મલયાલમમાં એક કહેવત છે - જેના ઘરમાં ખાવાનું નથી તેને અતિથિ ભોજન પણ મળતું નથી. એ આધાર પર કહીએ તો મને તો ખૂબ મિજબાનીઓ મળી છે. કહેવાની જરૂર નથી કે, ઘરનું ભોજન પણ મને ખૂબ મળ્યું છે. જ્યારે આપણે કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ્ને જર્મની તથા ફ્રાંસમાં મળેલા મહત્ત્વ વિશે કહીએ છીએ ત્યારે ચોક્કસ એને પોતાના દેશમાં તો સ્થાન મળ્યું જ હશે. તિરૂપતિમાં દેશના વિભિન્ન પ્રદેશોમાંથી ભક્તજનો બાલાજીનાં દર્શન માટે આવ્યાં. એ પછી બાલાજી, બદ્રીનાથ, બોકારો, ભિલાઈ, બેંગ્લોર વગેરે નાનાં મોટાં શહેરો તથા ગામોમાં પહોંચી ગયાં. મારી જીવનકથાની બાબતમાં પણ આમ જ છે. વિદેશમાં મને મોટું સ્થાન મળ્યું છે, પરંતુ એ પહેલાં તો સ્વદેશમાં જ માન્યતા અને સ્થાન મળ્યું હતું. વિરોધ તથા પ્રતિબંધોથી ભયભીત થઈને મેં ક્યારેય વિદેશોમાં આશ્રય લીધો નથી.
એ સાચું છે કે, બંગાળનું વિભાજન અને એને કારણે ઉત્પન્ન થયેલો ભાવાવેગ મને સામાન્ય જનતાની વચ્ચે લઈ આવ્યાં હતાં, પરંતુ એમ કહેવું પણ યોગ્ય નહીં થાય કે, એ જ દિવસે મેં જનમાનસમાં પ્રવેશ મેળવી લીધો હતો. ગોમુખથી ગંગોત્રી વાટે વહેનારી દેવનદી હૃષીકેશ અને હરિદ્વારના કિનારે ભક્તોનાં પુણ્યસ્નાનને કારણે પ્રસિદ્ધ થઈ જાય છે. એ કારણે શું આપણે એમ કહી શકીએ છીએ કે, એ સ્થાનથી જ દેવનદી પવિત્ર થઈ જાય છે? પાછું વળીને જોતાં મને પણ લાગે છે કે મારી કથા પણ કંઈક એવી જ છે.
મારો જન્મ થયે ખાસ વધુ સમય વીત્યો નહોતો. રાષ્ટ્રપ્રેમથી યુક્ત ગીતોની નવ નિર્ઝરિણી પુનર્જાગરણ સાહિત્યમાં વહેવા લાગી ત્યારે મને પણ એમાં સ્થાન મળ્યું. એ જ સમયમાં ઇંડિયન નેશનલ કોંગ્રેસનું બીજું અધિવેશન કોલકતામાં થયું. એ સન ૧૮૮૬માં સંપન્ન થયું હતું. અધિવેશનના અધ્યક્ષ હતા દાદાભાઈ નવરોજજી. પાછલાં વર્ષોના અનુભવ અનુસાર સંમેલનમાં બ્રિટિશ રાણીનું જયગાન સ્વાભાવિક હતું. પરંતુ બંગાળના સપૂતો પોતાની પરંપરા ભૂલ્યા નહીં. દેશની સંસ્કૃતિને અનુરૂપ સંમેલનની પ્રારંભની પ્રાર્થના નિશ્ચિત કરવામાં આવી હતી. એ માટે મંચ પર પ્રસિદ્ધ વકીલ હેમચંદ્ર બાબુ ઉપસ્થિત થયા. રક્ષાબંધન વિશે એમણે એક કવિતા લખી હતી. મંચ પર એમણે એનું ગાન કર્યું. મારી અંતિમ પંક્તિઓ श्यामलाम्, सरलाम्, सुस्मिताम्, भूषिताम्, धरणीम्, भरणीम् मातरम्, वंदे मातरम् સાથે ઉમેરીને એમણે ગાયું હતું. સંમેલનમાં ઉપસ્થિત મોટાભાગના લોકો ઉચ્ચ વર્ગના તથા આધુનિક હતા, બુદ્ધિજીવી વર્ગના પ્રતિનિધિ હતા.
એક દાયકો વીતી ગયો. હિંદુ નવોત્થાનના મહાનાયક સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં સનાતન ધર્મની વિજયી ધ્વજા ફરકાવી હતી. બંગાળની પ્રજા એ બધું સાંભળીને ગૌરવનો અનુભવ કરી રહી હતી. વર્ષ ૧૮૯૬. બ્રિટનમાં સ્વામીજીએ માર્ગરેટ નોબલને ભગિની નિવેદિતા બનાવીને આત્મસાક્ષાત્કાર કરાવ્યો હતો. એ જ વર્ષે કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન કોલકતાના ઈડન ગાર્ડન આજનું રવીન્દ્ર ગાર્ડન ખાતે સંપન્ન થયું. એના અધ્યક્ષ હતા મહમ્મદ રહમતુલ્લા સયાની. એ વખતે પ્રાર્થના માટે મંચ પર આવી ગયા રવીન્દ્રનાથ ઠાકુર અને એમને સાથ આપવા માટે જ્યોતીન્દ્રનાથ.
પ્રાર્થના તરીકે મારી પ્રસ્તુતિ થઈ. કવ્વાલી તાલમાં, મલ્હાર રાગના સ્વરોમાં એ પ્રતિભાવાન ગાયકે મારી પૂર્ણરૂપે પ્રસ્તુતિ કરી. આખી સભા મંત્રમુગ્ધ થઈ ગઈ. અગિયાર વર્ષ પછી સ્ટુટગાર્ડના સમાજવાદી અધિવેશનના વિશ્વમંચ પર જન્મભૂમિના રાષ્ટ્રગાન તરીકે મારી પ્રસ્તુતિ થઈ હતી એની આ શરૂઆત હતી. એ જ દિવસથી કોંગ્રેસના દરેક અધિવેશનમાં પ્રાર્થના તરીકે મારી પ્રસ્તુતિ થતી હતી. મારા પ્રચારમાં, ખાસ કરીને બંગાળના ગામેગામમાં મારી લોકપ્રિયતામાં ઠાકુર પરિવારનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. એનું હું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું. કલા અને કમલા-સરસ્વતી અને લક્ષ્મીના આશીર્વાદ એ પરિવારને એક સાથે મળ્યા હતા. એ જ પરિવારની પ્રતિભાસુંદરી દેવીએ મને રાગ અનુસાર લિપિ મેળવી આપી. એમણે બાળક પત્રિકામાં એ છાપી હતી.
સરલાદેવી ચૌધરી રવીન્દ્રનાથ ઠાકુરનાં ભાણેજ હતાં. ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત એ મહિલાને ભગવતી સરસ્વતીનું વિશેષ વરદાન પ્રાપ્ત થયું હતું. એ પોતે એક દેશભક્ત કવયિત્રી હતાં. કાશીમાં આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા માટે એ ત્યાં આવ્યાં હતાં. સંમેલન ડિસેમ્બર મહિનામાં હતું. બંગાળમાં નવેમ્બર મહિનાથી જ મારા ગાન પર પ્રતિબંધ હતો. ઉત્તર પ્રદેશમાં પ્રતિબંધ નહોતો. એટલે સંમેલનમાં મારી પ્રસ્તુતિ માટે નિર્ણય લેવામાં આવ્યો અને એમ પણ નક્કી થયું કે, સરલાદેવી જ રાષ્ટ્રગીત ગાશે. અધિવેશનના અધ્યક્ષ હતા ગોપાલકૃષ્ણ ગોખલે. શરૂઆતમાં એમણે મંજૂરી ન આપી, પરંતુ લોકોનો આગ્રહ જ્યારે અતિશય વધી ગયો ત્યારે પહેલાં બે ચરણો ગાવાની અનુમતિ એમણે આપી. સરલાદેવીએ ગાવાની શરૂઆત કરી. બે ચરણ ગવાઈ ગયાં. ગાયક અને શ્રોતા બધાં જ મંત્રમુગ્ધ હતાં. કાશીના ગંગાના પ્રવાહને કોણ રોકી શકે છે? એ જ રીતે મને પણ કોઈ રોકી શક્યું નહીં. સરલાની સ્વરસાધના સરળતાથી વહેતી રહી. ગીત આખેઆખું થયું. મને લાગે છે કે ૧૯૪૭ની પંદરમી ઑગસ્ટે જો રવીન્દ્રબાબુ અને સરલાદીદી જીવતાં હોત તો મામા અને ભાણીએ સાથે મળીને સ્વાતંત્ર્યના સુંદર વાતાવરણમાં આરોહ-અવરોહ સાથે મારું ગાન કર્યું હોત. ખેર... વીતી ગયેલા જીવનમાં `પરંતુ'ને શું સ્થાન છે?
* * *
બંગાળ વિભાજન અને એ પછી બારિસાલની ઘટના બની. એ વિશે તો મેં તમને વિસ્તારથી જણાવ્યું છે ને? એ ઘટનાઓ પછી જ મને આસેતુ હિમાલય ભારતવર્ષમાં તીર્થયાત્રાનું સૌભાગ્ય મળ્યું. ધનુર્ધારી અર્જુનને ધર્મયુદ્ધમાં જે રીતે ઉર્વશીનો શાપ ઉપકારરૂપ સાબિત થયો એ જ રીતે પ્રતિબંધ પણ મારા માટે વરદાનરૂપ બની ગયો. એક સામાન્ય ગીત કરતાં મને ઘણું વધુ મહત્ત્વ મળી રહ્યું. હું એક સંદેશ બની ગઈ, એક વાતાવરણ બની ગઈ.
મારું પ્રયાણ કાશીથી શરૂ થયું. ૧૯૦૬માં વેલેન્ટાઈન શિરોલ કાશીમાં આવ્યો હતો. ફરતાં ફરતાં એક મંદિર પાસે આવ્યો. એણે જોયું કે, યુવાનોનું એક ટોળું ગંગામાં સ્નાન કરીને આવી રહ્યું હતું. એમની સાથે એક બકરી પણ હતી. બકરીને તેલનું માલિશ કરીને એને સારી રીતે નવડાવીને એને ગળે વળગાડતા હતા. તેઓ બંગાળી હતા, સુશિક્ષિત હતા. એમની સાથે અંગ્રેજીમાં વાત થઈ. આ બકરીને કેમ નવડાવો છો? જવાબ મળ્યો, બલિ ચઢાવવા માટે. સાહેબને પણ સાથે આવવાનું નિમંત્રણ અપાયું પરંતુ એમણે ના પાડી. વચ્ચે જ એક જણે કટાક્ષમાં કહ્યું, તમે પણ ચાલો, અમને વિશેષ આનંદ છે કે બલિ ચઢાવવા માટે એક સફેદ બકરો પણ મળ્યો છે. બધા હસી પડ્યા. અંગ્રેજ સાહેબ ન હસ્યો. વાત સમજવાથી કે નહીં સમજવાથી... ખબર નથી.
મારી પહેલી યુદ્ધભૂમિ બારિસાલ હતી. બ્રિટનના આદેશ અનુસાર જ્યારે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો ત્યારે આખા શહેરે વિજયોત્સવ ઊજવ્યો. વાતાવરણની ગરમી વધારતા મે મહિનામાં ફરી સંમેલન થયું. અંગ્રેજોના અપપ્રચારનો જવાબ આપવા માટે મહમ્મદ શરીફ, મતિહાર હુસેન, અશ્વિનીકુમાર દત્ત આગળ આવ્યા. તેઓ સરઘસ કાઢી રહ્યા હતા. રસ્તામાં મારા નામનો જયઘોષ સાંભળવા મળ્યો. ધાર્મિક ભેદભાવ વિના સૌના કંઠેથી એ બહાર પડ્યો હતો. મારા નામનો ઉલ્લેખ હોય એવા વિવિધ રંગોના ઝંડા પણ ફરકાવવામાં આવ્યા હતા.
એ જ વર્ષે કોલકતામાં સંપન્ન કોંગ્રેસના અધિવેશનમાં એ પરમ સત્યનો ગુંજારવ કાને પડ્યો. મેં સિદ્ધ કરી દીધું કે, મારું પાર્થિવ શરીર ન હોવા છતાં મારું નાદરૂપી શરીર અસ્તિત્વ ધરાવે છે. રાસલીલાના કૃષ્ણની જેમ મેં દરેકની સમક્ષ નૃત્ય કર્યું. એ સંમેલનમાં પણ રવીન્દ્રબાબુ આવ્યા હતા. આ વર્ષે પણ ઇતિહાસની પુનરાવૃત્તિ જ હતી. સાધના દ્વારા પ્રાપ્ત સિદ્ધિ વડે મારું ગાન થયું. ગૌરવ સાથે સભામાં મારું ગાન કરતી વખતે એ ક્રાંતિદર્શીએ એક પ્રયોગ કર્યો. મારી એક પદાવલીમાં ફેરફાર કરીને એણે રજૂ કરી. એ અજબ પ્રયોગ હતો. જે રીતે કાલિદાસે ભવભૂતિના એક શ્લોકમાં અનુસ્વાર દૂર કરીને શ્લોકની શ્રેષ્ઠતા સ્વર્ગ સુધી પહોંચાડી હતી એ જ `સપ્ત' પ્રકારનો એક પ્રયોગ કવિવરે કર્યો હતો. `સપ્ત'ને સ્થાને એમણે `કોટિ' શબ્દનો ઉપયોગ કર્યો. એ જ દિવસથી મારું સંબોધન ‘कोटि कोटि कंठ कलकलनिनाद कराले’ એની થઈ ગયું. સમ કોટિથી કોટિ કોટિ! કેટલી ઉન્નત છે એની અર્થવ્યાપ્તિ. બંગાળના નરેંદ્ર જે રીતે વિશ્વના વિવેકાનંદ બની ગયા એ જ પ્રકારનું આ પરિણામ હતું. ગાગર સાગર બની ગઈ!
કોલકતામાં સંપન્ન થયેલાં કોંગ્રેસનાં બધાં અધિવેશનો મારી જિંંદગીનાં સીમાચિહ્નો બની રહ્યાં હતાં. એક અધિવેશનથી બીજા અધિવેશન વચ્ચેનું અંતર બરાબર એક દાયકાનું છે. ૧૮૮૬માં સૌ પ્રથમ હેમેન્દ્રબાબુએ સૌ પ્રથમ મારું ગાન કર્યું હતું. ૧૮૯૬માં કવિવરે એને પૂરું કર્યું. ૧૯૦૬માં મારો આકાર મારી પ્રજ્ઞાને અનુરૂપ કરી દીધો. કોંગ્રેસના ઇતિહાસમાં પણ આ વખતનું અધિવેશન સીમાચિહ્નરૂપ હતું. યજમાન અને ભક્તો સેવક બનીને અધિકાર તથા સુવિધાઓ માટે, રાજકીય દેખાડા માટે ભેગા મળી રહ્યા હતા. એમાં નિયમિત રીતે ફરકાવવામાં આવતો ધ્વજ યુનિયન જૅક હતો. એમાં એક ખૂણે ભારત લખેલું હતું.
જોવામાં એમ લાગે કે જાણે ભારત કોઈની સામે ક્ષમાયાચના કરી રહ્યું હોય. એ બદલાતા પરિવેશમાં પરિવર્તન માટે એક અંગ્રેજ યુવતી આગળ આવી. એ રાજનીતિમાં નહોતી. કોંગ્રેસનું રાષ્ટ્રીયકરણ જ એનું લક્ષ્ય હતું. એને એ યોગ્યતા એના હિંદુ ગુરુએ પ્રદાન કરી હતી. હિંદુસ્થાનની સેવા માટે તારું હિંદુત્વકરણ કરવાનું છે. તારા પૂર્વજીવનને ભૂલી જજે' એવા આદેશ સાથે ગુરુએ એને આત્મસાક્ષાત્કાર કરાવીને, નિવેદિતા સ્વરૂપે માતાના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી. નિવેદિતાએ વિચાર્યું કે, દરેક રમતના જૂથ માટે પોતપોતાનો ધ્વજ હોય છે, કર આપનારા રાજા અને નવાબનો પણ પોતાનો ધ્વજ હોય છે તો ભારતનો કેમ નહીં? અને ભારતનો ધ્વજ દેશની સંસ્કૃતિને અનુરૂપ જ હોવો જોઈએ. અને પોતાના વિચારને એણે કૃતિમાં પણ ઉતાર્યો. એ લાંબો ચોરસના આકારનો કેસરી રંગનો કાપડનો ટુકડો. વચમાં ગોળાકારની મધ્યમાં વજ્ર, નીચે વંદે માતરમ્ તથા ‘यतो धर्मस्ततो जयः’ લખેલો એક ધ્વજ તૈયાર કર્યો. બૌદ્ધિક માસિક પત્રિકા મોડર્ન રીવ્યૂ'ના એ વખતના અંકમાં તેમણે એનું સ્પષ્ટીકરણ પણ આપ્યું. હિંદુ માનસને લાલ રંગથી પ્રેરણા નહીં મળે એટલે મેં કેસરી રંગ પસંદ કર્યો, વજ્રાયુધ દધીચિ ઋષિનું ઋણ છે. સમાજના કલ્યાણ માટે એમણે તપ, જ્ઞાન, પ્રાણ બધું આપી દીધું. આસુરી શક્તિઓનાં સર્વનાશ માટે પોતાની કરોડરજ્જુ પણ આપી દીધી. એના વડે જ વજ્ર બન્યું. મારા દેશના ધ્વજનું ચિહ્ન પણ એ જ વજ્ર બને.' પોતાના વિદ્યાલયના વિદ્યાર્થીઓ પાસેથી એમણે એ ધ્વજ તૈયાર કરાવ્યો હતો તથા ૨૬ ડિસેમ્બરના દિવસે કોંગ્રેસ અધિવેશનની સ્વદેશી પ્રદર્શનીમાં રજૂ કર્યો હતો. વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ એને રાષ્ટ્રીય ધ્વજ તરીકે માન્યતા આપવાની તરફેણમાં બોલ્યા. એ રીતે એ વર્ષે મેં ગીત દ્વારા ધ્વજમાં પ્રવેશ કર્યો. ત્યાંથી હું યૂરોપના આંતરરાષ્ટ્રીય સમાજવાદી અધિવેશનમાં પહોંચી ગઈ.
મારું અસ્તિત્વ ત્યાં સુધી જ સીમિત ન રહ્યું. પૂર્વ તથા પશ્ચિમ બંગાળનાં પુસ્તકાલયો, ક્લબો તથા અન્ય સંસ્થાઓને મારું નામ આપવા માટે લોકો ઉત્સુક બન્યા. શહેરોમાં મારા નામના રસ્તા તથા સંસ્થાઓ અતિ પ્રચલિત થઈ. સ્વેચ્છાસેવકોએ લાલ કૂર્તા અને પીળી ટોપી, પહેરીને સંચલન (ફૂટમાર્ચ) કર્યું. એ વેશ `વંદે માતરમ્ ગણવેશ' તરીકે ઓળખાતો હતો. ઘરના આંગણામાં સુંદર કલાત્મક રીતે મારા પાંચ અક્ષરોની રંગોળી પૂરવા બાબતે સ્ત્રીઓ વચ્ચે હરીફાઈ થતી. પ્રત્યેક ઘરમાં મારું નામ લખેલો ઝંડો ફરકાવવામાં આવ્યો. મારા પાંચ અક્ષર લખેલા કૂર્તા, ધોતી, સાડી ખૂબ પ્રચલિત થયાં. એવાં કપડાં પહેરવાં એ સજ્જનતાનું લક્ષણ બની ગયું. પરસ્પર મળતી વખતે બંગાળી લોકોના `નોમોસ્તે'ને બદલે `વંદે માતરમ્' આવી ગયું.
* * *
કોલકતાના એ કોંગ્રેસ અધિવેશનમાં એક અન્ય ઘટના પણ બની. એ એક સંગમ હતો અને એની દૂરગામી અસર પણ થઈ. અધિવેશનનાં વિભિન્ન સત્રોની વચ્ચેના સમયમાં પ્રતિનિધિઓએ આપસમાં રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા વિષયો પર અનૌપચારિક ચર્ચા કરી. ચર્ચા ગંભીર વિષયો પર થઈ. સભાના મંચના એક ખૂણે ભગિની નિવેદિતા અને એક તરુણ વચ્ચે ગહન વાતચીત થઈ રહી હતી. એ યુવકના કુર્તા, કોટ, પાઘડી વગેરે વેશભૂષા પરથી એ તો સ્પષ્ટ્ર હતું કે, માણસ અહીંનો નહોતો. એ પછી મને જાણવા મળ્યું એ મદ્રાસથી આવેલા સુબ્રહ્મણ્યમ્ ભારતી છે. હું ઉત્સાહિત થઈ. કારણ કે મેં એક વર્ષ પહેલાં જ એમના વિશે સાંભળ્યું હતું. મારા પર લગાવવામાં આવેલા પ્રથમ પ્રતિબંધ વિરુદ્ધ મદ્રાસના એસ્પ્લેનેડ મેદાનમાં દસ હજારથી પણ વધુ રાષ્ટ્રભક્તોની વિરોધસભાના આયોજન પાછળ એમની બુદ્ધિ કામ કરી ગઈ હતી. એમાં પણ મજાની વાત એ છે કે, ભારતીજી એ અધિવેશનમાં પત્રકાર તરીકે આવ્યા હતા.
ભગિની નિવેદિતાએ એમને રાષ્ટ્રસેવાની મંત્રદીક્ષા આપી. પછી એમણે કહ્યું હતું કે, ભગિની એમનાં ગુરુ હતાં. મદ્રાસ પાછા ફર્યા પછી એમણે `વંદે માતરમ્ કવિતાઓ' નામથી કવિતાઓ લખી. તિરુનેલવેલીની નજીક એચપુરમાં જન્મેલા ભારતીએ ૧૨ વર્ષની ઉંમરે દેશની દુર્ગતિને કારણે દુઃખી થઈને કવિતાઓ લખી હતી. એ બાળકના રાષ્ટ્રપ્રેમથી પ્રભાવિત થઈને એ પ્રદેશના દેશી રાજ્યકર્તાએ એમને ભારતી નામ આપીને એમની પ્રશંસા કરી હતી. એટલે તેઓ સુબ્રહ્મણયમ્ ભારતી થઈ ગયા. ભારતીનું બહુવચન છે ભારતીયાર જે આદરનું સૂચક છે. એ લોકનીતિ છે.
***
(ક્રમશઃ)