વિખ્યાત કવિ-લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૭૫માં `વંદે માતરમ્'ની રચના કરી. ૧૮૮૨માં આ ગીત તેમની પ્રખ્યાત નવલકથા `આનંદમઠ'માં સમાવાયું.
આનંદમઠમાં સંન્યાસીઓ દ્વારા હાથ ધરાયેલ સ્વાતંત્ર્યસંગ્રામની વાત છે. આત્માના ઉદ્ધાર માટે નીકળેલા સંન્યાસીઓએ દેશના લોકોનો વિચાર કર્યો. આત્માનો ઉદ્ધાર સામાન્ય સ્થિતિમાં બરાબર છે, પણ વિપરિત પરિસ્થિતિમાં કે જ્યારે સમાજ ગુલામીમાં સબડી રહ્યો હોય ત્યારે આત્માના ઉદ્ધારનો વિચાર, એ માત્ર સ્વાર્થ છે... આવું મનમાં આવવું એટલું જ ક્રિયામાં આવવું, તેટલું જ નહીં, સામૂહિક રીતે ક્રિયામાં આવવું, તે અનુશાસનની એક અમાપ ઊંચાઈ છે. આવા અનુસાશનનું પ્રગટીકરણે `વંદે માતરમ્'ના મંત્ર સાથે દેશ આખાને ચૈતન્યયુક્ત કરી દીધો. અને પછી તો... `વંદે માતરમ્' માત્ર એક ગીત ન રહેતાં દેશવાસીઓનો સ્વાતંત્ર્ય-મંત્ર બની ગયું. હિન્દુસ્થાનની સ્વતંત્રતા માટે ઝઝૂમતા ક્રાંતિવીરોનો એ નારો બની ગયું. સ્વાતંત્ર્યની લડતને `વંદે માતરમે્' એક અનુશાસિત સ્વરૂપ આપ્યું. ક્રાંતિની મશાલને અનુશાસને પડવા ન દીધી.
`સાધના'નો આ પ્રજાસત્તાક દિન વિશેષાંક અનુશાસન વિષય પર પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે `વંદે માતરમ્'ની વાત રજૂ કરવા આ અંકથી ઉત્તમ નિમિત્ત બીજું કયું હોય!
વળી, આ `વંદે માતરમ્'ના અવતરણનું ૧૫૦મું વર્ષ ચાલી રહ્યું છે તે નિમિત્તે `વંદે માતરમ્'ની આત્મકથા પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ કથાની લેખમાળા પ્રજાસત્તાક દિનથી સ્વાતંત્ર્ય દિન સુધી અવિરત ચાલશે.
પ્રખ્યાત ચિંતક-લેખક શ્રી રંગા હરિજીએ આ કથા લખી છે. જેમાં `વંદે માતરમ્' સ્વયં એક વયોવૃદ્ધ નાનીમાનું પાત્ર છે અને પોતાની કહાની કહે છે. તો આવો, `વંદે માતરમ્'ની આ અનોખી આત્મકથા માણીએ...
જન્મદિવસની ભેટ
આરતી અને અરવિંદ દેવીમંદિરના પૂજારીનાં બાળકો છે. નાનાં, નિર્મળ અને ઉત્સાહી બાળકો. કમળ જેવી પ્રફુલ્લિત આંખોવાળાં. દરરોજ સાંજે બન્ને મારા મઠના પ્રાંગણમાં રમવા માટે આવે છે. એમની સાથે અન્ય બાળકો પણ હોય છે. બધાં જ નટખટ છે. એમનું એ નટખટ સ્વરૂપ બહુ સુંદર લાગે છે. એમને જોઈને મન ભરાઈ જાય છે. એ વખતે હું મારી વય ભૂલી જઉં છું. મનમાં એમની સાથે રમવાની આશા-ઇચ્છા જન્મે છે. ઘણી વાર તેઓ સાથે બેસીને ગીતો ગાય છે, તાળી દઈને તાલ આપે છે. આરતી ખૂબ સારું ગાય છે. એ પોતાના પિતા પાસેથી ગાતાં શીખી છે. એના પિતાને કોઈ ગુરુદેવે શીખવ્યું હતું.
થોડી વાર રમ્યા પછી બાળકો જતાં રહે છે. એમાંથી ક્યારેક વળી કોઈ બાળક મારી તરફ આવી જાય છે. આરતી તો મોટે ભાગે મારા ખોળામાં જ બેસે છે. `આ ધૂળમાં રગદોળાયેલાં નાનાં બાળકોના શરીરની સુગંધ લેવા માટે અનેક નછોરવી માતાઓ ઝંખતી હોય છે,' એ આશયની કાલિદાસની પંક્તિઓનું હું એ વખતે સ્મરણ કરું છું. હું પોતે એ વખતે ચોરીને માખણ ખાનારા કાનુડાને પ્રત્યક્ષ જોવાનું સદ્ભાગ્ય મેળવનાર કુરુરમ્મા (કેરળના ગુરુવાયુરના બાળકૃષ્ણની ભક્ત સાધ્વી) બની જઉં છું. મારા આંગણાની એ સાંજવેળાઓ ધન્ય થઈ ગઈ છે.
ઈશ્વરવંદના પછી જ્યારે હું આંગણામાં આવી ત્યારે મને આરતી અને અરવિંદ આવતાં દેખાયાં. બન્નેએ તાજું સ્નાન કરેલું છે, કપાળે ચંદનતિલક છે. બન્ને આનંદથી ગાતાં નાચતાં આવે છે. એમણે પાછળ હાથમાં કશુંક સંતાડ્યું છે. મારી પાસે આવતાં જ એમણે મારા હાથમાં પડીકું મૂકી દીધું.
મેં પૂછ્યું, `આ શું છે?' મીઠા અવાજે આરતી બોલી, `ત્રિરંગો ઝંડો'.... સ્વતંત્ર ભારતનો ઝંડો, કાલે પિતાજી અમારે માટે લઈ આવ્યા. વચ્ચે જ અરવિંદ બોલી ઊઠ્યો, `નાની, આજે આપણી સ્વતંત્રતાનો જન્મદિવસ છે, તમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ.' અરવિંદને પાછળ રાખી દઈને આરતી વળી બોલી, `આજે અરવિંદનો પણ જન્મદિવસ છે, આજે અમે મંદિર ગયાં હતાં, તમારે માટે પૂજાદ્રવ્ય પણ લાવ્યાં છીએ. અરવિંદે મને ફૂલ અને ચંદન આપ્યાં. મેં માથે ચંદન લગાવ્યું ત્યારે આરતીએ પૂછયું, `નાનીમા, તમારો જન્મદિવસ નથી?' તમારા જન્મદિવસે અમને પણ બોલાવજો. અમારે એની ઉજવણી કરવી છે. અને અમને ફળ તથા ખીર પણ જમાડજો.'
એ સાંભળતાં જ મારા હાથપગ પાણી પાણી થઈ ગયાં. મન ઉદાસ થઈ ગયું. હું કંઈ જ બોલી શકી નહીં. એ માસૂમ નિર્દોષ બાળકોને મેં પ્રેમપૂર્વક ઘેર પાછાં મોકલ્યાં.
મારી એકલતા હવે વધી ગઈ છે. મન અનેક ચિંતાઓ વડે ઘેરાયેલું છે. સ્વતંત્રતાનો જન્મદિવસ! અરવિંદનો જન્મદિવસ... દૂરથી કોઈ આવીને મારા કાનમાં કંઈક કહે છે. સીમાચિહ્ન (માઈલસ્ટોન) પર નજર કર્યા વિના જ હું ચાલતી રહી છું. પરંતુ હવે મને કોઈ એ સીમારેખામાં બાંધી દે છે. `નાનીનો શું જન્મદિવસ નથી?' એ પ્રશ્ન મારા મનમાં ગુંજારવ કરતો રહ્યો. આજ સુધી મેં એક પણ જન્મદિવસ ઊજવ્યો નથી. મને એ માટે અનુમતિ નથી. મેં કદી એ વિષે વિચાર્યું પણ નથી. જન્મ લેતી વખતે શું કોઈ જન્મદિવસ વિશે વિચારે છે? એ જાણવા માટે તો કોઈ બીજાને પૂછવું જોઈએ.
નાની વયે જ હું આનંદમઠમાં આવી ગઈ. મારો જન્મ ક્યાં થયો છે? અન્ય કોઈ સ્થાને જન્મ થયા પછી શું મારા પિતાજી મને મઠમાં લાવ્યા હતા? કે પછી મેં આનંદમઠમાં જ જન્મ લીધો છે? આ બાબતે ઘણા મતભેદ છે. લોકો બે પ્રકારના અભિપ્રાય વ્યક્ત કરે છે. એ જે હોય તે પણ મઠમાં જન્મદિવસ જેવું કંઈ નથી. અહીં વૈશાખી પણ નથી, વસંતપંચમી પણ નહી, શ્રાવણ પણ નહીં. અને સંક્રાંતિ પણ નહીં. મઠમાં માત્ર નિષ્ઠાપૂર્વકનો અવિરત કઠોર પરિશ્રમ જ હોય છે. ત્યાં આદર્શ અને સમર્પણની એક અખંડ જીવનધારા છે. સર્વસ્વને હોમી દેવાની તપસ્યા જ મઠની જીવનચર્યા છે.
આ જીવનસાધનાની એક તીર્થયાત્રા છે. સાધક અને તીર્થયાત્રીએ આગળ વધવાનું છે. પાછળ વળીને ક્યારેય જોવાનું નથી. મહાપ્રસ્થાન માટે આગળ વધેલો ધર્મપુત્ર (યુધિષ્ઠિર)... દેવતાત્મા (હિમાલય)ની ધવલશોભામાં મગ્ન થએલા આદિ શંકર! સમાધિ ગુફામાં સ્વયં પ્રવેશીને સમાધિસ્થ થએલા સંત જ્ઞાનેશ્વર! એ બધાં જ એનાં ઉદાહરણો છે. એ જ મઠની સંસ્કૃતિ છે.
પરંતુ આજનો અનુભવ વિચિત્ર છે, નવો છે. જે રીતે વિશ્વનાથ ગંગાધર તીર્થયાત્રીઓ પૈકી કેટલાકને ગંગોત્રી તરફ આકર્ષિત કરીને લઈ જાય છે, એ જ રીતે કોઈ અદૃશ્ય શક્તિ મને પાછળની તરફ ખેંચી રહી છે. હું યાદ કરવા માટે વિવશ થઈ રહી છું. ઘટનાઓનું રંગબેરંગી ઇંદ્રધનુષ મારી આંખ સામે નાચી રહ્યું છે.
મારા જન્મસમયનો જમાનો
મારો જન્મ ૭ નવેમ્બર, ૧૮૭૫ના દિવસે થયો. આજે ભારત સ્વતંત્ર થયાને ૭૫ વર્ષ વીતી ચૂક્યાં છે. મારો જન્મ થયાંને ૧૫૦ વર્ષ થઈ ગયાં છે. નવ ગ્રહો દ્વારા જાણીતા શનિ, શુક્ર વગેરે બધી દશાઓમાંથી પસાર થઈને બ્રહ્મા દ્વારા નિશ્ચિત વય પૂરી કર્યાને ચાર વર્ષ વીતી ગયાં છે, દેશવાસીઓ માટે એ એક લાંબો સમયગાળો છે, જ્યારે ભારત જેવા પ્રાચીન રાષ્ટ્રની જીવનધારામાં, અનેક યુગોથી વહી રહેલા આ સનાતન દેશના જીવનપ્રવાહમાં એ એક ક્ષણમાત્ર છે. એમ છતાં જીવનસંઘર્ષમાં આગળ ધપેલા લૌકિક માનવે પુલ બાંધીને અનંત કાળપ્રવાહને વિભાજિત કર્યો છે. આપણી માતૃભૂમિને સ્વતંત્રતા પૂર્વ અને સ્વતંત્રતા પછીના સમયમાં વહેંચી દેવામાં આવી. લક્ષ્ય સુધી પહચવા માટે માર્ગમાં સીમાનો પથ્થર સ્થાપિત કરનારા માનવસમાજની એ પ્રવૃત્તિને પણ આપણે ખોટી ન ઠેરવી શક્યા. વ્યાવહારિક દૃષ્ટિએ એ બરાબર છે.
આરતી અને અરવિંદનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો છે. મારો જન્મ થયો એ ગુલામીના યુગમાં... ગુલામી સામેના સંઘર્ષના યુગમાં...
મારી પવિત્ર માતાને પ્લાસીની રણભૂમિ પછી બંધનમાં જકડાયાંને બસો વર્ષ કરતાં પણ વધુ સમય વીત્યા પછી મારો જન્મ થયો. સુહાસિનીનું સુંદર વદન જોવાની તથા સુભાષિણીની વાણી સાંભળવાની તકથી વંચિત, મારી પહેલાંનાં ચાર-પાંચ દશકોનાં જન્મ અને મૃત્યુ થઈ ગયાં છે. સુજલ, સુફલ શસ્ય શ્યામલ ધરતીમાં આત્યંતિક શોષણને કારણે કૃત્રિમ દુકાળ થઈ ગયો. એ દુકાળને કારણે બંગભૂમિનાં સંતાનો દુઃખી થઈ ગયાં. અંગ્રેજોએ બંગદેશને પોતાની સત્તાનું કેંદ્ર માની લીધું. કાલીઘાટ (કોલકતા) એમની રાજધાની બની ગઈ. કાલિઘાટનું કોલકતા નામાંતરણ પણ એમણે જ કર્યું હતું.
આ કેવો ચમત્કાર છે? દુનિયામાં કદાચ અન્યત્ર ક્યાંય આમ બન્યું નહીં હોય. વેપારના હેતુ સાથે કંપની રજિસ્ટર કરવા માટે આવેલા, ભાગ્યની શોધમાં નીકળેલા લોકો એક સર્વસંપન્ન મહાન રાષ્ટ્રના રાજ્યકર્તા બની ગયા જેની એ લોકો કલ્પના પણ કરી શકતા નહોતા. એ માટે એમણે યુદ્ધ કર્યું નહીં, એમને અનાયાસે જ બધું પ્રાપ્ત થઈ ગયું. દેશવાસીઓને એમણે નોકર બનાવ્યા. આપણા પોતાના ધન વડે, આપણી પોતાની માનવશક્તિ વડે એમણે આપણને અધીન બનાવીને રાજ્ય ચલાવ્યું. પવનની શક્તિ વડે વહાણ હંકારવાના એ જમાનામાં એમણે હવા વડે જ આપણને બાંધી દીધા. આપણને વગર દોરડે બંધનમાં મૂકી દીધા. આ કથા વિશે વિચાર કરતી વખતે રશિયાના પ્રસિદ્ધ દાર્શનિક લિયો ટૉલ્સ્ટૉયની `ધ હિંદુ'માં લખેલા લેખની કેટલીક પંક્તિઓ યાદ આવી જાય છે. `એક વેપારી કંપનીએ ૨૦ કરોડની જનસંખ્યાવાળા રાષ્ટ્રને ગુલામ બનાવી દીધું. બુદ્ધિ, સિદ્ધિ અને આઝાદીની ઇચ્છા ધરાવતા કરોડો લોકોને માત્ર ત્રીસ હજાર સામાન્ય લોકો પોતાને આધીન બનાવી ગયા, એ શેનો સંકેત છે? હા, અંગ્રેજોએ નહીં, ભારતના લોકોએ જ ભારતને ગુલામ બનાવ્યું છે!' ભગવાને કુરુક્ષેત્રની રણભૂમિમાં યોગ્ય જ કહ્યું છે - હું જ મારો બંધુ અને હું જ મારો શત્રુ છું.