રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમીના શુભદિનથી તેના શતાબ્દી વર્ષની ઉજવણી માટે સંકલ્પબદ્ધ છે. આ ઉજવણી સમાજલક્ષી કાર્યો સાથે ઉજવાવાની છે. રાષ્ટ્રીયતાને વરેલો સંઘ વિશ્વનું અનોખું સંગઠન છે. સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન થઈ તેને પગલે સંકલ્પ અને આહ્વાન સ્પષ્ટ્ર થયેલ છે. આ તબક્કે સંઘની યાત્રાનું મૂલ્યાંકન, સંઘની કાર્યપ્રણાલી, સંઘના પડાવો, સંઘ દ્વારા ચિંતવેલાં પંચ-પરિવર્તનો, સંઘનો સંદેશ અને સંઘના સંકલ્પ વિશે જાણવું રસપ્રદ થઈ પડશે. પાંચજન્યના સંપાદક હિતેશ શંકર, ઓર્ગેનાઇઝરના સંપાદક પ્રફુલ્લ કેતકર, મરાઠી સાપ્તાહિક વિવેકના સંપાદક અશ્વિની મયેકર અને મલયાલમ દૈનિક જન્મભૂમિના સહસંપાદક એમ. બાલાકૃષ્ણને મળીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત સાથે વિસ્તૃત વાતચીત કરી છે. આ વાતચીત ૨૧ માર્ચ, ૨૦૨૫ની સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની પૃષ્ઠભૂમિમાં અને ઑપરેશન સિંદૂર પહેલાં થઈ છે. અહીં તે વાતચીત શબ્દશઃ પ્રસ્તુત છે..
સંઘશતાબ્દીથી સ્વાતંત્ર્યશતાબ્દીની યાત્રા
રાષ્ટ્રનિર્માણથી વિશ્વકલ્યાણની દિશામાં..
આપ સંઘના એક સ્વયંસેવક અને સરસંઘચાલકજી હોવાના નાતે સંઘની ૧૦૦ વર્ષોની યાત્રાને કેવી રીતે જુઓ છો?
ડૉ. હેડગેવારજીએ સંઘનું કાર્ય બહુ સમજી - વિચારીને શરૂ કર્યું હતું. દેશ સામે જે મુશ્કેલીઓ જોવા મળી રહી છે, તે માટે કયા ઉપાયો અજમાવવા જોઇએ તે પ્રયોગોના આધારે નિશ્ચિત કરવામાં આવ્યું અને તે ઉપાય કારગર નિવડ્યા. સંઘની કાર્યપદ્ધતિથી કામ થઇ શકે છે અને માર્ગમાં આવનારી બધી બાધાઓને પાર કરીને સંઘ આગળ વધી શકે છે, તે અનુભવથી સિદ્ધ થવાને ૧૯૫૦ સુધીનો સમય લાગી ગયો. તે પછી સંઘનો દેશવ્યાપી વિસ્તાર અને તેના સ્વયંસેવકોનું સમાજમાં અભિસરણ (રૂધિરાભિસરણ એટલે હૃદય દ્વારા શરીરમાં રૂધિર (રક્ત)નું અભિસરણ, આ અર્થમાં અભિસરણ શબ્દ પ્રયોજાયેલો છે.) શરૂ થયું. પછીના ચાર દાયકાઓ સુધી સંઘના સ્વયંસેવકોએ સમાજજીવનના અન્યાન્ય ક્ષેત્રોમાં ઉત્તમ રીતે કાર્ય કરતાં, પોતાના કર્તૃત્વ, અપનત્વ અને ચારિત્ર્યના આધારે સમાજનો વિશ્વાસ સંપાદિત કર્યો. ૧૯૯૦ પછી આ વિચાર તેમજ ગુણસંપદાના આધારે દેશ ચલાવી શકાય છે, તે સિદ્ધ કરી બતાવ્યું. હવે આની આગળ અમારા માટે કરણીય કાર્ય એ છે કે, આ જ ગુણવત્તા તથા વિચારો પર અવલંબન રાખીને સમગ્ર સમાજ તમામ ભેદભાવો ભૂલીને પ્રામાણિકતા તથા નિસ્વાર્થ બુદ્ધિથી દેશ માટે સ્વયં કાર્ય કરે અને દેશને મહાન બનાવે.
૧૦૦ વર્ષની આ યાત્રાના મહત્ત્વપૂર્ણ પડાવ કયા હતા?
સંઘ પાસે કશું જ નહોતું! વિચારની માન્યતા નહોતી, પ્રચારનું સાધન નહોતું. સમાજમાં ઉપેક્ષા અને વિરોધ માત્ર હતો. કાર્યકર્તા પણ નહોતા. સંગણક (કોમ્પ્યુટર)માં આ માહિતી નાંખી (Feed કરી) હોત તો તેણે આ જાણકારી આપતાં ત્યારે તે ભવિષ્યવાણી કરી હોત કે, આનું જન્મતાંવેંત મૃત્યુ થશે, પરંતુ દેશ વિભાજન વખતે હિંદુઓના રક્ષણની કસોટીમાંથી અને સંઘ પર પ્રતિબંધ જેવી કઠિન વિપત્તિઓમાંથી સંઘ સફળ થઇ બહાર નીકળ્યો. અને ૧૯૫૦ સુધીમાં એ સિદ્ધ થઈ ગયું કે, સંઘનું કામ ચાલશે અને આગળ પણ વધશે. આ પદ્ધતિથી હિંદુ સમાજને સંગઠિત કરી શકાય છે. એ પછી સંઘનો પહેલાં કરતાં પણ વધારે વિસ્તાર થઈ ગયો. આ સંઘશક્તિનું મહત્ત્વ, ૧૯૭૫ના કટોકટી કાળમાં સંઘની જે ભૂમિકા રહી તેના કારણે સમાજના ધ્યાનમાં આવ્યું.
આગળ જતાં એકાત્મતા રથયાત્રા, કાશ્મીરના સંબંધમાં સમાજમાં જન-જાગરણ તથા શ્રીરામ જન્મભૂમિમુક્તિ આંદોલન તેમજ વિવેકાનંદ સાર્ધશતિ જેવાં અભિયાનોના માધ્યમોથી તેમજ સેવાકાર્યોના પ્રચંડ વિસ્તારથી સંઘવિચાર તથા સંઘ પ્રત્યે વિશ્વસનીયતાનો ભાવ સમાજમાં વ્યાપક રીતે વિસ્તારિત થયો.
૧૯૪૮ અને ૧૯૭૫માં સંઘ પર જે સંકટ આવ્યાં તેમાંથી સંગઠન શું શીખ્યું?
આ બંને પ્રતિબંધો લાદવા પાછળ રાજકારણ હતું. પ્રતિબંધ લગાવનારા પણ જાણતા હતા કે, સંઘથી કોઈ નુકસાન નથી, પરંતુ સંઘથી લાભ જ છે. આટલા મોટા સમાજમાં સ્વાભાવિક રીતે જ ચાલતી વિચારોની પ્રતિસ્પર્ધામાં પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરનારા સત્તારૂઢ લોકોએ સંઘ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પહેલા પ્રતિબંધ વખતે બધી વાતો સંઘની વિરુદ્ધમાં હતી. સંઘ સમાપ્ત થવામાં હતો, પરંતુ બધી વિપરીતતાઓ છતાં પણ સંઘ તે પ્રતિબંધોમાંથી બહાર આવ્યો અને આગળ ૧૫-૨૦ વર્ષોમાં પૂર્વવત્ થઇને પહેલાં કરતાં પણ આગળ વધી ગયો. સંઘના સ્વયંસેવકો, જે માત્ર શાખાઓ ચલાવતા હતા અને સમાજના ક્રિયાકલાપોમાં મોટી ભૂમિકા નહોતા ભજવતા - તેઓ સમાજના અન્યાન્ય ક્રિયાકલાપોમાં સહભાગી થઈને ત્યાં પોતાની ભૂમિકા સુનિશ્ચિત કરવા લાગ્યા. ૧૯૪૮ના પ્રતિબંધથી સંઘને એ લાભ થયો કે, અમે અમારા સામર્થ્યને જાણ્યું અને સમાજ અને વ્યવસ્થાઓમાં પરિવર્તન લાવવા માટેની યોજના બનાવીને સ્વયંસેવકો આગળ આવ્યા.
સંઘના વિચારમાં પહેલાંથી જ નિર્ધારિત હતું કે, સંઘનું કાર્ય માત્ર એક કલાકની શાખા સુધી મર્યાદિત નથી, પરંતુ બાકીના ૨૩ કલાકમાં પોતાના વ્યક્તિગત, પારિવારિક, સાર્વજનિક તથા આજીવિકાના ક્રિયાકલાપોમાં સંઘના સંસ્કારોની અભિવ્યક્તિ પણ કરવાની છે.
આગળ જતાં, ૧૯૭૫ના પ્રતિબંધમાં સમાજે સંઘના વધેલા વ્યાપની શક્તિનો અનુભવ કર્યો. જ્યારે સારા સારા લોકો નિરાશ થઇને બેસી ગયા હતા ત્યારે સામાન્ય સ્વયંસેવક પણ - આ સંકટ જતું રહેશે અને આપણે સૌ સલામત રીતે બહાર આવી જઇશું, તેવું વિશ્વાસપૂર્વક વિચારતો હતો. ૧૯૭૫ના કટોકટીકાળમાં પોતાની ઉપર લાદેલા પ્રતિબંધને મુદ્દો ન બનાવતાં સંઘે પ્રજાતંત્રની રક્ષા માટે કાર્ય કર્યું, સંઘ પર ટીકા-ટિપ્પણી કરનારાઓને પણ સાથ આપ્યો. તે સમયે સમાજમાં, વિશેષ કરીને સમાજના વિચારશીલ લોકોમાં એક વિશ્વાસપાત્ર વૈચારિક ધ્રુવ જેવું સંઘનું સ્થાન બન્યું. કટોકટીકાળ પછી સંઘ અનેકગણો વધારે શક્તિશાળી બનીને બહાર આવ્યો.
ભૌગોલિક અને સંખ્યાત્મક દૃષ્ટિએ સંઘ આગળ વધતો રહ્યો છે, તેમ છતાં ગુણવત્તાપૂર્ણ કાર્ય તેમજ સ્વયંસેવકોનું ગુણવત્તાપૂર્ણ પ્રશિક્ષણ કરવામાં સંઘ સફળ રહ્યો છે, તેનાં કારણો કયાં છે?
ગુણવત્તા અને સંખ્યા આ બંનેમાંથી માત્ર ગુણવત્તામાં વધારો કરીએ અને સંખ્યા ના વધારીએ, અથવા ફક્ત સંખ્યામાં વધારો કરીએ અને ગુણવત્તા ના વધારીએ તો ગુણવત્તાનું વધવું કે સંખ્યાનું ટકવું એ સંભવ નથી. આ વાત સમજીને સંઘે પહેલાં તેના પર ધ્યાન આપ્યું કે, સંઘે સંપૂર્ણ સમાજને સંગઠિત કરવાનો છે, પરંતુ સંગઠિત કરવા માટેનો એક અર્થ એ છે કે, એક એક વ્યક્તિને કેવી રીતે તૈયાર કરવો? આ તમામ વ્યક્તિઓનું ગઠબંધન કે સંગઠન કેવું હોવું જોઇએ? `આપણે'ની ભાવના કેવી હોવી જોઇએ? તે માટે કેટલાક માનક અગાઉથી તૈયાર કરવામાં આવ્યા છે. આ માનકોને તોડ્યા વગર સંખ્યા વધારવાની છે અને માનકો સાથે બાંધછોડ પણ કરવાની નથી, પરંતુ તેનો અર્થ લોકોને સંગઠન બહાર રાખવાનો નથી. એક મોટા સંગઠનના પ્રારંભના દિવસોનું એક ઉદાહરણ છે. એ સંગઠનમાં મૂળ સમાજવાદી વિચારધારાના એક વ્યક્તિ કાર્યકર્તા બન્યા. તેમને સતત સિગારેટ પીવાની ટેવ હતી. પહેલી વખત તે અભ્યાસવર્ગમાં આવ્યા ત્યારે સિગારેટ તો છોડો પણ ત્યાં સોપારી ખાનાર પણ કોઇ નહોતું. તે દિવસભર તડપતા રહેતા. રાતે પથારીમાં સૂવે ત્યારે ઊંઘ જ ના આવે. એટલામાં સંગઠનમંત્રી આવ્યા અને કહ્યું કે, ઊંઘ નથી આવી રહી, તો બહાર ચાલો, થોડો આંટો મારીને આવીએ. બહાર લઇ જઇ તેમણે તે નવા વ્યક્તિને એમ પણ કહ્યું કે, પેલા ચોકમાં સિગારેટ મળશે. મન ભરીને પી લો અને પાછા આવો, વર્ગની અંદર સિગારેટ નહીં મળે. તે નવા કાર્યકર્તા ટકી ગયા. ખૂબ સારા કાર્યકર્તા બન્યા અને તેમની સિગારેટની લત પણ છૂટી ગઇ. તે સંગઠનને તેમણે તે પ્રદેશમાં એક નવી ઊંચાઇએ પહોંચાડ્યું. વ્યક્તિ જેવો છે તેવો જ તેનો સ્વીકાર કરવાનો છે, અમે આ લચીલાપણું રાખીએ છીએ. પરંતુ અમને જે જોઇએ છે તેવા બનાવનારી આત્મીયતાની કળા પણ અમે રાખીએ છીએ. આ હિંમત અને તાકાત અમે રાખીએ છીએ. આ કારણથી સંખ્યા વધવાની સાથે ગુણવત્તા પણ કાયમ રહી. અમને સંગઠનમાં ગુણવત્તા જોઈએ છે પણ સાથે અમારે સમગ્ર સમાજને જ ગુણવત્તાપૂર્ણ પણ બનાવવાનો છે, તેનું ધ્યાન અમે રાખીએ છીએ.
સંઘ આજે પણ ડૉક્ટર હેડગેવારજી તેમજ શ્રી ગુરુજીના મૂળ વિચારોને અનુરૂપ ચાલી રહ્યો છે. પરિસ્થિતિની આવશ્યકતાને અનુરૂપ આમાં કેવી રીતે રૂપાંતરણ કર્યું છે?
ડૉક્ટર સાહેબ, શ્રી ગુરુજી કે પછી બાળાસાહેબના વિચારો સનાતન પરંપરા અને સંસ્કૃતિથી અલગ નથી. પ્રગાઢ ચિંતન તેમજ કાર્યકર્તાઓના પ્રત્યક્ષ પ્રયોગોના અનુભવથી સંઘની કાર્યપદ્ધતિ નક્કર બની અને ચાલી રહી છે. પહેલાંથી જ તેમાં પોથીનિષ્ઠા, વ્યક્તિનિષ્ઠા તેમજ અંધાનુકરણ માટે કોઇ જગ્યા નથી. અમે તત્ત્વપ્રધાન છીએ. મહાપુરુષોના ગુણોનું, તેમની દર્શાવેલી દિશાનું અનુસરણ કરવાનું છે, પરંતુ દરેક દેશ-કાળ-પરિસ્થિતિમાં આપણો માર્ગ સ્વયં બનાવીને ચાલવાનું છે. આથી જ નિત્યાનિત્ય વિવેક હોવો જોઇએ. સંઘમાં નિત્ય શું છે? એકવાર બાળાસાહેબે કહ્યું હતું કે, `હિંદુસ્થાન હિંદુ રાષ્ટ્ર છે!' આ વાતને બાદ કરતાં બાકી બધુ સંઘમાં બદલાઇ શકે છે. સંપૂર્ણ હિંદુ સમાજ આ દેશ પ્રત્યે ઉત્તરદાયી સમાજ છે. આ દેશનો સ્વભાવ તેમજ સંસ્કૃતિ હિંદુઓની સંસ્કૃતિ છે. આથી જ તે હિંદુ રાષ્ટ્ર છે. આ વાતને પાક્કી રાખીને (બાંધછોડ કર્યા વિના) બધું કરવાનું છે. આ માટે સ્વયંસેવકની પ્રતિજ્ઞામાં - `આપણો પવિત્ર હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ તેમજ હિંદુ સમાજનું સંરક્ષણ કરીને હિંદુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ'ની વાત કહેવામાં આવી છે. હિંદુ શબ્દની વ્યાખ્યા પણ વ્યાપક છે. તેની ચોખટ (Frame)માં પોતાની દિશા કાયમ રાખીને દેશ - કાળ - પરિસ્થતિ અનુસારનાં પરિવર્તનો કરતાં કરતાં આગળ વધવાનો પર્યાપ્ત અવસર છે. પ્રતિજ્ઞામાં - `હું સંઘનો ઘટક છું!' એમ પણ કહેવામાં આવે છે. ઘટક એટલે સંઘને ઘડનાર, સંઘનું લઘુરૂપ અને સંઘનું અભિન્ન અંગ! એટલા માટે ભિન્ન ભિન્ન મત હોય ત્યારે પણ ચર્ચામાં તેને અભિવ્યક્ત કરવાનું પૂર્ણ સ્વાતંત્ર્ય છે. એકવાર સહમતિ સધાય અને નિર્ણય થઈ જાય ત્યારે તમામ લોકો પોત-પોતાના મતને તે નિર્ણયમાં વિલીન કરી એક જ દિશામાં ચાલે છે. જે નિર્ણય થાય તેને માનવાનો છે. આથી જ સૌને કરવાની સ્વતંત્રતા પણ છે અને તમામની દિશા પણ એક જ છે. નિત્યને આપણે કાયમ રાખીએ છીએ અને અનિત્યને દેશ-કાળ-પરિસ્થિતિ અનુસાર બદલીને ચાલીએ છીએ.
સંઘને જે બહારથી જુએ છે, જેમણે અનુભવ નથી કર્યો, તેમનેસંગઠનનો ઢાંચો સમજમાં આવે છે પરંતુ આટલી લાંબી યાત્રામાં વિચાર-વિમર્શ અને આત્મચિંતનની પ્રક્રિયા કેવી રહે છે?
તેની એક પદ્ધતિ બનાવેલી છે. જેનો ઉદ્દેશ અને આશય નિશ્ચિત છે. પરંતુ તેને આગળ વધારવાની પદ્ધતિ અલગ અલગ હોઇ શકે છે. ઢાંચો બદલાઈ શકે છે, પરંતુ ઢાંચાની અંદર શું છે તે પાક્કું (અચળ) છે. પરિસ્થિતિની સાથે સાથે મનઃસ્થિતિનું પણ મહત્ત્વ છે. આથી જ અમારાં પ્રશિક્ષણોમાં દેશની સ્થિતિ, પડકારો જેવા ઘણાં જ વિચારો રહેતા હોય છે, જેની સાથે સાથે તેના સંદર્ભમાં સ્વયંસેવકે કેવા હોવું જોઇએ, સંગઠન કયા ગુણોના આધારે બને છે, સ્વયમ્માં એ ગુણોનો વિકાસ કરવા માટે આપણે શું કરીએ છીએ - વગેરે વાતોનો પણ વિચાર થાય છે. પ્રાર્થનામાં અમારા સામૂહિક સંકલ્પ અને પ્રતિજ્ઞામાં પ્રત્યેક સ્વયંસેવકના વ્યક્તિગત સંકલ્પનું નિત્ય પ્રતિદિન સ્મરણ કરવામાં આવે છે. સંઘના સ્વયંસેવકનો અર્થ જ સ્વયંથી પ્રારંભ કરનારો, એવો છે. ઘટક શબ્દનો અર્થ છે - `જેવો હું છું, તેવો સંઘ છે અને જેવો સંઘ છે, તેવો હું છું!' જેમ સમુદ્રનું પ્રત્યેક ટીપું સમુદ્ર સમાન છે અને બધાં ટીપાં મળીને જ સમુદ્ર બને છે. તેવી જ રીતે! આ `એક' અને `પૂર્ણ'નો સંબંધ સંઘમાં પ્રારંભથી જ ચાલી રહ્યો છે. સ્વયંસેવકનું આત્મચિંતન સતત ચાલે છે. સફળતાનું શ્રેય સમગ્ર સંઘનું હોય છે અને નિષ્ફળતાની સ્થિતિમાં `હું ક્યાં ઊણો ઊતર્યો' - તે વિશે દરેક સ્વયંસેવક વિચારે છે. આવું પ્રશિક્ષણ સ્વયંસેવકોનું હોય છે.
સમાજ બદલાયો, જીવનશૈલી બદલાઈ, શું આજની પરિસ્થિતિમાં સંઘની દૈનિક શાખાનું મૉડલ તેટલું જ અસરકારક છે કે પછી તેના માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા પણ છે?
શાખાના કાર્યક્રમોના વિકલ્પો હોઇ શકે છે, અને અમે તેનો સ્વીકાર કરીએ છીએ. પરંતુ શાખાનાં જે તત્ત્વો છે, જેમ કે એકઠા થવું, સદ્ગુણોની સામૂહિક ઉપાસના કરવી અને દરરોજ મનમાં એ સંકલ્પને જાગ્રત કરવો કે, આપણે માતૃભૂમિ માટે કામ કરીએ છીએ, પરમ વૈભવ માટે કામ કરી રહ્યા છીએ! હળવું-મળવું, એકબીજાનો સહયોગ કરવો, આ મૂળ છે, અને તેનો કોઇ વિકલ્પ નથી. સામાન્ય માનવી સામાન્ય છે. તે અસામાન્ય ત્યારે થાય છે, જ્યારે તે જોડાયેલો રહે છે અને પછી સામાન્ય વ્યક્તિ પણ અસામાન્ય કાર્ય કરી નાંખે છે, અસામાન્ય ત્યાગ પણ કરે છે. પરંતુ તેના માટે એક વાતાવરણ હોવું જોઇએ, અને પછી તે વાતાવરણ સાથે જોડાયેલું રહેવું જોઈએ. ઉદાહરણ અને આત્મીયતા તે પરિવર્તનનાં કારક (કર્તાહર્તા) છે, આ સિવાય બીજા કોઈ કારકો નથી. દુનિયામાં ક્યાંય પણ જાઓ, જ્યારે પણ પરિવર્તન થાય છે, ત્યાં કોઇ એક મૉડલ રહેલું હોય છે, જેમાં પહેલાં પોતે પોતાનામાં પરિવર્તન કરવું પડે છે. તેને જોઇને લોકોમાં પણ પરિવર્તન આવે છે. એ દૂર રહીને ના થઈ શકે, એ માટે આત્મિય થવું પડે છે, નજીકના થવું પડતું હોય છે. મહાપુરુષો અનેક છે. તેમને જાણીએ પણ છીએ, તેમના પ્રત્યે આપણી શ્રદ્ધા છે, સન્માન છે. છતાં હું જેની સંગતમાં હોઉં તે જે રીતે ચાલે છે તે પ્રકારે હું ચાલું છું. હું એ જ કરું છું, જેની મને સંગત છે. મારો પોતાનો મિત્ર, પણ તે મારા કરતાં થોડો સારો હોય, તેનું અનુસરણ કરું છું. પરિવર્તન માટે આ પદ્ધતિ સાબિત થયેલી છે. તેમાં કોઇ બદલાવ આવ્યો નથી, ત્યાં સુધી તો શાખાનું બીજું કોઈ મૉડલ નથી. કાર્યક્રમ અને બીજું બધું બદલાઇ શકે છે. શાખાનો સમય બદલાય છે, વેશ બદલાય છે, શાખામાં નવા-નવા કાર્યક્રમો કરવાની અનુમતિ પહેલાંથી છે, પરંતુ શાખાનો કોઈ વિકલ્પ નથી. શાખા ક્યારેય અપ્રાસંગિક હોતી નથી. આજે આપણા શાખાના મૉડલ અંગે પ્રગતિશીલ દેશોના લોકો પણ આવીને અધ્યયન કરે છે, એના વિશે પૂછે છે. દર દસ વર્ષે અમે ચિંતન કરીએ છીએ કે, શું બીજો કોઇ વિકલ્પ છે? હું આ પ્રકારનાં ચિંતનોમાં અત્યાર સુધી ૬-૭ વખત ઉપસ્થિત રહ્યો છું, પરંતુ અમારે જે કરવું છે, તેવું કરવાવાળો કોઇ વિકલ્પ અત્યાર સુધી મળ્યો નથી.
સંઘ વનવાસી ક્ષેત્રોમાં કેવી રીતે આગળ વધી રહ્યો છે?
વનવાસી ક્ષેત્રોમાં પહેલું કામ છે કે જનજાતીય બંધુઓને સશક્ત કરવા, તેમની સેવા કરવી. પછી તેમાં એ પણ જોડાઈ ગયું કે તેમનાં કે હિતોની રક્ષા માટે પ્રયાસ કરવા. અત્યારે આપણો જનજાતિય સમાજ કોઈ અન્ય નેતૃત્વનો ચલાવ્યો ચાલી રહ્યો છે. આપણે ઇચ્છીએ છીએ કે, જનજાતિય સમાજમાંથી તેઓનું નેતૃત્વ ઊભું થાય, જે પોતાના જનજાતિય સમાજની ચિંતા કરે અને સંપૂર્ણ રાષ્ટ્રજીવનનું તે એક અંગ છે, તે સમજીને તેને આગળ વધારે. આ ક્ષેત્રોમાં કામ કરનારા સ્વયંસેવકોની સંખ્યા વધી રહી છે. જનજાતિ કોણ છે, તેનાં મૂળ ક્યાં છે? જનજાતિય સમાજમાંથી નીકળેલા મહાપુરુષ, સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનારા જનજાતિય સમાજના નાયક, આ તમામ વાતો વિશે તેમને શિક્ષિત કરીને ધીરે ધીરે રાષ્ટ્રીય સ્વરમાં બોલનારા, યોગદાન આપનારા કાર્યકર્તા તેમજ નેતૃત્વ ત્યાં ઊભું થાય, તેનો પ્રયાસ ચાલી રહ્યો છે. પૂર્વોત્તરની સાથે સાથે જ અન્ય જનજાતીય ક્ષેત્રોમાં સંઘની શાખાઓ વધી રહી છે.
ભારતના પડોશી દેશોમાં હિંદુઓનું ઉત્પીડન થઇ રહ્યું છે, તેમના વિરુદ્ધ હિંસા થઇ રહી છે. વિશ્વમાં માનવાધિકારની ચિંતા કરનારા શું હિંદુઓની તે પ્રકારે ચિંતા કરી રહ્યા છે? સંઘની પ્રતિનિધિ સભામાં પણ આ વિષય ઉપસ્થિત થયેલો છે. આ વિશે આપનો શો મત છે?
હિંદુઓની ચિંતા ત્યારે થશે જ્યારે હિંદુ એટલો સશક્ત બનશે, કારણ કે હિંદુ સમાજ અને ભારત દેશ જોડાયેલાં છે, હિંદુ સમાજનું બહુ સારું સ્વરૂપ ભારતને પણ સારો દેશ બનાવશે. ભારતમાં જે પોતે પોતાને હિંદુ નથી કહેતા, એમને પણ સાથે લઈને ચાલી શકશે, કારણ કે તે પણ હિંદુ જ હતા. ભારતનો હિંદુ સમાજ સામર્થ્યવાન બનશે તો વિશ્વભરના હિંદુઓને પોતાની મેળે જ એ સામર્થ્યનો લાભ થશે. આ કામ ચાલી રહ્યું છે, પરંતુ પૂર્ણ થયું નથી. ધીરે ધીરે તે સ્થિતિ આવી રહી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચારનું પ્રગટીકરણ આ વખતે જેટલું થયું છે એટલું પહેલાં નહોતું થતું. એટલું જ નહીં, ત્યાંના હિંદુઓએ એવું પણ કહ્યું છે કે, અમે ભાગીશું નહીં, પરંતુ ત્યાં રહીને પોતાના અધિકારો પ્રાપ્ત કરીશું. હવે હિંદુ સમાજનું આંતરિક સામર્થ્ય વધી રહ્યું છે. એક રીતે સંગઠન વધી રહ્યું છે, તેનું પરિણામ આપોઆપ આવશે. ત્યાં સુધી તેના માટે લડવું પડશે. દુનિયામાં જ્યાં જ્યાં હિંદુ છે, તેના માટે હિંદુ સંગઠનના નાતે પોતાની મર્યાદામાં રહીને જે કંઇ કરી શકીએ છીએ તે બધું કરશે, તેના માટે સંઘ છે. સ્વયંસેવકની પ્રતિજ્ઞા જ `ધર્મ, સંસ્કૃતિ અને સમાજનું સંરક્ષણ કરીને રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ કરવાની છે.'
વૈશ્વિક વ્યવસ્થામાં સૈન્યશક્તિ, રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક તાકાતનું પોતાનું એક મહત્ત્વ છે. સંઘ તેના વિશે શું વિચારે છે?
બળસંપન્ન થવું જ પડશે. સંઘ પ્રાર્થનાની પંક્તિ જ છે કે, ‘अजय्यां च विश्वस्य देहीश शक्तिम्’આપણને કોઇ જીતી ના શકે તેટલું સામર્થ્ય તો હોવું જોઇએ. આપણું પોતાનું બળ જ વાસ્તવિક બળ છે. સુરક્ષાના મામલે આપણે કોઇના પર નિર્ભર ના રહીએ, આપણે પોતાની સુરક્ષા જાતે કરીએ, આપણને કોઇ જીતી ના શકે, આખી દુનિયા મળીને પણ આપણને જીતી ના શકે, તેટલા સામર્થ્યસંપન્ન આપણે થવાનું જ છે. કારણ કે વિશ્વમાં કેટલાક દુષ્ટ લોકો છે, જે સ્વભાવથી આક્રમક છે. સજ્જન વ્યક્તિ માત્ર સજ્જનતાના કારણે સુરક્ષિત ના રહી શકે, સજ્જનતાની સાથે શક્તિ જોઇએ. કેવળ એકલી શક્તિ દિશાહીન થઇને હિંસાનું કારણ બની શકે છે. આથી જ તેની સાથે સજ્જનતા હોવી જોઇએ. આપણે આ બંનેની આરાધના કરવી પડશે. ભારતવર્ષ અજેય બને “परित्राणाय साधुनाम विनाशाय च दुष्कृताम्’ એવું સામર્થ્ય હોય. કોઇ ઉપાય ન ચાલે ત્યારે દુષ્ટ તાનો બળપૂર્વક નાશ કરવો પડશે. પરંતુ સાથે સ્વભાવની સજ્જનતા છે તો રાવણને નષ્ટ કરીને તેના સ્થાને વિભીષણને રાજા બનાવીને પાછા ફરી શકીશું. આ બધું સમગ્ર વિશ્વના કારોબાર પર આપણી છાયા પડે તે માટે આપણે નથી કરી રહ્યા. પરંતુ સૌનું જીવન નિરામય બને, સમર્થ બને, તે માટે કરી રહ્યા છીએ. આપણે શક્તિસંપન્ન થવું પડશે, કારણ કે દુષ્ટ લોકોની દુષ્ટ તાનો અનુભવ આપણે આપણી તમામ સરહદો પર લઈ રહ્યા છીએ.
ભારતની ભાષિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને ધ્યાનમાં રાખીને સંઘ સમાવેશતાને કેવી રીતે આગળ વધારી રહ્યો છે?
સંઘમાં આવીને જુઓ. તમામ ભાષાઓના, પંથ - સંપ્રદાયોના લોકો બહુ જ આનંદ સાથે, હળી-મળીને સંઘમાં કામ કરે છે. સંઘનાં ગીત માત્ર હિંદીમાં નથી, પરંતુ અનેક ભાષાઓમાં છે. તમામ ભાષાઓમાં સંઘગીત ગાનારા ગીત ગાયક, ગીતોની રચના કરનારા કવિ અને સંગીતની રચના કરનાર છે. તેમ છતાં પણ સંઘ શિક્ષાવર્ગોમાં જે ત્રણ ગીત આપવામાં આવે છે તે તમામ લોકો ભારતભરમાં સર્વત્ર ગાય છે. તમામ લોકો પોતાની વિશિષ્ટ્રતાઓને કાયમ રાખીને, પોતાના એક રાષ્ટ્રીયત્વનું સન્માન તથા સંપૂર્ણ સમાજની એકતા પ્રત્યે સભાનતા સુરક્ષિત રાખીને ચાલી રહ્યા છે. આ જ સંઘ છે. આટલી વિવિધતાઓથી ભરેલા સમાજને એક સૂત્રમાં પરોવનારું સૂત્ર જ અમે આપીએ છીએ.
સંઘ સામાજિક સમરસતાની વાત કરે છે અને તેનામાટે કામ પણ કરે છે, પરંતુ કેટલાક લોકો સમાનતાની વાતો કરે છે. આપ આ બંને વચ્ચેના ભેદને કેવી રીતે જુઓ છો?
સમાનતા આર્થિક છે, રાજકીય છે અને સામાજિક સમાનતા આવવી જોઈએ. નહીંતર તેનો કોઇ અર્થ નહીં રહે. બંધુભાવ જ સમરસતા છે. સ્વાતંત્ર્ય અને સમતા બંનેનો આધાર બંધુતા છે. સમતા સ્વતંત્રતા વગર સંકોચાવા લાગે છે, પણ તેને ટકાઉ બનાવવી હોય તો તેમાં બંધુભાવનો આધાર હોવો જોઈએ. આ બંધુભાવ જ સમરસતા છે. આ સમતાની પૂર્વશરત છે. નાત-જાત અને છૂઆછૂતના વિરોધમાં કાયદો હોવા છતાં પણ વિષમતા જતી નથી, કારણ કે તેનો નિવાસ મનમાં હોય છે. તેને મનથી કાઢવાની છે. બધાં આપણાં છે, માટે સૌ સમાન છીએ, તેવું માનવાનું છે. દેખવામાં સમાન નથી તો પણ આપણે એકબીજાનાં છીએ, અપનત્વથી જોડાયેલાં છીએ, તેને સમરસતા કહેવાય છે. પ્રેમભાવ, બંધુભાવને જ સમરસતા કહેવાય છે.
સંઘમાં મહિલાઓની ભાગીદારીને લઇને પ્રશ્નો ઊભા થતા રહે છે. તે વિશે આપ શું કહેશો?
સંઘના પ્રારંભિક દિવસોમાં ૧૯૩૩ની આસપાસ એક વ્યવસ્થા બની હતી કે મહિલાઓમાં વ્યક્તિનિર્માણ અને સમાજ સંગઠનનું કામ રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા જ કરવામાં આવશે. આ વ્યવસ્થા ચાલી રહી છે. જ્યારે રાષ્ટ્ર સેવિકા સમિતિ કહેશે કે સંઘ પણ મહિલાઓ માટે કામ કરે, ત્યારે જ અમે તે તરફ વળીશું. બીજી વાત એ છે કે, સંઘની શાખાનો કાર્યક્રમ પુરુષો માટે છે. તે કાર્યક્રમો જોવા માટે મહિલાઓ આવી શકે છે, અને આવે પણ છે. પરંતુ સંઘનું કાર્ય માત્ર કાર્યકર્તાઓના ભરોસે નથી ચાલતું. આપણી માતા-બહેનોના હાથ લાગે છે ત્યારે સંઘ ચાલે છે. સંઘના સ્વયંસેવકના ઘરમાં જેટલી પણ મહિલાઓ છે, તેટલી જ મહિલાઓ સંઘમાં છે. વિભિન્ન સંગઠનોમાં પણ મહિલાઓ સંઘના સ્વયંસેવકો સાથે મળીને કામ કરે છે. સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં પણ તેમનું પ્રતિનિધિત્વ અને સક્રિય સહભાગીદારી છે. આ મહિલાઓએ પહેલી વાર ભારતના મહિલા જગતનું વ્યાપક સર્વેક્ષણ કર્યું, જેને શાસને પણ સ્વીકાર્યું છે. તેમના દ્વારા જ ગત વર્ષે આખા દેશમાં બહુ મોટાં મહિલા સંમેલન થયાં, જેમાં લાખો મહિલાઓએ ભાગ લીધો. આ તમામ કાર્યોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન તેમજ સહયોગ રહ્યો. અમે એ માનીએ છીએ કે, મહિલાઓનો ઉદ્ધાર પુરુષ ના કરી શકે મહિલાઓ સ્વયં પોતાનો ઉદ્ધાર કરશે, તેમાં સૌનો ઉદ્ધાર થઈ જશે. આથી જ અમે તેમને પ્રમુખતા આપીએ છીએ અને તેઓ જે કરવા ચાહે છે, તેના માટે તેમને સશક્ત બનાવીએ છીએ.
સંઘના શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનનો સંકલ્પ આવ્યો છે. તેને લઇને કોઇ કાર્યયોજના બનાવી છે, તેના આધાર પર આગળ શું કરી શકો છો?
આચરણના પરિવર્તન માટે મનનો ભાવ હોવો આવશ્યક બાબત છે. જે કામ કરવાથી મનનો ભાવ બદલાય છે, સ્વભાવ પરિવર્તિત થઈ જાય છે, તે કામ આપવાનું છે. અને તેનાથી જીવન પણ ઠીક થઈ જાય છે. આથી જ પંચ પરિવર્તનની વાત કરવામાં આવી છે.
૧, એમાં એક તો સમરસતાની વાત છે,આપણા સમાજમાં પ્રેમ ઉત્પન્ન થાય. વિવિધ પ્રકારનો સમાજ છે, વિવિધ અવસ્થામાં છે, વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં છે, સમસ્યાઓ પણ છે. એક નિયમ તમારા માટે બન્યો છે એ મારા માટે પણ યોગ્ય જ હશે એવું નથી. આટલો મોટો દેશ છે, તેમાંથી જો રસ્તો કાઢવાનો હોય તો જે પણ પ્રાવધાન કરવાં પડશે, એ પ્રાવધાન મનથી કરાશે તો સુરક્ષિત રહીશું અને પ્રેમ વધશે. સામાજિક સમરસતાનો વ્યવહાર કરવાનો છે. તેમાં સામાજિક સમરસતાનો પ્રચાર અભિપ્રેત નથી. પ્રત્યક્ષ સમાજની બહાર જેટલા પ્રકારો માનવામાં આવે છે, અમે તો તેને એક માનીએ છીએ, એ તમામ પ્રકારોના મારા મિત્રો હોવા જોઇએ, મારા કુટુંબના મિત્રો હોવા જોઇએ. જ્યાં આપણો પ્રભાવ છે ત્યાં મંદિર, પાણી, સ્મશાન, એક હોય, આ પ્રારંભ છે, તેને આગળ વધારતા રહેવાનું છે.
૨, એવી જ રીતે કુટુંબપ્રબોધન છે. સંસારને રાહત દેનારી જે વાતો છે, જે આવશ્યક પરંપરાગત સંસ્કારોમાંથી આવે છે, આપણી કુળ-રીતિમાં છે અને દેશની રીતિ-નીતિમાં પણ છે, તેના પર બેસીને ચર્ચા કરવી તથા તેના પર સહમતિ સાધીને પરિવારના આચરણમાં લાવવી એ કુટુંબ પ્રબોધન છે.
૩, પર્યાવરણ માટે તો આંદોલન સહિત ઘણી બધી વાતો ચાલે છે, પરંતુ વ્યક્તિ પોતાના ઘરમાં પાણીનો બગાડ થાય છે, તેની ચિંતા કરતો નથી. પહેલાં એ કરો. વૃક્ષો વાવો, પ્લાસ્ટિક હટાવો, પાણી બચાવો. આવુંં કરવાથી સમજ વિકસિત થાય છે અને એ વિચારવા લાગે છે.
૪, એવું જ `સ્વ'ના આધાર પર કરો. પોતાના `સ્વ'ના આધાર પર વ્યવહાર કરવો જોઈએ. આપણા સૌનો જે રાષ્ટ્રીય `સ્વ' છે એના આધાર પર ચાલો. પોતાના ઘરમાં ભાષા, ભૂષા, ભોજન, ભજન, ભ્રમણ, એ આપણાં હોવાં જોઈએ. ઘરના ઉંબરાની બહાર પરિસ્થિતિ અનુસાર કરવું પડે છે. ઘરમાં તો આપણે છીએ, `સ્વ' રહેશે તો તેના કારણે સંસ્કાર પણ બચશે. દેશને `સ્વ'નિર્ભર થવું હશે તો આપણે બને ત્યાં સુધી દેશની વસ્તુઓથી કામ ચલાવીએ. આની આદત રાખીએ. એનો અર્થ એ નથી કે, આંતરરાષ્ટ્રીય વેપાર બંધ કરી દો. એનું એક સંતુલન છે, મારું ચાલી શકતું હશે તો તેેને ચલાવીશ. દેશની આવશ્યકતા છે, કોઈ જીવન આવશ્યક કામ છે, તો બહારથી લાવવું પડે તો લાવો. પણ આપણી શરતો પર કોઈના દબાવમાં નહીં. આ બધી વાતો થશે `સ્વ'નું આચરણ શક્ય બનશે.
૫, કાયદો, સંવિધાન, સામાજિક ભદ્રતાનું પાલન.
આ પાંચ વાતો લઈને સ્વયંસેવક એ પથ પર આગળ વધશે અને શતાબ્દી વર્ષ પૂર્ણ થયા બાદ એને શાખાઓના માધ્યમથી સમાજમાં લઈ જશે. આ આચરણમાં આવશે તો વાતાવરણ બનશે અને વાતાવરણ બનવાથી પરિવર્તન આવશે. બીજી ઘણી બધી વાતો આગળના સમય માટેની છે, જે અહીંથી શરૂ થઈને ધીરે ધીરે આગળ જશે. આવો વિચાર કર્યો છે. જોઈએ.. પછી શું થાય છે.
આવનારાં ૨૫ વર્ષો માટે કયા સંકલ્પો છે?
સંપૂર્ણ હિંદુ સમાજને સંગઠિત કરવો અને દેશને પરમવૈભવસંપન્ન બનાવવો, તેની આગળ એક વણકહી વાત એ છે કે સંપૂર્ણ વિશ્વને આવું બનાવવું છે. ડૉ. હેડગેવારના સમયથી જ આ દૃષ્ટિ રહી છે. તેમણે ૧૯૨૦માં પ્રસ્તાવ આપ્યો હતો કે `ભારતનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય અમારો ધ્યેય છે અને સ્વતંત્ર ભારત દુનિયાના દેશોને પૂંજીવાદની ચુંગાલમાંથી મુક્ત કરશે.' આવું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કહેવું જોઈએ.
સંઘનાં ૧૦૦ વર્ષ થવાં અને દેશની સ્વતંત્રતાને પણ ૨૦૪૭માં ૧૦૦ વર્ષ પૂરાં થશે. ભારત વિશ્વગુરુ કેવી રીતે બનશે? કેટલાક લોકો જાત-જાતના પ્રકારના ભેદ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરશે. આ બધાંને આપ કેવી રીતે જુઓ છો?
અમારી જે પ્રક્રિયા છે, તેમાં આ તમામ વાતોની ચિંતા કરવામાં આવી છે. આત્મવિસ્મૃતિ, સ્વાર્થ અને ભેદ, આ ત્રણેય વાતો સામે લડતાં- લડતાં અમે આગળ વધી રહ્યા છીએ. આજે સમાજના વિશ્વાસપાત્ર બન્યા છીએ. આ પ્રક્રિયા આગળ ચાલશે. અપનત્વના આધારે સમાજના તમામ લોકો એક માનસિકતામાં આવી જશે. એક અને એક મળીને બે થવા ના બદલે અગિયાર થશે. ભારતવર્ષને સંગઠિત અને બળસંપન્ન બનાવવાનું કામ ૨૦૪૭ સુધી સર્વત્ર વ્યાપ્ત થઈ જશે અને ચાલતું રહેશે. સમરસ, સામર્થ્યસંપન્ન ભારતનાં વિશ્વજીવનમાં સમૃદ્ધ યોગદાનને જોઇને તમામ લોકો તેના ઉદાહરણનું અનુકરણ કરવા માટે આગળ આવશે.
૧૯૯૨માં આપણા એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જોઇ દુનિયાના અન્યાન્ય દેશોના લોકો તે દેશનો પોતાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઊભો કરશે. જેનાથી સમગ્ર વિશ્વના જીવનમાં પરિવર્તન આવશે. આ પ્રક્રિયા ૨૦૪૭ પછી પ્રારંભ થશે અને તે પૂરી થવામાં ૧૦૦ વર્ષ નહીં લાગે. પછીનાં ૨૦-૩૦ વર્ષોમાં તે પૂરી થઇ જશે.
શતાબ્દી વર્ષમાં જે હિંદુહિતૈષી વર્ગ છે, સંઘનો શુભચિંતક વર્ગ છે, તે રાષ્ટ્રનો હિતચિંતક વર્ગ છે તેના માટે આપનો શો સંદેશ છે?
હિંદુ સમાજે હવે જાગ્રત થવું જ પડશે. આપણા તમામ ભેદ અને સ્વાર્થ ભૂલીને હિંદુત્વના શાશ્વત ધર્મમૂલ્યોના આધારે પોતાના વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને આજીવિકાના જીવનને આકાર આપીને, એક સામર્થ્યસંપન્ન, નીતિસંપન્ન તથા તમામ પ્રકારના વૈભવથી સંપન્ન ભારત ઊભું કરવું પડશે, કારણ કે વિશ્વને નવા માર્ગની પ્રતીક્ષા છે અને તે માર્ગ આપવો તે ભારતનું એટલે કે હિંદુ સમાજનું ઈશ્વરે સોંપેલું ર્ક્તવ્ય છે. કૃષિ-ક્રાંતિ થઇ ગઈ, ઉદ્યોગ ક્રાંતિ થઇ ગઈ, વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્રાંતિ થઇ ગઈ, હવે ધર્મક્રાંતિની આવશ્યકતા છે. હું રિલીજનની વાત નથી કરી રહ્યો. સત્ય, શુચિતા, કરુણા તેમજ તપસના આધારે માનવજીવનની પુનર્રચના થાય, તેની વિશ્વને આવશ્યકતા છે અને ભારત તેનું પથપ્રદર્શક બની રહે તે અપરિહાર્ય છે. સંઘકાર્યના મહત્ત્વને આપણે સમજીએ. `હું અને મારો પરિવાર'ના દાયરામાંથી બહાર આવીને, અને આપણા જીવનને ઉદાહરણ બનાવીને, સક્રિય થઇને આપણે સૌએ સાથે મળીને આગળ વધવું જોઇએ, તેની આવશ્યકતા છે.