પ્રકરણ – ૬ । એ કાળપ્રવાહમાં મેં ભારતમાતાની સ્વર્ણિમ મૂર્તિનાં દર્શન કર્યાં
સ્વતંત્રતા સંગ્રામનો પહેલો વિસ્ફોટ થયો ત્યારે પિતાજીની ઉંમર ૧૬ વર્ષની હતી. એ સમયનાં સમાચારપત્રોમાં સરકારની ઇચ્છાને અનુકૂળ હોય એવા જ સમાચારો છપાતા હતા. એટલે...
૦૭-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |
પિતાજી માટે આ જન્મભૂમિ માત્ર માટી કે પથ્થર નહોતી. એમને માટે માતૃભૂમિ ચૈતન્યમયી દિવ્ય જનની હતી, અનુગ્રહ તથા નિગ્રહની ક્ષમતાથી સંપન્ન શક્તિસ્વરૂપિણી હતી. સમયાંતરે એ જનનીને રાહુનું ગ્રહણ લાગ્યું. એની દુર્દશા જોઈને પિતાજી વિહ્વળ થઈ ગયા. એમ છતાં એમણે આશા ન છોડી. એમનો એવો દૃઢ વિશ્વાસ હતો કે જન્મભૂમિનું ભવિષ્ય ઉજ્જવળ છે.
`કમલાકાંતનો મૃત્યુપત્ર' કૃતિમાં કમલાકાન્તનું આત્મકથન વાસ્તવમાં પિતાજીનું આત્મકથન છે. પિતાજીનું પોતાનું આત્મદર્શન છે. મેં જોયું કે કાળપ્રવાહે અચાનક દિશાઓને ઘેરી લીધી. હું મારી નાની હોડીમાં વહેવા લાગ્યો. મેં જોયું કે અપાર સાગર વચ્ચે ક્રુદ્ધ થઈને હલેસાં મારતી વખતે તારા ચમકતા અને આથમતા દેખાય છે. ચારે દિશામાં એક પણ પ્રાણી નથી, માત્ર હું, એકલો હું. મને ડર લાગ્યો, મા, મા કરીને અનાથતા અનુભવ કરનારો હું બૂમ પાડી ઊઠ્યો. એ કાળસમુદ્રમાં હું માને શોધતો રહેતો હતો. મા ક્યાં છે? મારી પ્રિય માતા ક્યાં છે? સુંદર એવી મારી ભારતમાતા ક્યાં છે? કમળ જેવી સુંદર કમલાસના માતા ક્યાં છે? આ કરાલ કાળ સમુદ્રમાં, મા તું ક્યાં છે?
અચાનક વાયુમંડળમાંથી એક સ્વર્ગીય સ્વર સંભળાયો. ક્ષિતિજે કેસરી રંગની પ્રભા પ્રસરી. મનને શીતળતા આપતી હવા વહેવા લાગી. દૂર મોજાંઓની પેલે પાર એક ચમકતી તેજસ્વી મૂર્તિ મેં જોઈ. જોતાં જ હું ઓળખી ગયો. મારી માતા, મારી જનની... મારી જન્મભૂમિ... ધરતીનું રૂપ ધારણ કરેલી મારી મા... કાળની અગાધ ગર્તામાં પડેલી કોટિરત્ન વિભામિની, હું યાદ કરું છું તારું એ સ્વરૂપ મણિમંડિત દશ હસ્ત દસે દિશાઓમાં ઊઠી રહ્યા છે, દરેક હાથમાં એક વિશિષ્ટ્ર શસ્ત્ર છે, ચરણકમળોમાં પડેલો દાનવ અને એની છાતી ફાડતો સિંહ! એ રૂપ હવે મને નહીં જોવા મળે. નજીકના ભવિષ્યમાં પણ નહીં જોવા મળે. પરંતુ એક દિવસ હું અવશ્ય જોઈશ, દશપ્રહરધારિણી, શત્રુ વિદારિણી તથા વીર સિંહવાહિની સ્વરૂપે જમણી બાજુ શ્રી દેવી તથા ડાબે શ્રી કલા, આગળપાછળ શક્તિધર કાર્તિકેય તથા વિઘ્નહર શ્રી ગણેશ સાથે વિરાજમાન માતાના સ્વરૂપનું હું અવશ્ય દર્શન કરીશ. એ કાળપ્રવાહમાં મેં ભારતમાતાની સ્વર્ણિમ મૂર્તિનાં દર્શન કર્યાં છે.
આવો મારા ભાઈઓ, એ કાળપ્રવાહમાં આપણે કૂદી પડીશું. આપણી કરોડો ભુજાઓની શક્તિ વડે એ સ્વર્ણિમ મૂર્તિને ઉપર ઉઠાવીશું. આપણાં કરોડો માથાંઓ પર ઉઠાવીને ઘેર લઈ જઈશું.
આગળ વધો... અંધકારથી ભય ન પામશો. જુઓ દૂર દૂર નક્ષત્રોનો ઉદય થાય છે. એ તારાઓ આપણને માર્ગ દેખાડશે. વધો, આગળ વધો... આ ભયંકર મોજાંઓને પાર કરીને એ સ્વર્ણિમ મૂર્તિને કિનારે લાવી દઈશું.
આ પ્રકારની પંક્તિઓ વાંચીને કેટલાક લોકોએ પિતાજીને સ્વપ્નસેવી તથા ભાગ્યવાદી કહ્યા છે. પરંતુ સચ્ચાઈ એ નહોતી. અંગ્રેજોને અધીન રહીને કામ કરનારા પિતાજી કમલાકાંતની અર્ધબેહોશ અવસ્થામાં જ વાત કરી શકતા હતા. પરંતુ એમને વિશ્વજનનીની શક્તિમાં અપાર વિશ્વાસ હતો. એમની દૃઢ માન્યતા હતી કે, ઇચ્છાશક્તિ તથા માનવીય પ્રયત્નોનું જીવનમાં મહત્ત્વનું સ્થાન છે. સેવાનિવૃત્ત થઈને વધુ સમય પણ વીત્યો નહોતો ત્યાં જ પિતાજીના મધુમેહના રોગે ગંભીર સ્વરૂપ લીધું. એમને જણાયું કે, રોગમાંથી સાજા થવાનું શક્ય નથી. એમણે પોતાના મનને ભગવદ્ગીતા તરફ વાળી દીધું અને દવા લેવાની બંધ કરી દીધી. પરિવારના સભ્યોએ ડૉક્ટરને ફરિયાદ કરી. ડૉક્ટર ઘેર મળવા માટે આવ્યા, સાથે પિતાજીના એક મિત્ર પણ હતા. ડૉક્ટરે પૂછયું, `શું તમે દવા ન લઈને આત્મહત્યા કરવા માગો છો?' પિતાજીએ કહ્યું, `કોણે કહ્યું કે હું દવા નથી લેતો? હું તો રોજ દવા લઉં છું.'
ડૉક્ટર ; `કઈ દવા? એ કઈ દવા છે?'
`આ દવાથી બધા જ પ્રકારના રોગોમાંથી મુક્તિ શક્ય છે.' એમ કહીને પિતાજીએ એક પુસ્તક ડૉક્ટરના હાથમાં મૂક્યું, શ્રીમદ્ ભગવદ્ગીતા. પિતાજી માટે એ સર્વરોગસંહારિણી હતી.
આવા પિતાજી મેળવવા માટે પૂર્વજન્મમાં સત્કર્મ કરવું પડે.
ભલે બંકિમબાબુએ અનેક વૈચારિક લેખ, બૌદ્ધિક નિબંધ તથા શ્રીકૃષ્ણચરિત્ર જેવાં પુસ્તકો લખ્યાં હોય, પરંતુ સામાન્ય બંગાળી માટે તો બંકિમબાબુ આનંદમઠના રચનાકાર છે.
પિતાજીના જીવનકાળ દરમિયાન જ આનંદમઠની અનેક આવૃત્તિઓ થઈ. એ સમયે અંગ્રેજી તથા ફ્રેંચ ભાષામાં એનો અનુવાદ પ્રકાશિત થયો હતો. એના અનુવાદક છે સુરેશ ચંદ્રસેન ગુપ્ત. પછી તો અનુવાદોનું જાણે પૂર આવ્યું. સુદૂર દક્ષિણમાં કેરળની મલયાલમ ભાષાથી લઈને અન્ય અનેક ભાષાઓમાં એનો અનુવાદ થયો. સ્વતંત્રતાપ્રાપ્તિ પૂર્વે જ આનંદમઠ અનેક ભાષાઓમાં પ્રકાશિત થઈ ચૂક્યું હતું. અને સ્વતંત્રતાપ્રાપ્તિ પછી પણ એ ક્રમ ચાલુ જ રહ્યો. એ કેટલું અદ્ભુત છે! રામાયણ, મહાભારત, ભાગવતને બાદ કરતાં અન્ય કોઈ રચનાને આટલું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. મારી એવી પ્રાર્થના છે કે, મારી જન્મભૂમિની દરેક ભાષાની રચનાને આવું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આનંદમઠમાં પિતાજી અને પિતાજીમાં આનંદમઠ વિદ્યમાન છે. આજે લોકો એ અનુભવી રહ્યા છે. પિતાજી અને આનંદમઠનો સંદેશ આજે પણ એમના હૃદયનો ઉદયરાગ છે.
પિતાજીએ ૨૬ વર્ષની ઉંમરે નવલકથા લખવાનું શરૂ કર્યું હતું. અને એ તપસ્યા એમના મૃત્યુના બે વર્ષ પહેલાં સુધી ચાલુ હતી. વાર્તા, નાટક, નવલકથા, નિબંધ વગેરે સાહિત્યની વિભિન્ન વિધાઓમાં કલમ ચલાવનારાને આપણે સમાજના સૃષ્ટિકર્તા કહીએ છીએ. પિતાજીની બાબતમાં એ સાચું જ હતું. બે યુગોના સંધિકાળે ઊભા રહીને એમણે સાહિત્યની રચના કરી. નવલકથાના વિષયો વિશે વિચાર કરતી વખતે એમનું મન ઇતિહાસને બારણે ટકોરા મારવા લાગ્યું. એ પછી એમનું ધ્યાન પતનની દિશામાં આગળ વધી રહેલા સમાજ તરફ ગયું.
પિતાજીની પ્રથમ નવલકથા હતી. દુર્ગેશ નંદિની. એમાં અકબરના જમાનાનું વર્ણન છે. દિલ્હીથી કલિંગ સુધી બંગાળ સહિત એનું કથાક્ષેત્ર વિશાળ છે. વાર્તાનો સૂર પ્રેમ છે. વાર્તાની ગતિમાં એનો આરોહ-અવરોહ છે.
રાજસિંહ પિતાજીની નવલકથા છે. જેમાં ઔરંગઝેબના રાજ્યકાળનું વર્ણન કરવામાં આવ્યું છે. એક નાના રાજ્ય રૂપનગરના રાજાની પુત્રી ચંચળકુમારી ઉદયપુરના રાજા રાજસિંહને પ્રેમ કરવા લાગી. રાજસિંહે પ્રેમના આવેશમાં આવી જઈને તિરસ્કાર સાથે ઔરંગઝેબના ચિત્રને લાત મારી. વાત મોગલ દરબાર સુધી પહોંચી ગઈ. દરબારમાં એ વાત મીઠુંમરચું ભભરાવીને કહેવામાં આવી અને રાજસિંહના મોગલો સાથેના સંઘર્ષનું કારણ બની. સંઘર્ષ ઘોર યુદ્ધમાં ફેરવાયો. મોગલો પરાજિત થયા. પ્રેમ તથા મિથ્યાભિમાન મનુષ્યને ક્યાં સુધી ઘસડી જાય છે એ પ્રશ્નનો આ રાજસિંહ નવલકથા જવાબ છે.
પિતાજીની એક અન્ય નવલકથા `ચંદ્રશેખર' બંગાળના નવાબ મિરકાસિમ તથા અંગ્રેજોની પૃષ્ઠભૂમિમાં લખાયેલી છે. કલુષિત રાજકારણની દુઃસ્થિતિમાં પરેશાન માનવીની મૃદુલ ભાવનાઓનું ચિત્રણ એમાં થયેલું છે.
મૃણાલિની પિતાજીની એક ઐતિહાસિક નવલકથા છે. જેમાં તેઓ એક સંદેશ આપવા માગે છે. પિતાજી એ વાત માનતા નહોતા કે, ખિલજીએ માત્ર સત્તર ઘોડેસવારોની મદદથી બંગદેશને કબજે કરી લીધો હતો. એ વિશે પિતાજીએ અનેક લેખો પણ લખ્યા હતા. પિતાજી એ તથ્યના સમર્થક હતા કે, ખિલજીએ હજારો સૈનિકો સાથે આવીને બંગાળ પર કબજો મેળવ્યો હતો. મૃણાલિની નવલકથાની પૃષ્ઠભૂમિ આ જ છે. એની કથાવસ્તુ પ્રેમ કેન્દ્રિત નહીં, પરંતુ રાષ્ટ્રને બરબાદ કરી નાખનારા રાષ્ટ્રદ્રોહની છે. આચાર્ય ચાણક્યનું ચરિત્રચિત્રણ પણ એમાં કરવામાં આવ્યું છે. હેમચંદ્રના મગધ દેશને ખીલજીએ પોતાને અધીન કરી લીધો. એ પછીનું એનું લક્ષ્ય હતું ગૌડ. શ્રી માધવાચાર્યે ગૌડને આક્રમણથી બચાવવા તથા સ્વતંત્ર કરવા માટે હેમચંદ્રને મદદ કરી. હેમચંદ્ર માટે માધવાચાર્ય ગુરુસ્થાને હતા, પરંતુ એ દરમિયાન મૃણાલિનીએ હેમચંદ્રના જીવનને શિથિલ કરી દીધું.
માધવાચાર્યે હેમચંદ્રને સાચો માર્ગ દર્શાવ્યો. એ જ વખતે ગૌડ રાજાના મુખ્યમંત્રીએ દગાબાજી કરી અને ખિલજીના સત્તર ઘોડેસવારો સાથે કિલ્લામાં પ્રવેશ કર્યો. એ વખતે ત્યાં સંતાઈને બેઠેલા ૨૫ હજાર સૈનિકોએ એક સાથે આક્રમણ કર્યું. વાસ્તવમાં ભારતમાતાને સ્વતંત્ર કરવાનાં આંદોલનોની એ શરૂઆત છે. જન્મભૂમિ સાથે દગો કરવાના વેદનાપૂર્ણ વિષયનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે.
એમ કહેવાય છે કે, એક વાર પડેલી ટેવ આજીવન જતી નથી. પિતાજી પણ એનો અપવાદ નહોતા. નવલકથાની કથાવસ્તુ માટે તેઓ અંતિમ સમય સુધી ઇતિહાસનાં પાનાં ફેરવી રહ્યા હતા. ઉંમર વધવાની સાથે મનુષ્ય પરિપક્વ થતો જાય છે. નવા નવા અનુભવોથી મનુષ્ય પાકટ થતો જાય છે. જીવનનો માર્ગ સ્પષ્ટ્ર થતો જાય છે. પિતાજીના જીવનમાં પણ એમ જ બન્યું. એમનું યોગ્ય મૂલ્યાંકન કરવાથી એ બાબત સ્પષ્ટ્ર થશે.
સ્વતંત્રતા સંગ્રામનો પહેલો વિસ્ફોટ થયો ત્યારે પિતાજીની ઉંમર ૧૬ વર્ષની હતી. એ સમયનાં સમાચારપત્રોમાં સરકારની ઇચ્છાને અનુકૂળ હોય એવા જ સમાચારો છપાતા હતા. એટલે એ વખતે સ્વતંત્ર પત્રકારિતા નહોતી. એ કારણસર સ્વતંત્રતા સંગ્રામની એ ઐતિહાસિક ઘટના વિશે આપણે માત્ર સરકારી વ્યાખ્યાન જ સાંભળ્યું છે. એટલે પહેલાં પિતાજીની માન્યતા પણ એ સૈનિક બળવો હતો એવી જ હતી. પરંતુ ૨૦ વર્ષની વયે સરકારી સેવામાં પ્રવેશ કરવાથી પિતાજીને અનેક ગુપ્ત દસ્તાવેજો જોવાની તક મળી. પ્રથમ સ્વતંત્રતા આંદોલનની નેત્રી વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે ઘણી માહિતી પિતાજીને ઉપલબ્ધ થઈ. એ રેકૉર્ડમાં લક્ષ્મીબાઈને પુરુષ જેવી ધૈર્યશાળી મહિલા કહેવામાં આવી હતી. ઇતિહાસ પ્રત્યે વિશેષ રુચિ હોવાને કારણે પિતાજી રાણીનો ઇતિહાસ લખવા માગતા હતા. પરંતુ એમની ઇચ્છા પૂરી ન થઈ.
મેં પહેલાં જ કહ્યું હતું કે, ચિનચૂડમાં બદલી થયા પછી પિતાજીએ ભૂદેવ કવિ સાથે નિકટ સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો. કદાચ એ સંબંધમાંથી જ આઝાદી વિશે લોકોને સમજાવવા માટે એક નવલકથા લખવાની પ્રેરણા પિતાજીને મળી હશે. સન ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ પણ એ માટેનો પ્રેરણાસ્રોત હતો. પરંતુ એ દિશામાં આગળ કંઈ થયું નહીં.
એ જ સમયમાં પિતાજીના મન પર ઊંડી અસર કરનારી એક ઘટના બની. કદાચ એ સામાન્ય પ્રજા માટે એટલું મહત્ત્વનું નહીં હોય, પરંતુ ઇતિહાસકાર કે સાહિત્યકાર માટે એ અત્યંત મહત્ત્વનું હતું. પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી સન ૧૮૭૯માં કંપની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાના આરોપમાં ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે પકડાઈ ગયા. સન ૧૮૮૦માં એમને દેશનિકાલની સજા કરીને એડન લઈ જવામાં આવ્યા. ફડકેએ જેલમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફરીથી પકડાઈ ગયા. છેવટે ક્ષય રોગમાં પટકાયા અને એમાં જ એમનું મૃત્યુ થયું. કોલકતાનાં સમાચારપત્રોમાં એ સમાચાર છપાયા હતા. એક બંગાળી પત્રિકામાં એમનું જીવનચરિત્ર પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પિતાજીએ ઉત્સાહથી એ બધું વાંચ્યું અને પોતાના કરતાં ઉંમરમાં આઠ વર્ષ નાના એ ધૈર્યશીલ યોદ્ધાના જીવનથી તેઓ અત્યંત પ્રભાવિત થયા. એ નીડર, સાહસિક, વીરમાં પિતાજીએ પોતાની રચનાનો નાયક જોયો.
એકસો આઠ વર્ષ જીવિત રહેલા એક દાદા વિશે પિતાજીએ વાત કરી હતી. એમનું નામ મને યાદ નથી. ખેર.. દાદાઓને આજકાલ કોણ યાદ રાખે છે? તેઓ વાર્તા ખૂબ સરસ કહેતા હતા. એમની પાસેથી પિતાજીએ તથા પૂર્ણચંદ્ર કાકાએ સૌ પ્રથમ સંતોની ક્રાંતિ વિશે સાંભળ્યું. પહેલાં તો પિતાજીને એ વાતનો ભરોસો ન પડ્યો અને એ માટે દાદાનો ઠપકો પણ સાંભળવો પડ્યો. અંગ્રેજી શિક્ષણ મેળવીને શું તું વિદ્વાન બની ગયો છે?' એવો પ્રશ્ન દાદાએ ગુસ્સે થઈને પૂછયો ત્યારે તો પિતાજી શાંત રહ્યા. પરંતુ સરકારી સેવામાં દાખલ થયા પછી ગ્લેગનું મેમોરીઝ ઑફ હેસ્ટિંગ (હેસ્ટિંગનું જીવનચરિત્ર) તથા હંટરનું અનાલ્સ ઑફ રુરલ બેંગાલ (બંગાળની તવારીખ) પુસ્તક વાંચ્યા પછી પિતાજીને દાદાના કથનથી સચ્ચાઈની ખાતરી થઈ. સંતોની ક્રાંતિ વિશે મેં પહેલાં પણ જણાવ્યું હતું. પિતાજીના જન્મની પોણી સદી પહેલાં, ૧૭૬૨માં એ ક્રાંતિ થઈ હતી. છ વર્ષ સુધી ચાલુ રહેલા એ આંદોલને પિતાજીને ઘણા પ્રભાવિત કર્યા હતા. એ બધું ભેગું કરીને પિતાજીએ એક સુંદર શિલ્પ બનાવ્યું જેનું નામ છે આનંદમઠ.
આનંદમઠ એ સત્યાનંદ વાસુદેવ ફડકેનું રૂપાંતરણ છે. પતિની મદદ કરવા માટે શાંતિ સ્વરૂપે આવતી વીરાંગનામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તમે જોઈ શકો છો. આનંદમઠમાં ૧૮૫૭ના સૈનિકોનો સ્વતંત્રતા માટેનો આગ્રહ તમે જોઈ શકો છો. એ સાથે જ સંતક્રાંતિનાં રંગ-રૂપ-ભાવનાઓ પણ જોઈ શકાય છે. રાષ્ટ્રધર્મની ભાવનાએ વિરક્તિને સમર્પણ સ્વરૂપે પરિવર્તિત કરી નાખી પ્રેમની ઉચ્ચ અનુભૂતિ એવા આનંદના સ્વરૂપમાં સુસંસ્કૃત રચના છે આનંદમઠ. એટલે જ સમાજ તથા રાષ્ટ્રની પ્રગતિ માટે સમર્પણ ભાવે કાર્યરત પ્રચારકો માટે આનંદમઠ માર્ગદર્શક બની ગયું. એણે ગુલામીમાં સબડતા જનસુદાયને દિશા આપી. પિતાજીના પોતાના જીવનમાં સર્વસ્વ મનાયેલા ભગવદ્ગીતાના ચાર શ્લોક જ આનંદમઠનું સમર્પણ છે.
येत सर्वाणि कर्माणि मयि सन्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ।।
तेषाम्यहम् समुद्धर्ता मृत्युसंसारसागरात् ।
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ।।
मच्येव मन आधत्स्वं मयि बुद्धि निवेशय।
निवसिष्यसि मय्येव अत उर्ध्वं न संशयः।।
अथ चितं समाधातुं न शक्नोषि मयि स्थिरम्।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय।।
સમર્પિત થઈને પિતાજીએ આનંદમઠની રચના કરી છે એ દીવા જેવું સત્ય એમાં પ્રકટ થયેલું છે.
એ જ આનંદમઠમાં પિતાજીએ વાત્સલ્યભાવથી મને સામેલ કરી છે.