Mann Ki Baat | મન કી બાતના 100 એપિસોડ | મન કી બાતની કેટલીક રોચક જાણવા જેવી વાતો…

29 બોલીઓ અને અંગ્રેજી સિવાયની 11 વિદેશી ભાષાઓમાં મન કી બાત । મન કી બાતના 100મા એપિસોડ પહેલાં, IIMના સર્વેમાં જાણવા મળ્યું છે કે, તેના શ્રોતાઓની સંખ્યા 100 કરોડ સુધી પહોંચી ગઇ છે

    ૦૧-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

mann ki baat 100 episode in gujarati
 

પ્રધાનમંત્રીની મન કી બાત 3જી ઓક્ટોબર, 2014ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે સમગ્ર ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન (DD) નેટવર્ક પર પ્રસારિત થાય છે. 30 મિનિટનો આ કાર્યક્રમ 30મી એપ્રિલ 2023ના રોજ 100 એપિસોડ પ્રસારિત થયો ત્યારે આવો તેના વિશેની કેટલીક રોચક વાતો….
 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત વિશે લગભગ 96 ટકા વસ્તી માહિતગાર છે. આ કાર્યક્રમના શ્રોતાઓની સંખ્યા 100 કરોડ લોકો સુધી પહોંચી ગઇ છે, જેઓ આ કાર્યક્રમ વિશે જાણે છે અને ઓછામાં ઓછી એક વખત તેને સાંભળ્યો છે.
 
પ્રસારભારતી દ્વારા સંચાલિત અને ભારતીય પ્રબંધન સંસ્થા, રોહતક દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંપૂર્ણ અભ્યાસમાં આ આંકડા બહાર આવ્યા છે. અભ્યાસના તારણો પ્રસારભારતીના CEO શ્રી ગૌરવ દ્વિવેદી અને IIM રોહતકના નિદેશક શ્રી ધીરજ પી. શર્મા દ્વારા એક પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યા હતા.
 
શ્રી શર્માએ અભ્યાસના તારણો વિશે બોલતા વધુમાં જણાવ્યું હતું કે, 23 કરોડ લોકો નિયમિતપણે કાર્યક્રમમાં જોડાય છે જ્યારે અન્ય 41 કરોડ એવા શ્રોતાઓ છે જેઓ પ્રસંગોપાત જોડાય છે અને તેઓ નિયમિત શ્રોતાઓમાં રૂપાંતરિત થાય તેવી શક્યતાઓ ધરાવે છે.
 
60% લોકોએ રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવામાં રસ દાખવ્યો 
 
આ અભ્યાસમાં મન કી બાતના અત્યાર સુધીના 99 એપિસોડની લોકો પર શું અસર પડી છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેના અહેવાલમાં જણાવ્યું છે કે, મોટા ભાગના શ્રોતાઓ સરકારો જે કામ કરે છે તે વિશે જાણે છે અને 73% આશાવાદી છે અને એવું માને છે કે દેશ પ્રગતિ કરી રહ્યો છે. 58% શ્રોતાઓએ પ્રતિભાવ આપ્યો છે કે તેમના જીવનધોરણની સ્થિતિમાં સુધારો થયો છે એટલી જ સંખ્યામાં (59%) લોકોએ સરકારમાં વિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું છે. સર્વેક્ષણ મુજબ, સરકાર પ્રત્યેની સામાન્ય લાગણીનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 63% લોકોએ કહ્યું છે કે, સરકાર પ્રત્યેનો તેમનો અભિગમ સકારાત્મક બન્યો છે અને 60% લોકોએ રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવામાં રસ દાખવ્યો છે.
 
62% લોકોએ તેને ટીવી પર જોવાનું વધુ પસંદ હોવાનું સ્વીકાર્યું 
 
આ અભ્યાસમાં પ્રેક્ષકોને 3 પ્લેટફોર્મ પર વિતરિત કરવામાં આવ્યા જેમાં 44.7% લોકો ટીવી પર પ્રોગ્રામમાં ટ્યુનિંગ કરે છે જ્યારે 37.6% તેને મોબાઇલ ઉપકરણ પર ઍક્સેસ કરે છે. પ્રોગ્રામને સાંભળવા કરતાં તેને જોવાનું વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે 19 થી 34 વર્ષની વય વચ્ચેના 62% લોકોએ તેને ટીવી પર જોવાનું વધુ પસંદ હોવાનું સ્વીકાર્યું હતું.
 
હિન્દી ભાષામાં કાર્યક્રમને પસંદ કરતા શ્રોતાઓ 
 
મન કી બાતના શ્રોતાઓનો મોટો હિસ્સો હિન્દી ભાષામાં કાર્યક્રમને પસંદ કરતા શ્રોતાઓનો છે. 65% શ્રોતાઓ અન્ય કોઈપણ ભાષા કરતાં હિન્દી વધુ પસંદ કરે છે જ્યારે 18%ને અંગ્રેજી પસંદ હોવાથી આ ભાષા બીજા ક્રમે આવે છે.
 
આ રીતે થયો સર્વે... 
 
સર્વેમાં જવાબ આપનારાઓની રૂપરેખા વિશે બોલતા, નિદેશક શ્રી ધીરજ શર્માએ માહિતી આપી હતી કે, આ અભ્યાસ માટે કુલ 10003 નમૂના સંખ્યાનો મત મેળવવામં આવ્યો હતો, જેમાં 60% પુરુષો હતા જ્યારે 40% મહિલાઓ હતી. આ વસ્તી 68 વ્યવસાય ક્ષેત્રોમાં ફેલાયેલી હતી જેમાં 64% અનૌપચારિક અને સ્વ-રોજગાર ક્ષેત્રના હતા જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરનારા પ્રેક્ષકોની સંખ્યા 23% હતી.
 
29 બોલીઓ અને અંગ્રેજી સિવાયની 11 વિદેશી ભાષાઓમાં મન કી બાત 
 
AIR દ્વારા 22 ભારતીય ભાષાઓ, 29 બોલીઓ અને અંગ્રેજી સિવાયની 11 વિદેશી ભાષાઓમાં મન કી બાતનો અનુવાદ કરવામાં આવે છે. આમાં હિન્દી, સંસ્કૃત, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, મલયાલમ, ઓડિયા, કોંકણી, નેપાળી, કાશ્મીરી, ડોગરી, મણિપુરી, મૈથિલી, બંગાળી, આસામી, બોડો, સંથાલી, ઉર્દૂ, સિંધીનો સમાવેશ થાય છે. બોલીઓમાં છત્તીસગઢી, ગોંડી, હલબી, સરગુજિયા, પહારી, શીના, ગોજરી, બાલ્ટી, લદ્દાખી, કાર્બી, ખાસી, જૈનતિયા, ગારો, નાગામેસી, હમાર, પાઈટે, થડૌ, કબુઈ, માઓ, તંગખુલ, ન્યાશી, આદિ, મોનપા, આઓ, અંગામી, કોકબોરોક, મિઝો, લેપ્ચા, સિક્કિમીઝ (ભુટિયા)નો સમાવેશ થાય છે.
 
500થી વધુ પ્રસારણ કેન્દ્રો 
 
મન કી બાત કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત, અંગ્રેજી સિવાયની 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ વિદેશી ભાષાઓમાં ફ્રેન્ચ, ચાઇનીઝ, ઇન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલુચી, અરબી, પશ્તુ, ફારસી, દારી અને સ્વાહિલી છે. તેમણે જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા રેડિયોના 500થી વધુ પ્રસારણ કેન્દ્રો દ્વારા મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.