પ્રકરણ – ૧૦ । `વંદે માતરમ્' બોલનારને ઘોડી સાથે બાંધી ચાબૂક મારવામાં આવતા
બારિસાલ ઢાકા જેવું મોટું શહેર નહોતું. પોતાની સફળતાનાં બણગાં ફૂંકવા માટે દુઃસાહસ કરી બેસનારા શાસકોનો ધીરજથી સામનો કરવાની પરંપરા આ શહેરની વિશેષતા છે. એક વિરોધ સભામાં યુવકોએ લૉર્ડ કર્જનનું પૂતળું બાળ્યું હતું.
૦૭-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |
હિંદુ પશ્ચિમ બંગાળ ભલે ગમે એટલું નારાજ હોય પરંતુ મુસ્લિમ પૂર્વ બંગાળ અમારી સાથે છે એ દર્શાવવા માટે જિલ્લા પદાધિકારીઓ સક્રિય થઈ ગયા. એ દિશામાં જરૂરી પગલાં ભરવા માટે એમને ગુપ્ત આદેશ પણ મળ્યો હતો. એ સંદર્ભે નવેમ્બર, ૧૯૦૫ના દિવસે પહેલો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો. માઈમનસિંહ રંગપુર નોઆખલીના પદાધિકારીઓએ પણ પ્રતિબંધનો આદેશ બહાર પાડ્યો હતો. એ પછીના દિવસે મેજિસ્ટ્રેટની અદાલતમાં એક લાકડાની ઘોડી લાવવામાં આવી. મારું નામ લેનારને એ ઘોડી સાથે બાંધીને બરડા પર ચાબુક મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એ ઉપરાંત લોકોને ડરાવવા માટે લશ્કર પણ બોલાવવામાં આવ્યું હતું. લોકોની આંદોલનની ભાવના દબાવી દેવાનો આદેશ પણ સૈન્યને આપવામાં આવ્યો હતો. લશ્કર પાછળ થનારો ખર્ચ પણ પોતે ભોગવવો ન પડે એટલે લુચ્ચા અંગ્રેજોએ એક નવી યુક્તિ અપનાવી અને જાહેર કર્યું કે, સૈન્યનો બધો જ ખર્ચ એ જ પ્રદેશના વેપારીઓએ ભોગવવાનો છે. સૈનિકો દ્વારા ખરીદાયેલા સામાનની કિંમતના પૈસા વેપારીઓએ લેવાના નહોતા. સરકારે પણ એ સંબંધિત એવો આદેશ બહાર પાડ્યો હતો. શું કહી શકાય? બધી ભગવાનની માયા છે. એક સમય હતો. જ્યારે એ વેપારીઓએ આ મહાન રાજ્યકર્તાઓની પ્રશંસા કરી હતી. અને હવે આ નિર્ણય!
બારિસાલના પ્રશાસકીય પદા-ધિકારીએ તરત જ દેશી ગ્રામમુખીઓને પોતાના કાર્યાલયમાં બોલાવ્યા અને અચાનક વીજળીની જેમ એમના પર તૂટી પડ્યો, તમે લોકો પીઠ પાછળ `વંદે માતરમ્' બોલવાની પ્રેરણા આપો છો. હું બધું જ જાણું છું. આ બધાં તમારાં જ કરતૂતો છે, યુઝલેસ, વર્થલેસ, મેં ગુરખાઓને તમારા વિશે બધી માહિતી આપેલી છે. અહીંથી હવે ભાગો અને પંદર દિવસ સુધી તમારો પડછાયો પણ અહીં ન દેખાવો જોઈએ. હવે જો કોઈ ઘટના થશે તો ગુરખાઓ પોતાને મનફાવે એ પગલાં લેશે. તમારું ગમે તે થાય, મારી કોઈ જવાબદારી નહીં રહે. જાવ ભાગો હવે. સાહેબને આટલા ગુસ્સે થવાનું શું કારણ હતું? પરંતુ એની અસર થઈ ખરી. ત્રણ-ચાર દિવસ પછી એ મુખીઓના કામકાજ માટે ધન્યવાદ આપતો જાહેર પ્રસ્તાવ સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યો હતો.
પરંતુ આ એવી પુણ્યભૂમિ છે જ્યાં અસુરના ઘરમાં પ્રહ્લાદનો જન્મ થયો હતો. અંગ્રેજોની દુષ્ટ્રતા સામે ભારતના યુવાનો ઘૂંટણિયે પડ્યા નહીં. રંગપુર જિલ્લા વિદ્યાલયના હોનહાર વિદ્યાર્થીઓને મુખે મારું નામ વારંવાર ઉચ્ચારાતું રહ્યું. તેઓ ગાતા, નાચતા એનું રટણ કરતા હતા. એ જોઈને બધું ભૂલી જઈને અધ્યાપકો પોતે પણ એમાં સામેલ થઈ ગયા. બીજે દિવસે મુખ્યાધ્યાપકે ત્રણ વિદ્યાર્થીઓને ઘોડી સાથે બાંધીને માર માર્યો. એ માટે શાળાના મુખ્ય ગુરખા ચોકીદારને આદેશ આપવામાં આવ્યો હતો. અત્યારે મને મારા દેશના કવિ રવીન્દ્રનાથ ઠાકુરની બે પંક્તિઓનું સ્મરણ થાય છે. એક કઠિયારાની કુહાડીએ વૃક્ષને પ્રાર્થના કરી કે મને એક લાકડું આપ અને વૃક્ષે એ આપ્યું.
શાળાના વિદ્યાર્થીઓ શાંત ન રહ્યા. એમને એમના વડીલોનું સમર્થન પણ મળી રહ્યું હતું. ઢાકાના કિશોરગંજ સ્કૂલના મુખ્યાધ્યાપકે દંડ કરવાને બદલે કોરડા મારવાની શિક્ષા કરી. ઉપરાંત દરેક વિદ્યાર્થીએ પાંચસો વાર એ લખવાનું હતું કે `વંદે માતરમ્ બોલવું એ મૂર્ખતા છે.' પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને આવી શિક્ષા કરવાનું પરિણામ શું થયું? નાના બાળકોએ ૫૦૦ વાર મારું નામ લીધું. એ નિર્દોષ બાળકે શિક્ષા કરાયેલું વાક્ય કાગળની ટોચે લખ્યું અને નીચે ૫૦૦ વાર `વંદે માતરમ્'લખ્યું. આપણી આસ્થા છે કે જીવનની અંતિમ ક્ષણોમાં નારાયણ મંત્રના ઉચ્ચારણથી ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. એ જ આપણો ધર્મ છે. મુખ્યાધ્યાપકે કદાચ એવો વિચાર નહીં કર્યો હોય. પાંચસો વાર માતાની વંદના કરવામાં આવી. એ બાળકો પર કેટલા સરસ સંસ્કાર થયા હશે? એમના હાથે કેટલું પુણ્ય અર્જિત થયું હશે?
પૂર્વ બંગાળનાં લગભગ બધાં વિદ્યાલયોમાં એની લહેર પહોંચી. દરેક જગ્યાએ અધિકારીઓએ પોતાની ઇચ્છા મુજબ કાર્યવાહી કરી. બાનફુલ્લરના આદેશથી અનેક વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
***
બંગભંગ વિરોધ આંદોલનના નેતાઓ માત્ર ભાવનાઓ કે કલ્પનાની દુનિયામાં ચૂપ બેઠા રહેનારા નહોતા. શાળા-કૉલેજનો બહિષ્કાર કરવાનું આહ્વાન કરીને તેઓ ચૂપ બેઠા નહીં. વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે તેઓ ઘણા ચિંતિત હતા. એમણે એ તરફ ધ્યાન આપ્યું. વિભાજનની ઘોષણાના બરાબર એક મહિના પછી ૧૬ ડિસેમ્બરના દિવસે નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનની સ્થાપના કરવામાં આવી. સાહિત્ય અને વિજ્ઞાનનો અભ્યાસ, ટેકનિકલ શિક્ષણ, સ્વદેશની પૃષ્ઠભૂમિમાં અહીંનું તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ વગેરેનો અભ્યાસ, પશ્ચિમના ઉન્નત વિચારો આત્મસાત્ કરવા, વિદ્યાર્થીઓમાં માતૃભૂમિ પ્રત્યે નિર્મળ પ્રેમ તથા સેવાની ભાવના પેદા કરવી, વગેરે એ કાઉંસિલનાં ધ્યેયકાર્યો હતાં. ૧ જૂન, ૧૯૦૬ના દિવસે સરકારી નિયમાનુસાર એની નોંધણી કરવામાં આવી. એના અઢી વર્ષ પછી ૧૪ ઑગસ્ટના દિવસે બંગાળ નેશનલ કૉલેજ શરૂ કરવામાં આવી હતી. એ જ કૉલેજમાં માત્ર ૨૫ રૂપિયા પગાર લઈને શ્રી અરવિંદ ઘોષે પ્રાચાર્ય તરીકે સેવા આપી હતી. એ પછી ઘણી શાળાઓ તથા કૉલેજોની સ્થાપના થઈ. કાઢી મુકાયેલા વિદ્યાર્થીઓને એમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
નિયમાનુસાર કાર્યરત એ શૈક્ષિક સંસ્થાઓ વિરુદ્ધ એ સામ્રાજ્યવાદી સરકાર કંઈ ન કરી શકી. એ પછી એ સંસ્થાઓએ સામ્રાજ્યવાદના અંત માટે અથક, નિરંતર કાર્ય કર્યું. એ સંસ્થાઓ ક્રાંતિકારીઓનો અડ્ડો બની ગઈ. એ સંસ્થાઓ પૈકી એક મેડિકલ કૉલેજમાં ભણીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારે ચિકિત્સા શાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કરી હતી.
એ રાષ્ટ્રીય સ્કૂલો તથા કૉલેજોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ તથા એમના માતાપિતાનું નવયુગનું સ્વાગત કરતાં મુખ્ય પ્રવેશદ્વાર પર સુંદર રીતે મારું નામ લખવામાં આવ્યું હતું. પ્રાચીન ગુરુકુળ શિક્ષણમાં ઉપનિષદના મંત્રોના ઉચ્ચારણ સાથે શિક્ષણની દીક્ષા અપાતી હતી. કાઉન્સિલના વિદ્યાલયોમાં એ મહિમાવંતુ સ્થાન મને મળ્યું હતું. અધ્યાપક અને વિદ્યાર્થીઓ બધા જ સંપૂર્ણ `વંદે માતરમ્' ગાતા હતા.
***
વિભાજિત બંગાળના આકાશમાં અંગ્રેજોની આશાઓ પર પાણી ફેરવનારાં કાળાં વાદળાં છવાઈ ગયાં. લોકો બિહૂની રાહ જોતા હતા. અમે બંગવાસીઓ માટે મેષ સંક્રમણ અર્થાત્ બિહૂનો દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. સાંભળ્યું છે કે આસામ, કેરળ તથા નેપાળના લોકો માટે પણ બિહૂ મહત્ત્વનો દિવસ છે. અમારું તો એ દિવસે નતૂન વર્ષ શરૂ થાય છે. એ શુભ દિવસે બંગાળનાં દુઃખો બહારના લોકોને જણાવવા માટે તથા એના ઉપાય શોધવા માટે એક મહાસંમેલન આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મહાસંમેલનમાં દુઃખો દૂર કરવાના તથા રાષ્ટ્રની મુક્તિ માટેના શપથ લેવાના હતા.૧૪-૧૫ એપ્રિલ, ૧૯૦૬ એમ બે દિવસનું એ સંમેલન હતું. સંમેલનના સ્થાન તરીકે બારિસાલ શહેરની પસંદગી થઈ. બારિસાલ બંગાળની અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી તથા રવીન્દ્રનાથ બાબુની વાર્તાઓ દ્વારા જાણીતી બનેલી પદ્મા
અને મેઘના નદીનું સંગમસ્થાન એવું સુંદર શહેર છે.
બારિસાલ ઢાકા જેવું મોટું શહેર નહોતું. પોતાની સફળતાનાં બણગાં ફૂંકવા માટે દુઃસાહસ કરી બેસનારા શાસકોનો ધીરજથી સામનો કરવાની પરંપરા આ શહેરની વિશેષતા છે. એક વિરોધસભામાં યુવકોએ લૉર્ડ કર્જનનું પૂતળું બાળ્યું હતું. અશ્વિનીકુમાર દત્ત ત્યાંના લોકનેતા હતા. બારિસાલના વ્રજમોહને સંસ્થાના વિદ્યાર્થીઓને ભેગા કરીને એક સંઘ શરૂ કર્યો હતો. એ સિવાય કોલકતામાં કાર્યરત `વંદે માતરમ્' સંપ્રદાયની એક શાખા બારિસાલમાં પણ શરૂ કરી હતી. ખાણ અભિયંતા (ઇજનેર) રમાકાંત રાય એના પ્રમુખ હતા. સંપ્રદાયના મોટા ભાગના સ્વેચ્છાસેવકો `વંદે માતરમ્ વિરોધ પત્ર'ને ન માનવાના કારણસર વિદ્યાલયમાંથી કાઢી મુકાએલા વિદ્યાર્થીઓ હતા. ધીરજ ગુમાવી બેઠેલા પોલીસકર્મીઓએ આસુરી શક્તિનો ઉપયોગ કર્યો, પરંતુ દૃઢતાપૂર્વક એનો સામનો કરવામાં આવ્યો. એ વીરોનો ત્યાંના લોકો આદર સત્કાર કરતા હતા. એ યુવકો મનઃપૂર્વક દૃઢતાપૂર્વક, લક્ષ્ય સાધ્ય કરવાની જવાબદારી સાથે સ્વયંસેવક બનીને આગળ આવ્યા. અશ્વિની દત્ત એક સારા કવિ પણ હતા. એમણે સંમેલનનું નિમંત્રણપત્ર એક ગીત સ્વરૂપે લખ્યું હતું...
આવો રે સૌ ભારતવાસી,
આવો બધા મળીને
નમન કરીએ ભારતમાતાને
ચરણકમળે.
આવો રે આવો મુસલમાન ભાઈ
આ જ માટીનો મારો શ્રીરામ,
આ જ માટીનો
તારો અકબર..
આ નિમંત્રણગાન ગામેગામના યુવકોનાં મુખેથી પ્રચારગીત તરીકે ગુંજી ઊઠ્યું.
બીજી તરફ લેફ્ટનન્ટ ફુલ્લર પણ ચૂપ બેઠો નહોતો. એ શકુનિએ લોકોમાં આપસમાં સ્પર્ધા તથા સાંપ્રદાયિક તોફાનો ઊભાં કરીને વાતાવરણને દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અશ્વિનીકુમાર દત્તના પ્રભાવને કારણે એ એમાં સફળ થઈ શક્યો નહીં. ષડયંત્ર જ્યારે નિષ્ફળ રહ્યું ત્યારે એણે સત્તાનો દુરુપયોગ શરૂ કર્યો. એક તાત્કાલિક આદેશ આપીને બારિસાલના બધા લોકોનું બંદૂકનું લાઇસન્સ એણે રદ કરી દીધું. બીજા દિવસે લાઇસન્સ વગરની બંદૂકો એણે જપ્ત કરી લીધી. લાઠી અથવા નેતરની લાકડી પણ ગેરકાયદે માનવામાં આવી. શહેરમાં ૬૦૦ ગુરખા ઉતારવામાં આવ્યા. એમણે ગલી ગલીમાં ફ્લેગ માર્ચ કરી. સરકારની આડેધડ કૃતિ જોઈને `ઇંડિયન એમ્પાયર'એ સંમેલનના ચાર દિવસ પહેલાં એટલે કે ૧૦ એપ્રિલના દિવસે ચેતવણી આપી હતી. વાસ્તવમાં એ ચેતવણી નહીં, એક આહ્વાન હતું, ઉદબોધન હતું. `સમય આવી ગયો છે કે લોકો એ વિચારે કે, યાચકની મનઃસ્થિતિ છોડીને રાષ્ટ્રીય ઇચ્છાના સાક્ષાત્કાર માટે જમણો હાથ ઉઠાવવો કે નહીં, દીન થઈને યાચના કરવાથી અનુકંપા તો મળશે, પરંતુ એ સ્વાભિમાનનું લક્ષણ નથી. હવે આપણે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે કે, જાનવરોની જેમ અધીન થઈને કામ કરવું છે કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો છે.'
વાસ્તવમાં `ઇંડિયન એમ્પાયરે' દેશવાસીઓનો વિચાર વ્યક્ત કર્યો હતો. સરકારની નારાજીથી લોકો ગભરાયા નહીં. લોકોની પ્રતિક્રિયા ચરમસીમાએ પહોંચી. સરકારે લીધેલાં પગલાંને એમણે કોઈ મહત્ત્વ આપ્યું નહીં. એમની રાષ્ટ્રીયતાની ભાવના ચરમ સીમા પર પહોંચી ગઈ હતી. લોકોનો આશીર્વાદ, જવાબ, આહ્વાન, શ્વાસ, પ્રાણ બધું જ હું હતી. શું વરસાદ જિલ્લાધિકારીને પૂછીને વરસે છે? શું એને પૂછીને વાદળાં ગર્જે છે? લોકોના હૃદયાકાશમાંથી ભાવનાની વર્ષા થઈ રહી અને સરકારે અંતિમ પગલું લીધું.
સંમેલન શરૂ થવા માટે હવે માત્ર ૪૮ કલાક બાકી હતા. એવી ઘોષણા થઈ ગઈ કે સંમેલનના પ્રતિનિધિઓના સ્વાગત માટે `વંદે માતરમ્' શબ્દ બોલવાની મનાઈ છે. શેરીમાં ભેગા થયેલા લોકો એ સાંભળીને હસી પડ્યા. ઘરમાં બેસીને મહિલાઓ પણ મોં ઢાંકીને હસવા લાગી.
અશ્વિની બાબુની પ્રતિક્રિયા પણ એવી જ હતી. એમણે સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરી. એ બાબતે ચર્ચા કરી. ગમે તે કરીને પણ સંમેલનનું આયોજન કરવાનું નક્કી કરીને સ્વાગત કરતી વખતે `વંદે માતરમ્' ન બોલવાની સમજૂતી થઈ.
બિહૂનો આગલો દિવસ હતો, ૧૩ એપ્રિલ, શુક્રવાર. ખુલના તથા નારાયણ પ્રાંતમાંથી પ્રતિનિધિઓનું પહેલું જૂથ જહાજ દ્વારા બારિસાલને કિનારે પહોંચ્યું. સેંકડો લોકોનું સ્વાગત કરવા માટે અશ્વિનીબાબુ જહાજ પર ચઢ્યા. તરત જ જહાજમાંથી `વંદે માતરમ્'નો ધ્વનિ કાને પડ્યો. પરંતુ કિનારા પરથી એની કોઈ પ્રતિક્રિયા થઈ નહીં. પ્રતિનિધિઓને કંઈ સમજાયું નહીં.
અશ્વિનીબાબુએ જ્યારે પ્રતિબંધની વાત કરી ત્યારે તેઓ અચંબામાં પડ્યા. થોડી જ વારમાં જહાજમાંથી ક્રોધિત સ્વર સંભળાયો. `ઝંડા વગરનું કેવું યુદ્ધ?' એક અન્ય વ્યક્તિએ ક્રોધ પ્રકટ કર્યો, `એમ હોય તો પછી અમે અહીં ઊતરીએ જ શા માટે?' અન્ય એક વ્યક્તિએ કહ્યું, `તો શું અમે પાછા જઈએ?' એક પ્રતિનિધિએ કહ્યું, `એ ઠીક નથી, એને માટે કોઈ ઉકેલ શોધવો પડે.'
લોકો ધાંધલ મચાવવા લાગ્યા. શોરબકોર વધતો ગયો. અશ્વિનીબાબુએ એમને શાંત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ સુરેંદ્રનાથ બેનર્જીના આવતાં સુધી જહાજમાં જ બેસવાનો એ દેશપ્રેમીઓએ નિર્ણય કર્યો.
એમ કરતાં સાંજ પડી. ઢાકાથી સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, કૃષ્ણકુમાર મિશ્ર, અબ્દુલ રસૂલ તથા એમનાં અંગ્રેજ પત્ની વગેરે ત્યાં પહોંચી ગયા. અશ્વિનીબાબુએ લોકોને સમજાવ્યા. સરકાર સાથે થયેલી સમજૂતીની વાત એમને જણાવી. એ સાંભળીને કૃષ્ણકુમાર મિશ્ર ક્રોધથી રાતાપીળા થઈ ગયા. એમણે કહ્યું, `વંદે માતરમ્' નહીં તો હું નહીં.' અમૃતબજાર પત્રિકાના સંપાદક મોતીલાલ ઘોષે ઉત્તેજિત સ્વરે કહ્યું, `મારો શિરચ્છેદ કરે તો પણ `વંદે માતરમ્' છોડવાનો પ્રશ્ન જ નથી. શચીન્દ્રબાબુ પણ ક્રોધિત થઈ ગયા હતા. બસ એક હુંકાર. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહીં પણ એમની આંખો લાલ થઈ ગઈ. એ ક્રાંતિકારીઓને શાંત કરવાની જવાબદારી સુરેન્દ્રબાબુ પર આવી ગઈ. એમણે શાંત સ્વરે બધી વાતો સારી રીતે સમજાવી અને બધાને એ વાતની જાણ કરાવી કે, `નેતાઓનું વચન પાળવું એ આપણા સૌનું કર્તવ્ય છે એટલે આપણે એનાથી બંધાયેલા છીએ.' એમણે અશ્વિની બાબુના દૃઢનિશ્ચય તથા મુશ્કેલી વિશે પણ બધાને જણાવ્યું. એમની લાંબી સમજાવટ પછી વાતાવરણ શાંત થયું. બારિસાલ તટની આંધી ધીમે ધીમે શમી ગઈ. બધા પ્રતિનિધિઓ જહાજમાંથી ઊતરીને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
એ પછીના દિવસના કાર્યક્રમ વિશે વિચારણા માટે રાત્રે નેતાઓની બેઠક થઈ. રવીન્દ્રબાબુ, અરવિંદ ઘોષ, બ્રહ્મબાંધવ ઉપાધ્યાય, આનંદચંદ્ર રાય, સુરેન્દ્રનાથ બૅનર્જી, અશ્વિનીકુમાર દત્ત વગેરે નેતાઓ સાથે બેઠા. પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ વિશે વિચારવિમર્શ થયો. અશ્વિનીકુમાર દત્તે લોકોની ભાવનાઓ જણાવી. સરકારને કરાયેલા વાયદા અનુસાર `વંદે માતરમ્' ન ગાવાના અપાયેલા વચનની વાત કહી. છેવટે અડધી રાત્રે સર્વસંમતિથી એવો નિર્ણય થયો કે ગમે તે થાય પરંતુ `વંદે માતરમ્' તો ગાવું જ. પોતાનાં સંતાનોનાં દેશપ્રેમ, ધૈર્ય, દૃઢનિશ્ચય વગેરેનું સમ્મિલિત પ્રદર્શન જોવા માટે ભારત માતા પોતે પ્રફુલ્લિત વદને ત્યાં આવી.