પ્રકરણ – ૧૨ । બારિસાલની ઘટના જ મને સૌથી પહેલાં જનમહાસાગરમાં ખેંચી ગઈ

બંગાળના બાબુઓ લાંબા સમયથી ગુલામીના ગાડે જોતરાયેલા હતા અને ક્ષત્રિયત્વને ભૂલીને કારકુન બની ગયા હતા.

    ૦૭-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |

Vande Mataram novel gujarati prakaran 12
 
 

ઇન્ડિયા હાઉસની બહાર રસ્તે પસાર થઈ રહેલા લોકો આશ્ચર્યથી એ બધું જોઈ રહ્યા હતા. મારા પર પ્રતિબંધ લાગેલો હોવા છતાં પણ અંગ્રેજોની ભૂમિ પર મારું નામ એ રીતે ગાજી ઊઠ્યું હતું. મને ગર્વનો અનભવ થયો. હું કૃતાર્થ થઈ.
 
 
 
સમુદ્રમાં જેણે સૌથી પહેલાં હોડી ચલાવી એ સામાન્ય મનુષ્યના સાહસ તથા ઐતિહાસિક મહત્ત્વ વિશે વિચારવું, આકાશને આંબનારા એવરેસ્ટના શિખર પર પગ મૂકવા માટે સૌ પ્રથમ જે આગળ વધ્યો એ યુવાનને યાદ રાખવો... માનવજાતિની સાહસિકતાના ઉજ્જવળ ઇતિહાસમાં જેમણે અમીટ છાપ પાડી છે એ મહાન વીર વિશે વિચારવું... આવું જ મહત્ત્વ બારિસાલને પ્રાપ્ત થયું છે. આ પવિત્ર જન્મભૂમિની આઝાદીની લડાઈમાં જન આંદોલનની પરંપરામાં બારિસાલનું સ્થાન વિશેષ ઉલ્લેખનીય છે. સ્વતંત્રતા આંદોલનને બારિસાલની ઘટનાએ અનેક કારણોથી નવો વળાંક આપ્યો છે.
 
સૌથી મોટા પરિવર્તનનું સાક્ષી તથા વેદી બની ગયું છે બારિસાલ. એ પરિવર્તન પાયાના સ્તરનું છે. બારિસાલ ઘટનાના એક દાયકા પહેલા નેશનલ કોંગ્રેસે મહમ્મદ રહમતુલ્લા સયાનીની અધ્યક્ષતામાં સંપન્ન સંમેલનમાં પક્ષ સમર્થન ઘોષણાનો સંકલ્પ પસાર કર્યો. ભારતીય સામ્રાજ્યની રાજધાની કોલકતામાં થયેલા અંગ્રેજોના એ સંમેલનમાં બ્રિટિશ રાણીના રાજ્યારોહણની ષષ્ઠીપૂર્તિના ઉપલક્ષ્યમાં એ સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંકલ્પ આ પ્રમાણે હતો ઃ
 
માનવસુખ તથા નાગરિકતાની દિશામાં અતિવિશિષ્ટ રીતે પ્રયાણ કરનારા સામ્રાજ્યત્વના ઇતિહાસમાં અત્યંત સુંદર સુદીર્ઘ તથા સર્વમાન્ય રાણીના સુરાજ્યનાં ૬૦ વર્ષ પૂરા થનારા ધન્ય મુહૂર્તમાં કોંગ્રેસ પોતાનું વિનમ્ર અભિનંદન સૂચિત કરતાં એ કહેવા માગે છે કે, લાંબા સમય સુધી રાજ્ય કરવામાં એ સફળ થાય એવી જ કોંગ્રેસની આકાંક્ષા છે.
 
એ સંદર્ભે એક નાની ઘટના મને યાદ આવે છે. એ જ દિવસે કોલકતાથી હજારો કિ.મી. દૂર નાગપુરમાં સાડા સાત વર્ષના એક બાળકે રાણીના હીરક મહોત્સવમાં ભાગ લેવાની ના પાડી હતી. એણે સમારોહમાં વહેંચવામાં આવેલા લાડુને ગટરમાં ફેંકી દીધો હતો. એ બાળકનાં માબાપ નહોતાં. એનાં મા અને બાપ બન્ને ભારતમાતા જ હતી. કોણ હતો એ બાળક? એ જ બાળક આગળ જતા ડૉ. હેડગેવારને નામે પ્રસિદ્ધ થયો હતો. ૧૫૫ બારિસાલની ઘટનાએ કોંગ્રેસને ગુલામીની માનસિક સ્થિતિમાંથી બહાર કાઢીને નવી દિશા આપી. કોંગ્રેસના રાષ્ટીયકરણનું કારણ બની બારિસાલ ઘટના.
 
બંગાળના બાબુઓ લાંબા સમયથી ગુલામીના ગાડે જોતરાયેલા હતા અને ક્ષત્રિયત્વને ભૂલીને કારકુન બની ગયા હતા.
 
અંગ્રેજોની ધારણા એવી હતી કે એ લોકો હંમેશ માટે એમની એ રીતે જ સેવા કરતા રહેશે. એ ધારણાનો બારિસાલે ખૂબ સરસ જવાબ આપ્યો. બંગાળીઓને ક્રાંતિકારી બનાવવાની કથા અહીંથી શરૂ થઈ ગઈ. ભારતમાં ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું એ શ્રીગણેશ બની ગઈ. સામ્રાજ્યવાદની રાક્ષસી કૃતિના વિરોધમાં એ સશક્ત આંદોલન હતું. એ આંદોલને અનુયાયીઓને માર્ગદર્શનના અભાવે આમ તેમ ભટકાઈ જવાની તક જ ન આપી. દેશપ્રેમીઓના લોહીથી દેશની માટીનું સિંચન કરીને વિજયી થયેલી એ પહેલી અગ્નિપરીક્ષા. એમાં ભારત પણ સીતામાતાની જેમ અણિશુદ્ધ વિજયી થયું. બારિસાલ સ્વતંત્રતા સંગ્રામના નાટકનો પૂર્વાભ્યાસ હતો. એ દર્શાવે છે કે, રાજ્યકર્તાનો વ્યવહાર કેવો હોવો જોઈએ તથા પ્રજા જો આઝાદીની ઇચ્છા કરે તો રાજ્યકર્તાનો વ્યવહાર કેવો હશે.
 
એકતાની શક્તિ હોય છે. બારિસાલ ઘટનાએ એ સાબિત કર્યું છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસને સત્યનિષ્ઠાથી લખનારા ઇતિહાસકારો એ ઘટનાને ભૂલી શકતા નથી. મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં સૌ પ્રથમ લાઠીચાર્જ બારિસાલમાં થયો હતો. હા, બિહૂની ભેટ!
 
મારા વિશે કહેવામાં આવે તો બારિસાલની ઘટના જ મને સૌથી પહેલાં જનમહાસાગરમાં ખેંચી ગઈ. પહેલાં હું ભગવાન મનુની અંજલિમાં રહેલી નાની માછલીની જેમ મારા જનકની પ્રતિભા માત્ર હતી. પછી બંગાળની પુષ્કરિણીમાં પહોંચી. કોલકતાની વિરોધસભા મને ગંગામાં લઈ ગઈ. બારિસાલે મને પદ્મા અને મેઘના થઈને ભારતરૂપી જનસાગરમાં પહોંચાડી દીધી. એ સાગરની લહેરો સાથે હું અમેરિકા, આફ્રિકા તથા યુરોપમાં પહોંચી ગઈ.
  
***
 
૧૯૦૮ના અંતભાગમાં બ્રિટનમાં રહેતા ભારતીયોને સંબોધીને એક પરિપત્ર પ્રસારિત કરવામાં આવ્યો હતો.
વંદે માતરમ્...
 
૧૮૫૭ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની સ્મૃતિમાં બ્રિટનસ્થિત બધા ભારતીયોની એક બેઠક `ઇન્ડિયા હાઉસ'માં ૧૦ મે, ૧૯૦૮, રવિવારે સાંજે બરાબર ૪-૦૦ વાગ્યે આયોજિત કરવામાં આવી છે. મિત્ર પરિવાર સહિત એમાં ઉપસ્થિત રહેવા માટે આપ સાદર નિમંત્રિત છો.
 
એ પરિપત્રના બીજા પાના પર બેઠકનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખ્યું હતું, આંદોલનના મુખ્ય નેતા નાનાસાહેબ પેશવા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ વગેરે બલિદાનીઓના સન્માન સહિત અભિનંદન કરવાનો બેઠકનો ઉદ્દેશ છે. પરિપત્ર ગુપ્ત હતો. અંગ્રેજોને સમજી વિચારીને આહ્વાન કરવામાં આવ્યું હતું. બેઠક આયોજિત કરવાનું સ્થાન `ઇન્ડિયા હાઉસ', નિમંત્રણના શીર્ષ તરીકે વંદે માતરમ્ વગેરે બ્રિટનના ગુપ્તચર વિભાગને સતર્ક કરવા માટે પૂરતાં હતાં.
 
સન ૧૮૯૭માં મહારાષ્ટના પુણેમાં એક ભયંકર બૉમ્બ વિસ્ફોટ થયો હતો. એની પાછળ પ્રવૃત્ત લોકોને શોધી કાઢવા માટે મુંબઈ પ્રેસિડેંસીના ગુપ્તચર વિભાગે અથાગ પ્રયત્ન કર્યો. એ સમયે ગુજરાત-કાઠિયાવાડના પ્રતિભાશાળી સપૂત શ્યામજી કૃષ્ણવર્મા ચતુરાઈનું પ્રદર્શન કરીને વિલાયત પહોંચી ગયા. ત્યાં ૧૯૦૫માં એમણે ઇન્ડિયા હાઉસ' નામથી ભારતભવન શરૂ કર્યું હતું. એની પાછળનું મુખ્ય કારણ ભારતના રાજકીય કાર્ય કરનારા કાર્યકર્તાઓ માટે રહેવાની વ્યવસ્થા કરવાનું હતું. એવા કાર્યકર્તાઓને આકર્ષિત કરવા માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. `ઇન્ડિયા હાઉસ'માં રહીને પોતાની પત્રિકા `ઇંડિયન સોશિયોલોજિસ્ટ'ના માધ્યમથી શ્યામજીએ જણાવ્યું હતું કે, ભારતની આધ્યાત્મિક તથા ભૌતિક સમસ્ત સંપત્તિનો સંપૂર્ણ અધિકાર ભારતની જનતાની થાપણ છે. પોતાના દેશના રાજા તથા કાયદાના નિર્માતા તેઓ પોતે જ છે. એમના દ્વારા ન બનાવાયા હોય એવા નિયમો તદ્દન વ્યર્થ છે. પોતાની વસ્તુઓ પર પોતાનો અધિકાર અર્થાત્ સ્વઅધિકાર, મનુષ્યે સ્વબળે અથવા કોઈ અન્ય માર્ગે પણ મેળવવો જ જોઈએ.
 
`ઇન્ડિયા હાઉસ' વિશે હવે તો ઘણું જાણવા મળ્યું છે. લોકમાન્ય ટિળકની ભલામણથી વીર સાવરકર ત્યાં ભણવા માટે ગયા હતા. મદનલાલ ધીંગરા, લાલા હરદયાળ વગેરે પણ ત્યાં ભણી રહ્યા હતા.
 
સ્વર્ણજયંતી સમારોહનો દિવસ આવી પહોંચ્યો. સભાગૃહની દીવાલો પર પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈને શહીદ થયેલા દેશભક્તોનાં ચિત્રો લગાવવામાં આવ્યાં હતાં. ફૂલહાર પહેરાવેલાં એ ચિત્રોને બધાંએ વંદન કર્યું. સુગંધી ધૂપથી પવિત્ર થયેલું બેઠકનું સ્થાન જગદીશ્વરની શ્રીપીઠ જેવું લાગતું હતું. સંમેલન શરૂ થયું. એના સંચાલક હતા વીર સાવરકર. એમણે ઘોષણા કરી કે, સભા વંદે માતરમ્ના ગાન સાથે શરૂ થશે. બધા લોકો ઊભા થઈ ગયા. લય તાલબદ્ધ રીતે મારી પ્રસ્તુતિ થઈ. એ પછી સભામાં ઉપસ્થિત લોકોએ ઊંચે અવાજે ઘોષણા કરી, વંદે માતરમ્... વંદે માતરમ્... વંદે માતરમ્...' `ઇન્ડિયા હાઉસ'ની બહાર રસ્તે પસાર થઈ રહેલા લોકો આશ્ચર્યથી એ બધું જોઈ રહ્યા હતા. મારા પર પ્રતિબંધ લાગેલો હોવા છતાં પણ અંગ્રેજોની ભૂમિ પર મારું નામ એ રીતે ગાજી ઊઠ્યું હતું. મને ગર્વનો અનભવ થયો. હું કૃતાર્થ થઈ.
 
બળપૂર્વક થનારા દમન વખતે દબાઈ જવા કરતાં સશક્ત થઈને સામનો કરવો એ જ ક્ષત્રિય ધર્મ છે. એ ધીરોદાત્ત ગુણ છે. એ ગુણ મારા ભાઈઓમાં ઘણો છે. સાગરને પેલે પારથી મેં એ જોયું હતું. એનો અનુભવ કર્યો હતો.
 
સાવરકરે સભામાં વીર દેશભક્તોને યાદ કરીને `હે શહીદ' શીર્ષકની મુક્તછંદ કવિતા રજૂ કરી. એ વીરગતિ પ્રાપ્ત થયેલા એ મહાત્માઓને અપાનારું વચન હતું, ઉગ્ર શપથ તથા સમર્પણ હતું `હે શહીદ, વિદેશીઓને હાંકી કાઢવાનું પરમ ધ્યેય નષ્ટ ન થાય એ માટે આ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય અમે કરી લીધો છે. ગુલામી સમાપ્ત કરીને આઝાદીની પ્રાપ્તિ સુધી ૧૮૫૭ની લડાઈ અમે ચાલુ રાખીશું. એ ક્રાંતિમાંથી, એ સંગ્રામમાંથી અમે પારોઠનાં પગલાં નહીં ભરીએ. સ્વતંત્રતા અથવા આત્મબલિદાન એ જ અમારું વ્રત છે. વંદે માતરમ્...
 
***
 
એક વર્ષ વીતી ગયું. ફરીથી ૧૦મેનો દિવસ આવ્યો. આ વખતે પાછલા વર્ષની જેમ કોઈ પરિપત્ર કે સંપર્ક વિના જ `ઇન્ડિયા હાઉસ'માં યુવાનોનું સંમેલન થયું. યુવાનો સાવરકરના આરાધક બની ગયા હતા એમ નહીં, સાવરકરની જેમ જ તેઓ પણ ભારતમાતાના આરાધક બની ગયા હતા. સાવરકરે જ્યારે સ્વાતંત્ર્યલક્ષ્મી મારી ઉપાસના મૂર્તિ છે એમ કહ્યું ત્યારે એમણે એ શબ્દોનો ઊંચા સ્વરે પ્રતિસાદ આપ્યો. પ્રચારાર્થે સુંદર અક્ષરમાં મારું નામ લખેલા `બેજ' લગાવીને એમણે પોતપોતાનાં રોજબરોજનાં કામોમાં વ્યસ્ત રહેવાનો નિર્ણય કરી લીધો.
 
પંજાબથી ભણવા માટે આવેલો યુવાન હતો હરમાનસિંહ. એ બુદ્ધિશાળી યુવકને સરકાર તરફથી દર મહિને ૨૫૦ રૂા. શિષ્યવૃત્તિ મળતી હતી. એ સિન્સ્ટર એગ્રિકલ્ચર કૉલેજમાં પોતાના વર્ગમાં બેજ લગાવીને પ્રવેશ્યો. બેજમાં લખ્યું હતું. વંદે માતરમ્‌ તથા ધ્વજની પૃષ્ઠભૂમિમાં `શહીદોની સ્મૃતિમાં' બેજ જોઈને એના મિત્રોએ એની તરફ જોયું, ત્યારે એ હસ્યો પરંતુ સંસ્થાના સંચાલકો માટે એ બેજ ચોથના ચંદ્રમા જેવો હતો. એમણે શું પગલાં ભર્યાં? એમણે હરિનામની શિષ્યવૃત્તિ અટકાવી દીધી. એમ છતાં હરિનામને પોતાના કાર્ય વિશે જરા પણ પસ્તાવો થયો નહીં. એને માટે તો એ કાર્ય જીવનધ્યેય જ રહ્યું. એ હરિનામને મેં ફરી જોયો પ્રસિદ્ધ લાહોર ષડયંત્ર કેસના એકસોમા આરોપી તરીકે. સન ૧૯૧૫ના નવેંબર-૧૭ને દિવસે તે લાહોરની સેંટ્રલ જેલમાં બલિદાનીઓની યાદીમાં સામેલ થઈ ગયો. બલિદાન વખતે એણે મારા જ નામનો ઘોષ કર્યો હતો. `વંદે માતરમ્'.
 
***
 
મદનલાલ ધીંગરા અમૃતસરથી આવ્યો હતો. હાયર સેકંડરી પાસ થઈને આવેલો એ ૧૯ વર્ષનો યુવાન હતો. થોડા સમય માટે એણે કાશ્મીર સેટલમેંટ વિભાગમાં કામ કર્યું હતું. ત્યાંથી સિમલા-કાલકા-ટાંગા સેવામાં જોડાયો હતો. ત્યાંથી એ ઇંજિનિયર થવા માટે વિલાયત ગયો. ઑક્ટોબર, ૧૯૦૯માં ડિગ્રી લઈને એણે પાછા ફરવાનું હતું. એ પણ હરનામસિંહની જેમ જ બેજ લગાવીને કૉલેજમાં ગયો. એની સાથે હરનામ કરતાં વધુ મિત્રો હતા. એ અત્યંત મિલનસાર હતો, પરંતુ એ દિવસે બેજ જોઈને અંગ્રેજ મિત્રોના ભાવ બદલાઈ ગયા. મિત્રોએ એને બેજ કાઢી નાખવાનું કહ્યું. મૈત્રી અલગ છે અને કર્તવ્ય અલગ છે. એમ માનીને એ દૃઢ રહ્યો. એક અંગ્રેજ યુવકે જ્યારે જબરદસ્તી બેજ કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો ત્યારે ધીંગરાએ ડાબા હાથે એની ગરદન પકડી અને જમણા હાથે ચમકતી છૂરી કાઢીને ગર્જના કરી, `ગળું કાપી નાખીશ... ધ્યાન રાખજે...' બાકીના બધા ડરી ગયા. એટલે તરત જ હોબાળો શમી ગયો. બધા સ્તબ્ધ થઈ ગયા.
 
એ ઘટનાને એકાવન દિવસ વીતી ગયા. સૈનિક અધિકારી તરીકે સેવાનિવૃત્તિ પછી India State Secretary in Political ADC તથા વિલાયતમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ પર ખાસ નજર રાખવા માટે નિમાયેલા કર્ઝન વાયલીની ધીંગરાએ ૧ જુલાઈ, ૧૯૦૯ના દિવસે જહાઁગીર હૉલમાં ગોળી મારી હત્યા કરી. એ દિવસે સાંજે એમણે પોલીસને કહ્યું, વિદેશી ધૂંસરીમાંથી મારી માતૃભૂમિને મુક્ત કરવા માટે પ્રયત્ન કરનારો એક દેશભક્ત છું હું. મને ખૂની ન કહેશો. એનો હું વિરોધ કરું છું. મેં જે કર્યું એ ન્યાયપૂર્ણ છે. બ્રિટન જો જર્મનીનું ગુલામ બનશે તો એ પણ એમ જ કરશે. એ ૨૩ જુલાઈના દિવસે અદાલતે ધીંગરાને મૃત્યુદંડ આપ્યો. ચુકાદો સાંભળી લીધા પછી આરોપીએ ન્યાયાધીશને કહ્યું, ધન્યવાદ, મહાશય ! ધન્યવાદ મારા દેશ માટે આ ક્ષુલ્લક જીવનનું બલિદાન આપવાની તક પ્રાપ્ત થવાનું મને ગૌરવ છે. એ વખતે એમનો ચહેરો અતિપ્રસન્ન હતો.
 
૧૬ ઑગસ્ટના દિવસે પેન્ટ્રોનવેલીમાં જેલ અધિકારીઓની ઉપસ્થિતિમાં મદનલાલ ધીંગરાને ફાંસી આપવામાં આવી. એ વખતે એમના હાથમાં ભગવદ્ગીતા હતી. જીવનના છેલ્લા શ્વાસે એમના મોંઢામાં શબ્દો હતા વંદે માતરમ્. એ રીતે સાગર પાર કરીને વિલાયત પહોંચેલી હું પોતાની માતૃભૂમિની આઝાદી માટે, ધૈર્યપૂર્વક સંઘર્ષ કરનારા એક મહાન ક્રાંતિકારીના નશ્વર શરીરમાં રહેલા અમર આત્માને અત્યાનંદ પ્રદાન કરનારો પંચાક્ષરી મંત્ર બની શકી. મદને વીરગતિ પ્રાપ્ત કરી.
 
એમ છતાં એ કથા સમાપ્ત થતી નથી. મદનના પિતા તથા ભાઈએ પોલીસને કહ્યું કે, ફાંસી પર ચઢાવાયેલા શહીદની એ લટકી રહેલી લાશ સાથે અમારો કોઈ સંબંધ નથી. પોલીસે જ્યારે મદનલાલને પકડ્યો ત્યારે એના પિતાએ બ્રિટન તાર કરીને જણાવી દીધું હતું કે મારો આવો કોઈ પુત્ર નથી. ભાઈએ પણ તાર કર્યો હતો કે એ મારો ભાઈ નથી. ઘરના લોકોએ એની ઉપેક્ષા કરી હતી. ફાંસી પર ચઢી ગયેલા હુતાત્મા પાસેથી એક મૃત્યુપત્ર મળ્યો હતો. એના અંતમાં પણ હું હતી, વંદે માતરમ્. એના મૃત્યુલેખને એના જીવનકાળનાં ભાષણો તથા પ્રવૃત્તિઓથી વધુ જોખમી માનીને પોલીસ અધિકારીઓએ એનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો. અંગ્રેજોની નીતિમત્તા વિશે તો શું કહેવું? પણ એમનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.
 
એ લેખ `ઇન્ડિયા હાઉસ'માં હતો. ત્યાંના લોકોની બુદ્ધિમત્તાને પરિણામે બીજા દિવસે ફ્રાંસ તથા બ્રિટનનાં સમાચારપત્રોમાં એ મૃત્યુલેખ છપાયો હતો.
 
દેશપ્રેમી ભારતીય યુવકોને માનવતા વિરુદ્ધ ફાંસીએ ચઢાવવા તથા કાળાપાણીની સજા કરવાના વિરોધમાં બદલાની ભાવના સાથે હું અંગ્રેજોનું લોહી વહેવડાવવા તૈયાર થઈ ગયો હતો. એમ કરવા માટે મેં મારા આત્મા સિવાય કોઈની સાથે વિચારવિમર્શ કર્યો નહોતો. મેં ષડયંત્ર ગોઠવ્યું, પરંતુ એમાં અન્ય કોઈનો સહભાગ નહોતો. એની સંપૂર્ણ જવાબદારી મારી છે. મારો વિશ્વાસ છે કે, વિદેશી આધિપત્ય હેઠળ રહેલું આ રાષ્ટ હવે સંઘર્ષમાં કૂદી પડ્યું છે, અથક સંગ્રામ ચાલુ છે. નિઃશસ્ત્ર પ્રજા માટે જાહેર યુદ્ધ અશક્ય બની રહ્યું છે. એટલે મેં વીજળી જેવું આકસ્મિક આક્રમણ કર્યું છે. બંદૂકના ઉપયોગની પરવાનગી નહોતી એટલે પિસ્તોલ દ્વારા ગોળી છોડી.
 
મારા દેશ પ્રત્યે આચરવામાં આવતી આ અનીતિને હું ઈશ્વરની અવહેલના માનું છું. મારા પોતાના દેશની સેવા શ્રીરામની સેવા છે. માતૃભૂમિની સેવા શ્રીકૃષ્ણની સેવા છે. બુદ્ધિ અને સંપત્તિમાં મારા જેવા ગરીબ પુત્ર માટે માતાને આપવા માટે મારા પોતાના લોહી સિવાય બીજું કશું જ નથી. એટલે હું આઝાદીના યજ્ઞમાં મારો બલિ ચઢાવું છું.
 
કેવી રીતે મરવું એ પાઠ આજના ભારત માટે જરૂરી છે. પોતાની જાતે મરીને એ હું શીખવી શકું છું. એટલે હું મૃત્યુને આવકારું છું. મારા શરીરનો ત્યાગ કરવાથી મને સંતોષની અનુભૂતિ થાય છે.
 
ભારત અને બ્રિટન વચ્ચેનો આ વ્યવહાર હિંદુ અને અંગ્રેજી પ્રજાના અસ્તિત્વ સુધી ચાલુ જ રહેશે. (આજની અસ્વાભાવિક સ્થિતિ સમાપ્ત ન થાય તો) ઈશ્વરને મારી એક જ પ્રાર્થના છે, આ માતાની કૂખે જ મારો પુનર્જન્મ થાય, એ જ માતા માટે મને ફરી મૃત્યુ મળે, લક્ષ્ય પ્રાપ્ત થતાં સુધી વારંવાર મને મૃત્યુ મળતું રહે. છેવટે એક દિવસ માનવજાતિના કલ્યાણ તથા ઈશ્વરની મહત્તાની ઘોષણા માટે મુક્ત થઈને મારી માતા અગ્રેસર બને... વંદે માતરમ્...'
 
-મદનલાલ ધીંગરા
 
***
 
(ક્રમશઃ)