પ્રકરણ – ૧૫ । મંત્રની સાથે સાથે હું શસ્ત્ર બની ગઈ

બંગાળની જેમ મહારાષ્ટ્રમાં પણ મારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મારું નામ લેવું એ સજાપાત્ર ગુનો ગણાવા લાગ્યો. પરંતુ સરકારી પ્રતિબંધને માનતું કોણ હતું? કૃષ્ણના જન્મ પહેલાંથી જ કંસે એને જેલમાં પૂર્યો હતો. પરિણામ શું આવ્યું?

    ૦૭-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |

Vande Mataram novel gujarati prakaran 15
 
 
ભારતીએ સૌ પ્રથમ એક અન્ય ભાષામાં મારો અનુવાદ કર્યો. આદરણીય બાપુએ આફ્રિકામાં ગુજરાતી ભાષામાં મારું વર્ણાંતરણ કર્યું હતું. ગુજરાતી અને બંગાળી ભાષાની સમાનતાને કારણે એમ કરવું સરળ હતું. પરંતુ તમિળ ભાષાની વાત અલગ હતી. ભારતીયારે મને તમિળનાડુની કાંચીપુરમ્ સાડી પહેરાવીને સજાવી. મને ખૂબ આનંદ થયો. તમિળની પરંપરામાં મને આદરનો અનુભવ થયો. આદિ કવિ વાલ્મીકિએ જ્યારે સંસ્કૃતમાં રામાયણની રચના કરી ત્યારે કંબને તમિળ ભાષામાં એનો અનુવાદ કર્યો. ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે, તુલસીદાસ કરતાં ૧૦૦ વર્ષ પૂર્વે એમણે એ કાર્ય કર્યું હતું. પોતાની ભાષામાં ભારતીએ વંદે માતરમ્નો અનુવાદ કર્યો. તેલુગુભાષી, કન્નડભાષી તથા મલયાલમભાષી પણ સમજી શકે એવી સરળ તમિલ ભાષામાં એમણે એ ગીત અનુદિત કર્યું છે.
 
વંદે માતરમ્ ઈનિયનીર પેરુકિને
ઈનકની વલરત્તિને
તની નરુમલયત્તનકાર ચિતધિને
પૈેનિપ્પષનમ્ પરવિનૈ વડવિનૈ
વંદે માતરમ્...
એટલાથી સંતુષ્ટ્ર ન થતાં અથવા અતિ ઉત્સાહને કારણે ફરીથી ગાયું
વંદેમાતરમ્
તલિરમણનીરૂમ્
નયં પટુકનિકલુમ્
કુલિર પૂંતેન્નલુમ્‌
કોષુમ્ પોષિલ પૂજ શેય્યુમ્‌
વાયન્તુ નેલકિલેકુવે, વાષિય અન્નૈ.
વંદે માતરમ્... એકલ તાય નિન્ પાદડ્લિલંજુવોમ્
વંદે માતરમ્
 
જે રીતે કંબનમાં વાલ્મીકિને જોઈ શકાયા એ જ રીતે એ તમિળ કવિશ્રેષ્ઠમાં હું આપણા બંગાળી બાબુને જોઈ શકી. `ભાવનાને ભાષા નથી હોતી.' એ વખતે મને પિતાજીના શબ્દો યાદ આવ્યા. ભારતીનું કામ માત્ર અનુવાદ પૂરતું સીમિત ન રહ્યું. બંગાળમાં જોશ પેદા કરનારી રાષ્ટ્રભાવનામાંથી ઊર્જા ગ્રહણ કરીને એમણે `જય બંગાલમ્' નામનું ગીત લખ્યું. એ એમણે પોતે ગાયું પણ હતું. અનેક સભાઓમાં એની પ્રસ્તુતિ થઈ હતી. વંદે માતરમ્ની ૧૫૦૦૦ નકલો છાપીને વિતરિત કરવામાં આવી હતી.
 
એ પછી `સ્વદેશ ગીત' નામે વધુ એક પુસ્તક પ્રકાશિત થયું. પુસ્તકના પહેલાં પાના પર લખ્યું હતું `આ પુષ્પ એકતા તથા નિત્ય યૌવનની પ્રતીક ભારતમાતાને સમર્પિત.' ૧૯૦૬માં એમની ૨૬ વર્ષની વયે વધુ એક પુસ્તક પ્રકાશિત થયું જેની પ્રસ્તાવનામાં લખ્યું હતું, `આઝાદી'નો પ્રકાશ મને પસંદ છે એટલે કેટલાંક પુષ્પ મેં મારી માતાને ચઢાવ્યાં છે. માતાના ભક્તોને એ પસંદ પડ્યાં છે અને માતાએ પણ એનો સ્વીકાર કર્યો છે. આ રીતે માતાને વધુ કંઈક આપવાનો મને ઉત્સાહ અનુભવાય છે.' અને એ અનુસાર એ આપતા રહ્યો. એ જમાનામાં મીનાક્ષી અને કાંચીપુરેશ્વરીના એ પ્રદેશમાં સંગીતસભાઓમાં, નૃત્યમંચો પર, પરિચર્ચાઓમાં, સંગોષ્ઠિઓમાં તથા બિનમિશનરી શાળાઓમાં કોઈ પણ ભેદભાવ વગર બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાં જ વંદે માતરમ્ ગાતાં રહેતાં હતાં. ઘરનાં રસોડાં સુધી એનું ગુંજન પહોંચી ગયું હતું. દક્ષિણ ભારતમાં કોંગ્રેસનું નેતૃત્વ મજબૂત થવામાં એ ગીતો અત્યંત સહાયક બન્યાં છે. આઝાદીની લડાઈમાં એ ગીતો લોકોમાં જોશ પેદા કરતાં હતાં. આઝાદી પછીનાં બદલાયેલા જીવનના પ્રાયોગિક વાતાવરણમાં ભારતીનાં ગીતોએ ધર્મનો રંગ ધારણ કર્યો. ઉત્સાહી બુદ્ધિજીવીઓએ એમની ટીકા કરી. એમને કટ્ટર રાષ્ટ્રવાદી કહેવાયા. બુદ્ધિજીવી લોકોએ એ બધું અંગ્રેજીમાં કહ્યું હતું એટલે કોઈએ એમની ટીકા ન કરી. એ પછી રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત `ભારતી'નાં ગીતો ક્યારેક કોઈ નેતાના જન્મશતાબ્દી સમારોહમાં અથવા માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં સાંભળવા મળ્યાં.
 
 
***
 
કોંગ્રેસના કોલકતા અધિવેશન પછી વિભાજનની પીડા તથા બદલાની ભાવના સાથે સુરેંદ્રનાથ બેનર્જી પંજાબ ગયા, ભગિની નિવેદિતા ઉત્તર મધ્ય પ્રાંતમાં ગયાં, બિપિનચંદ્ર પાલ દક્ષિણમાં ગયા. લોકમાન્ય ટિળક મહારાષ્ટ્રમાં પહોંચી ગયા. અરવિંદ ઘોષ ઉત્સાહપૂર્વક મેદાનમાં ઊતર્યા. લોકો જાગી ઊઠ્યાં. રાષ્ટ્રીય ભાવના આંદોલન સ્વરૂપે ફેરવાઈ ગઈ. એ જનઆંદોલનની આગમાં હું એક લાકડાનો ટુકડો માત્ર હતી, પરંતુ એની પણ એક સ્વતંત્ર કથા છે.
 
દિલ્હીમાં યોજાતી રામલીલા અને જમ્મુની રામલીલામાં અંતર છે. જમ્મુ, કઠુઆ, ઉધમપુર વગેરેની રામલીલામાં રાવણદહન બરાબર સૂર્યાસ્તને સમયે થઈ જાય છે. રાવણના બળી રહેલા શરીરમાંથી લાકડું લેવા માટે લોકો દોડતા આવે છે. લાકડાનો એક ટુકડો લઈને લોકો ઘેર જાય છે. લોકોની એવી શ્રદ્ધા છે કે, લાકડાનો એ ટુકડો ઘરમાં રાખવાથી શનિદેવના કોપ અને ભૂતથી બચી શકાશે. રાષ્ટ્રીય વિજયાદશમી ઉજવવાના મહાયજ્ઞમાં મારું સ્થાન લાકડાના એ ટુકડાનું છે. લોકનેતાઓ મને લઈને દેશના ખૂણે ખૂણે પહોંચી ગયા.
 
વિપિનચંદ્ર પાલ આંધ્ર પ્રદેશના રાજમહેંદ્રીમાં જઈ પહોંચ્યા. ત્યાં એમનું સ્વાગત કરવા માટે લોકો મોટા પ્રમાણમાં એકઠા થયા હતા. તેઓ ગાડીમાંથી નીચે ઊતરતાં જ જાણે વીજળી ચમકી, તરત જ વંદે માતરમ્નો ધ્વનિ સાંભળવા મળ્યો. સાંજે આયોજિત સંમેલનમાં કવિ અને લેખક શ્રી લક્ષ્મી નરસિંહ પંતલુએ બિપિનના ભાષણનો અનુવાદ કર્યો. સભાના અંતમાં વંદેમાતરમ્ ગાવાનો સમય થયો. બિપિને બધાને વિનંતિ કરી કે બધા બે હાથ જોડીને ઊભા થઈ જાવ. બધાએ એનું પાલન કર્યું. મંચ પર મારી પ્રસ્તુતિ થઈ. આ વખતે મેં પ્રસિદ્ધ તેલુગુ શ્રીશૈલમ્ સાડી પહેરી લીધી હતી. સંસ્કૃત અને તેલુગુ શબ્દોના તાણાવાણાથી વણાયેલી એ રેશમી સાડીમાં જ્યારે હું પ્રકટ થઈ ત્યારે જાણે મૂળ કવિએ જ નતમસ્તક થઈને ગાયું...
 
વંદનમ્મા ભારતમાતા
મંદમંદ મલયાનિલ જાગ્રત
નિર્મલજીવન મધુર ફલામૃત
શસ્ય શ્યામલ કોમલ ગાત્રા
વંદનમ્મા
શ્યામલ નીવે, સરલવુ નીવે
ધરણિવી ભરણિવી સર્વમુ નીવે
પ્રાણતુલીવે જનની ભારતાવની
વંદનમ્મા
નીવે વિઘવુ નીવે ધર્મવુ
નીવે હૃદયવુ નીવે મર્મમુ,
નીવે પ્રાણમુ નીવે દેહમ,
નીવે પ્રેમમુ નીવે શ્રેયમુ વંદનમ્મા
 
શૃંગેરી અને શ્રવણ બેલગોલાની પવિત્રતાથી શોભાયમાન કર્ણાટકને હું કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું. એને માટે એક વિશેષ કારણ પણ છે. પિતાજીનું આનંદમઠ બંગાળ આંદોલન પહેલાં જ શ્રી વૈંકયાચાર્યે કન્નડ ભાષીઓને પોતાની ભાષામાં ઉપલબ્ધ કરાવ્યું હતું. એટલે એ દેશવાસીઓ સાથે પહેલાં જ મારો પરિચય થઈ ગયો હતો. આંદોલન જ્યારે શરૂ થયું ત્યારે મારી ખ્યાતિ ઓર વધી ગઈ. મંત્રની સાથે સાથે હું શસ્ત્ર બની ગઈ. બાળકો પોતાનાં પુસ્તકોમાં પહેલા પાને મંગળ શ્લોક તરીકે મને લખતાં હતાં. પત્ર લખતી વખતે પણ પહેલાં મથાળે મને લખવાનો રિવાજ શરૂ થયો હતો. વિજાપુરથી ૧૨ સપ્ટેંબર ૧૯૦૮ના દિવસે એક હોંશિયાર તેજસ્વી બાળકે પોતાના પિતાજીને લખ્યું હતું...
 
`વંદે માતરમ્
 
પ્રિય આદરણીય પિતાજી,
 
વિદેશી સરકારને અધીન હિંદુસ્થાનની આ વેદનાજનક સ્થિતિ હું વધુ સમય સહન કરી શકીશ નહીં.'
 
એ લખાણ દ્વારા બાળકે ભવિષ્યની પોતાની જીવનદિશાની સૂચના આપી દીધી હતી. એ હોંશિયાર બાળક હતો આગળ જતાં પ્રસિદ્ધ થયેલો હનુમંતરાવ.
 
ઉત્તર કર્ણાટકમાં મહારાષ્ટ્રનો પ્રભાવ વધુ હતો. ત્યાંના કેટલાંક હોંશિયાર બાળકોએ આર્ય બાળસભાની સ્થાપના કરી. એમને માબાપનું પ્રોત્સાહન પણ ઘણું મળ્યું. સભામાં તેઓ સાથે બેસીને આનંદમઠનું વાચન કરતા હતા. એ સાથે જ રાષ્ટ્રભક્તિનાં ગીતો ગાવાં, ટિળકનું કેસરી વાંચવું વગેરે કાર્યક્રમો પણ ચાલુ હતા.
 
મહારાષ્ટ્ર વિશે તો હું શું કહું? છત્રપતિ, તમને ઓળખવામાં અમે ખૂબ મોડું કર્યું. જે વીર પુરુષ વિશે કહેવાયું હતું એ વીર પુરુષના જન્મથી દેશ પવિત્ર થઈ ગયો. મારા વંદનીય જનકને આત્માહુતિ દ્વારા જેણે પ્રભાવિત કર્યા એ વાસુદેવ બળવંત ફડકેની રણભૂમિ. ભારતીય ક્રાંતિના જનક લોકમાન્ય ટિળકની તપોભૂમિ, શત્રુઓના લોહી વડે માતાનો અભિષેક કરનારા ચાફેકર ભાઈઓની ત્યાગભૂમિ, તેર વરસની ઉંમરે સ્વદેશી આંદોલન માટે જેણે આહ્વાન કર્યું એ કિશોર સાવરકરની અમરભૂમિ! હું તીર્થયાત્રા દરમિયાન ત્યાં પહોંચી ગઈ. મહાકાળીના પવિત્ર સ્થાનેથી તુળજા ભવાની તરફની તીર્થયાત્રા. રાષ્ટ્રભક્તોની એ પવિત્ર ભૂમિની માટીને સાષ્ટાંગ નમસ્કાર કરવા માટે હું ત્યાં પહોંચી હતી. આપવા માટે નહીં, લેવા માટે હું ગઈ હતી.
 
પુણેમાં ટિળકે પહેલાં જ કેસરી નામથી સમાચાર પત્ર શરૂ કરેલું હતું. એનો ઉદ્દેશ એમણે શીર્ષકના શ્લોકમાં જ વ્યક્ત કર્યો હતો. સામ્રાજ્યવાદના ઉન્માદથી ગ્રસ્ત હાથી માટે એમની એ ચેતવણી હતી. એમણે ચેતવણી આપતાં કહ્યું,
 
‘गजालीश्रेष्ठा या निबिडतर कान्तारजठरी
मदान्धाक्षा मित्रा, क्षणभरी ही वास्तव्य न करी नरवाग्रांनी येथे गुरुतरशिला भेदुनि करी
भ्रमाने आहारे. गिरिकुहरी हा निद्रित हरी ।
 
મેં પણ કેસરી સાથે મળીને ગર્જના કરવાનો નિર્ણય લઈ લીધો. યુદ્ધમાં ઉદાસીનતાની ભાવના સૌથી વધુ જોખમી છે. પુણેમાં હું મારા નામમાંથી બહાર નીકળી. ત્યાંના કેટલાક સપૂતો મને હાથ પકડીને બહાર લાવ્યા. મરાઠા માનસમાં સળગી રહેલી આગની હવાને આંધીનું રૂપ આપવામાં હું સફળ રહી. આઝાદી અને ધર્મ માટે પરમ ત્યાગ જ વાસ્તવમાં ધર્મ છે. મેં એ જ વાત કહી. મારા પર સરકારની વક્ર અને ક્રોધિત દૃષ્ટિ પડવામાં બહુ વાર ન લાગી.
 
બંગાળની જેમ મહારાષ્ટ્રમાં પણ મારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મારું નામ લેવું એ સજાપાત્ર ગુનો ગણાવા લાગ્યો. પરંતુ સરકારી પ્રતિબંધને માનતું કોણ હતું? કૃષ્ણના જન્મ પહેલાંથી જ કંસે એને જેલમાં પૂર્યો હતો. પરિણામ શું આવ્યું? શું મધ્યાહ્નનાં સૂર્યકિરણોને વાદળું રોકી શકે છે? હવા પર શું કોઈ પ્રતિબંધ લગાવી શકે છે? દૃઢ નિશ્ચય સાથે શું કોઈ દીવાલ ઊભી કરી શકે છે? મેં મારા ભાઈઓનાં હૃદયમંદિરમાં પ્રવેશ મેળવી લીધો અને એમનાં મધુર કંઠે તથા ગંભીર સ્વરે ગુંજી ઊઠવાની માતાની કૃપા મને પ્રાપ્ત થઈ ગઈ. મને શેનો ભય છે? હું સીધી પંચવટી પહોંચી ગઈ. રામ, લક્ષ્મણ અને જનકપુત્રી જાનકી જ્યાં આશ્રમ બાંધીને રહ્યાં એ ગોદાવરીને કિનારે હું પહોંચી. રાક્ષસ રાવણના વધ માટે જ્યાં રામે પોતાનું પહેલું પગલું મૂક્યું એ નાશિકમાં હું પહોંચી. મારા દેશની આઝાદી માટે હું સશસ્ત્ર યુદ્ધનો ધ્વજ ફરકાવીશ. એ યુદ્ધમાં શત્રુઓનો નાશ કરવા માટે અંતિમ શ્વાસ સુધી લડતી રહીશ, બધા ચાફેકર ભાઈઓની જેમ પ્રાણની આહુતિ આપીશ નહીં, પણ શિવાની જેમ વિજય મેળવીને માતૃભૂમિના મસ્તક પર સ્વરાજ્યનો અભિષેક કરીશ, એ પ્રમાણેની ભીષ્મ પ્રતિજ્ઞા વિનાયક દ્વારા જ્યાં મિત્ર મેળાની સ્થાપના વખતે કરવામાં આવી એ ક્રાંતિનગરીમાં હું પહોંચી ગઈ. હું ત્યાં પહોંચી ત્યારે વિનાયક વિલાયતમાં હતા. એ વખતે ત્યાં એમના ભાઈઓ બાબા અને નારાયણ હતા. યોજના અનુસાર એમણે મિત્રમેળાનું નામાંતરણ કરીને અભિનવ ભારત નામ રાખ્યું.
બારિસાલની પુનરાવૃત્તિ ન થવા દેવા માટે નાશિકના જિલ્લાધિકારીએ જરૂરી તૈયારી કરી હતી. બીજી બાજુ અભિનવ ભારતીયોએ મકરસંક્રાતિનો ઉત્સવ અભિનવ રીતે જ ઊજવવાનો નિર્ણય લઈ લીધો હતો. સરકારી આદેશનું ઉલ્લંઘન કરીને બાબાએ પત્રકનું વિતરણ કર્યું. પત્રકના શીર્ષક, વિષય તથા સમાપ્તિમાં મારું નામ હતું. બાબા પકડાઈ ગયા. અદાલતમાં લઈ જવાયા. વિશેષ કાર્યવાહી પણ થઈ નહીં અને અદાલતે એમને ૭ રૂપિયા દંડ કર્યો. વાસ્તવમાં સજા ગંભીર નહોતી એમ છતાં ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરવામાં આવી. ઉચ્ચ ન્યાયાલયે ગુનો રદ કર્યો. કારણ શું હતું? હા, અદાલતને ગુપ્ત આદેશ મળ્યો હતો કે બાબાને હીરો ન બનાવશો.
 
આઠ મહિના વીતી ગયા. વિજ્યાદશમીનો દિવસ આવ્યો. મહારાષ્ટ્રના બંધુઓ માટે એ સીમોલ્લંઘનનો દિવસ હતો. એમની શ્રદ્ધા છે કે એ જ દિવસે પાંડવોએ શમી વૃક્ષની બખોલમાં સંતાડીને રાખેલાં શસ્ત્રો બહાર કાઢીને ધર્મયુદ્ધ માટે પ્રયાણ કર્યું હતું. `અભિનવ ભારત'ના ભાઈઓએ સરકારના કાળા નિયમોની સીમાનું ઉલ્લંઘન કરવાનો નિર્ણય કર્યો. એમણે મહાકાળીના મંદિરથી શોભાયાત્રા શરૂ કરી. ઊંચા અવાજે વંદે માતરમ્‌ સંભળાયું. પોલીસને એની બરાબર માહિતી નહોતી એટલે શોભાયાત્રા કોઈ અવરોધ વગર આગળ વધી. એ જ વખતે સડક પર ફરજ બજાવતો એક સરકારી રક્ષક બંધ કરો કહેતો શોભાયાત્રા ઉપર કૂદી પડ્યો. પોલીસે બાબાનું ગળું પકડ્યું, બે તમાચા માર્યા. અહિંસામાં ન માનતા બાબાએ એ વ્યાજ સહિત પાછા આપ્યા. અભિનવ પુત્રોએ ચારે તરફથી એ નિયમપાલકને નિયમ શીખવાડ્યો. દરમિયાન વધારાની કુમક આવી પહોંચી પરંતુ હોંશિયાર લોકોએ નાસી જઈને પોતાને બચાવી લીધા.
 
પોલીસને ત્યાં ઊભેલા બાબા અને ખરે વકીલ મળ્યા. એમને પોલીસ થાણે લઈ ગઈ. એમની તપાસ કરી. આરોપ મૂકી શકાય એવી કોઈ વસ્તુ ન મળી અને પુરાવાના અભાવે પોલીસે એમને છોડી મૂક્યા. બે-ત્રણ દિવસ પછી જિલ્લાધિકારીને એ ઘટના વિશે જાણવા મળ્યું. ખાસ કરીને વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓએ આ પ્રકારના સીમોલ્લંઘનના કાર્યક્રમો આયોજિત કર્યા હતા. આંદોલનની પદ્ધતિમાં સમાનતા હતી. અભિનવ યુવકોએ પોલીસને બહુ હેરાન કરી.
 
***
 
(ક્રમશઃ)