પ્રકરણ – ૭ । મારું પ્રથમ ચરણ દેશ છે, બીજું જન છે તથા ત્રીજું ચરણ ધર્મ છે

પોતાની ધરતીમાં સોનું પકવવા માટે રાજા જનકે જ્યારે હળ ચલાવ્યું ત્યારે ધરતીમાંથી સીતા પ્રકટ થઈ. લોકોએ એને જનકની પુત્રી કહી. મારો જન્મ પણ લગભગ એ જ રીતે થયો.

    ૦૭-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |
 
Vande Mataram novel gujarati prakaran 7
 
 

મારા જન્મ પછી થોડા જ દિવસોમાં એક વિશેષ ઘટના બની. બંગદર્શન પત્રિકાના એક શ્રમિકે પિતાજીની પાસે આવીને કહ્યું, મૅટર તો પૂરું થઈ ગયું છે અને હજુ એક કૉલમ બાકી છે, એને માટે કંઈક જોઈશે.' એ સાંભળીને પિતાજી હસ્યા.
 
 
 
હું વંદે માતરમ્ છું. મારો આકાર મનુષ્યનો નથી. હું એક શિલ્પ છું, સંગીત શિલ્પ. મારું પોતાનું વિશેષ રૂપ છે. મારી પોતાની ભાષા છે, ભાવ છે, રાગ, તાલ અને લય છે. મારી પોતાની તાન છે, જીવન છે, સ્પંદન છે. માર્કંડેયને મળેલા સોળ વરસના વરદાન છતાં એ શતાયુ થઈને ચિરંજીવ બની રહ્યો એ જ રીતે મને પણ ચિરંજીવિતાનું વરદાન પ્રાપ્ત થયું છે. જીવનસાફલ્ય માટે વ્રતાચરણ કરનારી માતા કન્યાકુમારી જેવી હું છું.
 
મેં કહ્યું જ છે કે, પિતાજીએ આનંદમઠમાં મારો સમાવેશ કર્યો છે. મેં સમજી વિચારીને જ એમ કહ્યું છે. ઘણા લોકોની માન્યતા છે કે, મારો જન્મ આનંદમઠમાં થયો છે. પરંતુ એમ નથી. આનંદમઠ અસ્તિત્વમાં આવવાનાં અનેક વર્ષો પહેલાં મારો જન્મ થયો છે. માનવકલ્યાણ માટે મનુ મહારાજે જ્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે અંજલિમાં જળ લીધું ત્યારે એક માછલીનો જન્મ થયો હતો. એ જ રીતે મારો પણ જન્મ થયો છે.
 
પોતાની ધરતીમાં સોનું પકવવા માટે રાજા જનકે જ્યારે હળ ચલાવ્યું ત્યારે ધરતીમાંથી સીતા પ્રકટ થઈ. લોકોએ એને જનકની પુત્રી કહી. મારો જન્મ પણ લગભગ એ જ રીતે થયો. સંતક્રાંતિ વખતે સંતોનાં મુખેથી મારો જન્મ થયો હતો. એ હતો એક જ શબ્દ વંદે માતરમ્. એ પછી થોડા સમય સુધી વાતાવરણમાં હું અરૂપ રહીને ઘુમરાતી રહી. એ પછી માતાના ગર્ભમાં શરણું લીધું. ઘણાં વર્ષો વીતી ગયાં. બીજનો નાશ ન થયો. જે રીતે જનકરાજાએ હળ ચલાવ્યું એ જ રીતે બંકિમબાબુએ જન્મભૂમિની મુક્તિ માટે પોતાની પ્રતિભામાં ખેડાણ કર્યું. એ વખતે સીતાની જેમ જ હું પ્રકટ થઈ. માતૃભૂમિના ચૈતન્ય દ્વારા મને પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થયું. બીજરૂપમાંથી મારું આજના સ્વરૂપમાં રૂપાંતરણ થયું. લોકોએ બંકિમબાબુને વંદેમાતરમ્ના જનક કહ્યા. સાચું છે, મારા જનક બંકિમબાબુ જ છે. મારી જનની આ ધરતી છે. આ સ્વર્ણભૂમિ છોડીને મારે ક્યાંય જવું નથી. એને છોડીને હું જીવી શકું પણ ખરી કે?
 
જીવનમાં વિપત્તિ આવે અથવા મુશ્કેલ પરિસ્થિતિમાંથી જવું પડે ત્યારે અપાર નિયામક શક્તિ પર વિશ્વાસ રાખવો એ મનુષ્યનો સ્વભાવ છે. એ વિશ્વાસને કારણે જ રાજપૂત વીરોએ `ભગવાન એકલિંગ કી જય' કહીને દેશ તથા દેશના સન્માન રક્ષણ અર્થે શસ્ત્રો ધારણ કર્યાં હતાં. સ્વદેશ તથા પોતાના ધર્મની રક્ષા માટે મહારાષ્ટ્રના લોકો `હર હર મહાદેવ' કહીને આગળ વધ્યા હતા. બંગાળની દેવી દુર્ગા છે, માતા ભગવતી છે. એટલે સંતક્રાંતિના સંતોના વંદે માતરમ્ કહીને ધર્મના રક્ષણ માટે આગળ આવ્યા.
 
મેં પહેલાં જણાવ્યું હતું કે, ભૂદેવ કવિએ मातर्नमामि‌ કરીને એક રાષ્ટ્રભક્તિપૂર્ણ ગીતની રચના કરી છે. બંગાળના અન્ય કવિઓએ પણ આ જ પ્રકારની રચનાઓ કરેલી છે. રંગલાલ બંદોપાધ્યાયે પોતાની પંક્તિના ઉપાખ્યાનમાં લખ્યું હતું કોને જોઈએ છે સ્વાતંત્ર્ય વિનાનું આ નિકૃષ્ટ્ર જીવન, પોતાના પગમાં બેડી પહેરવાનું શું કોઈ પસંદ કરશે?
 
પિતાજીના સમકાલીન એક કવિ હતા હેમચંદ્ર બંદોપાધ્યાય. પોતાની રચના ભારત સંગીતમાં એમણે દેશને નિદ્રામાંથી જાગ્રત થવાનું આહવાન કર્યું છે.
 
રવીન્દ્રનાથ ઠાકુરના ભાઈ સત્યેન્દ્રનાથ ઠાકુર પણ કવિ હતા. માતૃપૂજામાં એમણે પણ પોતાનો ફાળો આપ્યો છે. એમણે લખ્યું
`ભારતમાતાનાં સંતાન
 
એક સાથે ગાઓ, એક સ્વરે ગાઓ
 
ધન્ય ધન્ય છે ભારત માત.'
 
નવગોપાલ મિશ્ર દ્વારા સંચાલિત હિંદુમેળાની શરૂઆતમાં આ જ ગીત ગવાતું. હતું. હજારો સ્ત્રીપુરુષોના કંઠે એનો સ્વર ગુંજી રહેતો. ઘણા લોકોએ એને ભારતનું પ્રથમ રાષ્ટ્રગીત પણ કહ્યું છે, પિતાજીએ પણ એની પ્રશંસા કરી હતી.
 
કમલાકાન્તના માધ્યમથી મારા પિતાજીએ પણ ભાવવિભોર બનીને ગાયું,
 
‘जय जय जय जय धात्री
नमामि शिरसा देवी
बंधनात्‌ सुविमोचिताम्‌.’
 
રાષ્ટ્રભાવનાની ચેતના અંતરિક્ષમાં મુખરિત થઈ. સ્વાન્તઃ સુખાય સાહિત્ય સર્જન કરનારા પિતાજી કમલાકાંતની વાણીથી તૃપ્ત થયા નહીં. બંધનાત્ વિમોચિતામ્', પિંજરામાં બંધ પોપટની બહાર નીકળ્યા પછીની અવસ્થા. ઔપચારિક રીતે તો એ મુક્ત થઈ ગયો પરંતુ એને સ્વચ્છંદતાથી નૈસર્ગિક રીતે નીલગગનમાં ઊંચે ઊંચે ઊડવાની સ્વતંત્રતા મળી નથી. પિતાજીની એવી જ સ્થિતિ હતી. એમણે જોયું કે `વેદકાળની પ્રાર્થના' અર્થાત્ શત્રુને માત્ર મારવાનો નથી. ‘रिपुजहि પણ છે, ‘बल देहि‌’જ નહીં તો ‘जय देहि‌’પણ છે.
 
એનાથી ‘विनाशाय च दुष्कृताम्‌’ ભગવત્ કાર્યનો અડધો ભાગ છે. એની સાથે परित्राणाय साधुनाम्‌ જોડવાથી એ પૂરો થાય છે. ‘बंधनात्‌ सुविमोचिता‌’માં રહેલી અપૂર્ણતાને પૂર્ણતામાં બદલવા માટે એ સમયપારખુએ નિર્ણય કર્યો. પિતાજીએ સંત ક્રાંતિકારીઓનો એ મંત્ર સ્વીકાર્યો, મંત્ર હોવાથી એ જ સ્વરૂપે એનો સ્વીકાર કર્યો. જે રીતે બીજમાંથી વૃક્ષ થાય છે. સૂતરમાંથી કપડું બને છે, અક્ષર મળીને શબ્દ બને છે, શબ્દો મળીને વાક્ય બને છે, મંત્રો મળીને સૂક્ત બને છે એ જ રીતે `વંદે માતરમ્'ના મંત્રબીજમાંથી આજની સ્થિતિનું મારું અસ્તિત્વ પેદા થઈ ગયું.
 
આ આનંદમઠની રચના પૂર્વેની ઘટના છે. પિતાજીએ મને પોતાના મિત્રો સમક્ષ પ્રસ્તુત કરી. બધા જ મિત્રો સહૃદય હતા. એમની વચ્ચે શાસ્ત્રીય સંગીતના વિદ્વાન યદુનાથ ભટ્ટાચાર્ય પણ ઉપસ્થિત હતા. એમણે મને સ્વરબદ્ધ કરી. મારો રાગ અને તાલ પણ નિશ્ચિત કર્યો. રાગ મલ્હાર, તાલ કવ્વાલી. એ અનુગ્રહ પ્રાપ્ત કલાકારના મુખે એ સભામાં રસપૂર્ણ રીતે મારું સંગીત પ્રસૂત થઈ ગયું.
 
એક જ આધ્યાત્મિક રાગનો આલાપ કરનારાઓનાં હૃદયોનાં ઐક્ય વડે ભારત રાષ્ટ્ર બની જાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું `વિખરાયેલી આધ્યાત્મિક શક્તિઓનું મિલન જ ભારતની રાષ્ટીય એકતાનો આધાર છે.' શું આ મારા પિતાજીના શબ્દોનો જ પડઘો નથી? સ્વામીજીનાં પ્રિય શિષ્યા નિવેદિતાએ એને વધુ સ્પષ્ટ્ર કરતાં કહ્યું હતું કે, દેશ, લોકો અને ધર્મ એ ત્રણે મળીને રાષ્ટ્ર બને છે. અહીં એ વાતનો ઉલ્લેખ જરૂરી છે કે, ધર્મનો અર્થ સંપ્રદાય નથી. શરૂઆતથી જ પિતાજીના વિચારો આ મહાન વ્યક્તિઓના વિચારોને અનુરૂપ જ હતા. પિતાજીને એ દૃઢ વિશ્વાસ હતો કે, અંગ્રેજોના આવતા પહેલાંથી જ ભારત એક રાષ્ટ્ર રહ્યું છે. અંગ્રેજોએ તો માત્ર રાજ્ય જ કર્યું છે. રાજનારાયણ બસુ તથા નવગોપાલ મિત્ર જેવા લોકોનો પણ એ જ દેશ વિચાર હતો. પિતાજીનો એ વિચાર મારામાં પણ આવી ગયો. મારું પ્રથમ ચરણ દેશ છે, બીજું જન છે તથા ત્રીજું ચરણ ધર્મ છે.
દેશ રાષ્ટ્રનું શરીર છે. એ સુજલ, સુફલ અને મલયજશીતલ છે. પ્રફુલ્લ છે, વૃક્ષલતાઓથી શોભિત છે. પિતાજીએ માતાને સુંદરવદના તથા સુભાષિણી કહી છે. પછી આગળ વધતાં અહીંની પ્રજા વિશે કહ્યું છે. માતા સાત કરોડ લોકો વતી બોલનારી છે. એના બન્ને હાથમાં તલવાર છે. શું એ અબલા છે? ના, એ બહુબલધારિણી છે, તારિણી છે.
 
દેશ અને જનતા માટે કહ્યા પછી ધર્મ વિશે કહ્યું છે. રાષ્ટ્રની અસ્મિતા તથા રાષ્ટ્રસત્તા વિશે વિસ્તૃત વર્ણન કર્યું છે. એ વર્ણનમાં જાણે એમના પર વાણીદેવીની કૃપા થયેલી છે. અંતમાં એ રાષ્ટ્રને સંપૂર્ણપણે મારા પર પ્રતિષ્ઠિત કર્યું છે. હું ત્રિવાર ધન્ય છું !
માતા આદિથી અંત સુધી એક છે, પૂર્ણ છે, અખંડ છે. કારણ ગમે તે હોય, મને થોડીક પંક્તિઓમાં સીમિત કરવું એ મારા પ્રત્યે ઘોર અન્યાય છે, મારા સત્ત્વ પ્રત્યે અન્યાય છે. દેશ, પ્રજા અને ધર્મ મળીને બનનારા રાષ્ટ્રને એમાંથી કોઈ એક સ્વરૂપે સીમિત અથવા સંકુચિત કરવું એ શું યોગ્ય છે?
 
મારા પ્રિય દેશવાસીઓએ બે બાબત ધ્યાનમાં રાખવાની છે. એ નથી ભૂલવાનું કે, મારા પિતાજી અંગ્રેજ સરકારમાં ઉચ્ચ પદાધિકારી હતા. પદનું દાયિત્વ સંભાળવાની સાથે તેઓ બરાબર જાણતા હતા કે, એમણે શું કહેવાનું છે અને કેવી રીતે કહેવાનું છે. તેઓ એ પણ જાણતા હતા કે શું કહેવાનું નથી. મારા સર્જન દ્વારા પિતાજીએ એક વાત નથી કહી અને એક વાત વિશેષરૂપે કહી છે. જે વાત જણાવી નથી એ રાષ્ટ્રની સીમા વિશેની છે. સુફલ અને સુજલ આ દેશ કયો છે? એની સીમાઓ કઈ છે? એ વિશે વિષ્ણુપુરાણ કે ચાણક્યની પરિભાષાની જેમ પિતાજીએ કોઈ પરિભાષા આપી નથી. પિતાજીના મનમાં ચિત્ર સ્પષ્ટ્ર છે, પરંતુ બહાર દર્શાવ્યું નથી. દર્શાવ્યા વિના પણ શ્રોતાઓના મનમાં એ સ્પષ્ટ્ર થઈ જાય છે. દક્ષિણામૂર્તિનું મૌન જે રીતે શિષ્યોની શંકાઓ દૂર કરે છે એ જ રીતે પિતાજીનું મૌન પણ સારગર્ભિત છે.
 
‘अवत्थामा हतः‌’એવી ભગવાન કૃષ્ણની નીતિ અનુસાર જાણી-સમજીને પિતાજીએ પણ એ નીતિ અપનાવી છે. જનતા વિશે કહેતી વખતે પિતાજીએ સાત કરોડ વિશે કહ્યું છે. એ દ્વારા પિતાજી એક પ્રામાણિક સરકારી અધિકારી તરીકે પિતાજી સંપૂર્ણ ભારતને ક્રાંતિ કરવાની પ્રેરણા આપનારા નથી બન્યા. સાત કરોડનું તાત્પર્ય આનંદમઠના સંતાનોની સંખ્યાથી જ હતું. એ પછી સાત કરોડની વાત અનેક કરોડો માટે કેવી રીતે લાગુ થઈ ગઈ એ બધા જાણે જ છે.
 
પિતાજીની એ તીવ્ર બુદ્ધિ વિશે એમના મૃત્યુ પછી લોકોને જાણ થઈ ગઈ. કેટલાક લેખકોએ એમનું જીવનચરિત્ર લખવાનું શરૂ કર્યું હતું. એ માટે એમણે પિતાજીની સરકારી નોકરી સાથે સંબંધિત કાગળપત્રોની તપાસ કરી, ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. `આનંદમઠ' વિશે એક અંગ્રેજ અધિકારીની ટિપ્પણી એમને મળી. એમાં લખ્યું હતું, `આ અધિકારીના કામથી સરકાર અસંતુષ્ટ્ર છે.' એ ટિપ્પણીથી તદ્દન વિપરીત `ઇન્ડિયા મિરર' નામના સમાચાર પત્રમાં એક સમાચાર છપાયા હતા, ઐતિહાસિક ઘટનાઓને આધાર બનાવીને નવલકથા લખનારા એક મહાન કથાલેખકે એક સદી પહેલાં બનેલી એક ઘટનાના આધાર પર જે કથા લખી છે એમાં સરકાર અનુશાસનહીનતા જુએ એ જરાય જરૂરી નથી. એ દોરડાને સાપ તરીકે જુએ છે.
ફરી એક વાર હું સ્પષ્ટ્ર કરું છું કે, મેં કારતક માસની સુદ નવમીના દિવસે જન્મ લીધેલો, જે બંગાળમાં `અક્ષય નવમી' તરીકે પ્રસિદ્ધ છે. એ જગદધાત્રીની પૂજાનો પવિત્ર દિવસ છે. ૭ નવેંબર ૧૮૭૫નો દિવસ. કદાચ એ જ દિવસે જન્મ થવાને કારણે જ મારું સંપૂર્ણ જીવન જગદધાત્રીની પૂજા બની ગયું છે.
 
આનંદમઠ સન ૧૮૮૨માં પ્રકાશિત થયું. એમાં પિતાજીએ મારો સમાવેશ કર્યો હોવાથી એમના મિત્રો બહુ ખુશ થઈ ગયા. એક મિત્રે કહ્યું હતું, પોતાની પાસે રહેલો મૂલ્યવાન હીરો જડાવીને બંકિમબાબુએ એક સુંદર અંગૂઠી તૈયાર કરી છે.
 
***
 
મારા (વંદે માતરમ્) જન્મ પછી થોડા જ દિવસોમાં એક વિશેષ ઘટના બની. બંગદર્શન પત્રિકાના એક શ્રમિકે પિતાજીની પાસે આવીને કહ્યું, મૅટર તો પૂરું થઈ ગયું છે અને હજુ એક કૉલમ બાકી છે, એને માટે કંઈક જોઈશે.' એ સાંભળીને પિતાજી હસ્યા. ટેબલ પર પડેલા કાગળો એને આપ્યા, એક ગીત! શ્રમિકે આશ્ચર્ય પામીને પૂછ્યું, આ અંકમાં શું આ ગીત...' પિતાજીએ કહ્યું, હા, એમાં સામેલ કરો, અત્યારે એનો અર્થ કોઈ જાણી શકશે નહીં, પરંતુ ભવિષ્યમાં અર્થ સ્પષ્ટ્ર થઈ જશે. પિતાજીની વાત સાંભળીને શ્રમિક સંતોષ સાથે પાછો ફર્યો.
 
એ રીતે બંગદર્શનમાં મારો સમાવેશ થઈ ગયો. પિતાજીના ભાઈ તથા મિત્રોએ વાંચી લીધું. એમને એ ગમ્યું નહીં. બંગાળી અને સંસ્કૃતની સેળભેળ થયેલી એ ભાષા એમને પસંદ પડી નહીં. તેઓ પિતાજી પાસે આવ્યા. આ કેવું ગીત છે ભાઈ, બધું સેળભેળ, ખીચડી! પોતાના ભાઈએ કહેલી એક વાત સાંભળીને ખરેખર તો પિતાજી નારાજ થઈ ગયા એમ છતાં સૌમ્ય શબ્દોમાં બોલ્યા, આજે તમને કે તમારા મિત્રોને એનું મહત્ત્વ ધ્યાનમાં નહીં આવે, તમે હજુ ઘણા નાના છો. સમય આવ્યે તમને એ સમજાશે. પચીસ-ત્રીસ વર્ષોની અંદર જ માત્ર બંગાળમાં જ નહીં તો સંપૂર્ણ હિંદુસ્તાનમાં એના નામે આંદોલન છેડાઈ જશે. પિતાજીનું આ વિધાન મારા જીવનની શરૂઆત હતી. જેમ પિતાજીએ કહ્યું હતું એમ જ બન્યું. એ માટે પૂરાં ત્રીસ વર્ષ રાહ પણ ન જોવી પડી, એ પહેલાં જ મારા નામથી બંગાળમાં ક્રાંતિ થઈ અને એ પછી આખા હિંદુસ્તાનમાં ફેલાઈ ગઈ.
 
મારું બંગાળ આકારમાં યુરોપના ચાર-પાંચ પ્રદેશો કરતાં પણ મોટું હતું. વસાહતવાદી સરકારે એને પૂર્વ તથા પશ્ચિમ બંગાળમાં વિભાજિત કરવાનો નિર્ણય લઈ લીધો. એ ષડયંત્ર પાર પાડવાની જવાબદારી અંગ્રેજ સરકારે વાઇસરૉય કર્જનને સોંપી. વાસ્તવમાં એ નાટકનો ખલનાયક એ એકલો નહોતો. એક સામૂહિક ષડયંત્રના નિર્ણયને અમલમાં મૂકવાની જવાબદારી એને સોંપવામાં આવી હતી.
 
સન ૧૮૫૭ના આંદોલનના પરિણામ તરીકે બ્રિટિશ સંસદે કંપનીની સત્તા પોતાના હાથમાં લઈ લીધા બાદ એક દશક વીતી ગયા પછી સન ૧૮૬૮માં સ્ટેફોર્ડ નેટકોટે બંગાળના વિભાજનનો પ્રસ્તાવ રજૂ કર્યો. એનું કારણ દર્શાવવામાં આવ્યું રાજ્યકારભારની સગવડ માટે. કોઈ કારણસર એ સમયે એમનો આશય સફળ ન થયો. અઢાર વર્ષ પછી ફરી એક વાર એ વિચાર સપાટી પર આવ્યો. આ વખતે એનો પ્રણેતા હતો લેફ્ટનંટ જનરલ ચાર્લ્સ ઇલિયટ. એની વિશેષતા શું હતી? એ મહોદયે એક વાર પણ બંગાળ જોયું નહોતું. કોઈ પણ અનુભવ વગરનો એ શાસક એ હેતુ સાથે કેમ આગળ વધ્યો?
 
ચાર્લ્સે એક કામ કર્યું. લોકોનો વિચાર જાણવા માટે એણે પોતાના હેતુની એક જાહેરાત પ્રદર્શિત કરી. ચારે તરફથી લોકોએ વિરોધ પ્રકટ કર્યો. કોઈ પણ એનું સમર્થક ન રહ્યું. એમાં રહેલી આપત્તિ અને જોખમ જોઈને એક ન્યાયાધીશે સરકારને એ હેતુ અમલમાં મૂકવાની ના પાડી દીધી. એટલે એ પગલું પણ પાછું પડ્યું. એ વખતે જૂના કર્જન મહાશય ફરીથી આવ્યા. ૧૮૯૯માં આવ્યા અને સાતથી પણ વધુ વર્ષ અહીં રહ્યા. એમણે બંગાળના લોકોનો ઝીણવટથી અભ્યાસ કર્યો. એમણે જાણી લીધું કે, બંગાળના લોકો ખતરનાક છે. એ બંગાળીઓને ઘૃણાની નજરે જોતા હતા અને હંમેશા કહેતા રહેતા કે, બંગાળીઓ કાં તો માછલી ખાતા હોય છે નહીં તો પાન ખાતા રહે છે.
 
***
 
(ક્રમશઃ)