હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે અને બધા જ ભારતીય હિન્દુ છે, આ જ એક હકીકત છે. હિન્દુ બધા જ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ ન કરવો જોઇએ અને ભારત શબ્દનો જ ઉપયોગ કરવો જોઇએ. ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ અસમના ગુવાહાટીમાં ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન જૈન સમાજના એક સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવતે આ વાત જણાવી હતી.
ઇન્ડિયા નહી ભારત બોલો...
તેમણે જણાવ્યું કે આપણે બધા ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરવાનું છોડી દઈએ અને ભારત શબ્દનો ઉપયોગ કરવાની શરૂઆત કરીએ. અંગ્રેજી જાણનાર લોકોને સમજમાં આવે એટલે આપણે ભાષાના પ્રવાહમાં ઇન્ડિયા બોલીએ છીએ, જેની જરૂર નથી. જે વિશેષ નામ હોય છે તેમનું ભાષાંતર કરવામાં આવતું નથી. દુનિયામાં ક્યાંય આવું થતું નથી. એવો જ આપણો ભારત દેશ છે, સદીઓથી એનું નામ છે. દુનિયામાં ક્યાંય પણ જાવ નામ ભારત જ રહેવું જોઇએ. તો આપણે બોલવામાં, લખવામાં "ભારત" જ કહીએ.. કોઇને ન સમજાયું તો તે તેની ચિંતા ન કરો. જેને જરૂર છે એ સમજી લેશે. બધાને સમજાવવાની આપણને જરૂરિયાત નથી. આપણે સ્વયંમાં સમર્થ છીએ, સ્વતંત્ર્ય છીએ. આજે દુનિયાને આપણી જરૂર છે. યોગના માધ્યમથી આપણે દુનિયાને જોડી છે
હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે...
મોહનજીએ જણાવ્યું કે આપણી વિચારધારાની દુનિયાભરમાં માંગ છે. વાસ્તવમાં આ વિચારધારાનો કોઇ વિકલ્પ નથી. દરેક લોકો આને સમજે છે પણ કેટલાંક લોકો તેનો સ્વીકાર કરે છે અને કેટલાંક નહી. હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે અને બધા જ ભારતીય હિન્દુ છે અને આ જ એક હકીકત છે. હિન્દુ બધા જ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈચારિક રીતે બધા જ ભારતીય હિન્દુ છે અને હિન્દુનો અર્થ બધા જ ભારતીય થાય છે.