વર્ષાઋતુ એ આહ્લાદક ઋતુ તો છે જ. સાથે સાથે રોગદાયક ઋતુ પણ છે. ગંદકી, માખી-મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી વર્ષાઋતુમાં રોગચાળો ફાટી નીકળે છે. આથી વરસાદી પાણીનો નિકાલ કરી સાફ-સફાઈ અને સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
ચોમાસાની શરૂઆત થતાં જ શરદી, ઉધરસ, તાવ, અપચો, ઝાડા થવા, મેલેરિયા, ટાઇફોઇડ, કમળો વગેરે રોગો માનવ શરીરને હેરાન-પરેશાન કરી મૂકે છે. એ રોગોના અટકાવ માટે,
(૧) ચોમાસાની શરૂઆત થતાં જ પાણી હંમેશા ઉકાળેલું જ પીવું.
(૨) વાસી આહાર ના ખાવો.
આ વરસાદની ઋતુમાં અપચો પણ થવાની સંભાવના ખૂબ રહે છે. વરસાદી માહોલમાં ખોરાકનું પાચન બરાબર ના થવું એ સામાન્ય બાબત છે. એટલે ખાસ આ ઋતુમાં હલકો જ આહાર લેવો જોઈએ. રાત્રીનું ભોજન જલદી કરી લેવું તેમજ રાત્રે ભોજનમાં ખીચડી, થૂલી જેવો હળવો આહાર લેવો. રોજિંદા આહારમાં આદુંનું પ્રમાણ વધારે લેવું. આદુંનો રસ મંદાગ્નિને દૂર કરે છે. તુલસી, ફૂદીનો, આદું, મરી, સૂંઠનો ઉકાળો પીવો.
ડાયાબિટીસ ન હોય તો શીતોપલાદી ચૂર્ણ ૨ ગ્રામની માત્રામાં મધ સાથે લેવાથી શરદી-ખાંસીમાં ઘણી રાહત થાય છે. સૂંઠ-ગંઠોડાની રાબ પીવાથી પણ શરદી, ઉધરસમાં રાહત થાય છે. વરસાદમાં પલળવાથી શરદી, તાવ તથા ત્વચાના વિકારો ન થાય તે માટે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. ભીનાં કપડાં તુરંત કાઢી નાંખવાં જોઈએ. કડુ-કરિયાતું, મહાસુદર્શન ચૂર્ણ, ત્રિભુવન કીર્તિરસ વગેરે આયુર્વેદિક દવાઓ વૈદ્યની સલાહ મુજબ લેવી, જેનાથી ચોમાસામાં થતા ઉપદ્રવોથી અવશ્ય બચી શકાય છે.
દરેક વ્યક્તિએ ઋતુચક્ર પ્રમાણે પોતાના ખોરાક પર શિસ્ત, સંયમ રાખીને આહાર-વિહારના નિયમનનું પાલન કરવું જરૂરી છે. વરસાદની ઋતુમાં વાળની માવજત પણ લેવી ખૂબ અગત્યની બને છે. આ ઋતુમાં વાળ-ખરવા અને વાળ બરછટ થવા વગેરે વાળની ફરિયાદ વિશેષ જોવા મળે છે. આથી આ ઋતુમાં ખાસ શિરોધારા ટ્રીટમેન્ટ મહત્ત્વની છે. શિરોધારા કરાવવાથી વાળને પોષણ મળી રહે છે અને વાળની તમામ સમસ્યાઓનું નિવારણ થાય છે. આ સાથે લીલાં શાકભાજી અને તાજાં ફળોનું સેવન કરવું પણ ખૂબ અગત્યનું છે. અઠવાડિયામાં બે દિવસ હલકા હાથે તેલનું માલિશ કરવું અતિ આવશ્યક છે. માથામાં ખંજવાળ આવે કે વાળ ખરવા માંડે તો તરત જ નિષ્ણાત વૈદ્યની સારવાર શરૂ કરી દેવી જોઈએ. જેથી જલદીથી સૌંદર્ય તેમજ વાળની માવજત થઈ જવાથી આરોગ્ય જળવાઈ રહે છે.
ચોમાસાની ઋતુમાં અગ્નિ મંદ થઈ જતો હોય છે. વાતાવરણ પણ ભેજવાળું વધારે પ્રમાણમાં હોવાથી પાચક અગ્નિપ્રદીપ્ત થાય તેવા સાદા, સુપાચ્ય આહાર લેવા જોઈએ. રોજિંદા આહારમાં જંકફૂડ, પીઝા, બર્ગર વગેરે ટાળવું. આ ઉપરાંત લસણ, અજમો, સૂંઠ, કાળાં મરી, તુલસી, ફૂદીનો, આદું વગેરેનો વધારે ઉપયોગ કરવો જોઈએ. વરસાદમાં વાળ ભીના થયા હોય તો શેમ્પુથી ધોઈને કોરા થાય પછી તેલનું હળવા હાથે મસાજ કરવું. તેલને ગરમ કરીને મસાજ કરવાથી વાળને ખૂબ જ ફાયદો થાય છે તથા વાળમાં ખોડો થવાની કોઈ સમસ્યા રહેતી નથી.
આમ, આ ઋતુમાં આહાર-વિહાર અને યોગ્ય ઋતુચર્યાનું પાલન કરવાથી ઋતુગત રોગોથી અવશ્ય પોતાની જાતને બચાવી શકાય છે.
- વૈદ્ય જહાન્વી ભટ્ટ