્ય વિશે આપણે આ જાણવા જેવું છે...

મહાભારતના કર્ણપર્વના ૬૯મા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે સત્ય કરતા બીજું કશું ઉત્તમ નથી પરંતુ સત્યનું યથાર્થ સ્વરૂપ જાણવું કઠિન છે.

કુલ દૃશ્યો |

truth quotes
 
 
 
કન્ફ્યુશિયસ કહે છે કે સત્ય જાણનારાઓ કરતાં સત્યને ચાહનારાઓ સવાયા હોય છે. તમે કોઈ પણ વસ્તુને મનથી જાણી શકો અને દિલથી ચાહી શકો. જાણવામાં અર્પણ છે અને ચાહવામાં સમર્પણ છે. સત્ય બોલવું એટલે ખીણની ધારે ધારે ચાલવું. એમાં સહેજ પણ છૂટછાટ લઈ ન શકો. સત્યમાં બે અને બે ચાર જ થાય, ન તો શૂન્ય કે ન તો બાવીસ. એમાં કોઈ ઘાલમેલ ન ચાલે. સોનાને કાટ ન લાગે એમ સત્યને પણ કદી કાટ ન લાગે. ગાંધીજીએ બાળપણમાં રાજા હરિશ્ર્ચન્દ્ર નાટક જોયું હતું. ત્યારથી એમનામાં સત્યનાં બીજ વવાયાં હતાં. ત્યારબાદ એમણે કરેલી ચોરી અને અન્ય અયોગ્ય બાબતો પિતાને કહી હતી. આ ઉમરે આટલી મોટી હિંમત સત્ય જ આપી શકે છે. આ જ સત્ય અંતે અંગ્રેજોને ભગાડવામાં કારગત નીવડ્યું હતું. સત્યની તાકાત ગજબની હોય છે.
 
ગુરુ દ્રોણ જ્યારે પાંડવોને અને કૌરવોને ભણાવતા હતા ત્યારે બીજા બધા બીજા પાઠ પર પહોંચી ગયા હતા અને યુધિષ્ઠિર એક જ પાઠ પર અટકેલા હતા. થોડા દિવસ આમ ચાલ્યું એટલે દ્રોણે પૂછ્યું કે આમ જ એક પાઠ પર આટલા દિવસો કાઢીશ તો અભ્યાસમાં પાછળ રહી જઈશ.
 
યુધિષ્ઠિરે કહ્યું કે ભલે પાછળ રહી જાઉં, પણ આ પાઠ પાકો કર્યા સિવાય આગળ નહીં જ વધું.
 
એ પાઠ હતો સત્યનો. પછી જીવનમાં યુધિષ્ઠિર સત્યના પાઠને જ અનુસર્યા હતા. કૃષ્ણ બિહારી નૂરના શેર કહે છે...
સચ ઘટે યા બઢે તો સચ ન રહે,
 
ઝૂટ કી કોઈ ઇન્તિહા હી નહીં.
 
એક બહુ જાણીતો કિસ્સો છે કે એક મા એક સાધુ પાસે જાય છે અને કહે છે કે ‘આ બાળક ગોળ બહુ ખાય છે એને ના કહો.’ તો સાધુ કહે છે કે ‘અઠવાડિયા બાદ આવો.’ મા અઠવાડિયા બાદ જાય છે ત્યારે સાધુ બાળકના માથે હાથ મૂકી એને કહે છે કે ‘બેટા, ગોળ ન ખાતો હો’.
 
માએ કહ્યું કે, ‘આ તો તમે એક અઠવાડિયા પહેલાં પણ કહી શક્યા હોત. ત્યારે ગુરુ કહે છે કે ત્યારે હું ગોળ ખાતો હતો. હું ખાતો હોઉં અને બીજાને શિખામણ કેમ આપું ? એ શિખામણ ખોખલી હોત.’
 
ગુરુએ કેટલી મોટી વાત કહી દીધી. ગાંધીજીની વાત પણ લોકો તરત સ્વીકારતા એનું કારણ એ હતું કે એમના શબ્દોમાં સત્યની તાકાત હતી. અંગુલિમાલનું નામ સંભાળતાં જ ભલભલા કાંપતા હતા ત્યારે બુદ્ધ એની આંખમાં આંખ નાખીને વાત કરતા હતા કેમ કે એમની પાછળ સત્યની ઓરા હતી. સત્યની તાકાત એ હોય છે કે તમારા હાથે પગે ખીલા મારી દે તોય તમારા મોમાંથી બદદુઆ નથી નીકળતી. આ આકાશી ઊંચાઈ સત્યથી જ પ્રાપ્ત થાય છે. ઝેરનો પ્યાલો પણ જાણે શરબત હોય એમ પી જવામાં સત્યનું પીઠબળ જોઈએ. નાગને મફલર માફક વીંટી ફરવા માટે અવધૂતી અવસ્થામાંથી પસાર થવું પડે છે.
 
કસોટી સત્યના માર્ગે ચાલો એની જ થાય છે. અસત્યને જલસા છે પણ એ ક્ષણિક હોય છે. સત્ય બોલવાનો ફાયદો એ છે કે યાદ રાખવું ન પડે. ખોટું બોલતા હોય એની યાદશક્તિ સારી હોય છે. સત્ય કદી પક્ષપાતી ન હોય. સત્ય એ ઈશ્ર્વરનું ગમતું સંતાન છે. એટલે જ સત્ય બોલનારા સાથે હંમેશા ઈશ્ર્વર હોય છે. કેટલાક લોકોનાં સત્ય પણ અસત્ય જેવાં હોય છે. કડવું અસત્ય બોલવું ન જોઈએ પણ જ્યારે પાણી માથા પરથી પસાર થાય ત્યારે એ કરવું જ પડે છે. આજે સત્યના પક્ષે રહેનારા લોકો લઘુમતીમાં છે. સત્યને ખાતર માથાં પડી ગયાં હોય એવા ઇતિહાસમાં અનેક દાખલાઓ છે. જ્હોન એકહાર્ડ કહે છે કે સત્ય એ એટલી ઉમદા વસ્તુ છે કે જો ભગવાન એની તરફ પીઠ ફેરવી લે તો હું ઈશ્ર્વરને છોડી દઉં પણ સત્યને વળગી રહું.
 
મહાભારતના કર્ણપર્વના ૬૯મા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે સત્ય કરતા બીજું કશું ઉત્તમ નથી પરંતુ સત્યનું યથાર્થ સ્વરૂપ જાણવું કઠિન છે. આ યથાર્થ સ્વરૂપ એટલે શું ? ઘણીવાર લોકહિતાર્થે અસત્ય બોલવું જરૂરી હોય ત્યારે એ અસત્ય કહેવાતું નથી. આમ, સત્યને જડ રીતે વળગી ન રહેવાય. સત્યના મૂળમાં હિત સમાયેલું છે અને જગતનું હિત સત્યથી જ શક્ય બને છે.
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.