કેશવ (ડૉ. હેડગેવાર)નો જન્મ નાગપુરના હેડગેવાર કુટુંબમાં ૧૮૮૯ની સાલમાં થયો. ૧૯૪૦માં તેઓની જીવનયાત્રા સમેટાઈ. તેઓ માત્ર ૫૧ વર્ષ જ જીવ્યા. ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થયો. ૧૮૮૯થી ૧૯૪૭નો સમયગાળો સ્વતંત્રતાની ચળવળોથી ઘેરાયેલો હતો.
કેશવ ઉમદા સ્વતંત્રતાસેનાની હતા. માત્ર આઠ વર્ષની ઉંમરે વિદેશી રાણી એલિઝાબેથના રાજ્યાભિષેકના સ્થાપનાદિનની ખુશાલી મનાવવા શાળામાં વહેંચાએલી મીઠાઈ તેમણે કચરાટોપલીમાં નાખી દીધી હતી. નાનપણમાં આવા સ્વાભિમાનનું આ કદાચ એકમાત્ર ઉદાહરણ હશે.
નાગપુર શહેરના સીતાબર્ડી કિલ્લા પર ફરફરતો વિદેશી યુનિયન જેક ઉતારીને નાગપુરકર ભોંસલેનો ભગવો ધ્વજ લગાવવો એવી ઇચ્છા નવમા ધોરણમાં ભણતા કેશવના મનમાં થઈ.
આગળ તેઓ મેટ્રિકમાં ભણતા હતા ત્યારે સરકારનો રીસ્લે પરિપત્ર આવ્યો, વંદે માતરમ્ને પ્રતિબંધિત કરવામાં આવ્યું. કેશવે આ પ્રતિબંધનો વિરોધ કરવાનું નક્કી કર્યું. બધા વિદ્યાર્થીઓને સમજાવીને આ માટે સંમત કર્યા. શાળાના નિરીક્ષણ માટે આવવાનો શિક્ષણાધિકારીનો દિવસ નિશ્ચિત થયો. સાહેબ આપણા વર્ગમાં આવે એટલે વંદે માતરમ્ની ગર્જનાથી એમનું સ્વાગત કરવું એવું નક્કી થયું. અને થયું પણ એવું જ. બે મહિના શાળા બંધ રહી. વાલીઓ અને શિક્ષકો વચ્ચે ચર્ચા થઈ અને તેને પરિણામે મધ્યમમાર્ગ નીકળ્યો અને બધા વિદ્યાર્થીઓ ફરીથી શાળામાં પ્રવેશ્યા. કેશવને તે સ્વીકાર્ય નહોતું એટલે તેણે શાળા છોડી દીધી.
કેશવ બીજાનું જોઈને અનુકરણ કરનાર છોકરો નહોતો. સ્વતંત્ર વિચારો ધરાવતો, નિર્ભય, પરિણામોની ચિંતા ન કરનારો અને વિચારોને કૃતિમાં મૂકનારો છોકરો હતો.
કલકત્તામાં વૈદ્યકીય (ચિકિત્સાનું) શિક્ષણ લેતી વખતે અનુશીલન સમિતિના સભ્ય બની ક્રાંતિકારી તરીકે સક્રિય રહેવું, ડૉકટર થઈને પાછા નાગપુર આવ્યા પછી લગ્ન ન કરવાનો નિશ્ચય લેવો, અસહકાર આંદોલનમાં ઝંપલાવવું વગેરે બધા નિર્ણયોથી કેશવના સ્વતંત્ર વ્યક્તિત્વનું મહત્ત્વ દેખાઈ આવે છે. સ્વતંત્રતાસેનાની તરીકે પણ તેઓ અલગ તરી આવતા. શરૂઆતથી જ તેઓ સંપૂર્ણ સ્વતંત્રતાનો વિચાર મૂકતા. સ્વતંત્રતા મેળવવી જેટલી જરૂરી છે એટલું જ સ્વતંત્રતા ગઈ કેમ? એનો વિચાર કરીને એ માટેના પ્રયત્નો અત્યારથી થવા જોઈએ; એવું તેઓ વિચારતા.
હિંદુ-મુસ્લિમ એકતાની ચર્ચા સર્વત્ર હતી. ખ્રિસ્તી, જયુ, ફારસીનો ક્યારેય ઉલ્લેખ પણ થતો નહીં. ડૉકટરજીને થતું કે ફક્ત હિંદુ-મુસલમાન એકતા કહેવાથી મુસ્લિમ સમાજમાં અલગતાવાદની ભાવના નિર્માણ થશે અને દેશ માટે તે વધારે ઘાતક હશે. તેમણે પોતાના મનની આ શંકા મહાત્મા ગાંધી સામે વ્યક્ત કરી.. `મને એવું કંઈ લાગતું નથી' એમ કહીને ગાંધીજીએ ચર્ચા પતાવી દીધી. હિંદુ-મુસ્લિમ એકતાનો વિષય સ્વતંત્રતાની ચળવળ કરતાં પણ વધુ ચર્ચામાં આવવા લાગ્યો.
હિંદુઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવવાનું છોડે તો મુસલમાન `મુસલમાન' શબ્દ છોડી દેશે. દેશને હિન્દુસ્તાન ન કહેતાં હિન્દસ્તાન કહેવું. શિવાજીને છત્રપતિ નહીં પરંતુ માર્ગ ભૂલેલો દેશભક્ત માનવો. મુસલમાન જાતિ ઈશ્વરથી ડરનારી પાપભીરુ પ્રજા છે. તેઓ તેમની ધર્મશ્રદ્ધા પ્રમાણે વર્તે છે. તેથી એકતા માટે કોઈ પણ પ્રકારની શરત ન મૂકવી. હિંદુ-મુસલમાન એકતાની જે ચર્ચા ચાલી રહી હતી તે જોઈને ડૉ. બાબાસાહેબ આંબેડકરે અત્યંત તીખા શબ્દોમાં તે સમયે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. `હોશમાં હોય તેવો કોઈ પણ માણસ હિંદુ-મુસ્લિમ એકતા માટે આટલી નીચલી કક્ષાએ જઈ શકે ખરો?'
હિન્દુ મુસ્લિમ એકતા કહેવાથી મુસલમાન એક જાતિ અને હિંદુ પણ એક જાતિ એવો અર્થ સ્થાપિત થાય. સનાતન સત્યમાં દૃઢ વિશ્વાસ ધરાવતી વ્યક્તિ એટલે હિંદુ એવો અર્થ ઢંકાઈ ગયો. નીચેના શાસ્ત્રવાક્યોથી હિંદુનો મૂળ અર્થ ઉજાગર થાય છે.
(1) सर्वं खल्विदं ब्रह्म, (2) अखंड मंडलाकारं व्याप्तं एव चराचरम, (3) ईशावास्यमिदं सर्वं यत्किंचजगत्याम् जगत्, (4) तत्त्वमसि, (5) ‘एकम् सत् विप्राः बहुधा वदन्ति’)
નેતાજી સુભાષચંદ્ર બોઝ, યોગી અરવિંદના વિચારોનું કોંગ્રેસમાં કોઈ મહત્ત્વ રહ્યું નહીં. નેતાજી સુભાષચંદ્ર બોઝ કહે છે કે `ભારતીય સંસ્કૃતિમાં એવું કાંઈક છે જે વિશ્વાનમાનવ માટે અત્યાવશ્યક છે અને તેને સ્વીકાર્યા વગર વિશ્વસભ્યતા વાસ્તવિક ઉન્નતિ નહીં કરી શકે. એટલે ભારતે સ્વતંત્ર થવાનું છે. યોગી અરવિંદ કહે છે કે, India alone can lead the world to peace and new world order.
‘एकम् सत विप्राः बहुधा वदन्ती’આ સનાતન સત્ય વિશ્વને શાંતિ તરફ અને નવા વિશ્વની રચના તરફ લઈ જશે.
હિંસામુક્ત અને અહિંસાયુકત દુનિયા જોઈતી હશે તો આ સત્ય સમાજમાં સ્થાપિત થવું અત્યાવશ્યક છે. આ કાર્ય હિંદુ કરી શકશે કે મુસલમાન? પણ હિંદુ જેઓ ભારતમાં જ માત્ર એક જાતિ તરીકે ઓળખાવા લાગ્યો. દરેક વાતમાં મુસલમાનોનો સંદર્ભ આપીને હિંદુઓનો વિચાર થવા લાગ્યો.
અખિલ ભારતીય કોંગ્રેસે ૧૯૩૧માં રાષ્ટ્રધ્વજ નિશ્ચિત કરવા એક સમિતિની નિયુક્ત કરી. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ, માસ્ટર તારાસિંગ, ડોક્ટર પટ્ટાભી સીતારામૈય્યા, આચાર્ય કાકાસાહેબ કાલેલકર, ડૉ. ના.સુ. હર્ડીકર એમ સાત સભ્યો હતા. તે સમિતિએ હિન્દુસ્તાનની સંસ્કૃતિ અને પરંપરાના આધારે એક જ રંગનો એટલે કે કેસરી રંગનો ધ્વજ હોવો જોઈએ એવો નિર્ણય જાહેર કર્યો. આ નિર્ણયની પુષ્ટિ કરવા તેમણે આ પ્રમાણે સ્પષ્ટ્રીકરણ આપ્યું. બધા ભારતીયોનો ઉલ્લેખ કરવામાં આવે તો સર્વસંમતિ પ્રાપ્ત થાય એવો આ કેસરી રંગ છે. બીજા રંગો કરતાં આ વધારે સ્વતંત્ર રંગ હોવાથી દેશને તેની પૂર્વ પરંપરાને કારણે વધુ પોતીકો લાગે છે. માત્ર હિંદુ કોમ અને મુસલમાન કોમ એવો વિચાર શરૂ થવાથી ભગવો રંગ માત્ર હિન્દુઓનો રંગ છે એમ માનવામાં આવ્યું.
ધ્વજ સમિતિએ પ્રસ્તાવિત કરેલ (કેસરી ધ્વજ) દેશના ધ્વજ તરીકે ગાંધીજીએ માન્ય કર્યો હોત તો દેશનું ભારત-પાકિસ્તાન રૂપે વિભાજન ન થયું હોત.
(1 ) ‘एकम सत विप्राः बहुधा वदन्ती’એ સત્ય મુસ્લિમોએ પણ વ્યવહારમાં સ્વીકાર્યું હોત. ભારત દુનિયા માટે માર્ગદર્શક દેશ સિદ્ધ થયો હોત. વિભાજન પછી ઘણા મુસલમાનોએ પાકિસ્તાન કરતાં ભારતમાં રહેવાનું પસંદ કર્યું હોવા છતાં મુસ્લિમ માનસિકતા વિભાજન સમયની જ છે. ભારત એક રીતે પાંગળો થયો. એકતાનો સંદેશ છાતી ઠોકીને વિશ્વને આપી શકતો નથી.
માત્ર હિંદુ-મુસ્લિમ એકતા ઉપર ભાર મૂકવાથી મુસલમાનોમાં પોતે કંઈક વિશેષ છે, એવી ભાવના ઉત્પન્ન થશે અને અલગતાવાદી માનસિકતા તૈયાર થશે, એવી શંકા ડૉ. હેડગેવારજીએ ગાંધીજી સામે વ્યક્ત કરી હતી. સ્વતંત્રતા કરતાં હિંદુ-મુસ્લિમ એકતા વિષય મહત્ત્વનો થઈ ગયો. કથા, કીર્તન, સાહિત્ય, કવિતા વગેરેમાં હિંદુ શબ્દ વાપરવો એટલે જાણે કોઈ પાપ કરતા હોય એવું લાગવા માડ્યું. `મને ગધેડો કહેશો તો ચાલશે, પણ હિંદુ કહેતા નહીં' એવું કહેવડાવવામાં કેટલાક નેતાઓ ગૌરવ માનવા લાગ્યા. હું હિંદુ નહીં માનવ છું, એવુ કહેવડાવવાની ફેશન વધવા લાગી. હિંદુ શબ્દ જનમાનસની સ્મૃતિમાંથી નષ્ટ્ર થશે તો સ્વતંત્ર ભારતની ભયજનક સ્થિતિ ઊભી થશે એવો ભય સ્વાતંત્ર્યસેનાની ડૉ. હેડગેવારને લાગ્યો.
(2) ‘स्मृति भ्रंशात बुद्धिनाशः बुद्धिनाशात प्रणश्यति’ એ ગીતાવચન જેવી સ્થિતિ હિંદુ સમાજની ન થાય તેનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હોવો જોઈએ. હિંદુ જાગૃતિ સાચવનારા અને વધારનારા એક મૌન રીતે ચાલતા કામનો તેમણે પ્રારંભ કર્યો. આમાં એમનું સ્વાતંત્ર્યસેનાની તરીકેનું અસામાન્યત્વ દેખાઈ આવે છે. આ કામ વર્તમાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામે પ્રસિદ્ધ છે.
સંઘ એટલે એક કલાકની શાખા, ભગવો ધ્વજ લગાવવો, ધ્વજને બધાએ પ્રણામ કરવા, અને પછી શાખાના કાર્યક્રમ કરવાના, આ પદ્ધતિ પહેલા દિવસથી સ્વીકાર્ય હતી. ભગવા ધ્વજના દર્શનમાત્રથી હિંદુ તરીકેની જાગૃતિ ઉત્પન્ન થાય છે એવો અનુભવ થવા લાગ્યો. ભગવો ધ્વજ લગાવીને તેના સાંનિધ્યમાં લાગતી શાખાઓની સંખ્યા સતત વધવા લાગી.
સમાજના ગણમાન્ય લોકોને નિમંત્રિત કરીને સંઘની શાખા બતાવવાનો ઉપક્રમ ડૉ. હેડગેવારજીએ શરૂ કર્યો. દેશમાં વર્તમાનમાં ૮૦ હજારથી પણ વધુ સ્થાનો પર ભગવો ધ્વજ લગાવીને શાખા ચાલે છે. સંઘશાખાની ઓળખ ભગવા ધ્વજથી થાય છે. પૃથ્વીના છેડે ગમે ત્યાં સંઘશાખા હશે તો ત્યાં ભગવો ધ્વજ જ દેખાશે. હિંદુ કહેવડાવવામાં હવે શરમ નહીં પણ ગૌરવ અનુભવાય છે. હિન્દુત્વના ગૌરવ સાથે અનેક સંસ્થાઓ આજે કાર્યરત છે. આવી સંસ્થામાં મહિલાવર્ગ પણ મોટા પ્રમાણમાં સક્રિય છે. હિંદુ તરીકેની જાગૃતિ બધા વર્ગોમાં થાય એવો સંઘનો પ્રયાસ છે. વનપર્વતોમાં રહેતો બંધુ હોય, સમુદ્રકિનારે રહેનાર માછીમાર હોય, ઘરબાર વગરની ભટકતી જાતિ હોય ત્યાં બધે જ સંઘ શાખા પહોંચાડવાના પ્રયાસો ચાલુ જ છે. હિંદુજાગૃતિ જેમ જેમ વધશે તેમ તેમ તે વિચારો પર ચઢેલી ધૂળ ખંખેરાશે.
સંઘની શાખા એટલે હિન્દુત્વનો બોધ આપનારું સ્થાન. ધન્ય છે એ ભારતમાતા જેણે કેશવ બળિરામ હેડગેવાર જેવા નરરત્નને જન્મ આપ્યો.
***
લેખક – મધુભાઈ કુલકર્ણી
(વરિષ્ઠ પ્રચારક – રા.સ્વ.સંઘ)
અનુવાદ - જ્યોતિ ભાંડારી