સત્ય છુપાવીને ઇતિહાસને તોડી-મરોડીને લખવો એ વેપારી વૃત્તિના પશ્ચિમી લોકોની વૃત્તિ છે. એલિઝાબેથ તથા વિક્ટોરિયાના લોકો પણ એમાં પાછા પડે એવા નહોતા. `બહુજનહિતાય બહુજનસુખાય' જીવન જીવનારા મારા દેશના સંન્યાસીઓના સ્વતંત્રતા સંગ્રામને પણ વિદ્રોહનું નામ આપીને ક્ષુલ્લક બનાવી દેવાયો. પોતાનું જીવન હોડમાં મૂકીને જનતા-જનાર્દન માટે લડવું એ શું વિદ્રોહ છે?
હવાનું નિયંત્રણ આપણે કરી શકતા નથી. હવા આપણી પકડમાં આવે એવી વસ્તુ નથી. કદાચ એટલે જ એને અનિલ નામ મયું છે. ચપળ, નટખટ બાળકની જેમ એ ચાલે છે. પવનની એ તેજગતિની સહાયથી કંપનીના ઝંડાએ ભારતમાતાને ભલે બંધનમાં જકડી લીધી હતી તો પણ અનેક વખત એ જ હવામાં એમનાં જહાજો દારૂડિયાની જેમ લથડિયાં ખાતાં હેરાનપરેશાન પણ થઈ ગયાં હતાં.
યુગોથી મારી ઇષ્ટ માતૃભૂમિની પોતાની એક પરંપરા રહી છે. અન્ય કોઈ પણ દેશમાં આટલા બધા ઉતાર-ચઢાવ આવ્યા નહીં હોય. પતનના સમયમાં પાતાળમાં પેસી જઈને નષ્ટ થઈ ન જતાં એ વડવાનલ સ્વરૂપે પ્રજ્વલિત થઈને યમરાજને પણ આહ્વાન કરવાની શક્તિ પ્રાપ્ત કરી લે છે. કંપનીના સમયમાં પણ કશું શાંતિપૂર્ણ નહોતું જ. પ્રકૃતિના નિયમને કોઈ રોકી શકતું નથી. ઓટ આવવા માટે પણ એક ભરતી તો જરૂર આવી જશે. મારું રાષ્ટ્ર પણ એમાં અપવાદ નથી. દેશના કોઈ ને કોઈ ખૂણેથી કંપનીની સત્તા વિરુદ્ધ અવાજ ઊઠવા જ લાગ્યો હતો.
દૂર દક્ષિણમાં તમિલનાડુમાં બેલૂરના સુરક્ષા સૈનિકો, કેરળના વેલુતંપી દલવા તથા વયનાડુના રાજા કેરળવર્મા, કર્ણાટકનાં કિત્તુરનાં ચેન્નમારાણી વગેરેએ અંગ્રેજોને હાંકી કાઢવા માટે તલવાર હાથમાં લીધી હતી. તામિલનાડુના વીર પાંડય કટ્ટ બોમ્બને ગર્જના કરી - `વરસાદ વરસે છે આકાશમાંથી અને માતૃભૂમિ અન્ન આપે છે, કર આપવો જ હોય તો તમારા જેવા બદમાશ લોકોને શા માટે આપીએ ?' એને સમર્થન આપતાં પંચનદીઓની ભૂમિમાં રણજિતસિંહે પ્રતિસાદ આપ્યો. એમના મૃત્યુ સુધી અંગ્રેજો એ તરફ આંખ ઊંચી કરીને જોઈ ન શક્યા. છત્રપતિ શિવાજીની વીરભૂમિ મહારાષ્ટ્રમાં કિલ્લાઓનું રક્ષણ કરનારા ગડકરીઓએ, ગામેગામના દીવાન તથા મુખીઓની કચ્છની ખારવા પ્રજાએ કચ્છથી વડોદરા સુધી કંપનીના બજારને ભારે નુક્સાન પહચાડ્યું. કંપનીનો ઝંડો ફાડી નાખવામાં આવ્યો. ઉત્તરપ્રદેશના સહારનપુરમાં કૂંજા જિલ્લો કબજે કરીને ગુર્જરોએ વિજયસિંહને રાજા ઘોષિત કરી દીધો.
અસંતોષની ચિનગારી દેશભરમાં પ્રસરવા લાગી. કંપનીના ગુપ્તચર વિભાગને પણ એની સૂચના મળી ગઈ હતી. વિંધ્યાચળના વીર સપૂત એવા ભીલોએ ધનુષ્યબાણ ચલાવીને મહારાણા પ્રતાપના શૌર્યની યાદ તાજી કરી. વીર દુર્ગાદાસની પેઢીએ મધુકરશાહ બુંદેલાના નેતૃત્વમાં ક્રાંતિનો ઝંડો ઉઠાવ્યો. હરિયાણામાં મેવાતી ભટ્ટી તથા જારોએ રોહતક અને રેવારીમાં આઝાદીનો ઝંડો લહેરાવ્યો. કંપનીની સત્તાનો અંત જાહેર કરીને કર વસૂલ કરી લેવામાં આવ્યો. ક્કલના યૌદ્ધા સિપાઈઓએ ખુરદા જિલ્લામાં જગબંધુ બક્ષીના નેતૃત્વમાં યુદ્ધ કર્યું. ચાર ધામ પૈકી એક જગન્નાથપુરી થોડા સમય માટે એમના કબજામાં આવી ગયું. ગંગાના પ્રદેશ અલીગઢમાં દયારામે તાલુકદારોના સહયોગથી સફળ આક્રમણ કર્યું. અંગ્રેજોએ દગાથી હાથરસ જિલ્લા પર કબજો કરી લીધો ત્યાં સુધી તેઓ શૌર્ય દાખવતા લડતા રહ્યા.
હવે હું મારા દેશવાસીઓને એક પરમ સત્ય કહેવા માગું છું. હું એ માનતી નથી કે સન ૧૮૫૭માં થયેલો ગંગા યમુના ઘાટીને મૂળમાંથી ધ્રુજાવી દેનારો વ્યાપક સંઘર્ષ જ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે, કારણ મામૂલી છે, પરંતુ સ્પષ્ટ છે. અત્યાર સુધી મેં સંક્ષેપમાં જે જે સ્વાતંત્ર્ય સંગ્રામોની વાત કરી એ બધા સન ૧૮૫૭ પહેલાં થયા હતા. એટલે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે કહેતી વખતે એને ભારતનો સંગઠિત અને વ્યાપક એવો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવો યોગ્ય રહેશે. જે વીર દેશપ્રેમીઓનો ઉલ્લેખ પહેલાં કરવામાં આવ્યો છે એમને ન્યાય કરવા માટે એમ કરવું પડશે. એમ કરવાની શું આપણી જવાબદારી પણ નથી? એટલે હું ફરી એક વાર કહું છું કે, ઓગણીસમી સદીના ઉદય સાથે જ આ વીરભૂમિમાં ખૂણે ખૂણે અલગ અલગ સ્વતંત્રતા માટેની લડાઈઓ શરૂ થઈ. પરંતુ સૌથી પહેલો સંગઠિત વ્યાપક સંગ્રામ ૧૮૫૭માં થયો.
***
હું જરા વધુ પાછળ જઉં છું. મારા જન્મ પહેલાંના એ યુગ સંક્રમણ તરફ જાઉં છું. મારા દેશવાસીઓ એટલે કે બંગાળવાસીઓને પ્લાસીના યુદ્ધમાં પરાજય વેઠવો પડ્યો. પોતાના રક્તથી એ પાપ ધોવાનો પ્રયત્ન પણ મારા દેશવાસીઓએ કર્યો છે. ત્યાં કોઈ બાપ્પા રાવલ, શિવા કે રણજિતસિંહનો જન્મ નથી થયો. કંપનીના આગમન સુધી મારા બંગવાસીઓએ સંઘર્ષ કર્યો છે. લાંબા સમયની ગુલામીએ પ્રજાને હેરાન પરેશાન કરી હતી. કંપનીના આગમનને કારણે જ્યારે નવાબોનું શાસન સમાપ્ત થયું ત્યારે લોકોએ નિરાંતનો શ્વાસ લીધો. પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડ્યો.
પરિસ્થિતિ વધુ બગડવા લાગી. કંપનીની પ્રવૃત્તિઓ તો એવી હતી જાણે એ સભ્ય હોય પરંતુ પરિષ્કૃત, સભ્ય જણાતી પદ્ધતિથી એમણે લોકોને લૂંટી લીધા. વેપારના અધિકાર મેળવીને કંપની કોલકતાથી જહાજમાં માલ ભરી ભરીને લંડન મોકલતી રહી. માત્ર પાંચ જ વર્ષમાં સુજલા, સુફલા, ફુલકુસુમિત, દ્રુમદલશોભિની બંગભૂમિમાં દુકાળ વ્યાપી ગયો. શરૂઆતમાં લોકો એ વિશે જાણી શક્યા નહીં. નાની નાની નદીઓ તથા ઝરણાંઓને કિનારે અલગથલગ રહેનારા ગ્રામવાસીઓને લાગ્યું કે, એ એમની એકલાની સમસ્યા હતી. તેઓ પોતાના ભાગ્યને દોષ દઈને જીવન વિતાવી રહ્યાં હતાં, પરંતુ સત્ય સામે આવતાં બહુ વાર ન લાગી. ત્યાં ચાલતાં ફરતાં સમાચાર પત્રો હતાં. સંતો ભગવાન બાબા... ત્રિવિષ્ટપ (તિબેટ)ની દક્ષિણે હિમાલયથી કાલીઘાટ (કોલકતા) સુધી અવિરત ભ્રમણ કરનારા અનિકેત સંતો. જ્યાં પહચતા ત્યાં જ ઘર છે માની લેતા, જે મળે એ ખાઈને આનંદ અનુભવતા સંતો. એમનું જીવન અવિરત ચાલનારી તીર્થયાત્રા હતી. સતત સંપર્ક એમની દિનચર્યા હતી. મહાભારત, વેદાંત, ભાગવતના જ્ઞાન સાથે જ ચિકિત્સા વગેરેના લાભ પણ ગ્રામવાસીઓને એમની પાસેથી મળી રહેતા હતા. ગામવાસીઓ એમનો આદર કરતા હતા. ગામના પંડિતો પણ એમની તોલે આવતા નહોતા. એમની વાણી ગ્રામવાસીઓ માટે આદેશ સમાન હતી.
એ સાધુસંતોના પણ એકથી વધુ વિભાગ હતા. કેટલાક સંતો પોતાને કાલીમાતાનાં સંતાન માનતા હતા. કેટલાક કહેતા કે, તેઓ ગોરખનાથની શિષ્ય પરંપરાના નાથ છે. કેટલાક પોતાને ચૈતન્ય પરંપરાના વૈષ્ણવ માનતા હતા. જો કે ગ્રામવાસીઓ માટે એ બધા એક જ પરંપરાના હતા.
દુઃકાળથી પીડિત ગ્રામવાસીઓની દશા જોઈને સંતોને ઘણું દુઃખ થયું. લોકોની સુરક્ષા તથા સુરાજ્ય માટે જવાબદાર રાજ્યકર્તાઓના ઢીલા વલણને કારણે એમનું દુઃખ બેવડાયું હતું. જમીનદારો તથા જમીનમાલિકોની ઉદાસીનતા જોઈને તેઓ ક્રોધે ભરાયા. ગરીબીથી ત્રસ્ત, નિરાધાર અનાથોને જોઈને એમના મનમાં સેવાભાવ જાગ્રત થયો. બંગાળને કંગાળ બનાવી દેનારા અંગ્રેજો વિરુદ્ધ એમણે યુદ્ધનું કંકણ ધારણ કર્યું. એમની પાસે ગુમાવવા જેવું તો કંઈ હતું નહી. પરંતુ મેળવવા માટે ઘણું બધું હતું, દેશવાસીઓની મુસીબતોનું નિવારણ તથા દેશનું સ્વાતંત્ર્ય.
સંતોએ એક થઈને અંગ્રેજોને હાંકી કાઢવાનો સંકલ્પ કર્યો. નામ અને પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વિના પરિશ્રમ કરવો એ એમની સંસ્કૃતિ હતી. એ કર્મયોગીઓને કોણે સંગઠિત કર્યા એ આજે પણ અજ્ઞાત છે.
ગાઢ જંગલમાં તેઓ ભેગા મયા. ત્યાં સૂબેદારો કે જિલ્લાધીશો પહચી શકતા નહોતા. જંગલમાં મહિષાસુર મર્દિનીની કાળા પાષાણની મૂર્તિ બનાવવામાં આવી. મૂર્તિને પહાડોના શિખર પર પ્રતિષ્ઠિત કરવામાં આવી. એની સમક્ષ તેમણે વિલાયતીને વિલાયત મોકલી દઈને બંગભૂમિને મુક્ત કરવાના કઠોર શપથ લીધા. હાથમાં તલવાર લીધી. યોગદંડની આડમાં બંદૂક ધારણ કરી. સંતોનો સંઘ બન્યો સંતોની સેના. ખેડૂતોએ એમને મદદ કરી. અંગ્રેજ સૈન્યમાંથી બરતરફ કરાયેલા સૈનિકોએ એમને સાથ આપ્યો. જમીન ખોઈ બેઠેલા જમીનના માલિકો પણ એમને આવી મયા.
સંત સેનાએ પોતાની કાર્યયોજનાનો પ્રારંભ કર્યો. દેવેન્દ્ર માટે આરક્ષિત સુરક્ષિત દ્રવ્ય ગોવર્ધનને આપી દેનારા બાલક્રાંતિકારી ગોપાલકૃષ્ણની જેમ કાર્યયોજના શરૂ કરી દીધી. અંગ્રેજોનાં; હંકારી જવા માટે તૈયાર ઊભેલાં જહાજોમાં ભરેલી વસ્તુઓ એ દીનબંધુઓએ ગરીબીથી ત્રસ્ત ભૂખ્યા લોકોમાં વહેંચી દીધી. નકામા રાજા બની બેઠેલા નવાબોના ખજાના મંદિરોમાં વહેંચી દેવામાં આવ્યા. કંપનીના કઠોર નિર્દેશોની અવગણના કરીને, સખત આદેશોનો તિરસ્કાર કરીને ગિરિજનો તથા બહુજન સમાજે એ ધર્મસૈનિકો માટે અડ્ડો તૈયાર કર્યો. તેઓ સંતોની બીજી હરોળ બનીને ઊભા રહી ગયા.
અંગ્રેજોની વીરગાથાઓ સંભળાવવા માટે ઘણા લોકો ઉત્સુક હોય છે. અંગ્રેજોને વીર દર્શાવવામાં એ લોકો એક પ્રકારે સંતોષનો અનુભવ કરે છે. સાંભળો, હવે હું તમને એક ઘટનાની વાત કરું છું. એક વાર સંતોની સેનાના આગમનની ખબર મળતાં જ અંગ્રેજો જંગલમાં આવીને વૃક્ષોની ઘટામાં સંતાઈ ગયા. એમાંથી કેટલાક લોકોએ ગામમાં જઈને આશ્રયની માગણી કરી. ગામનો મુખી ચતુર માણસ હતો. એની આજ્ઞાનુસાર ગામલોકોએ લાઠી અને હથિયાર લઈને જંગલમાં સંતાયેલા બધા અંગ્રેજોને મારી નાંખ્યા. આશ્રય માગવા માટે ગામમાં આવેલા લોકોને પણ મારી નાખ્યા. જે બચી ગયા એમાં સૈન્યનો નેતા પોલિંગ પણ સામેલ હતો. એ આક્રમણ દરમિયાન ગામવાસીઓના હાથમાં કેટલીક રાઇફલો આવી ગઈ. સંતસેનાએ જોરદાર આક્રમણ કર્યું, જાણે આસમાનમાંથી આફત વરસી. એમના દરેક જૂથમાં પાંચથી સાત હજાર લોકો હતા. એમણે વાકરગંજ તથા એની આસપાસના પ્રદેશો પર કબજો કરી લીધો. એ રીતે ઉત્તરમાં રંગપુરથી લઈને દક્ષિણમાં ઢાકા સુધીનો ૩૦૦ કિ.મીનો પ્રદેશ પોતાને અધીન કરી લીધો. ઢાકામાં કંપનીનાં કારખાનાં કબજે કરી લીધાં. ગંગા અને યમુના વચ્ચેનો રાજર્ષિ જિલ્લો લગભગ મુક્ત કરી દેવાયો. ઉત્તર બંગાળ તથા ઉત્તર બિહારના પૂર્ણિયા, તિરહુત, દીનાજપુર જેવા પ્રદેશો પર આક્રમણ કરીને વિજય મેળવ્યો.
કપ્તાન થોમસના નેતૃત્વમાં આવેલી કંપનીની સેનાનો સંત સેનાએ ઘોર પરાજય કર્યો. કપ્તાનની હત્યા કરી. બોગ્રા તથા માયમેનસિંહ જિલ્લામાં આક્રમણ દરમિયાન કપ્તાન એડવર્ડ પણ પરાજિત થયો. બાર સૈનિકોને બાદ કરતાં બાકીના મૃત્યુ પામ્યા અથવા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
સત્ય છુપાવીને ઇતિહાસને તોડી-મરોડીને લખવો એ વેપારી વૃત્તિના પશ્ચિમી લોકોની વૃત્તિ છે. એલિઝાબેથ તથા વિક્ટોરિયાના લોકો પણ એમાં પાછા પડે એવા નહોતા. `બહુજનહિતાય બહુજનસુખાય' જીવન જીવનારા મારા દેશના સંન્યાસીઓના એ સ્વતંત્રતા સંગ્રામને પણ વિદ્રોહનું નામ આપીને ક્ષુલ્લક બનાવી દેવાયો. પોતાનું જીવન હોડમાં મૂકીને જનતા-જનાર્દન માટે લડવું એ શું વિદ્રોહ છે? એ ચાલાક ઇતિહાસકારોએ પાછળથી વિચાર્યું કે એને વિદ્રોહ કહેવો પણ જોખમી છે. એટલે બે-ત્રણ સદીઓ પછી કહેવામાં આવ્યું કે આ પ્રકારની ઘટનાઓ કલ્પનામાત્ર છે, અરાજકતા ફેલાવવા માગનારા કપટી લોકો દ્વારા ઉપજાવી કાઢેલી દંતકથા માત્ર છે. અંગ્રેજો જાણતા હતા કે, એમની કહેલી વાતો ફરી ફરી કરનારા એમના માનસપુત્રો અહીં મોજૂદ છે. માતાને માર પડવા છતાં પુત્રોમાં બે અભિપ્રાય હોઈ શકે છે!
સંતોનું આ આંદોલન સન ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ કરતાં પણ ઘણું લાંબુ ચાલ્યું હતું. એ આંદોલન સન ૧૭૬૨થી ૧૭૭૪ સુધી ચાલ્યું હતું. પાંડવોના વનવાસ કાળ જેટલું લાંબુ ચાલ્યું હતું. અરવલ્લીની ગિરિકંદરાઓમાં જેટલા સમય સુધી રાણાપ્રતાપે યુદ્ધ કર્યું હતું એટલો લાંબો રહ્યો હતો આ સંતસંગ્રામ. કેરળના પજહસ્થી રાજાના સંઘર્ષકાળ જેટલો એ લાંબો રહ્યો હતો. લેગના સ્મૃતિગ્રંથ તથા વિલિયમ સેંટરના `એનાલ્સ ઓફ રુરલ બંગાલ' (ગ્રામ્ય બંગાળની તવારિખ) નામના પુસ્તકમાં સંતઆંદોલનના ઇતિહાસ પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે.' જ્યારે અંગ્રેજોએ તો એને જૂઠ કહીને એનો પ્રચાર કર્યો છે.
***
(ક્રમશઃ)