પર્વાધિરાજ પર્યૂષણા પર્વે વિશેષ
તેનું નામ સર વોલ્ટર રેલે હતું. તે બ્રિટનનો અજોડ તલવારબાજ હતો. આ રેલેનો પ્રતિસ્પર્ધી પણ એક તલવારબાજ હતો. પ્રતિસ્પર્ધીને સર વોલ્ટર માટે તીવ્ર ઇર્ષ્યા તિરસ્કાર. વોલ્ટરને હરાવવા ઘણા પ્રયત્નો ઘણીવાર કર્યા, પણ સફળતા ન મળી.
જીત માટે ભુરાયો થયેલો તે પ્રતિસ્પર્ધી એક દિવસ ગુસ્સામાંને ગુસ્સામાં વોલ્ટર સામે તલવાર ઉગામે છે. વોલ્ટરે તો સેકન્ડોમાં તેને મ્હાત કર્યો. આ જ કારણથી ભયાનક ગુસ્સામાં તે પ્રતિસ્પર્ધી વોલ્ટર ઉપર થૂંક્યો. વોલ્ટરે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને તેના થૂંકને સાફ કર્યું અને સહજતાથી પોતાના કામમાં પરોવાઈ ગયો.
જોનારાએ વોલ્ટરને પૂછ્યું, આપે આવા દુર્વ્યવહારનો જવાબ કેમ ન આપ્યો? વોલ્ટરનો જવાબ બહુ માર્મિક હતો. તેણે કહ્યું, દોસ્ત ! જો હું તેના થૂંક સામે તલવાર ચલાવત તો તે બિચારો જીવવા ન પામત. કો'કને મારવાની જવાબી કાર્યવાહી કરવા કરતાં રૂમાલથી થૂંક સાફ કરવું શું ખોટું?
આ હતી સાત્ત્વિક્તા.
જૈનોનું પર્યુષણા પર્વ આ જ હાર્દને ઉજાગર કરનાર છે. દેખો બીજાના અપરાધો, ભૂલોની નોંધ લેવી તે દુશ્મની છે. વોલ્ટર ભલે અંગ્રેજ છે પણ તેનું દિલ જૈનનું હોય તેવું લાગે છે. સામેની વ્યક્તિને નાદાન સમજીને માફ કરવી આ જ તો કલા છે.
તમને જાણીને આશ્ચર્ય થશે, જૈન ધર્મ એ પર્યુષણાને પર્વાધિરાજનું બિરૂદ આપ્યું છે. વર્ષ દરમિયાન જૈન ધર્મમાં સૌથી અધિક પર્વો આવે છે. પણ તે બધા પર્વો પ્રજા જેવા છે. જ્યારે પર્યુષણા પર્વાધિરાજ છે. પર્યુષણા ક્ષમાની ઉપાસનાનું પર્વ છે. જો એટમ બોમ્બનું સામર્થ્ય સંહારનું છે તો ક્ષમા નામના ભાવનું સામર્થ્ય એટમ બોમ્બને નિરર્થક સાબિત કરવાનું છે.
એવો પ્રસિદ્ધ ન્યાય છે કે, `Crime and Punish' અપરાધની સજા જ હોય. અને આ ન્યાય ઉપર જ સંસાર ધમધમે છે. ગુન્હાની સજા સમાજ કરશે, સરકાર કરશે અને છેલ્લે કર્મ તો કરશે જ. આ વિષમ ચકરાવમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બને છે.
અપરાધીને સજા થાય ત્યારે અપરાધી સજ્જન હોય, સંત હોય, ધનવાન હોય, રાજા-મહારાજા હોય તેવું ય સંભવિત છે. સજ્જન કે રાજા વગેરેના રોલમાં રહેલ વ્યક્તિને સજા રૂપે રોગ, અપયશ કે ગુલામી આપે ત્યારે સંસારના બુદ્ધિમાન લોકો એવો ભ્રમ ઊભો કરે કે, આ તો ભગવાનનો અન્યાય છે. આવું થોડું કરાય? ઊભા રહો. મારી એક વાત સાંભળી લો. આ બધા ખેલમાં ભગવાન કે ધર્મ વચ્ચે છે જ ક્યાં? તે વાતે ય સમજી લો. આજનો સજ્જન કે સંત ગત જન્મમાં અપરાધી તરીકેનું જીવન પસાર કરીને આવ્યો છે. તે વાત ન ભૂલશો. કેવળ જીવન બદલાયું છે. આત્મા તો તે જ અપરાધીનો છે. હવે સંસારનો તો ન્યાય જ છે કે, `અપરાધની સજા મળશે જ.' મોટાભાગે આ સજા કર્મ જ કરે છે.
આ છે અપરાધ અને સજાની સ્ટ્રેટેજી.. જો તમે તમારા આત્મામાં અપરાધ Deposit કર્યો છે તો સજા તમને વ્યાજરૂપે મળશે જ. હવે આ અપરાધ અને સજાના ચકરાવામાંથી જો બહાર આવવું હોય તો પરમાત્મા મહાવીર દેવ પર્વાધિરાજ પર્યુષણા ક્ષમાપનાની ઉપાસનાની ભલામણ કરે છે.
પ્રભુ કહે છે, હું તે જાણવા નથી માંગતો કે તે અપરાધ જાણતા કે અજાણતા કર્યો છે. હું તો તને એટલી જ સલાહ આપું છું કે જો સજાથી તારે બચવું હોય તો અપરાધની ક્ષમા માંગી લે. કરી લે, આપી દે.
યાદ રાખજો, ભૂલ કે અપરાધથી કોઈ બચી શકતું નથી. મોટા મોટા ધર્માત્માઓ પણ અપરાધની દુનિયામાં પગ મૂકી દે છે. માટે જૈન ધર્મ કહે છે, સંસારનું વાતાવરણ જ અપરાધોના વાયરસથી ઉભરાયેલું છે. કેમ બચાય?
અપરાધોથી કે ભૂલોથી બચનાર શુકદેવ જેવા સંતો તો સાક્ષાત્ ધરતી ઉપરના ભગવાન છે. બાકી ભૂલો/અપરાધો તો આપણી ઓળખ છે. આ ઓળખ ભૂંસવા માટે તો જૈન ધર્મનો ભગીરથ પ્રયાસ કરે છે. માટે જ પ્રભુ ક્ષમાના ભાવને પ્રગટ કરવાનું આહ્વાન કરે છે. મહાવીર દેવ એવા પ્રભુ છે કે `જેના દિલમાં વિશ્વના તમામ જીવો માટે સમાન કરૂણા છે.' માટે જ પ્રભુ સહુને આ જ વાત કરે છે. મહાવીર દેવ માટે તો તેમને દુઃખી કરનાર કે તેમને પૂજનાર બે ય સમાન છે. માટે તો જૈન ધર્મ વિશ્વધર્મ છે.'
જૈન ધર્મની આ જ કમાલ છે. તેની નજર જીવમાત્રના સમાન સુખ તરફ છે. તેથી પ્રભુ તમામ જીવોને સુખનો રસ્તો બતાવે છે. વળી દુઃખ લાવનારને હિંસા-જૂઠ-ચોરી-બળાત્કાર આદિ અપરાધોના ખાડાઓથી સાવધાન પણ કરે છે.
પ્રભુની ઓર વિશેષ કરૂણા હવે હું તમને જણાવું.
પ્રભુ જીવમાત્રને કહે છે. દોસ્ત ! મારી `ના' છતાં તે અપરાધ કર્યા છે. ભલે તું મારું ન માને તોય મારી તો તારા માટે માત્ર કરૂણા છે. તેથી હવે દોસ્ત ! સાંભળ, જો આ અપરાધોની સજા કર્મ તરફથી તારે ન જોઈતી હોય તો તે કરેલા અપરાધોની ક્ષમા માંગી લે. તું પોતે જ તારી જાતના અપરાધોને ક્ષમા કર. સદ્ગુરૂ પાસે સાચા દિલથી કબૂલ કર.
આવું કરનારને પ્રભુ વચન આપે છે કે, હવે કર્મ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે.
જૈનશાસ્ત્રોમાં બ્રહ્મહત્યા, ગૌહત્યા, બાળહત્યા અને સ્ત્રીહત્યા કરનાર મહાપાપી દુર્ધર નામના માણસની વાત આવે છે. આવો પાપી દુર્ધર કો'ક ગુરુના સમાગમમાં આવે છે અને તેણે કરેલા અપરાધોની ભયાનકતાથી તે પોતે ધ્રુજી ઊઠે છે. ઘોર પશ્ચાતાપ કરે છે. ક્ષમા માંગે છે. તેના પરિણામરૂપે તે ડાકુ દુર્ઘર મહાત્મા-પરમાત્મા દુર્ઘર બની જાય છે.
યાદ રાખજો, લાંબી સજા બાદ જ અપરાધોથી મુક્તિ મળી શકે છે. જ્યારે અપરાધોથી માફી તો માત્ર સાચી ક્ષમાથી જ મળી રહે છે.
ક્ષમાપના તેની માંગવાની છે જેની સાથે તમે દુર્વ્યવહાર કર્યો છે. યાદ રાખજો ક્ષમાપના એ ટી.વી. સીરીયલનો રોલ નથી કે માત્ર આપણે ક્ષમાની action કરી લીધી!! ના આ તો Real ક્ષમાપના છે. સમગ્ર સંવેદના તે વ્યક્તિની ક્ષમા માંગે છે. તે જ ક્ષમા સાચી છે.
બીજા નંબરની ક્ષમા એ છે કે, કોક વ્યક્તિ તમારી ગુન્હેગાર છે, તે સંપૂર્ણ સરળતા સાથે માફી માંગવા આવી છે. તો તમે તે વ્યક્તિને પૂર્ણ ઉદારતા સાથે ક્ષમા આપી દો. માફી માંગવી એ સજ્જનતા છે. તો માફી આપવી એ તો તમારો એક સમ્રાટને શોભતો વૈભવ છે.
ત્રીજા નંબરની ક્ષમા આપણે આપણી જાત સાથે કરવાની છે. દોષોના આચરણ કે સ્મરણ દ્વારા આપણે આપણા આત્માને પાપી-પાપી બનાવી દીધો છે. કેવી વિષમતા છે કે, આપણી ઇચ્છા-વાસના-લાલસાના જોરે આપણે આપણા આત્માને વજનદાર પાપી બનાવી દીધો છો અને તેને આ સંસારમાં ભટકતો કર્યો છે.
હવે પ્રભુ પર્યુષણા દ્વારા આત્મક્ષમાપનાનું અમુક ક્ષિતિજ ખોલીને કમાલ કરે છે. ક્ષમા આપીને બીજાને બચાવી લો. ક્ષમા કરીને જાતે બચી જાવ.
ક્ષમાપના યાની `હું માફી માગું છું' આ ભાવ જ ભગવાન છે યાદ રાખજો! ભલે, તમારી ભૂલ ન હોય તો ય જો બીજાને તમારી ક્ષમાપનાથી શાંતિ મળતી હોય તો માફી માંગી લો, તે જ આપણી વ્યવહારુતા છે. સાચો અપરાધ ખોટો છે પણ ખોટી માફી પણ સાચી જ છે. આ પ્રભુની મહાન વૈજ્ઞાનિકતા છે. એટલે એ સમજી લો કે, સાચા દિલથી ખોટી પણ માફી માંગશો તો તમે સામેની વ્યક્તિને કષાયોથી બચાવવામાં નિમિત્ત બનશો.
વિશ્વના સાત અબજ માનવો જો મહાવીરદેવની ક્ષમાને સમજી લે તો આ વિશ્વ જ સ્વર્ગ બની જાય.
ધારો કે વિશ્વના તમામ માનવો પ્રભુના ક્ષમાઅમૃતના ભાગી ન બની શકે તો વિશ્વના નેતા બનેલા જે હજારો માનવો છે તેઓ પ્રભુની ક્ષમાપનાને હૃદયથી સમજી લે. આવું થાય તો ચાલતાં યુદ્ધો અટકી જાય છે.
યુદ્ધ કેવી વિષમતા છે તે જાણી લો.
થોડાક અપરાધીઓની સજાનો ભોગ બાળકો - સ્ત્રીઓ સહિતનાં નિર્દોષ માનવો બને છે !!
ઓ નેતાઓ ! આપ અપરાધીઓને તબાહ કરવાનાં ઝનૂનમાં નાનકડા ભૂલકાંની તબાહ થતી જિંદગીઓની નોંધ ક્યારે લેશો?
અશાંત વિશ્વને શાંતિના માર્ગે પ્રભુ મહાવીર દેવના ઉપદેશો જ લાવી શકશે.
પર્વાધિરાજ પર્યુષણાના મંગલ અવસરે તમામ જૈનો-સજ્જનો ક્ષમાપનાની એવી ઉપાસના કરે કે, શુભભાવોના આંદોલનોથી આખું માનવવિશ્વ મુક્ત થાય.
ક્ષમાપના જ આપણી જગદંબા છે. ક્ષમાપના ભલે જૈનધર્મની પ્રોડક્ટ હોય પણ આ પ્રોડક્ટ વિશ્વઉદ્ધારક છે.
છેલ્લે એક વાત લખી દઉં. શક્તિ હોવા છતાં માફી આપી દેવી, એ તો મોટું પરાક્રમ છે.
***
(લેખક શ્રી જૈનાચાર્ય ચંદ્રજિત સૂરીશ્વરજી મહારાજ સાહેબ
રાષ્ટહિત ચિંતક યુગપ્રધાન આચાર્ય સમ ગુરૂદેવ પંન્યાસ ચંદ્રશેખર વિજયજી મ.સા.ના પ્રથમ શિષ્ય છે)