`અમે ભારતવાસીઓ...' અનુશાસનની ઓળખ..!

We, the People એમ કહીએ છીએ, ત્યારે આપણે આપણી દશ હજાર વર્ષ જૂની સંસ્કૃતિનો ઉદઘોષ કરીએ છીએ. ઓળખના આ કોલાહલમાં દરેક વ્યક્તિ પોતાના સંકલ્પનો એક એવો દીપ પ્રજ્વલિત કરે તો ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્વની એક મહાસત્તા હશે, વિશ્વગુરુ હશે, એમાં કોઈ શંકા નથી. जयतु भारतम् । राष्ट्राय स्वाहा, इदम् न मम ।।

    ૨૯-જાન્યુઆરી-૨૦૨૫   
કુલ દૃશ્યો |

vishvaguru bharat anushasan in gujarati
 
 
અમે ભારતવાસીઓ, We, the people of Bharat, એવું કહીએ છીએ ત્યારે માત્ર કોઈ ભૌગોલિક પ્રદેશમાં રહેતા લોકોની જ વાત કરતા નથી. પણ હજારો વર્ષોથી પોતાની એક અનુશાસિત જીવનશૈલીથી મનુષ્યજીવનનો અર્થ પામીને જીવતી એક મહાજાતિની વાત કરતા હોઇએ એવો ગૌરવભાવ થાય છે. સનાતન હિંદુ ધર્મ દ્વારા પ્રબોધિત વ્યક્તિગત અને સામૂહિક જીવનની જે વિશેષતાઓ છે, જે સૌંદર્યસ્થાનો છે, એનો બોધ થાય છે, અને આ સંક્રાંતિકાળમાં જીવતી મનુષ્યતા માટે આશા પણ બંધાય છે.
 
ભારતીય સંસ્કૃતિએ એક બહુ મૂલ્યવાન શબ્દ મનુષ્યજાતિને આપ્યો છે, आत्मविनिग्रह પોતાના આત્માના દર્શન કરવા માટે મન, બુદ્ધિ અને શરીર દ્વારા ઊભા કરવામાં આવતા જગતને એક વિશિષ્ટ્ર પ્રકારના અનુશાસનથી સંભાળવું. આધ્યાત્મિક રીતે સમજાવવામાં આવે છે તેમ, જેમ જેમ મન માયામાં લપેટાતું જાય તેમ તેમ એની શિસ્તની ભાવના, આત્મ- સાક્ષાત્કાર અંગેની જાગૃતિ અને ભક્તિમય મનથી પામવાની નમ્રતા ભુલાતી જાય છે. આ સ્મૃતિને જગાવવાનું કામ જ જાણે કે ભગવદ્ગીતા કરે છે. नष्टो मोह: स्मृति लब्धा આ સ્મૃતિ એટલે શું? આ સ્મૃતિ એટલે હું જગદાધાર ભગવાનનો પ્રતિનિધિ છું. આવું મંત્રરટણ મનુષ્યને સ્વઅનુશાસન તરફ દોરી જાય છે. આ જ આપણી પરીક્ષા છે.
 
આજની વિષમ પરિસ્થિતિના કારણમાં છે- મનુષ્યને ભ્રમમાં નાખી દે એવા અભિપ્રાયો, તણાવમાં રાખે એવી આશા-અપેક્ષાઓની જાળ અને સહેલાઈથી સરી પડાય એવી અનુશાસનહીનતા. એટલા માટે આપણે સંગચ્છધ્વમ્નો મંત્ર બોલ્યા. સમૂહજીવન એ એક પ્રકારની માનસિક જરૂરિયાત છે, કારણ કે આપણે જે કરીએ છીએ એ બધા કરે છે એવું વેલીડેશન જો મળે તો આપણી માન્યતા દૃઢ થાય છે. આ દૃષ્ટિકોણથી We, the Peopleની ભાવનાને તપાસવી જોઈએ. આપણે ખૂબ વહેંચાયેલા હોઈએ એવું લાગે છે. We કહીએ છીએ, પણ મારી સાથે મારી જ્ઞાતિના કે મારી પૂજારીતિના લોકો જ છે એવું માનવાને કારણે આખો હિન્દુ સમાજ એક છે, કે બધા ભારતીયો એક છે, બધા ભારતીયો મારા પરિવારજનો છે, એવો ભાવ જન્માવી શકતા નથી. સંયુક્ત કુટુંબના તૂટવા પછી ઊભી થયેલી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો ઉકેલ સામૂહિકતા અને સામૂહિકતામાં પણ સ્વેચ્છાએ સ્વીકારેલી અનુશાસનપ્રિયતા, એ જ ઉપાય છે.
 
એક દલીલ બહુ કરવામાં આવે છે કે, ભારતમાં એટલી બધી વિવિધતા છે, એટલા બધા સંપ્રદાયો છે, એટલી બધી જ્ઞાતિઓ છે જેના લીધે અનુશાસન અને એક ઓળખ ઊભી થઈ શકતી નથી. પણ આ દલીલ એટલા માટે ટકી શકે એવી નથી કે, ભારતની ઓળખ એની સંસ્કૃતિમાં છે. બધા ધર્મ મૂળ ચાર પ્રમુખ ઉદઘોષણાઓમાંથી ઉદ્ભવ થયા છે, अहं ब्रह्मास्मि । तत्त्वमसि । अयमात्मा ब्रह्म । प्रज्ञानं ब्रह्मं ।। ભારતીય તરીકે ઓળખાતો દરેક વ્યક્તિ કણકણમાં ઈશ્વરને જોવા માટેની માનસિકતા ઊંડે ઊંડે સાચવીને બેઠો છે. બહારથી પૂજાપદ્ધતિ કે પ્રાર્થના અલગ હોઈ શકે, પ્રાર્થનાની ભાષા પણ અલગ હોઈ શકે. પણ મૂળ વિચારથી સિંચાયેલી ઓળખ એ એના અંતઃકરણને પરિપુષ્ટ કરે છે અને આ જ અનુશાસન છે.
 
બીજી એક દલીલ એટલા માટે થઈ રહી છે કે વિરોધાભાસો ઊભા કરવામાં આવી રહ્યા છે. કોઈ મૂર્તિપૂજામાં માને છે કોઈ મૂર્તિપૂજામાં નથી માનતું, સ્પર્ધાત્મક યુગની આડઅસરોને કારણે બહુ વિચારશીલ ન હોય એવા સામાન્ય લોકોમાં અમારી શ્રદ્ધા જ સાચી કે શ્રેષ્ઠ છે, એવી માનસિકતાના કારણે બુદ્ધિભેદ ઊભો થાય છે. આ ભયને વિચારીને જ ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં કહ્યું છે કે, बुद्धिभेदं न जनयेत् - આનો સરસ ઉપાય એ છે કે ભારતમાં જન્મેલા તમામ નાગરિકોએ ભારતમાતાને સર્વોપરી માનવી જોઈએ. રાષ્ટ્ર સર્વોપરી, `Nation First'વાળો દઢ સંકલ્પ જો સ્થિર કરવામાં આવે તો તો દરેક નાગરિકના મનમાં મારી ઓળખ ભારતીયની છે, મારા સંસ્કાર સનાતન છે, મારી શ્રદ્ધા શાશ્વતમાં છે, મારી શ્રદ્ધામાં ભક્તિભાવ થકી અમે આ બ્રહ્માંડના કારણરૂપ એવા પરબ્રહ્મને જુદાં જુદાં નામોથી અને પદ્ધતિથી ભજીએ છીએ. આ આધ્યાત્મિક અનુશાસન પ્રકાશિત થતાં અંધકારથી મુક્ત થઈ શકીએ. વેદ વાક્ય, एकं सद् विप्रा: बहुधा वदन्ति। કેવું અદ્ભુત સત્ય આપણને શીખવવામાં આવ્યું છે. આ એક જ વાક્ય જો આપણા સંકલ્પનો મૂલાધાર બને તો પ્રજા તરીકે આપણે અદ્ભુત પરિણામો આપી શકીએ એમ છીએ.
 
આ બધું અશક્ય છે એવું નથી. વૈશાલીના ગણરાજ્યો, કે પ્રાચીન ભારતનાં જનપદોમાં આ પ્રકારની વિવિધતામાં એકતા જીવનને રસમય બનાવતી હતી. આપણી કલાઓ અને સાહિત્ય મનુષ્યને જીવનમાં સદવૃત્તિથી વિકસવા માટે પ્રેરણા આપવાનું મોટું સામાજિક દાયિત્વ નિભાવતાં હતાં.
 
હવે સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતા કે મર્યાદા વિનાની સ્વતંત્રતા એ ભારતની ઓળખ નથી. ઓળખ-કટોકટીના આ સમયમાં આપણે આપણી ભારતીયતા વિશે ખૂબ સ્પષ્ટ્ર થવું જોઈએ. નહીં તો માત્ર તર્ક અથવા બુદ્ધિથી જગતને અને મનુષ્યતાને વિભાજિત કરવા માટે અનેક પરિબળો કામે લાગેલાં છે.
 
જેને અંગ્રેજીમાં National Narrative કહે છે, નેરેટિવ દ્વારા ચોક્કસ પ્રકારના બિનભારતીય અથવા આપણી ઓળખને ખલેલ પહોંચાડે એવા વિચારો વહેતા કરવામાં આવી રહ્યા છે. આવા સમયમાં અનુશાસનપૂર્વક એટલે કે પૂરી સમજ સાથે રાષ્ટ્ર સર્વોપરી એ મંત્ર સમૂહજીવનનો મંત્ર થવો જોઈએ. અને આ કેળવવા માટે એક સમરસ સંગઠન જે માત્ર ભારતની જ વાત કરે, જે માત્ર ભારતીય સમાજની વાત કરે, જે ભારતીય સમાજની એકતા માટે વાત કરે, એવા નેરેટીવનું સમર્થન કરવું એ યુગધર્મ છે. We, the People એમ કહીએ છીએ, ત્યારે આપણે આપણી દશ હજાર વર્ષ જૂની સંસ્કૃતિનો ઉદઘોષ કરીએ છીએ. ઓળખના આ કોલાહલમાં દરેક વ્યક્તિ પોતાના સંકલ્પનો એક એવો દીપ પ્રજ્વલિત કરે તો ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્વની એક મહાસત્તા હશે, વિશ્વગુરુ હશે, એમાં કોઈ શંકા નથી. जयतु भारतम् । राष्ट्राय स्वाहा, इदम् न मम ।।
 

ભાગ્યેશ જહા

ગુજરાતી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગ્યેશ જહા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.તે એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.