Gela Hanuman Shrifal Mandir | ચાલો, ગેળા હનુમાનદાદાના દર્શને , જ્યાં શ્રીફળના પર્વત પર બિરાજમાન છે હનુમાનદાદા
# ગુજરાતમાં અહીં આવેલું છે શ્રીફળ હનુમાન મંદિર
#બનાસકાંઠાના આ મંદિરે હનુમાન દાદાને ચઢાવામાં આવે છે શ્રીફળ
# આ મંદિરમાં રમતુ મૂકવામાં આવે છે શ્રીફળ
# કરોડથી વધુના શ્રીફળ આ મંદિરમાં એકત્ર થયા છે, જે એક ધાર્મિક રેકોર્ડ
# વર્ષોથી અહીં રહેલ શ્રીફળમાંથી નથી આવતી દુર્ગંધ કે નથી બગડતા
Gela Hanuman | Shrifal Mandir | ગુજરાત અને ભારતમાં ઘણા સ્થળોએ હનુમાન દાદાના મંદિર આવેલા છે. ઘણા ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે ગુજરાતના બનાસકાંઠામાં આવેલ એક એવા જ મંદિરની વાત કરશુ જયાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. બનાસકાંઠામાં આવેલ હનુમાનદાદાનું આ અનોખુ મંદિર શ્રીફળ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે.
હનુમાન દાદાનું એક અનોખુ મંદિર । Gela Hanuman | Shrifal Mandir |
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામથી 3 કિમી દૂર ગેળા હનુમાન દાદાનું એક અનોખુ મંદિર આવેલુ છે. આ મંદિરે દર શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે આવે છે. જેના કારણે શનિવારે અહીં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. આ મંદિર ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં હનુમાન દાદાને છેલ્લા 50 કે 60 વર્ષોથી ભક્તો દ્વારા શ્રીફળને વધેર્યા વગર ચઢાવાની પ્રથા છે. જેના લીધે અહીં લાખોની સંખ્યામાં શ્રીફળ એકઠા થઈ ગયા છે. આ
શ્રીફળ પર જ હનુમાનજી બિરાજમાન છે. દિવસે ને દિવસે આ શ્રીફળનો પર્વત વધતો જ જઈ રહ્યો છે.
શ્રીફળનો પર્વત | Shrifal Mandir
ઘણા વર્ષોથી ચાલી આવતી પૂજા અને પ્રસાદથી અહીં શ્રીફળનો પર્વત બની ગયો છે. એક અંદાજ પ્રમાણે અહીં એક કરોડ કરતા વધુ શ્રીફળ એકત્ર થઈ ગયા છે. જે એક રેકોર્ડ છે. આ ઢગલામાંથી કોઈ પણ વ્યક્તિ શ્રીફળ ચોરી કરી શકતો નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ અહીંથી શ્રીફળની ચોરી કરી પણ લે છે તો તેણે અહીંથી ચોરાયેલ એક શ્રીફળની જગ્યાએ પાંચ શ્રીફળ ચઢાવા પડે છે. લોકોની માન્યતા છે કે અહીં માંગવામાં આવેલ મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. દિવસેને દિવસે આ શ્રીફળનો ઢગલો વધતો જઈ રહ્યો છે. શ્રીફળનો ઢગલો એટલો વધી ગયો છે કે હવે અહીં બિરાજમાન હનુમાનદાદાની મૂર્તિ ફક્ત એક ફૂટ જેટલી જ દેખાય છે.
600 થી 700 વર્ષ જૂનું છે મંદિર । Gela Hanuman
આ મંદિરના ઈતિહાસ અંગે વાત કરીએ તો મળતી માહિતી અનુસાર અંદાજે આ મંદિર 600 થી 700 વર્ષ જૂનું છે. આ મંદિરને શ્રીફળવાળા હનુમાનજીના નામે પણ ઓળખવામાં આવે છે. આજુબાજુના લોકો 5 થી 10 કિમી પગપાળા ચાલીને અહીં આવે છે. શનિવારે અહીં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે.
શ્રીફળ બગડતા નથી
આ મંદિર તેના શ્રીફળના પહાડના લીધે પ્રસિદ્ધ છે. તેમજ લોકોની આ મંદિર પ્રત્યે શ્રદ્ધા પણ અતૂટ છે. આમ જોવા જઈ તો બે કે ત્રણ દિવસમાં શ્રીફળ સડી જાય અને ખરાબ દુર્ગંધ આવા લાગે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અહીં વર્ષોથી પડેલા શ્રીફળ ના સડ્યા છે કે ન તો અહીં કોઈ દુર્ગંધ આવે છે. જે પોતાનામાં જ એક ચમત્કાર છે. લોકો તેને સ્વયંભૂ બિરાજમાન હનુમાન દાદાની આસ્થાના સ્વરૂપે જુએ છે.
દાદા નથી આપતા મંદિર નિર્માણની પરવાનગી
ગેળા હનુમાન મંદિરે દર શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે. લોકો અહીં દૂર દૂરથી દાદાના દર્શન કરવા આવે છે. લોક તેમને શ્રીફળની સાથે તેમને પ્રિય સિંદૂર અને આકળાની માળા પણ ચઢાવે છે. અહીં દાદાનું પાક્કુ મંદિર નથી પરંતુ તે ખીજડાના ઝાડ નીચે ખુલ્લામાં જ બિરાજમાન છે. કહેવાય છે કે ગામ લોકોએ મંદિર બનાવાની દાદા પાસે પરવાનગી માંગી. પરંતુ દાદા પાક્કુ મંદિર બનાવાની પરવાનગી આપતા નથી તેથી અહીં પાક્કુ મંદિર નથી.
શ્રીફળ રમતા મૂકવાની બાધા
અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થયા પછી શ્રીફળ રમતુ મૂકવાની બાધા રાખે છે. જ્યારે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે કહ્યા મૂજબ લોકો શ્રીફળ રમતુ મૂકે છે જેના કારણે પણ આ શ્રીફળનો પર્વત વધતો જઈ રહ્યો છે.
મંદિર સાથે સંકળાયેલ દંતકથા
અહીં બિરાજમાન હનુમાનદાદા ખિજડાના વૃક્ષ નીચે છે. અહીં મંદિર સાથે સંકળાયેલી એક દંતકથા પ્રચલિત છે. અંદાજે 50 થી 60 વર્ષ પહેલા થરાદના આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીં આવ્યા હતા. તેમણે અહીં ચઢાવેલ શ્રીફળને પ્રસાદ તરીકે બાળકોમાં વહેંચી દીધુ. જેના લીધે બાળકો બિમાર પડી ગયા. ત્યાર પછી બાળકોએ હનુમાનદાદા પાસે શ્રીફળ ચઢાવાની મંજૂરી માંગી . પરંતુ દાદાએ મંજૂરી આપી નહિ. તેથી આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે હનુમાનદાદાને યાદ કરીને કહ્યું કે જો બાળકોને શ્રીફળનો પ્રસાદ આપવાથી તમારા શ્રીફળ ઓછા થઈ જાય છે તો તમે અહીં શ્રીફળનો ઢગલો કરીને બતાવો. બસ ત્યારથી અહીં કોઈ શ્રીફળ વધેરતું નથી. ઘણો સમય પસાર થઈ ગયો, પરિસ્થિતિ બદલાઈ પણ અહીં શ્રીફળનો ઢગલો વધતો જ જઈ રહ્યો છે. હવે તો તે એક પર્વત બની ગયો છે.
મંદિર ગૌશાળા પણ ચલાવે છે
ગેળા હનુમાન મંદિર દ્વારા ગૌ શાળા પણ ચલાવામાં આવે છે. જેમાં 1હજાર ગાયો છે. આ ગાયોની દેખરેખ ગેળા હનુમાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ગૌ શાળામાં રહેલી ગાયોની દેખરેખ મંદિરમાં આવતા દાન દ્વારા કરવામાં આવે છે.
કઈ રીતે જવું
હવાઈ માર્ગઃ ગેળા હનુમાન જવા માટે હવાઈ સેવા ઉપલબ્ધ છે. તે માટે અમદાવાર એરપોર્ટ નજીકનું સ્થળ છે. જે તેનાથી 204 કિમીના અંતરે આવેલું છે.
સડક માર્ગઃ ગુજરાત રાજ્ય પરિવહન દ્વારા બસ સેવા ઉપલબ્ધ છે. તે ઉપરાંત વાહન કરી પણ જઈ શકાય છે.
ટ્રેન માર્ગઃ ગેળા હનુમાન ટ્રેન માર્ગ જતા તેની નજીકના બે સ્ટેશન છે. એક ધાનેરા જે તેનાથી 35 કિમી ના અંતરે આવેલુ છે અને બીજુ છે પાલનપુર રેલ્વે સ્ટેશન જે તેનાથી 85 કિમી ના અંતરે આવેલું છે.
- મોનાલી ગજ્જર