પ્રકરણ – ૫ । મારા પિતાજી માનતા કે સોનાની લંકા કરતાં આપણી અયોધ્યા જ વધુ આનંદ આપનારી છે

શ્રી અરવિંદે એને ગદ્યસાહિત્યની મહાન શૈલી કહી છે. એમની રચનાઓમાં બંગાળી ભાષાની સંગીતાત્મકતા તથા સંસ્કૃતિની ગંભીરતા બન્નેનો સુભગ સંગમ છે.

    ૦૭-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |

Vande Mataram novel gujarati prakaran 5
 
 
 

અધિક્ષક ડેન્નીસ દ્વારા ખેડૂતોને ખૂબ માર ખવડાવ્યો. રાત્રે થયેલા એકતરફી આક્રમણમાં અનેક ખેડૂતો મૃત્યુ પામ્યા. અનેક લોકો ઊંઘમાંથી ઊઠીને નાસી ગયા. બદમાશોએ મહિલાઓને પણ બાકાત રાખી નહીં. એ સમાચાર મળતાં જ પિતાજી પોલીસને લઈને તરત જ એ ગામે પહોંચી ગયા. પિતાજીએ ગામના લોકોને સાંત્વન આપ્યું અને રાહત પણ પહોંચાડી.
 
 
પૂ. પિતાજી હંમેશા કહેતા કે મારો અને કેશવચંદ્ર સેનનો જન્મદિવસ એક જ છે, ૨૭ જૂન ૧૮૩૮. પિતાજી માટે એ ગર્વની વાત હતી. દાદા યાદવચંદ્ર ચટ્ટોપાધ્યાય ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા. એ પછી તેઓ ડેપ્યુટી કલેક્ટર બની ગયા. કાકા શ્યામચરણ, સંજીવચંદ્ર, પૂર્ણચંદ્ર તથા પિતાજી બધા જ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા. એ પછી તેઓ ડેપ્યુટી કલેક્ટર બની ગયા. સંયોગની વાત છે કે, પિતાજીના જન્મના વર્ષે જ દાદા સેવાનિવૃત્ત થઈ ગયા. એ રીતે `મેજિસ્ટ્રેટોનો પરિવાર' એવા નામથી અમારો પરિવાર જાણીતો થઈ ગયો.
 
કોલકતાથી લગભગ ચાલીસ માઈલ દૂર કૌટાલપાડામાં પિતાજીનો જન્મ થયો. પાંચ વર્ષની વયે ઉપનયન સંસ્કાર સંપન્ન થયા પછી રિવાજ અનુસાર પારંપરિક પદ્ધતિથી શિક્ષણની શરૂઆત થઈ. ગુરુજી દ્વારા એક વાર અક્ષર લખીને દેખાડતાં જ આ વિદ્યાર્થી કૅમેરાની જેમ એને આત્મસાત્ કરી લેતો હતો. એ રીતે સાત દિવસમાં તો એમણે ત્રણ ભાષાઓની લિપિઓ - દેવનાગરી, બંગાળી અને અંગ્રેજી શીખી લીધી.
 
હુગલીની મોહસીબ કૉલેજ તથા કોલકતાની હિંદુ કૉલેજમાંથી ઉચ્ચ શિક્ષણ લીધું. ભારતની સૌથી પહેલી બી.એ.ની ટુકડી કદાચ મારા પિતાજીની હતી. સન ૧૮૫૮માં બ્રિટનની રાણીએ કંપનીનું શાસન સીધું પોતાના હાથમાં લઈ લીધું હતું. એ વર્ષે બી.એ. માટે ઓગણીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા, જેમાંથી બે ઉત્તીર્ણ થયા, મારા પિતાજી અને જદુનાથ બસુ. ત્રણ-ચાર મહિના પછી બંગાળના લેફ્ટનન્ટ ગર્વનરનો આદેશ આવી ગયો. એ અનુસાર પિતાજીને જસ્સૂરમાં ડેપ્યુટી કલેક્ટરના પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. (જસ્સૂર આજે બાંગ્લાદેશમાં છે.) એ વખતે પિતાજી માત્ર ત્રીસ વર્ષના હતા.
 
ખુલનામાં એક સ્થાવર જંગમ સંપત્તિનો માલિક મિસ્ટર મારેલ રહેતો હતો. આગોતરાં નાણાં આપીને ગળીના ખેડૂતો પાસેથી પાક પડાવી લઈ લેવાની એની પ્રવૃત્તિ હતી. બિચારા ગરીબ ખેડૂતો અને દેશવાસીઓ માટે એ એક બકાસુર જ હતો. એને કોઈનો ડર નહોતો. એની પોતાની સેના તથા ગુંડાઓ પણ હતા. એનું બળ જાણતાં બડગલ્લી ગામના લોકોએ નિરુપાયે ખેતી ન કરવાનો નિર્ણય લીધો. મોરેલ એ વાતે ક્રોધે ભરાયો. એણે અધિક્ષક ડેન્નીસ દ્વારા ખેડૂતોને ખૂબ માર ખવડાવ્યો. રાત્રે થયેલાં એકતરફી આક્રમણમાં અનેક ખેડૂતો મૃત્યુ પામ્યા. અનેક લોકો ઊંઘમાંથી ઊઠીને નાસી ગયા. બદમાશોએ મહિલાઓને પણ બાકાત રાખી નહીં.
 
એ સમાચાર મળતાં જ પિતાજી પોલીસને લઈને તરત જ એ ગામે પહોંચી ગયા. પિતાજીએ ગામના લોકોને સાંત્વન આપ્યું અને રાહત પણ પહોંચાડી. મારેલ અને ડેન્નીસની ધરપકડ કરીને કેસ ફાઇલ કરવાનો પિતાજીએ આદેશ આપ્યો. પછી શું થયું? મારેલ ભૂગર્ભમાં જતો રહ્યો તે છેક બ્રિટનમાં જોવા મળ્યો. પરંતુ કાયદાની નજરમાંથી એ છટકી શક્યો નહીં. એ ઘટના પછી અંગ્રેજો વધુ ડરી ગયા. નોકરીમાં પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે પિતાજી હંમેશાં પ્રયત્નશીલ રહેતા. પોતાનાં સગાંસંબંધીઓને પણ તેઓ કાયદામાં છૂટછાટ લેવા દેતા નહોતા.
 
બહરામપુરની અદાલત. પિતાજી મુકદ્દમો ચલાવતા હતા. એ વખતે ત્યાં એક અંગ્રેજ મેજિસ્ટ્રેટ આવ્યા. એમણે પોતાના સંબોધનમાં મિસ્ટર જોડ્યા વિના મેજિસ્ટ્રેટને માત્ર નામથી બંકિમ કહીને બોલાવ્યા. પિતાજીનો ચહેરો લાલ થઈ ગયો. પિતાજીએ ગંભીરતાથી કહ્યું, મિસ્ટર, તમારે એ યાદ રાખવું જોઈએ કે આ ન્યાયાલયમાં હું બંકિમ નહીં, આદરણીય બ્રિટિશ રાણીના ન્યાયાલયનો ન્યાયાધીશ છું. આ ન્યાયાધીશની અવહેલના કરવા બદલ હું તમારી ધરપકડ કરીને સજા કરી શકું છું.
અદાલત સ્તબ્ધ રહી ગઈ. અંગ્રેજ ન્યાયાધીશે માથું નમાવીને ક્ષમા માગી. એ પછી મુકદ્દમો ફરી ચાલુ થયો.
 
એ જ વખતે અદાલતની બહાર એક મજાની ઘટના બની ગઈ. અદાલત પૂરી થયા પછી દરવાજો બંધ કરીને પિતાજી પાલખીમાં બેસીને ઘેર પાછા ફરી રહ્યા હતા. અંગ્રેજો માટે ક્રિકેટ રમવાનું એક મેદાન હતું. ત્યાં પહોંચતાં જ પાલખીના દરવાજા પર ખટખટ અવાજ સંભળાયો. બહાર જોયું તો જણાયું કે પાલખીની સામે કર્નલ ડેલહિન ઊભો હતો. એનું મોં ક્રોધથી લાલચોળ થયેલું હતું. એણે ભોઈનો હાથ પકડીને પાલખી પાછી વાળી. પિતાજીનું એ મોટું અપમાન હતું. એ જ દિવસે ફરિયાદ તૈયાર કરી અને કર્નલ ડેલહિન સામે માનહાનિનો મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો. ફરિયાદી હતા ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અને અપરાધી હતો અંગ્રેજ સેનાનો અધ્યક્ષ. સમાચાર ચારે તરફ ફેલાઈ ગયા. લોકો માટે એ સ્વાભિમાનનો પ્રશ્ન બની ગયો. લોકો કર્નલ વિરુદ્ધ થઈ ગયા. કર્નલની વકીલાત કરવા માટે કોઈ વકીલ તૈયાર થયા નહીં. છેવટે કર્નલે અદાલતમાં બધાની સામે માફી માગી. બંકિમે એ સાબિત કરી દીધું કે તેઓ અંગ્રેજો સામે `બંકિમ' નહીં થાય (એમની સામે ઝૂકશે નહીં).
 
પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ માટે આ બધી ઘટનાઓ અસહ્ય થઈ ગઈ. સાપે છછુંદર ગળ્યા જેવી એમની સ્થિતિ થઈ ગઈ. વાસ્તવમાં તેઓ ફસાઈ ગયા હતા. એમણે પિતાજી સામે પોતાના અંતિમ હથિયારનો ઉપયોગ કર્યો, બદલી, સ્થાનાંતરણ. તેત્રીસ વર્ષોની સરકારી સેવા દરમિયાન ૧૫થી પણ વધુ જિલ્લાઓમાં પિતાજીને કામ કરવું પડ્યું.
 
બદલીનો આદેશ મળતાં જ પિતાજી ઘેર આવીને બીજે સ્થાને જવા માટે સામાન બાંધતા. એ સમયે તેઓ એક પંક્તિ સંભળાવતા.
 
‘न मे भक्ता: प्रणश्यति‌’
 
એમની વિદાય વખતે પાડોશીઓના ઉદાસ ચહેરા જોઈને તેઓ હસતાં હસતાં કહેતા- `આપણે ફરી મળીશું.' અશ્રુસભર નયને વિદાય આપનારા નોકરોને પાસે બોલાવીને સારી એવી બક્ષિસ આપતા. નોકરીના નવા સ્થાને આવીને તેઓ એવો વ્યવહાર કરતા જાણે એ સ્થાન એમને માટે પૂર્વપરિચિત હોય.
 
આમ જ બદલીના ક્રમમાં એક વાર તેઓ હુગલી જિલ્લાના ચિનચૂડ ગામે પહોંચી ગયા. આ તો જાણે ઈશ્વરીકૃપા હતી, કારણ કે ત્યાં એમના ઘરની સામે જ ભૂદેવ મુખોપાધ્યાય રહેતા હતા. એ સમયે બંગાળમાં ભૂદેવને ન જાણતી હોય એવી એક પણ વ્યક્તિ નહોતી. તેઓ પણ હિંદુ કૉલેજના પૂર્વવિદ્યાર્થી હતા. એ સાંભળીને પિતાજીનો ઉત્સાહ બેવડાયો. એ પછી દરરોજ એ બન્ને મળતા હતા.
 
રાજનારાયણ બસુ તથા એમની રાષ્ટીય સમિતિ વિશે તો મેં પહેલાં જણાવ્યું છે ને? ભૂદેવ એ સમિતિના એક સક્રિય સભ્ય હતા. આનંદ તૂલિકા નામથી તેઓ શૈક્ષણિક તથા સામાજિક વિષયો લઈને લેખ લખતા હતા. પોતે સંસ્કૃતના મોટા વિદ્વાન હતા. તેઓ પ્રથમ બંગાળી હતા જેમણે સૌથી પહેલાં કહ્યું હતું કે, ભારતની એકતા માટે સર્વસંમત સામાન્ય ભાષા હિન્દી છે. કદાચ આ વાત કહેનારા તેઓ પહેલા જ અહિંદી ભાષી હશે. એ પછી ગુજરાતના દયાનંદ સરસ્વતી, મોહનદાસ ગાંધી, મહારાષ્ટ્રના ટિળક અને વીર સાવરકર, પંજાબના લાલા લજપતરાય, તમિલનાડુના સુબ્રમણ્યમ ભારતી વગેરે મહાનુભાવોએ એ બાબતે પોતાની સહમતિ પ્રકટ કરી હતી.
 
ભૂદેવ બાબુ એક સારા કવિ હતા. એમના દ્વારા લખાયેલું રાષ્ટ્રભક્તિનું ગીત પ્રસિદ્ધ છે. યુવા પેઢીમાં જોશ પેદા કરવા માટે એ સહાયક બની રહ્યું છે. એમની અધિભારતી નામની રચના અત્યંત પ્રસિદ્ધ છે. લોકોના મુખે એની કડીઓ સતત રમતી રહે છેઃ
 
।। मातर्नमामि भवतां सदेहरूपां
मातर्नमामि सुधातलपुण्यतीर्थाम्‌
मातर्नमामि पदयुग्मधृतसमुद्राम्‌
मातर्नमामि हिमगिरिकिरीटभूषाम्‌ ।।
 
પિતાજીની જેમ ભૂદેવ પણ સરકારી અધિકારી હતા. પોતાના ધર્મ અને સંસ્કૃતિ વિશે તેઓ ગર્વ અનુભવતા હતા. પિતાજીને પણ સાહિત્યમાં ઘણી રુચિ હતી. બન્ને સંસ્કૃત જાણતા હતા. બન્ને એક જ રીતે વિચારતા હતા. દૂધ અને સાકરની જેમ તેઓ પરસ્પર હળીમળી ગયા હતા. ઘણી વાર તો એ બન્ને કલાકો સુધી સાથે બેસીને વાતો કરતા હતા.
 
પિતાજીની ચિનચૂડથી ફરી એક વાર બદલી થઈ. વારંવાર થતી બદલીઓને પિતાજીએ અનુભવોના સંચયની તક માની લીધી. એમનો દૃષ્ટિકોણ એક શ્રદ્ધાયુક્ત ભક્ત જેવો હતો. સંત, ફકીર, જંગલ કે શહેરના લોકો, અજ્ઞાની કે પંડિત, ગરીબ કે અમીર વિવિધ પ્રકારના લોકોને મળવાની તથા એમનું નિરીક્ષણ કરવાની મોટી તક એમને મળી છે અને એ અનુભવો પોતાને માટે મોટી સંપત્તિ છે એમ તેઓ માનતા હતા.
 
પિતાજીના નિકટવર્તી લોકો એમ કહેતા હતા કે, એમને સરકારી નોકરીમાં શાંતિ નહોતી. નોકરીને લઈને એમને ઘણા કડવા અનુભવોમાંથી પસાર થવું પડ્યું હતું. પરંતુ દરેક વાતને એક હદ હોય જ છે ને? છેવટે સ્થિતિ અસહ્ય જણાતાં સેવાનિવૃત્તિની ૫૫ વર્ષની ઉંમર પૂરી થવાના બે વર્ષ પહેલાં જ પિતાજીએ રાજીનામું આપી દીધું. બંકિમબાબુ સેવા નિવૃત્ત થઈ ગયા. ગેજ્યુઇટી નામની કૃતજ્ઞતા નિધિ તથા પી.એફ નામની ભવિષ્યનિધિ એ જમાનામાં નહોતી. એ ડેપ્યુટી કલેક્ટરને યોગ્ય વિદાય આપવાનું સરકાર ભૂલી નહીં. સેવાનિવૃત્તિ વખતે એમને રાયબહાદુર તથા સી.એ.ઈ.ની પદવી પ્રાપ્ત થઈ. પરંતુ સરકાર તરફથી મળેલી એ ઉપાધિઓને મહત્ત્વની માનીને તેઓ ક્યારેય એ વિશે ગર્વ અનુભવતા નહોતા.
 
મેં કેરળના યશસ્વી રાજા કેરળ વર્મા વિશે બહુ સાંભળ્યું છે. જ્યારે પોર્ટુગીઝ સૈનિકો ગોળીઓનો વરસાદ વરસાવતા હતા ત્યારે તેઓ ધીરજપૂર્વક નિશ્ચિંત થઈને યુદ્ધ કરી રહ્યા હતા. સમય મળે ત્યારે તેઓ કવિતા પણ કરી લેતા હતા. મેં પિતાજી પાસેથી નેપોલિયન બોનાપાર્ટ વિશે પણ સાંભળ્યું છે. પર્શિયાના ડુંગરાઓમાં સવારે કરવાના આક્રમણ માટે રાત્રે ઘોડે ચડીને વ્યવસ્થા જોનારા તથા અડધી રાતે પેરિસનાં વિદ્યાલયો માટે અધ્યયન પદ્ધતિ તૈયાર કરનારા નેપોલિયન બોનાપાર્ટ. મારા પિતાજીની તુલના પણ એ વીરો સાથે કરી શકાય એમ છે. સરકારી સેવાની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ સાહિત્યસર્જન કરતા હતા. લોકો ઘણી વાર એમ કહેતા કે, બંકિમબાબુ ડાબા હાથે સરકારી આદેશ લખતા અને જમણા હાથે નવલકથા લખતા હતા.
 
પિતાજીના જમાનામાં ગદ્ય લખવામાં માતૃભાષાનો ઉપયોગ બે વર્ગના લોકો જ કરતા હતા. અદાલતવાળા તથા દસ્તાવેજ લખનારા. અંગ્રેજીમાં લખવું પ્રતિષ્ઠાનું લક્ષણ મનાતું હતું. પિતાજી એક ભાષા તરીકે અંગ્રેજીની વિરુદ્ધ નહોતા. એમનું પોતાનું અંગ્રેજી પણ ઉચ્ચ કક્ષાનું હતું. હિંદી યુવાનની યાત્રાઓ, રાજમોહનની પત્ની વગેરે રચનાઓ એમણે અંગ્રેજીમાં લખી. પરંતુ એમની પોતાની એ દૃઢ માન્યતા હતી કે સોનાની લંકા કરતાં આપણી અયોધ્યા જ વધુ આનંદ આપનારી છે. તેઓ જાણતા હતા કે, આપણી માતૃભાષામાં માતાના વિશાળ હૃદય જેટલો વિકાસ શક્ય છે અને એને અમલમાં મૂકવાનો પણ એમણે સફળ પ્રયાસ કર્યો.
 
અંગ્રેજી ભાષા તરીકે ભલે સારી હોય, પરંતુ સમયના પ્રવાહમાં એણે દેશવાસીઓને પોતાની માટીથી અલગ કરી દીધા. સમાજમાં `બડે બાબુ સંસ્કૃતિ'ના સર્જનમાં એ કારણરૂપ હતી. પિતાજી અંગ્રેજીના પ્રચારમાં પહેલેથી જ એ દોષ જોતા હતા. એ જોખમમાંથી બચવા માટે એમણે કોલકતા વિશ્વવિદ્યાલયની સેનેટમાં વિશ્વવિદ્યાલયીન કક્ષાએ બંગાળી ભાષાના શિક્ષણ માટે અથક પરિશ્રમ કર્યો, સફળ થયો નહીં. પરંતુ તેઓ પાછા પડ્યા નહીં. એમણે બીજો રસ્તો લીધો. મહારાણી સ્વર્ણમયી દેવીના દીવાન રાજીવલોચન રત્ન દ્વારા દાનમાં અપાયેલા એક હજાર રૂપિયાની મદદથી બંગદર્શન શરૂ થવા પાછળ તેમનો વિશેષ ઉદ્દેશ હતો. ઘણા લોકોએ એની ટીકા કરી. પત્રિકાઓની સંખ્યામાં આ રીતે વધારો કરીને શું લાભ છે? એવા અમારા પરિવારના શંભુચંદ્ર મુખોપાધ્યાયના પ્રશ્નનો જવાબ મારા પિતાજીએ આ પ્રમાણે આપ્યો, `ભણેલા અને અભણ' વચ્ચે સંવાદ તથા સહાનુભૂતિ પેદા કરવાના માધ્યમ તરીકે હું એ બાબત પ્રત્યે જોઉં છું. અંગ્રેજીકરણથી એક હદ સુધી આપણે મુક્ત થવાનું છે. સામાન્ય જનતા સાથે એમની ભાષામાં વાતચીત કરવાની છે.
 
પોતાના મિત્રોને પણ પોતાના વિચારો જણાવવાનો તથા એમને પોતાને માર્ગે લાવવાનો પિતાજી સતત પ્રયત્ન કરતા રહ્યા. રમેશચંદ્ર દત્ત પિતાજી કરતાં ઉંમરમાં દસ વર્ષ નાના હતા, પહેલી બેચના આઈસીએસ હતા. એ સમયના આઈસીએસ થયેલા લોકો અંગ્રેજીમાં બોલનારા, વિચારનારા તથા સ્વપ્ન જોનારા સફેદ હાથી હતા. રમેશચંદ્ર દત્ત પણ એમાં કંઈ ઓછા ઊતરે એવા નહોતા. એમણે વાલ્મીકિ રામાયણનો અંગ્રેજીમાં અનુપ્રાસી પદ્યાનુવાદ કરેલો છે. અંગ્રેજીમાં શોધગ્રંથ પણ લખ્યો છે. `ભારતનો નાણાકીય ઇતિહાસ' પણ એમણે લખ્યો છે. તેઓ મુખ્યત્વે અર્થશાસ્ત્રના પંડિત હતા. પિતાજીનો તેઓ આદર કરતા હતા. પિતાજીની બંગાળી નવલકથાઓની એમણે પ્રશંસા પણ કરી. એ વિશે પોતાનો આનંદ વ્યક્ત કરતાં પિતાજીએ પૂછ્યું, `રમેશબાબુ, તમને જો બંગાળી સાહિત્ય ગમે છે તો એની વૃદ્ધિ માટે તમે પ્રયત્ન કેમ નથી કરતા? બંગાળી બાંધવોને તમારી પ્રેરણાની જરૂર છે. ભાઈ, હંમેશા યાદ રાખજો કે, તમે તમારી અંગ્રેજી રચનાઓ દ્વારા અમર થવાના નથી.' પિતાજીના એ શબ્દોની રમેશચંદ્ર પર ઊંડી અસર થઈ. બે વર્ષમાં જ રમેશચંદ્રે બંગાળીમાં પોતાની પ્રથમ નવલકથા લખી.
 
પિતાજીની રચનાની એક વિશિષ્ટ શૈલી હોય છે. શ્રી અરવિંદે એને ગદ્યસાહિત્યની મહાન શૈલી કહી છે. એમની રચનાઓમાં બંગાળી ભાષાની સંગીતાત્મકતા તથા સંસ્કૃતિની ગંભીરતા બન્નેનો સુભગ સંગમ છે. શબ્દોના ઉપયોગમાં તેઓ સતર્ક રહ્યા છે અને પોતાનું સ્તર જાળવી રાખ્યું છે.
 
કોલકતા વિશ્વ વિદ્યાલયના વાર્ષિક સમારોહમાં પિતાજી એક ખૂણામાં બેસતા હતા. એક પંડિત શાસ્ત્રીજી મંચ પર આવી ગયા અને ભાષણ શરૂ કરી દીધું. શ્રોતાઓની તાળીઓ પડે એ માટે ભાષણને એક જુદો જ વળાંક આપી દીધો. ખીરમાં રહેલા કાજુની જેમ તેઓ વચ્ચે વચ્ચે સંસ્કૃતના શ્લોકો પણ ટાંકતા જતા હતા. સાર કહેતી વખતે એમણે અંગ્રેજીના બે-ત્રણ પ્રયોગ પણ કર્યા. પિતાજીથી એ અસહ્ય થઈ ગયું. આમ તેમ જોયા વગર પિતાજી સભામાંથી ઊઠીને ચાલતા થઈ ગયા. પિતાજીની એ પ્રતિક્રિયા જોતો એક યુવક સભામાં બેઠો હતો. એણે પિતાજીને ઓળખી લીધા હતા અને એમના વ્યવહારનું એ નિરીક્ષણ કરી રહ્યો હતો. આગળ જતાં એ યુવાને લખ્યું હતું, `એ પ્રસંગ પછી એ સજ્જનનો આદર કરવાનું મેં શરૂ કર્યું.' એ યુવક અન્ય કોઈ નહીં, રવીન્દ્રનાથ ઠાકુર હતા.
 
અને સાહિત્યસર્જન પિતાજી માટે એક તપસ્યા હતી. મનુષ્યને સુખ અને આનંદ આપવા માટે ઈશ્વરે સ્વર્ગ બનાવ્યું છે. જ્યારે શેતાન આવીને મનુષ્યને દુઃખ, મુશ્કેલીઓ આપે છે. સાહિત્ય સ્વર્ગ છે. સાહિત્યકાર શેતાન નથી, ઈશ્વરનો પ્રતિનિધિ છે એવા પિતાજીના વિચારો હતા.
 
***
 
(ક્રમશઃ)