
મેં જણાવ્યું હતું કે, બંગાળ વિભાજનની અસર પંજાબમાં પણ પહોંચી ગઈ હતી. પંજાબીઓના માધ્યમથી એ બ્રિટનમાં પહોંચી ગઈ. ગુરુ ગોવિંદસિંહનો જન્મદિવસ ડિસેંબર મહિનામાં આવે છે. ૧૯૦૮માં એ ૨૯ ડિસેંબરના દિવસે હતો. સાવરકરની પ્રેરણાથી બ્રિટનના યુવકોએ એને રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઉજવવાની યોજના બનાવી. સ્વાભાવિક જ છે કે, શીખ ભાઈઓએ એમાં વિશેષ રસ લીધો હતો. શીખો પર એ આરોપ હતો કે, એમણે ૧૮૫૭ના સંગ્રામને અપ્રત્યક્ષ રીતે હરાવ્યો હતો. એ આરોપ ખોટો સિદ્ધ કરવા માટે શીખ ભાઈઓ દરેક પ્રસંગનો ઉપયોગ કરે છે. સમારોહ વિલાયતના કાકસ્ટન હૉલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. સૌભાગ્યની બાબત છે કે, એમાં અધ્યક્ષ તરીકે બિપિનચંદ્ર પાલ તથા વક્તા તરીકે લાલા લાજપતરાય મળ્યા હતા. બારિસાલ ઘટનાના વિજયને કારણે બિપિનનું વ્યક્તિત્વ વધુ ઉજ્જવળ થયું હતું. સભાની કાર્યસૂચિમાં મને સ્થાન મળ્યું, એક કે બે પંક્તિમાં નહીં, સભાની શરૂઆતમાં મારી સંપૂર્ણ પ્રસ્તુતિ થઈ. એ પછી નેતાઓનાં ભાષણોની વચ્ચે તાળીઓ સાથે નારા તરીકે મારા નામનું ઉચ્ચારણ કરવામાં આવ્યું. હૉલના ખૂણે ખૂણામાંથી, દરેકેદરેક કંઠમાંથી હું ગુંજી ઊઠી. શીખ ભાઈઓના ચહેરા પર કૃતાર્થતા દેખાતી હતી. એ પછી અંગ્રેજો ઇન્ડિયા હાઉસ પર વધુ ધ્યાન રાખવા લાગ્યા.
ઇન્ડિયા હાઉસની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપનારાઓમાં બ્રિટિશ ગુપ્તચર વિભાગના લોકો જ નહીં તો પાર્લામેન્ટના લિબરલ તથા કોંઝર્વેટિવ બન્ને પક્ષોના સભ્યો પણ હતા. બન્ને પક્ષોના પત્રકારો પણ એમાં સામેલ હતા. એક પરંપરાવાદી સમાચાર પત્રમાં એક વાચકનો પત્ર મેં ખૂબ રસપૂર્વક વાંચ્યો હતો. એમાં મને હેમલેટના ભૂતની ઉપમા આપવામાં આવી હતી.
સ્વયંઘોષિત ભારતના રાજ્યકર્તાઓ દ્વારા છૂટું મુકાયેલું એ ભૂત હવે વિલાયતમાં પ્રકટ થયું છે. હેમલેટના ભૂતની જેમ `વંદે માતરમ્' પણ અહીંના હૉલ તથા હાઉસમાં મુક્તપણે વિચરણ કરે છે. લિબરલ હોરેશિયોએ એને મિથ્યા તથા કંઝર્વેટિવ હેમલેટોએ એને સત્ય કહ્યું છે. બ્રિટનના રાજ્યકર્તાઓએ બહુ ઝડપ કરી. જરા પણ સમય વિતાવ્યા વિના એમણે સાવરકરની ધરપકડ કરી. ભારતમાં થયેલી જેક્સન હત્યાનો વિષય ચાલુ રહ્યો. સાવરકરને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. એનું કારણ હતું મારા નામે શરૂ કરાયેલી એક લઘુપત્રિકા. ચોરીના માલ વચ્ચે વંદે માતરમ્ લઘુપત્રિકાને સ્થાન મળ્યું. પ્રોસિક્યુશન વકીલે એ પત્રિકાના થોડા પ્રાસંગિક અંશો અદાલતમાં વાંચી સંભળાવ્યા, સર, વંદેમાતરમ્ પેમ્ફ્લૅટનો પ્રચાર તથા પ્રેરણા શું છે? જરા ધ્યાન આપશો... બ્રિટિશ હોય કે ભારતીય, પરંતુ પદાધિકારીઓને ધમકીઓ આપવી... ખુદીરામ બોઝ, કંવરલાલ દત્ત તથા અન્ય શહીદો દ્વારા અપનાવાયેલી નીતિ થોડા દિવસમાં બ્રિટિશ સરકારના પગ ભાંગી નાખશે. રાજ્યકર્તા વર્ગનો અંત તથા પ્રજાને જાગ્રત કરવાના માર્ગમાં વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારની હત્યાઓ છે. એ જ ક્રાંતિનું પહેલું પગલું છે.
એ જ સમયમાં ઇન્ડિયા હાઉસના સ્થાપક શ્યામજી કૃષ્ણ વર્મા યૂરોપથી મારા નામે એક માસિક પત્રિકાનું પ્રકાશન કરી રહ્યા હતા. એના સંપાદક હતા લાલા હરદયાળ. પહેલો અંક જીનિવા તથા શેટરડોમથી પ્રકાશિત કરવામાં આવ્યો. પત્રવ્યવહાર માટેનું સરનામું હતું મૅડમ કામા, જીનિવા, સ્વિટ્ઝરલેંડ. `મૂલ્યઃ પોતાની મરજી' એમ લખાયું હતું. પત્રિકાના પહેલા પાનાના ઉપરના ભાગમાં વંદે માતરમ્ લખ્યું હતું. એની નીચે બે ચિત્રો હતાં. એક મૅડમ કામા દ્વારા ફરકાવવામાં આવેલો રાષ્ટ્રધ્વજ અને બીજું હતું તલવાર તાણીને ઊભેલી ભારતમાતા. ધ્વજની નીચે લખ્યું હતું, `ભારતીય સંસ્કૃતિનું મુખપત્ર'. ભારતમાતાનાં ચરણકમળોમાં દેવનાગરીમાં ગીતાનો આ શ્લોક લખ્યો હતો-
अथ चेत्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ।। ૨-૩૩
દરેક અંકમાં સંપાદકીયની ઉપર ભગવાન બુદ્ધનું પ્રવચન હતું- હે આનંદ, તું જ તારો દીપક છે. બહારના આધારની શોધ ન કરો. પોતાના પરિશ્રમથી નિર્વાણ પ્રાપ્ત કરો. ક્રાંતિકારી નેતાઓ એક યાદી તૈયાર કરીને અધ્યાપકો, સરકારી અધિકારીઓ, વકીલો, નેતાઓ, વિદ્યાર્થીઓને નિયમિત રીતે પત્રિકા મોકલી રહ્યા હતા. એટલે ભૂત ભારતમાંથી બ્રિટન પહોંચી ગયું. સાગર પાર કરવા માટે કે હવામાં ઊડવા માટે ભૂતને કંઈ વિઝાની જરૂર થોડી હોય છે? એ તો મુક્તવિહાર કરી રહ્યું હતું. શિલોંગ કેંદ્રથી ગુપ્તચર વિભાગે બ્રિટન તથા ડચ સરકારને એને બંદી બનાવવા માટે લખ્યું, પરંતુ જવાબ મળ્યો, શક્ય નથી. બીજી બાજુ ભૂતે યુવકોને જાગ્રત કર્યા. એમણે કહ્યું, અમે માનીએ છીએ કે, ભારતમાં હવે ક્રાંતિકારી સાહિત્યનો પ્રચાર કરવો એ પક્ષની સૌથી મોટી જવાબદારી છે. યુવામાનસમાં શક્તિ તથા ચૈતન્ય જાળવી રાખવામાં એ સફળ થશે. દૃઢ વિશ્વાસ સાથે આપણે ક્રાંતિકારી સાહિત્યના દરેક પાના માટે વિચાર કરીશું. ગમે તેમ કરીને એને ભારત પહોંચાડીશું.
***
એ સ્પષ્ટ છે કે, આ બધાં કામો ચૂપકીદી જાળવીને થઈ રહ્યાં હતાં. બરાબર જ છે. ભૂત માટે તો અંધારી ગુફા જ જોઈએ ને? હેમલેટના પિતાનું ભૂત અડધી રાત્રે હેમલેટને સચ્ચાઈ જણાવે છે, પરંતુ દરેક બાબતમાં અપવાદ હોય છે. મને આ ધરતીની ઉપર નીલગગનમાં વિહાર કરવાની એક તક મળી ગઈ. મેં મારા જન્મના ઉદ્દેશ્યનો સાક્ષાત્કાર કર્યો. હું નાચી ઊઠી. માનવમુક્તિ માટે પ્રતિબદ્ધ નેતાઓ એ દૃશ્ય જોઈને ઝૂમી ઊઠ્યા.
૧૯૦૭ના ઓગસ્ટની ૨૨મીનો દિવસ, જર્મનીનું સ્ટુટગાર્ટ શહેર. આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનની વેદી. યુરોપમાં કાર્યરત ક્રાંતિકારીઓએ પરસ્પર વિચારવિમર્શ કરીને નિર્ણય લીધો કે, ભારતનું પ્રતિનિધિ મંડળ એમાં ભાગ લેશે. એમણે વિચાર્યું કે ભારતમાં ચાલી રહેલા સ્વતંત્રતા સંગ્રામના પ્રચાર તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળવા માટે એ સહાયક સિદ્ધ થશે. એમ પણ નક્કી કરવામાં આવ્યું કે ક્રાંતિકારી આંદોલન માટે સાવરકરને દરેક પ્રકારની સહાયતા કરનારાં તથા પૅરિસને કેંદ્ર બનાવીને કામ કરનારાં મુંબઈનિવાસી પારસી મૅડમ ભિકાજી રુસ્તમજી કામા પણ સંમેલનમાં ભાગ લેશે. એ ઉપરાંત સરોજિની નાયડુના ભાઈ વીરેંદ્રનાથ તથા ગુજરાતના સરદારસિંહ રાણાનો પણ પ્રતિનિધિ મંડળમાં સમાવેશ થયો. એમને જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને આપવા માટે મૅડમ કામા દ્વારા સંચાલિત વંદે માતરમ્ વેદીના શ્યામજી કૃષ્ણ વર્મા પણ હતા. સંમેલનમાં સહભાગી થનારું દરેક પ્રતિનિધિમંડળ પોતપોતાના દેશના ધ્વજ સાથે લાવે એમ નક્કી થયું હતું. એ અનુસાર ભારતનું પ્રતિનિધિમંડળ પણ સજ્જ થઈ ગયું.
સંમેલન સમયસર શરૂ થયું. જ્યારે ભારતના પ્રતિનિધિમંડળનો વારો આવ્યો ત્યારે મૅડમ કામા મંચ ઉપર આવ્યાં. પહેલાં એમણે ભારતના રાષ્ટ્રગાન તરીકે મારી સંપૂર્ણ પ્રસ્તુતિ કરી. એ મારા જીવનની ધન્યતાની ઘડી હતી. પાછળથી કેમ્બ્રિઝ હિસ્ટરી ઑફ ઇન્ડિયા દ્વારા અપાયેલી રાષ્ટ્રગાનની વિશેષ ઉપાધિ મને એ જ દિવસે મળી ગઈ હતી. એ દિવસે હું પ્રિય ભારત દેશનું અનભિષિક્ત રાષ્ટ્રગાન Uncrownd Anthem' બની ગઈ.
ગીત પૂરું થયા પછી મૅડમ કામાની વાણી વરસવા લાગી. બ્રિટિશ સામ્રાજ્યવાદી શક્તિ દ્વારા ભારતીય વસાહતની પ્રજા તથા સંસાધનોનું શોષણ કરવાની વેદનાજનક કથા એમણે ભાવપૂર્ણ શબ્દોમાં રજૂ કરી. ભાષણ પૂરું થયા પછી થોડી ક્ષણો એ શાંત રહ્યાં અને અચાનક વીજળી જેવો ચમકારો જોવા મળ્યો. આ જુઓ ભારતનો રાષ્ટ્રધ્વજ. ભારતના દેશભક્તોના લોહીથી એ પવિત્ર થયેલો છે. સભામાં ઉપસ્થિત દેશભક્તો, હું આપને વિનંતિ કરું છું કે, એનો આદર કરો, એની વંદના કરો !' બન્ને હાથ ઊંચા કરીને તેમણે ધ્વજ ફરકાવ્યો. લીલા, કેસરી તથા લાલ રંગનો લંબચોરસ હતો એ ધ્વજ. સૌથી ઉપરના લીલા ભાગમાં ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કમળ અષ્ઠદલની સંખ્યામાં હતું, લાલ ભાગમાં સૂરજ અને ચંદ્ર હતા. વચ્ચેના કેસરી રંગમાં સંસ્કૃતમાં પંચાક્ષરી મંત્ર વંદે માતરમ્નું આલેખન કરવામાં આવ્યું હતું.
***
અમેરિકા ભૂખંડને અંગ્રેજોએ નવી દુનિયા કહ્યો હતો. અમેરિકા તથા કેનેડામાં ઘણા ભારતીયો રહેતા હતા. ખાસ કરીને આ સદીની શરૂઆતમાં પંજાબથી અનેક શીખ પરિવારો કેનેડા ગયા હતા. એમણે સ્વપ્ન જોયું હતું કે, જે રીતે અમેરિકાએ ત્રણ સદીઓ પૂર્વે સામ્રાજ્યવાદના શોષણમાંથી આઝાદી મેળવી લીધી હતી એ રીતે બાર હજાર માઈલ દૂર પોતાની માતૃભૂમિ પણ આઝાદ થઈ જશે. એમણે ખાલી સ્વપ્ન જ ન જોયું, એને માટે ધીરજપૂર્વક એક યોજના પણ તૈયાર કરી. ક્રાંતિ કે દંગલનો અર્થ દર્શાવનારા પંજાબી ભાષાના શબ્દ ગદર નામથી અમેરિકા અને કેનેડામાં એમણે એક ક્રાંતિકારી આંદોલન શરૂ કર્યું. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે જ નિમાયેલા હરદયાળ ત્યાં પહોંચ્યા પછી એ આંદોલન વધુ મજબૂત બન્યું હતું.
એ દરમિયાન ૧૯૧૩માં સરદાર ભગવાનસિંહ પાત્ર કેનેડા પહોંચી ગયા. તેઓ પંડિત હતા. પવિત્ર ગ્રંથ ગુરુસાહેબની ગુરુવાણી એમને કંઠસ્થ હતી. હોંગકોંગ, સિંગાપુર, મલાયા વગેરે દેશોમાં એમણે ક્રાંતિકારી આંદોલન માટે ઉત્સાહપૂર્વક કામ કર્યું હતું. કેનેડાની રાજધાની વાનકોમાં ફેલાતા જતા ક્રાંતિકારી આંદોલનને એમણે બળ પૂરું પાડ્યું. સલામ અને સેલ્યુટનો ત્યાગ કરીને અભિવાદન માટે વંદે માતરમ્નો સ્વીકાર કરવાની એમણે પ્રેરણા આપી. એ પછી પરસ્પર મળતી વખતે લોકો મોટે અવાજે વંદે માતરમ્ બોલવા લાગ્યા. કેનેડા સરકારનું ધ્યાન એ તરફ ખેંચાયું અને એ અસહ્ય જણાયું. ત્રણ જ મહિનામાં ભગવાનસિંહને ત્યાંથી તડીપાર કરાયા.
ડિસેંબરની ૨૩ તારીખ આવી ગઈ. હાથી પર બેઠેલા લૉર્ડ હોર્ડિંગ પર બોંબ ફેંકાવાની ઘટનાને એક વર્ષ વીતી ગયું હતું. એનો વાર્ષિક ઉત્સવ આયોજિત કરવા માટે હરદયાલે ગદરને પ્રેરણા આપી. કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને દરેક પ્રાંતોમાં એ સફળ રહ્યું. હરદયાળે સ્મૃતિ સંમેલન માટે એક નાની પત્રિકા તૈયાર કરી હતી જેને નામ આપ્યું હતું- શાબાશ. પત્રિકાનું મુખપૃષ્ઠ કલાકારે સમજી વિચારીને બનાવ્યું હતું. વિસ્ફોટ કરનારા બે બોંબની વચ્ચેથી સ્વાતંત્ર્યનું વૃક્ષ ઊગે છે. મૂલ્ય લખ્યું હતું- અંગ્રેજોનું માથું. પત્રિકામાં દરદયાળ પ્રશ્ન ઉઠાવે છે, ગુલામીમાંથી મુક્તિ કેવી રીતે મળશે એ અમે જણાવીએ છીએ. અમે સ્વતંત્રતાસંગ્રામના દૂત છીએ. શસ્ત્રોની આરાધના કરવી... પૂજા કરવી. ત્રણ ભાગમાં વહેંચાયેલી પત્રિકાના પહેલા ભાગમાં બોંબનું તત્ત્વજ્ઞાન, બીજામાં બોંબનું પ્રયોજન અને ત્રીજા ભાગમાં બોંબની ઉપાસના અને અંતમાં આ અભિનંદન, હું... વંદે માતરમ્.
હરદયાળે પત્રિકાની હજારો નકલોનાં પેકેટ ફ્રાંસમાં મૅડમ કામાને મોકલ્યાં, પરંતુ ફ્રાંસની પોલીસે એ વચ્ચે જ પકડી લીધાં. પોલીસે મૅડમ કામાની પૂછપરછ કરી ત્યારે એમણે કહ્યું કે એમના નામે કોઈ આ પ્રકારનું એક પણ પાર્સલ મોકલાવે એવી જરાય શક્યતા નથી.
એ હરદયાળ વિશે એક અન્ય ઘટનાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. દિલ્હીમાં હોર્ડિંગ પર આક્રમણ વખતે હરદયાળ કેલિફોર્નિયામાં હતા. ઘટનાના સમાચાર મળતાં જ એમણે વિદ્યાર્થીઓની બેઠક બોલાવી. વિદ્યાર્થીઓ સમક્ષ ઊભા રહીને ધીરગંભીર સ્વરે એમણે અઘોષિત રાષ્ટ્રગાન બની ગયેલી એવી મને યાદ કરી અને સંપૂર્ણ વંદે માતરમ્નું ગાન કર્યું.
સાગરને પેલે પાર અમેરિકામાં કાર્યરત સ્વતંત્રતા આંદોલન તરીકે હું ગદરને જોઈ શકતી હતી. એનાં મૂળ ધરતીમાં ઊંડા ફેલાયાં હતાં. સાવરકર, મૅડમ કામા, શ્યામજી ચટ્ટોપાધ્યાય, હરદયાળ વગેરે મહાન વ્યક્તિઓએ જાનની બાજી લગાવીને કામ કર્યું. એનાં પરિણામ તરીકે ગદર પરિવાર દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય એશિયા, ટર્કી, મિસ્ર, ચીન, જાપાન, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન વગેરે પ્રદેશોમાં પણ ફેલાઈ ગયો. ઇંડિયન ઈંડિપેડન્ટ લીગ, ઇંડિયન ઈંડિપેંડન્ટ કમિટી, બર્લિન કમિટી, ઇંડોજર્મન-ટર્કિશ મિશન, ઇન્ડિ પ્રો. ઇંડિયન કમિટી, અભિનવ ભારત વગેરે એ પરિવારનાં અન્ય સંગઠનો હતાં. સાન્ફ્રાન્સિસ્કોના ભારતવાસીઓએ ભારતમાતા સંઘ શરૂ કર્યો હતો. એના પ્રચારશસ્ત્ર તરીકે વંદે માતરમ્ ખાલસા નામની પત્રિકા પણ છપાવા લાગી. પંજાબી ભાષામાં ખાલસા શબ્દનો અર્થ છે `યોદ્ધા'. ગુરુ ગોવિંદસિંહ દ્વારા શરૂ કરાયેલા ખાલસાની યાદ અપાવતી પત્રિકા વંદે માતરમ્ ખાલસામાં એક કવિતા જોવા મળી.
ગુલામીનો સ્પર્શ ન કરનારો આત્મા.
તેજ ગતિથી દોડનારો યુવાન
ધર્મયુદ્ધમાં આગળ ધપનારો યોદ્ધો
નિર્બળોનો રક્ષક
ઘાતકોનો પ્રાણહર્તા
એ છે ખાલસા
એક માત્ર ખાલસા
સત્ શ્રી અકાલ...
અત્યાર સુધીમાં મેં જણાવ્યું કે, સાવરકર અને હરદયાળ બન્ને અંગ્રેજો દ્વારા બનાવાયેલા કાયદા વિરુદ્ધ કામ કરનારા હતા. ગોપાળકૃષ્ણ ગોખલે એમના પક્ષે નહોતા. તેઓ મવાળ જૂથમાં હતા. વિલાયતના સંમેલનમાં ભાગ લઈને પાછા ફરતી વખતે ૨૨ ઑક્ટોબર, ૧૯૧૨ આફ્રિકાના કેપટાઉનમાં તેઓ ઉતર્યા હતા. ગમે ત્યાં હોય તો પણ નવરાત્રિથી દીવાળી સુધીના દિવસો ભારતીયો માટે ઉત્સવના દિવસો જ હોય છે. બધા લોકો ગોખલેના સ્વાગત માટે બંદર પર પહોંચી ગયા. સ્વાગત કરવા માટે હિપ હિપ હુર્રે...'ના બદલે ગગનભેદી સ્વરે વંદે માતરમ્ સાંભળવા મળ્યું. જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, નાતાલ બધે સ્થાને એ જ અનુભવ જ અનુભવ થયો. ક્રાંતિવાદની ગરમી મવાળવાદીને જણાવા લાગી. વાસ્તવમાં એ ગરમી રાષ્ટ્રવાદની હતી. કાળા દેશના હૃદયનું સંગીત આફ્રિકા દેશમાં પણ પહોંચી ગયું.
ત્યાં એક માનવપ્રેમી.... મારા દેશનો એક સપૂત ક્રાંતિકારી આંદોલનથી દૂર વેગ, દ્વેષ, વગેરે રૌદ્ર ભાવોથી દૂર, આત્મશક્તિનું ઉદ્દીપન કરતો વકીલ તરીકે કામ કરી રહ્યો હતો. એ મહામાનવ હિંદ સ્વરાજના માધ્યમથી પોતાના દેશ વિશેનું પોતાનું સ્વપ્ન વ્યક્ત કરી રહ્યો હતો. માઈલો દૂર મારી માતૃભૂમિમાં, ખાસ કરીને બંગાળમાં મારા નામે થયેલાં આંદોલન વિશે તેઓ બધું જ જાણતા હતા. એ બાબતે એમની પ્રતિક્રિયા આ પ્રમાણે હતી. પશ્ચિમના દરેક દેશ માટે પોતપોતાનું રાષ્ટ્રગાન છે. વિશેષ પ્રસંગે એનું ગાન થતું હોય છે. ગૉડ સેવ ધ કિંગ નામનું બ્રિટિશ ગીત પણ પ્રસિદ્ધ છે. એ ગાતી વખતે બ્રિટનના લોકો જોશમાં આવી જાય છે. જર્મનીનું પણ એક પ્રખ્યાત રાષ્ટ્રગીત છે. ફ્રાંસનું લા માર્સિલે ઉત્તમ કક્ષાનું છે. એ ગાતી વખતે ફ્રાંસના લોકો આનંદિત થાય છે. એ બધું સમજીને બંગાળના બંકિમચંદ્રે બંગાળના લોકો માટે એક ગીત લખવાનો નિર્ણય કર્યો. એમના દ્વારા લખાયેલું વંદે માતરમ્ સર્વત્ર સ્વીકૃત બની ગયું. સ્વદેશી આંદોલનના ઉપક્રમે બંગાળમાં આયોજિત જનસભાઓમાં એ ગીત ગવાઈ રહ્યું છે. એ ગીત આપણું રાષ્ટ્રગીત બની ચૂક્યું છે. લોકપ્રિય બની ગયું છે. અન્ય રાષ્ટ્રગીતોમાં જોવા મળતી, અન્યોની નિંદા કરવાની વૃત્તિ એમાં જોવા મળતી નથી. એનું એક માત્ર લક્ષ્ય છે દેશપ્રેમનું જાગરણ. જન્મદાત્રી માતાના ગુણોનું કવિ ભારતમાતામાં દર્શન કરે છે. માતાની આરાધનાનું ભાવપૂર્ણ અર્ચન છે એ ગીત. એમાં મોટા ભાગના શબ્દો સંસ્કૃત ભાષાના છે. સમજવામાં સરળ, લિપિ પણ સરળ. આ પંક્તિઓના લેખક છે મોહનદાસ કરમચંદ ગાંધી.
***
(ક્રમશઃ)