સંઘગાથા - ૧ । દેવભક્તિ છે, દેશભક્તિ જોઈએ...

સંઘની શાખામાં કોઈ પણ દેવતા કે મહાપુરુષનો ફોટો કે પ્રતિમા મુકાતી નથી. કદાચ કોઈ મહાપુરુષની વિશેષ તિથિ શાખા દ્વારા ઉજવવાની હોય તો તે કાર્યક્રમ પૂરતો ફોટો મુકાય છે.

    ૧૦-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |

all about rss and shakha gujarati
 
 
વીસમા સૈકાનાં પહેલાં પચાસ વર્ષ સ્વાતંત્ર્યઆંદોલનથી ભરેલો કાલખંડ હતો. સંઘનિર્માતા ડૉ. હેડગેવાર અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની હતા. ક્રાંતિકાર્ય હોય, લોકમાન્ય ટિળકના હોમરૂલ લીગ માટે પૈસાફંડ ભેગું કરવાનું હોય, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલું અસહકાર આંદોલન હોય, ખાદીપ્રસાર હોય, સ્વદેશી ભંડાર ચલાવવાનો હોય, સ્વાતંત્ર્ય દૈનિકનું સંચાલન હોય એમ કોઈ પણ સ્વરૂપમાં ચાલતાં દેશકાર્યમાં તેમનો સહભાગ જોવા મળે છે.
 
બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વશાસનના નહીં પણ તેને બદલે સંપૂર્ણ સ્વાતંત્ર્યના તેઓ આગ્રહી હતા. ૧૯૨૦ના કોંગ્રેસ અધિવેશનમાં કાર્યસમિતિ પાસે મોકલેલા પ્રસ્તાવ પરથી તેમના હૃદયમાં સ્વાતંત્ર્ય માટે ધગધગતી આગ આપણા ધ્યાનમાં આવે છે. હિંદુસ્થાનનું પ્રજાસત્તાક નિર્માણ કરી વિશ્વના બધા દેશોને પૂંજીવાદી દેશની નાગચૂડમાંથી મુક્ત કરવા એ કોંગ્રેસનું ધ્યેય છે, એવો પ્રસ્તાવ કોંગ્રેસે સ્વીકારવો, એવી ડૉ. હેડગેવારજીની ઇચ્છા હતી. તે સમયે આવી અધિકૃત જાહેરાત કરવી એ કદાચ કોંગ્રેસ માટે હિતાવહ ન રહેત. ૧૯૨૧માં થએલી શિક્ષા વખતે તેમણે ન્યાયાલયમાં કરેલા બચાવના પ્રતિપાદનમાંથી તેમના મનમાં રહેલી સ્વાધીનતાની તીવ્રતા ધ્યાનમાં આવે છે. ખરેખર એવો કોઈ કાયદો છે ખરો કે, જેના દ્વારા એક દેશના લોકોને બીજા દેશના લોકો પર શાસન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે? પબ્લિક પ્રોસિક્યુટરને મારો આ પ્રશ્ન છે. શું આ વાત અકુદરતી નથી? અંગ્રેજોને હિંદુસ્થાનના લોકોને પગ તળે કચડીને તેમના પર શાસન ચલાવવાનો અધિકાર કોણે આપ્યો? જેમ ઇંગ્લૅન્ડના લોકો ઈંગ્લૅન્ડ પર, જર્મનીના લોકો જર્મની પર રાજ્ય કરે છે તેમ અમે હિન્દુસ્થાની લોકો હિન્દુસ્થાનમાં માલિક તરીકે રાજ્ય કરવા માગીએ છીએ. અમને સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઈએ છે અને અમે તે પ્રાપ્ત કરીને જ રહીશું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે ચાલી રહેલી બધા જ પ્રકારની પ્રવૃત્તિઓમાં સહભાગી થતી વખતે પણ એક મૂળભૂત પ્રશ્ન તેમને સતાવતો હતો. સ્વાતંત્ર્યપ્રાપ્તિ જેટલો જ તે મહત્ત્વનો છે એમ તેમણે લાગતું હતું. સ્વાતંત્ર્ય ગુમાવ્યું કેમ? જે ભૂલોને કારણે, જે ખામીઓને લીધે, સ્વાતંત્ર્ય ગયું તે ફરીથી પણ નહીં જતું રહે તેની શું ખાતરી? કોઈના પણ ધ્યાનમાં આવે તેવું એક મહત્ત્વનું કારણ એટલે દેશદ્રોહ, દગાબાજી.
 
સિંધના સમ્રાટ દાહીર, જેઓની મહાપરાક્રમી તરીકેની ખ્યાતિ હતી. તેઓ મહંમદ બિન કાસિમ સામેના યુદ્ધમાં પરાજિત થયા, કારણ તેમનો સેનાપતિ જ વિશ્વાસઘાત કરીને કાસિમને મળી ગયેલો એમ વાત છે. દિલ્હીના સમ્રાટ વીર પૃથ્વીરાજ ચૌહાણ આક્રમક મહંમદ ઘોરીને અનેકવાર હરાવ્યા; પછી તેનાથી હાર્યા કે તેમને પોતાના જ લોકો દ્વારા જાણીજોઈને હરાવવામાં આવ્યા? પરાક્રમી પૃથ્વીરાજના વેવાઈ અને માસીયાઈ ભાઈ જયચંદે વિશ્વાસઘાત કર્યો અને પૃથ્વીરાજને પકડાવી દીધા.
શત્રુ તો લાલચ આપશે જ કે, તેને મારીને તને સમ્રાટ બનાવીશ. સમ્રાટ બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી ઊઠી. શત્રુને દેશમાં પ્રવેશ મળી રહ્યો છે; એ વિચાર મનમાં જાગ્યો જ નહીં.
 
જો આ જ સ્થિતિ ચાલતી જ રહેશે તો પ્રાપ્ત થએલું સ્વાતંત્ર્ય ટકશે ખરું?
 
દેશભક્તિ એ થોડા લોકોનો જ ગુણ ગણાય છે એવું કેમ? પ્રત્યેક નાગરિક સ્વાભાવિક રીતે જ દેશભક્ત હોવો જોઈએ, દેશભક્તિ એ પ્રત્યેક નાગરિકનો પ્રાથમિક ગુણ ગણાવો જોઈએ. સ્વાતંત્ર્ય ટકાવવા માટે આ પ્રશ્ન મહત્ત્વનો છે. દેશદ્રોહની પરંપરા અટકાવવી જ જોઈએ. સ્વાતંત્ર્ય ગયું કેમ? એ પ્રશ્નથી કેશવનું મન અત્યંત અસ્વસ્થ થઈ ગયું હતું. તે તેમના કાકા આબાજી હેડગેવાર સાથે થએલા તેમના પત્રવ્યવહાર પરથી સ્પષ્ટ્ર ધ્યાનમાં આવે છે.
 
કોલકતાથી ડૉક્ટર બનીને કેશવ નાગપુર પાછો આવ્યો. સગાંસંબંધીઓમાં સ્વાભાવિક રીતે જ દવાખાનું, લગ્ન વગેરે વિષયોની ચર્ચા શરૂ થઈ. કાકા શ્રી આબાજીએ લેખિત જ પૂછપરછ કરી. લોકમાન્ય ટિળક, મહાત્મા ગાંધી, વીર સાવરકર, ડૉક્ટર મુંજે લગ્ન કર્યા પછી પણ સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિય છે જ, તારો ક્યારે લગ્ન કરવાનો વિચાર છે? કેશવે આપેલા જવાબમાંથી જ તેના મનમાં ચાલી રહેલી ગડમથલ આપણા ધ્યાનમાં આવે છે. કેશવ લખે છે, તમે કહો છો તે બધું સાચું જ છે, પણ મારા મનમાં એક પ્રશ્ન સતત ઘૂમરાયા કરે છે. આપણા જ લોકો દેશદ્રોહી બનવાથી જ આપણો પરાજય થયો અને આપણે ગુલામ બન્યા છીએ તેને અટકાવી શકાય નહીં? તે માટે જો હું કાંઈ કરી શકું તો મારી જાતને ધન્ય ગણીશ.
 
લગ્ન કરીને પણ સ્વાતંત્ર્યસમરમાં સક્રિય રહી શકાય છે તે આપની વાત સાચી જ છે, પણ મારા મનનું ઘડતર થોડું જુદું જ છે. આટલું ઘર માટે અને આટલું દેશ માટે એવી રીતે હું મનની વહેંચણી કરી શકીશ જ નહીં. લગ્ન નહીં કરવું એવું મેં નિશ્ચિત કર્યું જ છે. કૃપયા કરીને લગ્નની ચર્ચા થંભાવી દો. તેમના હૃદયની પ્રજ્વલિતતા તેમણે પ્રસંગોપાત્ત કરેલાં વક્તવ્યો પરથી સ્પષ્ટ્ર થઈ જ જાય છે.
 
૧૯૨૨ની ૧૮ માર્ચે મહાત્મા ગાંધીને ૬ વર્ષના કારાવાસની શિક્ષા થઈ. તેઓ કારાવાસમાંથી બહાર આવ્યા ત્યાં સુધી દર મહિનાની ૧૮ તારીખે ગાંધીદિવસ મનાવાતો.
 
એવા એક ગાંધીદિને ડૉક્ટરજીએ આપેલા વક્તવ્યમાંથી બે જ વાક્યો જોઈએ. મહાત્મા ગાંધી જેવા પુણ્યશ્લોક પુરુષમાં રહેલા સદગુણોનું શ્રવણ અને ચિંતન કરવાનો આજે દિવસ છે. મહાત્મા ગાંધીમાં પ્રકટ થતો સૌથી મહત્ત્વનો સદગુણ એટલે હાથમાં લીધેલાં કાર્ય માટે આત્યંતિક સ્વાર્થત્યાગ છે. મહાત્મા ગાંધીના અનુયાયી ગણાવું હોય તો પોતાનાં ઘર પર તુલસીપત્ર હોમીને રણમેદાનમાં ઊતરો. આવા વિચારોથી ડૉક્ટરજીનું હૃદય સતત ધગધગતું રહેતું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે બધા જ પ્રકારના પ્રયાસોમાં અગ્રેસર અને સક્રિય હતા ત્યારે જ તેમના મનમાં સતત આવતા વિચારો જોઈએ તો સ્વાતંત્ર્યસેનાની તરીકેનું તેમનું જુદું જ વૈશિષ્ટ્ય ધ્યાનમાં આવે છે.
 
૧. પૂર્ણ પ્રભાવી સંસ્કાર કર્યા સિવાય દેશભક્તિનું ટકાઉ સ્વરૂપ નિર્માણ થવું અશક્ય છે અને એવું સ્વરૂપ નિર્માણ ન થાય ત્યાં સુધી સામાજિક વ્યવહારમાં સચોટતા આવવી પણ શક્ય નથી.
 
૨. દેશભક્તિથી તરબોળ અને શીલ, ચારિત્ર્યથી સુશોભિત, ગુણવિકાસથી પ્રભાવી બનેલું, અસીમ સેવાભાવથી પોતે થઈને અનુશાસિત થયેલું જીવન જીવવા ઉત્સુક બનેલા ક્રિયાશીલ, કર્તૃત્વવાન તરુણો; લાખોની સંખ્યામાં ઊભા કરવા જોઈએ.
 
૩. સમાજમાં આજે જાગતા પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્નો તો અવશ્ય થવા જ જોઈએ, પણ આ ભયંકર પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવો હોય તો માત્ર કેટલીક પેઢીઓ સુધી રાષ્ટ્રીયત્વની દીક્ષા આપીને દેશહિત માટે જીવનભર જાગ્રત રહેનારા નાગરિકો આખા દેશમાં પ્રચંડ સંખ્યામાં ઊભા થવાની પરંપરા નિર્માણ થવી જોઈએ.
 
ડૉ. કેશવરાવ હેડગેવારના મનમાં સતત ચાલતા આ વિચારો પરથી સમજાય છે કે, મળેલું સ્વાતંત્ર્ય અબાધિત રહેવા માટે સમાજની કેવી સિદ્ધતા હોવી જોઈએ તેનો જ તેઓ સતત વિચાર કરતા હતા.
 
પહેલાં સ્વાતંત્ર્ય કે પહેલાં સમાજસુધારા? આ ચર્ચા પણ તે સમયે ચાલુ થઈ હતી. ડૉક્ટરસાહેબ એ ચર્ચામાં ઊતર્યા હોય એમ લાગતું નહોતું. Eternal vigilance is the price of liberty એવું એક અંગ્રેજી વાક્ય પ્રસિદ્ધ છે. Eternal vigilance કરતાં આવશ્યક ગુણોથી યુક્ત સમાજ કેવી રીતે ઊભો કરી શકાશે તેનો વિગતવાર વિચાર તેમણે કર્યો હતો એમ લાગે છે.
 
તેઓ માત્ર વિચાર કરીને અટકી ન ગયા, સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે ચાલેલી બધા જ પ્રકારની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતાં લેતાં પણ તેમણે આંદોલનો, ચળવળો વગેરેથી જુદું એવું કામ પ્રારંભ કર્યું.
 
રાષ્ટ્રીયતાની દીક્ષા આપીને વૈયક્તિક સ્વાર્થ અને મહત્ત્વાકાંક્ષાનો ભોગ ન બનનારો, રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત એવો આપણો સમાજ ઊભો થવો જોઈએ, એવું ડૉ. હેડગેવારજીને લાગતું હતું તે આપણે જોયું.
 
કેવળ વિચાર કરીને જ તેઓ અટક્યા નહીં, સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે ચલાવાઈ રહેલી સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતાં લેતા પણ તેમણે આંદોલનો, ચળવળો વગેરે બધાંથી જુદું એવું કાર્ય શરૂ કર્યું. આજે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નામે પ્રસિદ્ધ છે.
 
રાષ્ટ્રીયત્વની ભાવના સમાજમાં પ્રસ્થાપિત કરવા માટે કેટલીક પેઢીઓ સુધી કાર્ય કરવું પડશે એમ તેમનું મન તેમને કહેતું હતું. રાષ્ટ્રીયત્વની ભાવનાથી ભરેલા, દેશહિત માટે જીવનભર નિત્યજાગ્રત રહેનારા નાગરિકોની પરંપરા આખા દેશમાં ભારે મોટી સંખ્યામાં ઊભી કરવી જોઈએ, એવો ઉદ્દેશ્ય દૃષ્ટિ સમક્ષ રાખી તેમણે એક સાવ જુદા જ પ્રકારના કામને ગતિ આપી. (એ કામ એટલે તેમણે જે નિશ્ચિત કર્યું હતું તેવા સંગઠન) `રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'નો પ્રારંભ.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પરિચય એટલે સંઘની રોજ એક કલાક ચાલનારી શાખા છે. સંઘની શાખા એટલે દેશભક્તિનો સત્સંગ. પ્રત્યેક વ્યક્તિમાં દેશભક્તિનો પ્રાથમિક ગુણ હોવો જ જોઈએ, સમાજમનમાં અનુભવસિદ્ધ હોય તેવા સદવિચાર, સદાચાર એ પ્રમેયને તેમણે નવો આયામ જોડ્યો. સાધુસંત, સંપ્રદાય પ્રવર્તકો સત્સંગ માટે આવવાનું આવાહન કરતા હોય છે.
 
સત્સંગને લીધે વ્યક્તિના જીવનમાં સદગુણોની વૃદ્ધિ થાય છે. ઈશ્વરભક્તિ, દેવભક્તિ, ગુરુભક્તિ નિર્માણ કરનારા સત્સંગ સમાજમાં ચાલુ જ હોય છે. ઈશ્વરભક્તિ, દેવભક્તિ, ગુરુભક્તિની ઊણપ નથી, પ્રખર દેશભક્તિની ઊણપ છે. પૂર્ણ પ્રભાવી સંસ્કાર કર્યા વગર દેશભક્તિનું ટકાઉ સ્વરૂપ નિર્માણ થવું અશક્ય છે. આવું સ્વરૂપ નિર્માણ થતાં સુધી સામાજિક વ્યવહારમાં સચોટતા આવવી અઘરી છે. દેશભક્તિના પ્રભાવી સંસ્કારો થઈ શકે એવા સત્સંગની આવશ્યકતા છે. સંઘની પ્રત્યેક શાખા એટલે દેશભક્તિનો સત્સંગ, એ બાબતમાં ડૉ. હેડગેવારજીનું મૌલિક ચિંતન દેખાઈ આવે છે.
 
સંઘની શાખામાં કોઈ પણ દેવતા કે મહાપુરુષનો ફોટો કે પ્રતિમા મુકાતી નથી. કદાચ કોઈ મહાપુરુષની વિશેષ તિથિ શાખા દ્વારા ઉજવવાની હોય તો તે કાર્યક્રમ પૂરતો ફોટો મુકાય છે.
 
રોજની શાખામાં ફોટો નથી. સંઘનિર્માતા તરીકે ડૉક્ટર હેડગેવારનો પણ ફોટો નથી. શાખામાં સંઘ અમર રહે, ડૉ. હેડગેવાર અમર રહે, જય જગત વગેરે કોઈ ઘોષણાઓ થતી નથી. શાખામાં હનુમાનચાલીસા, નવગ્રહ સ્તોત્ર નથી. શાખા એટલે વિશુદ્ધ રાષ્ટ્રભક્તિ, માત્ર ભારત માતા કી જય, રાષ્ટ્રદેવો ભવ એ જ ભાવનાનો સંસ્કાર અપેક્ષિત છે.
 
મને શું મળશે તેના પર દેશભક્તિ અવલંબિત નથી. દેશભક્તિ સોદાબાજીનો વિષય બની શકતો નથી. એવા આશયના વિચારો ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંવિધાનસભામાં આપેલા છેલ્લા ભાષણમાં વ્યક્ત કર્યા છે. હવે આપણે બહુપક્ષીય લોકશાહી સ્વીકારીએ છીએ, પ્રત્યેક પક્ષ સત્તા પર આવવાનો પ્રયત્ન કરવાનો જ, પક્ષહિત અને રાષ્ટ્રહિત વચ્ચે પસંદગીનો પ્રશ્ન જ્યારે ઊભો થશે ત્યારે પ્રત્યેક પક્ષ રાષ્ટ્રહિતને જ પ્રાધાન્ય આપશે કે? એવો પ્રશ્ન મારા મનમાં ઊભો થાય છે. આટલા દીર્ઘ કાળખંડ પછી મળેલું સ્વાતંત્ર્ય આપણે ગુમાવી તો નહીં બેસીએ ને!
 
હું સૌ પ્રથમ ભારતીય, વચ્ચે ભારતીય અને છેલ્લે પણ ભારતીય. ભારત માટે બલિદાન આપવાનો સમય આવે તો હું પ્રથમ પંક્તિમાં હોઈશ. ભારતની એકતા પર કોઈ આઘાત કરી શકશે નહીં. There is a deep cultural unity in our society (that should be recognized by all).
 
તમે માર્કસવાદી હો, લોહિયાવાદી હો, ગાંધીવાદી હો કે આંબેડકરવાદી હો, રાષ્ટ્રવાદી હોવું મહત્ત્વનું છે. નેશન ફર્સ્ટ એવી ભૂમિકા પ્રત્યેક નાગરિકની હોવી જોઈએ એવો પ્રયાસ સંઘનો છે. જાપાનનું એક ઉદાહરણ ઘણી વાર સાંભળ્યું છે. એક પરિવાર જાપાનમાં પ્રવાસે જાય છે. રેસ્ટોરન્ટમાં જમતી વખતે વેઇટર બિલ પ્રમાણે પૈસા લે છે અને કહે છે, તમે થાળીમાં ભોજન છોડ્યું તે સારું ન કર્યું. ભારતીય કહે છે, તને પૂરા પૈસા મળી ગયા ને! હવે અમે ખાઈએ કે ન ખાઈએ તે અમારો પ્રશ્ન છે. જાપાની વેઇટર કહે છે, પૈસા તમારા છે પણ અનાજ તો દેશનું છે. આજે ૮૦,૦૦૦ કરતાં પણ વધુ દેશભક્તિના સત્સંગ ચાલુ છે. જલદી જ એક લાખ થાય તેવો પ્રયાસ છે. આવો સત્સંગ પ્રત્યેક ગામ કે વસ્તીમાં શા માટે ન જોઈએ? આવો એક મુદ્દાનો કાર્યક્રમ સંઘે ચલાવ્યો છે. પ.પૂ. સરસંઘચાલકજી રાજ્યોનો, પ્રાંતોનો પ્રવાસ કરે છે, કાર્યકર્તાઓની બેઠકો લે છે, બેઠકમાં આ જ વિચાર થાય છે. બધાં મંડલોમાં, બધી જ વસ્તીઓમાં શાખા શરૂ કરવા માટેની શું યોજના છે?
 
સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે સત્યાગ્રહ, તુરંગવાસ વેઠવાની તૈયારી, આવશ્યકતા હોય તો બલિદાન થવાની પણ તૈયારી હતી. સ્વતંત્ર ભારતમાં સમાજમાં કયા ગુણો જોઈએ તેનો પણ વિચાર કોઈએ કર્યો હોય તો તે માત્ર ડૉક્ટર હેડગેવારજીએ. આ જ તેમનું સ્વાતંત્ર્ય-સેનાની તરીકે અસામાન્ય તત્ત્વ છે. દેશ માટે જીવનારા નાગરિકો જોઈએ. દૈનંદિન વ્યવહારમાં દેશભક્તિપૂર્ણ જીવન જીવનારા, અનુશાસનનું પાલન કરનારા, પર્યાવરણપૂરક જીવનશૈલી ધરાવતા, ભેદભાવમાં ન માનનારા સ્વાભિમાની નાગરિકો જોઈએ. ‘क्रांतदर्शी केशवाने दिव्य स्वप्ना पाहिले‌’ (ક્રાંતદર્શી કેશવે દિવ્ય સ્વપ્નમાં જોયા) એવી એક કાવ્યપંક્તિ છે. આપણે પ્રારંભેલું કાર્ય સ્વતંત્રતાને અમૃતત્વ પ્રાપ્ત કરાવી દેનારું સિદ્ધ થશે એવો તેમનો પ્રબળ આત્મવિશ્વાસ હતો. તેઓ હંમેશાં કહેતા, `સંઘકાર્ય ઈશ્વરીય કાર્ય છે.'
 
***
 
લેખક – મધુભાઈ કુલકર્ણી
(વરિષ્ઠ પ્રચારક – રા.સ્વ.સંઘ)
 
અનુવાદ - જ્યોતિ ભાંડારી