મારા બંગ દેશના લોકોએ સૌથી પહેલાં અંગ્રેજી શિક્ષણનો ખુલ્લા મને સ્વીકાર કર્યો. કંપની તથા મહારાણીની સત્તાની બીજી હરોળ તરીકે એ લોકો કામ કરી રહ્યા હતા. પરંતુ ધીમે ધીમે એમના મનમાં સ્વાભિમાની ભાવના જાગ્રત થવા લાગી. નવી શિક્ષણનીતિ એમને સાગરને પેલે પાર લઈ ગઈ. થોડાં વર્ષ પૂર્વે પશ્ચિમમાં વિકસિત થએલા લોકતંત્ર પર આધારિત સ્વાયત્તતા તેઓ ઇચ્છતા હતા. એ માટે લોકતાંત્રિક ઢબે એમણે અવાજ ઉઠાવ્યો. ભારતીય પ્રશાસનના ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરતા રહીને એમણે દેશનાં બધા મોટાં શહેરોમાં લોકપ્રબોધનનું કામ પણ કર્યું છે.
સમકાલીન ઘટનાઓ અનુકૂળ હતી. કર્જન જ્યારે ભારત પહોંચ્યો ત્યારે આફ્રિકામાં બૉરયુદ્ધ થયું અને એમાં અંગ્રેજો ખૂબ ખરાબ રીતે હાર્યા. આપણા દેશવાસીઓ બહુ ખુશ થયા. અંગ્રેજો અજેય છે એવી લોકોની માન્યતા સમાપ્ત થઈ ગઈ.
એ સમયમાં જ સ્વામી વિવેકાનંદનો દિગ્વિજય થયો. એની સૌથી વધુ અસર થઈ મદ્રાસ અને કોલકતામાં. બંગાળના પુત્ર હોવાને કારણે અમને સ્વામીજી વિશે વધુ ગર્વ હતો. એમના પ્રભાવથી લોકોમાં આત્મગૌરવની ભાવના જાગ્રત થઈ અને અધર્મની ભાવના જતી રહી. સ્વામીજીએ એલેકઝાંડર ડફના દેશમાં જઈને માર્ગારેટ નોબલને પોતાની શિષ્યા બનાવી અને નિવેદિતા તરીકે ભારતમાતાનાં ચરણોમાં સમર્પિત કરી દીધી. લોકોને પોતાના દેશ તથા ધર્મ પ્રત્યે ગૌરવ પેદા કરવામાં એ ઘણી સહાયક સાબિત થઈ. વિશ્વવિજયી થઈને પાછા ફરેલા એ વીરપુત્રે ખાસ કરીને બંગાળની યુવાપેઢીમાં નવો જુસ્સો ભરી દીધો.
સ્વામીજીને એવા યુવાનોની જરૂર હતી જેમની નસો પોલાદી હોય તથા એમના મનમાં સાગર પાર કરી જવાની તાકાત હોય તથા હૃદય અત્યંત મજબૂત હોય. જીવનમાં તેઓ અસ્પર્શિત કુસુમો જેવા હોવા જોઈએ. એમની એક માત્ર પ્રિય દેવતા ભારતમાતા હોય, એમ થવાથી ચારે તરફ ફેલાયેલો અંધકાર દૂર થઈ જશે અને ફરી એક વાર આપણી ભારતમાતા જગદધાત્રી સ્વરૂપે શોભી ઊઠશે એ જ એ ઋષિવરનું દૂરગામી દર્શન હતું.
સ્વામીજીના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્તે એક અન્ય રહસ્ય પણ જણાવ્યું. ભારત પરિભ્રમણ વખતે સ્વામીજીએ દેશી રાજાઓને એકત્ર લાવવા માટે ઘણી મહેનત કરી હતી. એટલું જ નહીં તો તેઓ જ્યારે બ્રિટનમાં હતા ત્યારે એ દિશામાં કોઈ મદદ મેળવવાના હેતુથી સર હિંટ માકિસ્મ સાથે વાતચીત પણ કરી હતી.
પ્રાચીન સમયથી બંગાળની એક આગવી વિશેષતા છે. અન્ય પ્રદેશોની જેમ અહીં જાતિભેદનું ખાસ મહત્ત્વ નહોતું. લોકોમાં લોહી વહેવડાવવા જેટલી સાંપ્રદાયિકતા પણ નહોતી. એટલે શિક્ષિત હિંદુઓ તથા મુસ્લિમો વચ્ચે વિચાર વિનિમય થતો રહેતો હતો. શ્રી રામકૃષ્ણે પણ પોતાની સાધનાની પૂર્ણતાના પરીક્ષણ માટે એક મુસલમાનને પોતાની પાસે બોલાવ્યો હતો.
કોલકતાની તમામ પ્રવૃત્તિઓ પર ગુપ્તચર યંત્રણાના માધ્યમથી અંગ્રેજ સાહેબો નજર રાખી રહ્યા હતા. એમણે જોયું કે, એમના તરફથી અપાયેલું અંગ્રેજ શિક્ષણ લઈને બંગાળીઓ ખતરનાક બની ગયા હતા. એમણે વિચાર્યું કે, એમ જ જો ચાલતું રહ્યું તો કોલકતા કાનપુર બનતા, ઢાકાનું દિલ્હી બનતાં તથા માઈમનસિંહને મેરઠમાં પરિવર્તિત થતાં વાર નહીં લાગે. તો એને રોકવાનો શું ઉપાય હોઈ શકે? જે માટે એમણે વિચાર્યું (૧) આધુનિક ભારતના રાજકીય આંદોલનને નેતૃત્વ પૂરું પાડનારા બંગાળીઓનો પ્રભાવ ઓછો કરવો. (૨) બંગાળનો પ્રભાવ તથા મહત્ત્વ ઓછું કરવું તથા (૩) અડધી સદી પહેલાં નાના સાહેબ પેશવા તથા બહાદુર શાહ ઝફર ભેગા થઈ ગયા હતા એ સ્થિતિનું પુનરાવર્તન થવા ન દેવું. તો એને માટે શું કરવું પડે? બંગાળનું વિભાજન. બંગાળનું વિભાજન કરીને હિંદુ બંગાળ તથા મુસ્લિમ બંગાળ તરીકે બે રાજ્યોની રચના કરવી. રોટલાના બે ટુકડા માટે ઝઘડતી બે બિલાડીઓ વચ્ચે સમાધાન કરાવવા માટે કૂદી પડેલા વાંદરાની એક વાર્તા પંચતંત્રમાં છે. એ જ છે બંગાળ વિભાજનનું વણદેખ્યું પાસું. આ બ્રિટિશ યોજનાને અમલમાં મૂકવા માટે એક નિર્દય કસાઈ કર્જનને મોકલવામાં આવ્યો હતો.
સન ૧૯૦૨માં કર્જન મહાશયે કસાઈની જેમ પોતાનો છૂરો; તીવ્ર ધારવાળો કરી દીધો. છ વર્ષ પહેલાં ગવર્નર ચાર્લ્સ ઇલિયટ દ્વારા શરૂ કરાયેલી બંગવિભાજનની પ્રક્રિયા કર્જને પોતાના હાથે પૂરી કરી. એમણે બ્રિટનના ઉચ્ચ અધિકારીઓને લખ્યું કે, રાજ્યકારભારની દૃષ્ટિએ બંગાળ એટલું મોટું છે કે, એમાં સક્ષમ કારભાર ચલાવવો અતિ મુશ્કેલ છે.
૧૨ ડિસેમ્બર, ૧૯૦૩ના દિવસે રાજકીય ટપાલમાં એક પત્ર ભારત આવ્યો. એ પત્ર સરકારના સચિવ એચ. એચ. રિસ્લેએ બંગાળના સચિવને લખ્યો હતો. વધતી જતી વસતી, પ્રશાસનનો બોજો, વેપાર તથા ઉદ્યોગનો વિકાસ વગેરે બાબતો ધ્યાનમાં રાખતાં બંગાળના અધિકારો પાડોશી રાજ્યો સાથે વહેંચી દેવાની વાત એમાં હતી. એ જ એ પત્રનો એકમાત્ર વિષય હતો.
કોઈએ એમ ન પૂછ્યું કે શ્રીલંકાથી શ્રીનગર સુધીના વિશાળ પ્રદેશનો રાજ્યકારભાર કરવાની ક્ષમતા ધરાવનારાઓને બંગાળનો રાજ્યકારભાર કેમ અશક્ય જણાયો? મોટા સાહેબોએ માથું હલાવીને સંમતિ આપી. ફેબ્રુઆરી, ૧૯૦૫માં લૉર્ડ કર્જને ગૃહવિભાગને પોતાનો અભિપ્રાય જણાવ્યો. વિનાવિલંબે જૂન માસમાં સંમતિ આવી ગઈ. ૧૬ ઑક્ટોબરના દિવસે કામ પૂરું થઈ ગયું અને બંગાળનું વિભાજન થઈ ગયું. આસામની સાથે ચટગાંવ, માઈમનસિંહ, ઢાકા વગેરે પ્રદેશો જોડીને પૂર્વબંગાળની રચના કરવામાં આવી.
એ ત્રણે પ્રદેશો જોડીને બનાવાયેલું પૂર્વ બંગાળ પૂર્વ પાકિસ્તાન બની ગયું અને હવે એ બાંગ્લાદેશ છે. હવે ત્યાંથી બૌદ્ધ ધર્માવલંબી ચકમાઓને પશ્ચિમ બંગાળ તથા અરુણાંચલ પ્રદેશમાં હાંકી કાઢવામાં આવે છે. ત્યાં હિંદુઓ હંમેશાં પીડિત છે. કર્જનના પૂર્વ બંગાળનો એ જ સ્વરૂપે મારા દેશવાસીઓએ સ્વીકાર ન કર્યો. એ વખતે જો એમણે વિરોધ ન કર્યો હોત તો આજે પૂર્વાંચલની સાત બહેનો (સાત રાજ્યો) પણ બાંગ્લાદેશનો ભાગ બની ગઈ હોત. તમે વિચારો કે એનું શું પરિણામ આવ્યું હોત. પાકિસ્તાન કરતાં પણ વધુ શક્તિશાળી એક શત્રુ રાષ્ટ્ર પૂર્વ દિશામાંથી આપણને પરેશાન કરતું રહેત.
ઈશ્વરની એ કૃપા રહી કે પંજાબ, સિંધ, ગુજરાત, મહારાષ્ટ્ર, દ્રવિડ, ઉત્કલ (ઓરિસ્સા) તથા બંગનાં સંતાનોએ એ વિભાજન માન્ય રાખ્યું નહીં. ચારે દિશામાં વંદે માતરમ્ ગુંજી ઊઠ્યું. પિતાજીનું વચન સાચું પડ્યું. બરાબર ત્રીસ વર્ષ પહેલાં જ એ શક્ય બન્યું.
***
બંગાળ વિભાજનની સૂચના આપતો પત્ર ભારતની રાજકીય ટપાલમાં આવી પહોંચવાના ૪૮ કલાકમાં જ તથા કોલકતા અને મદ્રાસમાં એ પત્ર ઉપલબ્ધ થતાં પૂર્વે જ કોલકતાની અમૃતબજાર પત્રિકાએ એની ટીકા કરી. પત્રિકાએ ચેતવણી ઉચ્ચારી કે, આ પગલું ક્રાંતિકારી લાગતું હોય તો પણ બિનજરૂરી તથા એક મોટા જનસમુદાયની ભાવનાઓને ભડકાવનારું છે. મને બરાબર યાદ છે કે એ મહિનાના એ જ અઠવાડિયામાં અનેક સમાચારપત્રોએ વિવેકપૂર્ણ રીતે લોકોને આવેશમાં આવી ન જવાની સૂચના આપતાં, સંયમિત ભાષામાં વિભાજનનો જાહેર વિરોધ કર્યો હતો.
સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એ સમાચારપત્રોની સેવાને પણ અમર સૈનિકો સાથે યાદ કરવાનું આપણું કર્તવ્ય છે. એમણે - ભવિષ્યમાં કોઈ મૅડલ મળવાની અપેક્ષા રાખ્યા વગર કર્તવ્યભાવનાથી સેવા કરી હતી. મને એ સમાચારપત્રોનાં નામ આજે પણ યાદ છે `ઇંડિયન મિરર', `ધ બંગાલી', `ધ ઇંડિયન એમ્પાયર', `હિંદુ પેટ્રિયેટ', `ચારુ મિહિર', `શ્રી વિષ્ણુપ્રિય જ્યોતિ', `સંજીવની', `પ્રતિનિધિ' વગેરે.
સન ૧૯૦૪ની સવાર એક નવા વર્ષ સાથે શરૂ થઈ. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રકાશિત થયેલા ચારુ મિહિરે તીખા સ્વરે પ્રહાર કરતી ભાષામાં લખ્યું, આ વિચાર સારો છે, અશક્યને શક્ય બનાવશે, અભણ ગ્રામવાસીઓને એ બોલતાં કરશે, બુદ્ધિહીનોને પણ વિચારવા માટે ફરજ પાડશે, જિલ્લા મેજિસ્ટ્રેટોની સેવામાં રહેલા તથા સરકારની તરફેણ કરનારા જમીનદારો પણ આ નિર્ણયને કારણે વિરુદ્ધ પક્ષમાં જશે. એકંદરે આ નિર્ણય સંપૂર્ણ દેશમાં આચાર અને વિચારમાં એકાત્મતા લાવવામાં સહાયક સિદ્ધ થશે.
વિરોધ ચાલુ જ હતો. એની લહેર પંજાબમાં પણ પહોંચી ગઈ. ત્યાંના ટ્રિબ્યુને પંજાબી તાકાત સાથે અવાજ ઉઠાવ્યો. આના કરતાં વધુ મૌલિક અને મોટી મૂર્ખામી અન્ય કોઈ નથી. સાક્ષાત્ મેકિયાવેલીના મગજમાં પણ આનાથી વધુ મૂર્ખતાપૂર્ણ વિચાર શોધ્યો જડશે નહીં.
મહારાષ્ટ્રમાં કેસરીએ પણ એ નિર્ણયની ઉગ્ર ટીકા કરી. શાસિત પ્રજા પર શાસકો દ્વારા લદાતી આ પ્રકારની અસંતોષ ઉત્પન્ન કરનારી પ્રવૃત્તિઓ મૂડીવાદનો પાયો હચમચાવી નાખશે. સીધેસીધા જણાતા આ વાક્યમાં એક સામાન્ય સત્ય સમાયેલું હતું, એ એક સ્પષ્ટ્ર ચેતવણી હતી. અહીં માતાનાં સંતાનો માટે એક નિર્દેશ હતો.
સમય વીતવાની સાથે વિરોધનો સ્વર પણ મુખર થવા લાગ્યો. બિહારીએ સલાહ આપી- બ્રિટનનો પક્ષ લેવો એ ભારત સામે જોખમરૂપ છે. આ સંકટના પ્રસંગે દેશવાસીઓએ સંગઠિત થવાનું છે. છળકપટની ભાવનાનો ત્યાગ કરવાનો છે. ભગવદ ગીતાના સંદેશ અનુસાર કામ કરવા માટે તૈયાર થવાનું છે.
‘हतो वा प्राप्यसि स्वर्गं
जित्वा वा भोक्ष्यसे महीम्’
મરીશું તો સ્વર્ગ પ્રાપ્ત કરીશું અને જીતીશું તો પૃથ્વીનું રાજ્ય કરીશું.
બંગાળના સિંહ સુરેન્દ્રનાથ બેનર્જીએ ગર્જના કરી, અમારી અવહેલના કરી, અપમાન કર્યું, અમને દગો દીધો.
એ દરમિયાન કર્જને શકુનિ-નીતિ અપનાવી. એણે ઘોષણા કરી કે પૂર્વ બંગાળના મુસ્લિમો વિભાજનનું સમર્થન કરે છે. એ ઘોષણા થતાંની સાથે જ સેન્ટ્રલ મોહમદન એસોસિયેશનના ઓનરરી સચિવે પોતાનો વિચાર વ્યક્ત કરતાં સી.આઈ.ડી.ના મુખ્ય સચિવને પત્ર લખ્યો, વિભાજન તદ્દન બિનજરૂરી અને અશાસ્ત્રીય છે. પ્રાચીન સમયથી સાંસ્કૃતિક એકતા માટે પ્રસિદ્ધ પ્રદેશને વિભાજિત કરીને શતાબ્દીઓથી ચાલ્યા આવતા સુમેળભર્યા સંબંધોને નષ્ટ્ર ન કરો.' અકબરે લખ્યું, `લાખો લોકોની સામાજિક તથા વેપાર સંબંધી સાનુકૂળ પરિસ્થિતિને સમાપ્ત કરવાનું; આ સમજી વિચારીને લીધેલું પગલું છે.'
એમ છતાં કર્જન ચૂપ ન રહ્યો. ઢાકામાં એક વિશેષ બેઠક બોલાવીને એણે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો. ઢાકા નવું રાજ્ય બનશે. સ્વાવલંબન માટે માર્ગ મોકળો થશે, એટલું જ નહીં તો ઢાકા શહેર રાજ્યની રાજધાની બની જશે. સંખ્યા તથા સંસ્કૃતિની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા જિલ્લા નજીકના ભવિષ્યમાં વિકસિત થઈ જશે.
ઢાકાના નવાબને કર્જને પોતાને વશ કરી લીધો. શેતાનની પ્રવૃત્તિ કહીને નવાબે પહેલાં વિભાજનની નિંદા કરી હતી. પછી વેપાર માટે સલીમુલ્લા નવાબને નામે એક લાખ પાઉંડ ઋણ તરીકે આપીને કર્જને નવાબને પોતાને પક્ષે કરી લીધો. પરંતુ સામાન્ય મુસ્લિમ જનસમુદાય એ કપટમાં ફસાયો નહોતો. કર્જન સાહેબની અપેક્ષા કરતાં બરાબર વિરુદ્ધ વિભાજન સામે વિરોધનો વંટોળ ઊઠ્યો. માત્ર બંગાળમાં જ ૧૯૦૬ના સપ્ટેંબર મહિના સુધીમાં ત્રણ હજાર કરતાં પણ વધુ વિરોધ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું. દરેક સભામાં એક હજાર કરતાં પણ વધુ લોકો હાજર રહેતા હતા. દૂર દૂરનાં ગામોમાં પણ લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો. એવાં પણ સંમેલનો હતાં જેમાં ૨૫૦૦૦ કરતાં પણ વધુ લોકોએ ભાગ લીધો હોય. ગામોથી શહેર સુધી નેતૃત્વની એક સળંગ પંક્તિ વિકસિત થઈ. સામાન્ય લોકોને માહિતગાર કરીને જાગ્રત કરવાની સાથે જ એમને બહાર નીકળીને વિરોધ પ્રકટ કરવા માટે પ્રેરિત કરવાના હેતુથી પ્રેરણાદાયક શૈલીમાં સાહિત્યલેખન કરવામાં આવ્યું. રાજનારાયણ બસુ તથા ભૂદેવબાબુ દ્વારા શરૂ કરાયેલી રાષ્ટ્રભક્તિની સંગીત શાખાએ એ વખતે નવવસંતનો અનુભવ કર્યો. દરેક ગામમાં પ્રતિભાશાળી યુવાનોને મુખે રાષ્ટ્રભક્તિનાં ગીતો સંભળાવા લાગ્યાં. નાનાં બાળકો પણ સુસ્વરે રાષ્ટ્રપ્રેમનાં ગીતો ગાવા લાગ્યાં. એકંદરે નવા રાગ અને તાલમાં નવપલ્લવના આલાપ સાથે એક નવા પ્રભાતનો ઉદય થયો. બંગાળ તથા શેષ ભારત બદલો લેવા માટે તત્પર થઈ રહ્યું. લોકોમાં રાષ્ટ્રભાવના જાગ્રત કરવાનું કામ સફળ થઈ ગયું. એ તક પૂરી પાડવા માટે આનંદમોહન બાબુએ કર્જન પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
***
(ક્રમશઃ)