એક દિવસે બુદ્ધના શિષ્ય આનંદે પૂછ્યું, તમે પ્રવચન આપો છો ત્યારે ઊંચા સ્થાને બેસો છો અને સાંભળનારા નીચે બેસે છે. શું આ ભેદભાવ નથી ? આવું અંતર કેમ ? તમે મહાત્મા છો અને સાંભળનારા નાના લોકો છે એટલે ?
બુદ્ધે આનંદને કહ્યું, આનંદ, મને કહો, શું તમે ઝરણામાંથી પાણી પીધું છે?
આનંદે કહ્યું, હા, મેં ઝરણામાંથી પાણી પીધું છે.
બુદ્ધે પૂછ્યું, તમે પાણી કેવી રીતે પીધું ?
આનંદે કહ્યું, ઝરણું ઉપરથી વહી રહ્યું હતું, હું ઝરણાની નીચે ઊભો રહ્યો અને પાણી પીધું.
બુદ્ધે જણાવ્યું, તમને તમારા પ્રશ્ર્નનો જવાબ મળી ગયો. જો ઝરણામાંથી પાણી પીવું છે તો તેની નીચે રહેવું પડશે. જે સત્સંગ, કથા કે પ્રવચન હોય, તેમાં કહેનારી વ્યક્તિ ઊંચા સ્થાને બેસે છે. તે કથાનો સંદેશ ગ્રહણ કરવાનો છે આથી તેને સાંભળનારાએ નીચે બેસવું પડશે. નીચે બેસવાથી સ્વભાવમાં વિનમ્રતા આવે છે, તે જ આપણને સારી વાતો જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે. વાત નાના-મોટાની નથી, પણ માનસિકતાની છે, જેનાથી સારા વિચાર ગ્રહણ કરવામાં આવે છે.
જો કોઈ સારી વાત જીવનમાં ઉતારવી છે તો સૌથી પહેલાં અભિમાન છોડી દેવું જોઈએ. જેની પણ વાત સાંભળતા હો તેના માટે મનમાં માન-સન્માનનો ભાવ હોવો જોઈએ. વિનમ્રતાની સાથે જ સારી વાતોને જીવનમાં ઉતારી શકાય છે.