નવું કેલેન્ડર ભલે આવ્યું, પણ આપણું પંચાંગ એનું એ જ છે. અમાવાસ્યાથી સંપૂર્ણ ખાલીખમ થઈને ધીરે ધીરે પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રની સાથે સોળે કળાએ ખીલવું અને સાથે સાથે સૂર્યની તમામ સંક્રાંતિના સાક્ષી બનવું, આ માત્ર હિન્દુ પંચાંગના સદ્ભાગ્યમાં જ છે.
આવી ખગોળદૃષ્ટિ આપણી સનાતન-પરંપરા, હિંદુ-પરંપરામાં વિકસી, કારણ કે હિન્દુ-પરંપરા સ્વભાવથી જ સદાય મુક્તિકેન્દ્રિત રહેલી છે. તે બંધનોથી બંધાતી નથી. વાસ્તવમાં સતત નવું નવું જ્ઞાન પામવાની જિજ્ઞાસા જ તેની મુક્તિનું કારણ છે. બંધ (Dam)ના બંધનથી સંગ્રહાયેલું પાણી ભલેને તે પવિત્રતમ નદીનું કેમ ન હોય, પ્રદુષિત બની જાય છે. બંધનગ્રસ્ત સમાજ સડવા લાગે છે. માન્યતાઓનું બંધન સૌથી ઘાતક છે, કારણ કે તે વિજ્ઞાનને ને વિકાસને, આ બંનેને અવરોધે છે. મુક્ત વિચારો જ વ્યાપકતાને પોષી શકે! વિરાટને કલ્પી શકે! વિજ્ઞાનને વિકસાવી શકે!
૪ જુલાઈ, ૨૦૧૨ના રોજ વૈજ્ઞાનિકોએ આ શતકનો એક સૌથી મોટો અને મહત્વાકાંક્ષી પ્રયોગ પીટર હીગ્સે સ્વીટ્ઝરલેન્ડની CERN લેબોરેટરીમાં પાર પાડ્યો, એ પ્રયોગ હતો `ગોડ પાર્ટીકલ'ની શોધનો. ૧ જાન્યુ., ૧૮૯૪ના રોજ જન્મેલા ભારતીય મનિષી સત્યેન્દ્રનાથ બોઝ; આ પ્રયોગ થયો તેનાં ૩૮ વર્ષો પહેલાં મૃત્યુ પામેલા, છતાં તેઓનું નામ આ `ગોડ પાર્ટીકલ'ના ટેકનિકલ નામ સાથે કંઈ એમ ને એમ નથી જોડવામાં આવેલું. એનું ટેકનિકલ નામ છે- હિગ્સબોઝોન. બોઝ પરથી બોઝોન. `ગોડ પાર્ટીકલ' તો લાડકું નામ છે. આ પ્રયોગવાળા પાર્ટિકલને `ગોડ' માનીને બાઇબલ કે ચર્ચ આવકારીને અનુમોદન આપી શકે?
ઈશ્વરની માળા કરવાવાળા કરતાં ઈશ્વરની શોધ કરવાવાળાને આ સમાજે સદા બિરદાવ્યો છે, છતાં એ પણ સત્ય છે કે, ઈશ્વરને નકારી દેનારને હિન્દુ સમાજે ક્યારેય નકાર્યો નથી. પોતાની વૈજ્ઞાનિક પ્રજ્ઞાથી ઋષિ કણાદને જ્યારે કણ-કણમાં ચૈતન્યનો સાક્ષાત્કાર થાય છે ત્યારે ઋષિ કણાદ માટે તે કણ-કણ જ ઈશ્વર છે. ઈસ્લામ કે ઈસાઈયતમાં `અલ્લાહ' કે `ગોડ'ને ન માનનારનું મુસ્લિમ કે ખ્રિસ્તી તરીકેનું અસ્તિત્વ ટકી શકે ખરું?
૧૦ એપ્રિલ, ૧૯૨૪ના `યંગ ઇન્ડિયા'માં મ. ગાંધીજીએ હિંદુ ધર્મ વિશેના પોતાના વિચારો સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, `અગર કોઈ મને હિન્દુ ધર્મને પરિભાષિત કરવા માટે કહે તો હું કહીશ કે, હિન્દુ ધર્મ અહિંસાના માધ્યમથી સત્યની ખોજ છે. ઈશ્વરને ન માનવાવાળો પણ સ્વયંને હિન્દુ કહી શકે છે.'
ઈશ્વરમાં નહીં માનનાર હિન્દુ પૂરા માન-સમ્માન સાથે પોતાને હિન્દુ ઓળખાવી શકે છે, અને સમાજને પણ તેમાં કોઈ જ વાંધો હોતો નથી. આ જ સૂચવે છે કે, હિન્દુત્વ પંથ-મજહબ-રીલીજીયન-સંપ્રદાય વિના પણ અસ્તિત્વ ધરાવી શકે છે. તે સંકુચિત નથી વ્યાપક છે. હિન્દુત્વ પંથ-મજહબ-રીલીજીયન-સંપ્રદાયની કટ્ટરતાથી પર છે. તે એક આદર્શ જીવનપદ્ધતિ છે.
મૂળ વાત પર આવીએ. વાતની શરૂઆત નવા કેલેન્ડરથી કરેલી. યંત્રવત્ સરકતા પશ્ચિમી કેલેન્ડર મુજબ પ્રારંભાયેલા આ વર્ષમાં વિશ્વ; પશ્ચિમના રવાડે અનેક વિપદાઓથી ઘેરાયેલું નજર આવી રહ્યું છે.
૧, UN ગ્લેશિયર સંરક્ષણ અર્થે ૨૧ માર્ચે વિશ્વ ગ્લેશિયર દિવસ ઉજવવાનું છે. UNની જળવાયુ અંગેની પેરિસ-સમજૂતીને આ વર્ષે પાંચ વર્ષ પૂરાં થશે, પણ હજુ સુધી કશું જ નક્કર પરિણામ મળ્યું નથી.
૨, UN આ વર્ષને આંતરરાષ્ટીય શાંતિને વિશ્વાસ વર્ષ તરીકે ઉજવવાનું છે, પરંતુ ચાલુ રહેલાં યુદ્ધો, ઈસ્લામિક કટ્ટરવાદ અને ચીનના નવા વાયરસચાળા સામે UN અસહાય છે. સ્થિતિ પૂર્ણતઃ કાબૂ બહાર છે.
૩, UN આંતરરાષ્ટીય સહકારિતા વર્ષ ઉજવવાનું છે. વર્ષ તો ઉજવાઈ જશે પણ સ્વાર્થ અને અહંકારના અંધકારમાં સહકારને શોધવો ક્યાં? સહકારની પૂર્વશરત છે- પરસ્પરની શ્રદ્ધા!
વિશ્વએ ૧) ગ્લોબલ વોર્મિંગ, ૨) ગ્લોબલ ટેરરિઝમ-કોરોના અને ૩) ગ્લોબલ રિસેશન, એવાં ભયાનક Globalizationથી થાકીને वसुधैव कुटुंबकम् પર.. `વિશ્વ બજાર'માંથી `વિશ્વ-પરિવાર' પર.. આવવું પડશે. હિન્દુત્વનું દાયિત્વ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે.