પ્રકરણ – ૯ । ...અને વંદે માતરમ્‌ પર પ્રથમ વખત પ્રતિબંધ લાગ્યો

મારા દેશવાસી બંગાળીઓએ સરકાર પ્રત્યે અનાદર દર્શાવ્યા વિના કાયદાનું ઉલ્લંઘન કર્યા વગર શાંતિપૂર્ણ રીતે વિરોધ તથા પ્રતિરોધનું આંદોલન ચલાવ્યું.

    ૦૭-જૂન-૨૦૨૫
કુલ દૃશ્યો |

Vande Mataram novel gujarati prakaran 9
 
 
 
વાઇસરૉય તથા અન્ય બુદ્ધિજીવીઓને લાગ્યું કે, ભસતાં કૂતરાં કરડે નહીં, વિરોધનો સ્વર ધીમે ધીમે લુપ્ત થઈ જશે અને એ પછી ભારતીયોની કોઈ પ્રવૃત્તિ નહીં હોય. મારા દેશવાસીઓનું એ બુદ્ધિજીવીઓએ કરેલું મૂલ્યાંકન ભૂલભરેલું હતું. એમણે વિચાર્યું હતું કે, પવનની એક લહેરખીની જેમ બધું તરત જ શમી જશે અને એ દિશામાં જ એમણે કામ આગળ વધાર્યું. એની ઘોષણા સપ્ટેંબરમાં કરવાનો વિચાર કરીને અંગ્રેજોએ જુલાઈ ૧૯ને દિવસે નવી પદ્ધતિની વિગતો હોંશિયારીથી રજૂ કરી. રાષ્ટ્રભક્તો પહેલાંથી જ એની સૂચના મળી ગઈ હતી. એટલે એના ત્રણ દિવસ પહેલાં જ શ્રીકૃષ્ણકુમાર મિશ્રએ પોતાની સંજીવનીના માધ્યમથી બધા દેશવાસીઓ સામે એક કાર્યપદ્ધતિ રજૂ કરી. નાના મોટા કે સ્ત્રી- પુરુષના કોઈ પણ ભેદભાવ વગર બધાંએ પાલન કરવા જેવાં એમનાં સૂચનો હતાં. બંગભંગના દિવસથી બંગાળના લોકોએ `સૂતક' પાળવાનું છે. વિદેશી વસ્તુઓને સ્પર્શ ન કરવો, વિદેશી મીઠાનો તથા ખાંડનો ઉપયોગ ન કરવો, એને બદલે દેશી મીઠાનો તથા સાકરનો ઉપયોગ કરવો તથા કોઈ પણ બંગાળીએ અંગ્રેજ સરકારમાં મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા બોર્ડ સભ્ય, ઑનરરી મેજિસ્ટ્રેટ વગેરે પદો સંભાળવાં નહીં.
બંગવિભાજનની ઘોષણાના ૨૫ દિવસ પહેલાંનો એટલે કે ૭ ઑગસ્ટ, ૧૯૦૫નો દિવસ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. સ્થિતિ એવી હતી કે, સેવાનિવૃત્ત બ્રિટિશ અધિકારી એ. ઓ. હ્યૂમના નેતૃત્વમાં ઇંડિયન નેશનલ કોંગ્રેસે બ્રિટિશ રાણીનું સ્તુતિગાન કરીને લોકવિધાયક પ્રજા તરીકે પાછા હટવાનું શરૂ કર્યું હતું. એ સ્થિતિમાં ૭ ઑગસ્ટ, ૧૯૦૫ના દિવસનું મહત્ત્વ હજુ વધી જાય છે.
 
મારા દેશવાસી બંગાળીઓએ સરકાર પ્રત્યે અનાદર દર્શાવ્યા વિના કાયદાનું ઉલ્લંઘન કર્યા વગર શાંતિપૂર્ણ રીતે વિરોધ તથા પ્રતિરોધનું આંદોલન ચલાવ્યું. આંદોલનની શરૂઆત તથા એમાં સૌથી પહેલો વિજય ગંગાસાગરની સંગમભૂમિ એવા મારા આ બંગદેશમાં થયો હતો.
 
તે દિવસે બંગભંગ નિગ્રહ દિવસ હતો. કોલકતાના ટાઉન હૉલ તરફ લોકોનો પ્રવાહ વહેતો હતો. ગ્રામીણ લોકો, શહેરી લોકો, શ્રમિકો, મૂડીપતિઓ, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, ખેડૂતો, વેપારીઓ વગેરે સમાજના બધા વર્ગોના લોકો ઉત્સાહપૂર્વક આગળ વધ્યા. જે રીતે શબરીમાલામાં ભગવાન અય્યપનના ભાવ્યો, પંઢરપુરમાં વારખરી લોકો, વૈષ્ણોદેવીમાં વ્રતી લોકો વ્રતપાલનમાં અને કાવડિયાઓ પોતાની ભક્તિની લહેરમાં ગાતાં, નાચતાં, કૂદતાં જાય છે એ રીતે અહીં લોકો ટાઉન હૉલ તરફ દોડતાં હતાં. કોણે એ શરૂ કર્યું, કોણે જણાવ્યું, કોણે સંભળાવ્યું એ માત્ર મારી માતા જ જાણે છે. લોકોનાં ટોળાં લયબદ્ધ રીતે ગાઈ રહ્યાં હતાં... `વંદે માતરમ્... વંદે માતરમ્... વંદે માતરમ્...' એ શુભ ઘડીથી હું રાષ્ટ્રમંત્ર બની ગઈ. વાસ્તવમાં એ મહત્ત્વનું સ્થાન મને મારી આરાધનામૂર્તિ દુર્ગાએ વરદાન તરીકે આપ્યું છે. એ દિવસે લાખો લોકોના કંઠે ગગનભેદી અવાજ ગૂંજી ઊઠ્યો ત્યારે એમના અજાણતાં જ એમને ધારણ કરી રહેલી ભૂમિમાં મારો વિલય થઈ રહ્યો હતો.
 
શોક પ્રદર્શિત કરવા માટે ટાઉનહૉલને કાળું કપડું ઓઢાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેનો હેતુ લોકો સમક્ષ મૂકતાં જ લોકો કપડું ખરીદવા માટે પૈસા લઈને આગળ વધ્યા, અમીરો કે જમીનદારોના પૈસા નહીં, એ સામાન્ય લોકોનો પૈસો હતો. બજારમાં પહોંચતાં જ સ્વયંસેવકોને એક વાત સ્પષ્ટ્ર સમજાઈ ગઈ કે, કોલકતામાં આપણા લોકો દ્વારા તૈયાર કરાયેલા કાપડનો એક ટુકડો પણ ઉપલબ્ધ નહોતો. મલમલ જેવા સુંદર કપડા માટે પ્રખ્યાત મારા દેશની આ હાલત હતી. બજારમાં જે કંઈ કાપડ મળતું હતું એ બધું અંગ્રેજો દ્વારા આયાત કરાયેલું હતું અને સ્વયંસેવકો એ કાપડ ખરીદ્યા વિના જ પાછા ફર્યા. કાર્યક્રમના સંયોજકોએ એમને શાબાશી આપી. જો કે સંયોજકોની ગણતરી ઊંધી પડી, પરંતુ દેશના લોકોને એની માહિતી નહોતી.
સંમેલન સ્થાને લોકોની ભીડ જામી. એ વખતે આજની જેમ માઈક્રોફોનની સગવડ નહોતી. ભીમગર્જના પણ કાને ન પડે એવી લોકોની ભીડ હતી. એટલે સંયોજકોએ એક સાથે ચાર મંચ ઊભા કર્યા. અને ચાર મંચો પરથી સુરેન્દ્રનાથ બેનર્જી, ભૂપેન્દ્રનાથ બસુ, અંબિકાચરણ મજૂમદાર તથા મહારાજ કાસિમ બજારે શ્રોતાઓને સંબોધિત કર્યા. નેતાઓએ સામ્રાજ્યવાદી સરકારની ટીકા કરી. એમણે લોકો સમક્ષ એક કાર્યપદ્ધતિ પણ રજૂ કરી. શ્રીકૃષ્ણપ્રસાદ મિત્રએ બહિષ્કરણ સંકલ્પ પ્રસ્તુત કર્યો. સંકલ્પનું ઉચ્ચારણ ગગનનભેદી અવાજે કરવામાં આવ્યું. વંદે માતરમ્ના ઘોષ સાથે લોકોએ એનો સ્વીકાર કર્યો. મારું મન પુલકિત થઈ ગયું. મારું મનોગત આ પ્રમાણે હતું :
सघोषो आंगलेयानाम्‌
हृदयानि व्यदारयत्‌
नभश्च पृथ्वीं चैव
तुमुलो व्यनुनादयन
 
(એ ભયંકર નિનાદે અંગ્રેજોનાં હૃદયો ધ્રૂજી ઊઠ્યાં અને એ ઘોષ આકાશ તથા પૃથ્વી વિષે પણ વ્યાપી રહ્યો.)
 
અમારી અપેક્ષા અનુસાર જ સપ્ટેંબરમાં વિભાજનની ઘોષણા થઈ. બંધ તૂટી જતાં જે રીતે પાણીનો પ્રવાહ ધસમસતો વહેવા લાગે છે એ રીતે ખબર મળતાં જ લોકો રાજધાનીની કૉલેજના મેદાનમાં એકઠા થઈ ગયા. પ્રબુદ્ધ લોકોએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર તથા સ્વદેશી વસ્તુઓના ઉપયોગના શપથ લીધા. એ શપથ લેવાની વિધિ નવી તથા અપૂર્વ હતી. એક વ્યક્તિએ અગ્નિ પ્રગટાવ્યો. પછી એને અગ્નિકુંડનું સ્વરૂપ મળ્યું. એક વ્યક્તિએ એ અગ્નિકુંડ નજીક જઈને નવા જ મંત્રનું ઉચ્ચારણ કર્યું... વંદે માતરમ્...' પછી એમણે પોતાની પાસેની તમામ વિદેશી વસ્તુઓ એ કુંડમાં હોમી દીધી. એમાં જરા સુધારો કરીને એક વ્યક્તિએ `ૐ વંદે માતરમ્' કહ્યું, એટલું જ નહીં, તો એક અન્ય વ્યક્તિએ `ૐ વંદે માતરમ્ રાષ્ટાય સ્વાહા' કહ્યું. એ પછી એક એક કરીને લોકોએ પોતાનાં કોટ, પેંટ, છત્રી, ટાઈ, હૅટ, સૂટ, બૂટ, બેલ્ટ, શાલ, ઘડિયાળ, પેન, ખુરશી, સરકારી પત્ર પત્રિકાઓ, સરકારી વાસણો વગેરે બધું જ અગ્નિકુંડમાં હોમીને સંતોષ અનુભવ્યો. એ યજ્ઞના અગ્નિને સાક્ષી માનીને ત્યાં એક સાર્વજનિક ઘોષણા થઈ સ્વદેશી વંદે માતરમ્! વિદેશી બહિષ્કાર!' એ ઘટનાથી બંગાળને એક દિશા મળી અને ભારતને એક ઉદાહરણ.
 
***
 
છેવટે ૧૬ ઑક્ટોબરના દિવસે બંગાળનું વિભાજન પૂર્ણ થયું. પૂર્વ બંગાળના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે સર બૉફિલ્ડ ફુલ્લરની નિમણૂક થઈ, સચિવ હતા પી. સી. લિયોન. સરકારે બે રાજ્યોમાં શરૂ થયેલાં આંદોલનો અટકાવવા માટે કઠોર પગલાં લીધાં. એ અનુસાર પૂર્વ બંગાળમાં કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી અત્યંત ભયંકર હતી. આંદોલનને દબાવી દેવા માટે પોલીસ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ રશિયાના ઝાર રાજ્યકર્તાઓને પણ શરમાવે એવી હતી. વિભાજન લાગુ થવાના એક અઠવાડિયા પહેલાં જ બંગાળ સરકારના મુખ્ય સચિવે દાર્જિલિંગના સુખવાસ ગામે રહીને વિરોધ પ્રદર્શનો અટકાવતો પરિપત્ર બહાર પાડ્યો હતો. એ અનુસાર સ્વદેશી આંદોલન તથા વિદેશી બહિષ્કારને રાજદ્રોહ માનવામાં આવશે તથા એમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને શાળા કૉલેજોમાંથી કાઢી મૂકવામાં આવશે એવો નિયમ લાગુ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને રોકવામાં નિષ્ફળ રહેલાં વિદ્યાલયોનું અનુદાન બંધ કરવાનો તથા એવી વિશ્વવિદ્યાલયીન સંસ્થાઓની માન્યતા રદ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો.
 
સ્વદેશી આંદોલનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે કામ ચલાવી શકાય એ માટે એમની વિગતવાર માહિતી ઉચ્ચ અધિકારીને મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો. મેજિસ્ટ્રેટોએ એવો આદેશ કર્યો કે, આંદોલન કરનારા વિદ્યાર્થીઓની ઓળખમાં અધ્યાપકોને સરળતા રહે એ માટે એમણે પ્રબંધકો તથા વિશેષ કોંસ્ટેબલ તરીકે કામ કરવું.
 
પોતાને સફળ સાબિત કરવા માટે તથા બંગાળના સચિવ તરીકે નામના મળે એ માટે આસામ તથા પૂર્વ બંગાળના સચિવોએ કાર્ય કર્યું. પછી તો સરકારી પરિપત્રોનો વરસાદ વરસ્યો. દુઃખી થયેલા ફુલ્લરને વંદે માતરમ્ના ગુંજનમાં પોતાનો મૃત્યુઘંટ સંભળાવા લાગ્યો. એણે એ દબાવી દેવાનો પ્રયત્ન કર્યો અને એ રીતે મારા પર પ્રથમ પ્રતિબંધ લાગ્યો. માતાની વંદના કરવી એ આ પુણ્યભૂમિમાં પાપ મનાયું. માતાને પ્રણામ કરવાં એ સજાપાત્ર ગુનો ગણાયો. ભારત દેશમાં ભારતવંદના રાષ્ટ્રદ્રોહ મનાયો. એવું શા માટે? સાત સાગરને પેલે પારથી આવેલા લોકોએ એમ કહ્યું... ના પાડી, બસ એટલું જ! કેટલું સત્ય છે- પિતાજીએ શ્રીરામકૃષ્ણ પરમહંસને કહ્યું હતું કે, `બ્રિટિશ બૂટોની લાતોના મારથી કાળ અને કામ બધાં જ વાંકાં વળી ગયાં છે.'
 
આ મારા જીવનનો પહેલો પ્રતિબંધ હતો. મેં પ્રાર્થના કરી કે, એ અંતિમ પણ હોય, પરંતુ મારી પ્રાર્થના અસફળ રહી. મેં તો એમ કદી વિચાર્યું પણ નહોતું. એ કેવી વિડંબના છે! મને મનમાં પણ ખ્યાલ નહોતો કે એ પ્રતિબંધ તો એક શરૂઆત હશે અને એની પાછળ મારા જ દેશના નેતાઓ હશે. પણ એક અન્ય સચ્ચાઈ છે. એને હું વધુ મહત્ત્વ આપું છું. રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનના સંઘર્ષમય ઇતિહાસમાં એ પ્રથમ પ્રતિબંધ હતો. બહુબલધારિણીએ સંતાનોને વિરોધ પ્રદર્શિત કરવાની પ્રેરણા આપી. પહેલો પરિપત્ર બહાર પડ્યા પછી ત્રીજે દિવસે કોલકતામાં વંદે માતરમ્ ભિક્ષુ સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી. પાછળથી એ `વંદે માતરમ્ સંપ્રદાય' તરીકે જાણીતો થઈ ગયો. એના અધ્યક્ષ હતા મન્મથનાથ ગુપ્ત. સુરેંદ્રનાથ સદાચારી એના કાર્યવાહ તથા અમૃતલાલ બહાદુર ખજાનચી બન્યા. એ ત્રણે પોતપોતાનાં નેતૃત્વમાં શેરી અને ગલીઓમાં લોકોને ભેગા કરીને રવિવારના દિવસે મારું નામ લેતાં લેતાં પ્રદક્ષિણા કરતા હતા. એમાં રવીન્દ્રનાથ ઠાકુર નિયમિત રીતે ભાગ લેતા હતા. મારા નામનું ઉચ્ચારણ કરતાં કરતાં એમણે સ્વદેશી આંદોલન માટે ધન એકઠું કર્યું. એ રીતે જનસામાન્યને જાગ્રત કરવાના પ્રજા જાગરણ મંત્ર તરીકે મારી પરિણતિ થઈ.
 
લોકો પરસ્પર મળે ત્યારે હું અભિવાદનનો શબ્દ બની ગઈ. વિદાય લેતી વખતે આશીર્વાદ આપનારા મંગલ શબ્દો તરીકે લોકો મારો ઉપયોગ કરવા લાગ્યા. કોઈ એકલદોકલ અંગ્રેજને મળતી વખતે બાળકો પણ એની સામે જોઈને મારું નામ લઈ લેતાં. પોતાના એકના એક દીકરાને પરીક્ષા આપવા મોકલતી વખતે માતા મારું નામ લઈને આશીર્વાદ આપતી. ભાષણ આપનારાઓ માટે મારું નામ સંસ્કૃત નાટકોનાં નાંદી અને ભરતવાક્યની જેમ પ્રારંભ તથા અંતનો નારો બની ગયું હતું. હું ધ્વનિ અને પ્રતિધ્વનિ હતી.
 
સંપ્રદાયની શાખાઓ તથા અખાડાઓની સંખ્યા વધવા લાગી. શહેરની સીમાની બહાર યુવાનો, ખાસ કરીને વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓ સક્રિય થઈને આગળ વધ્યા. કાળા કાયદાઓને હવામાં ઉડાડી દઈને સભાઓનું આયોજન થવા લાગ્યું. દૈનિક શાખાઓમાં શૂલ, ખડ્ગ, ગુપ્તી જેવાં હથિયારો વાપરવાનું પ્રશિક્ષણ થવા લાગ્યું. ઘણા યુવાનો બંદૂક ચલાવતાં પણ શીખી ગયા. અનુશાસનનું પાલન કરીને કુસ્તી તથા કસરતનો અભ્યાસ કર્યો. બાહુબળનો એ જ પ્રકારે સામનો કરવો એવી એમની નીતિ હતી. જાહેર રીતે એ લક્ષ્યની ઘોષણા પણ કરવામાં આવી. સમાચારપત્રોમાં એવી જાહેરાત પણ આપવામાં આવી કે, સૈનિક પ્રશિક્ષણ, સૈનિક વ્યવસ્થા, બાણ ચલાવવું વગેરે બાબતોનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે ક્ષત્રિય ધર્મનું પાલન કરવાનું છે. એ માટે યોગ્ય પ્રસંગે માતૃભૂમિ માટે બલિદાન આપવા માટે ધૈર્યશીલ યુવકોએ આગળ આવવાનું છે. દરેક ઘરમાંથી એક યુવાન આગળ આવશે. જાહેર સભામાં એ આહ્વાન ગૂંજી ઊઠ્યું હતું.
 
સંપ્રદાયના સ્થાપક નેતાઓએ એના લક્ષ્ય વિશે જાહેર કરી દીધું કે, મહત્ત્વનું રાષ્ટ્રગીત ગાતાં ગાતાં શોભાયાત્રાઓનું આયોજન કરીને દેશભરમાં વંદે માતરમ્ના સંદેશનો પ્રચાર કરવો એ એનું લક્ષ્ય છે. સંપ્રદાયમાં સામેલ સભ્યોને સ્વેચ્છાએ સેવક કહેતા હતા.
વંદે માતરમ્ સંપ્રદાયનો પહેલો જાહેર કાર્યક્રમ હતો બંગભંગ વિરોધ દિવસનું આયોજન કરવાનો. ૧૬ ઑક્ટોબરનો દિવસ શોક દિવસ તરીકે મનાવવાનું આહ્વાન કરવામાં આવ્યું. ભીષ્મ પિતામહ જેવા આદરણીય વરિષ્ઠ લેખક રામેન્દ્ર સુંદર ત્રિવેદીએ સમસ્ત બંગસમાજને કહ્યું કે, એ દિવસે બધા અરુંધન વ્રતનું આચરણ કરે. રસોડું તદન બંધ એટલે ઉપવાસ કરતાં પણ એક પગલું ચઢિયાતું વ્રત હતું. રવીન્દ્રનાથે બંગાળીઓ વચ્ચે ભાઈચારો સુદૃઢ કરવા માટે રક્ષાબંધનના દિવસે પરસ્પર રાખડી બાંધવાનું આહ્વાન કર્યું. પ્રસંગ માટે એમણે એક ગીત પણ લખ્યું.
 
એક સૂત્રે બાંધિયાછિ સહસ્રકોટિ મન,
એક કાર્ય સંપિયાછિ સહસ્ર જીવન.
અર્થાત્‌
એક સૂત્રે બંધાયાં છે સહસ્ર કોટિ મન,
એક કાર્યે સમર્પિત છે સહસ્રજીવન.
 
શોક દર્શાવવાના પ્રથમ પગલા તરીકે લોકો જૂતાં પહેર્યા વગર ગંગામૈયાના ઘાટ તરફ ચાલ્યા. એ દરમિયાન બધા ઊંચે અવાજે વંદે માતરમ્નો ઘોષ કરતા હતા. ગાયકોનાં જૂથોએ રાષ્ટ્રભક્તિનાં ગીત ગાયાં. કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ભરાતા કુંભમેળાની અનુભૂતિ થઈ. ગંગાસ્નાન પછી લોકોએ પરસ્પર રાખડી બાંધી, કેસરનું તિલક કર્યું. જ્યાં ગંગા નહોતી ત્યાં લોકોએ તળાવોમાં સ્નાન કરીને રાખડી બાંધી અને તિલક લગાડ્યું.
 
સૂતકના દિવસોમાં તથા શોકના દિવસોમાં અમે બંગાળીઓ જૂતાં નથી પહેરતા. એ દિવસે પણ લોકોએ એમ જ કર્યું. વંદે માતરમ્ના ગીત તથા કવિ ઠાકુર દ્વારા લખાયેલા રક્ષાબંધન ગીતના સૂરોથી આકાશ ગૂંજી ઊઠ્યું. અંતરિક્ષ મુખરિત થઈ ગયું. કોલકતાના બીડન સ્કેવે સેંટ્રલ કૉલેજના મેદાનમાં જાહેર સભા આયોજિત કરવાનો નિર્ણય પહેલાં જ લેવાઈ ગયો હતો. સુરેંદ્રનાથ બેનર્જીના નેતૃત્વમાં ૫૦૦૦૦ લોકો ઉઘાડા પગે સાડા ત્રણ કિ.મી. ચાલીને ત્યાં પહોંચ્યા. એ વખતે સુરેંદ્રનાથ બેનર્જીનો હાથ ખભા સુધી રાખડીથી ભરાઈ ગયો હતો. સભામાં શહેરના મહાન વરિષ્ઠ નેતા આનંદમોહન બસુ અધ્યક્ષ હતા. બીમારીને કારણે તેઓ થાકેલા હતા એમ છતાં પ્રજાના આગ્રહને માન આપીને તેઓ આવવા માટે તૈયાર થઈ ગયા. એમને એક પાલખીમાં સભાસ્થાને લાવવામાં આવ્યા હતા.
 
સભાના મંચ પર એમને જોતાં જ લોકોના મુખેથી `વંદે માતરમ્'નો પંચાક્ષરી શબ્દ નીકળી ગયો. જાણે સંજીવનીનો સ્પર્શ થઈ ગયો હોય એ રીતે તેઓ પ્રસન્ન થઈ ગયા. બોલવામાં શ્રમ પડશે એમ વિચારીને તેઓ પોતાનું ભાષણ લખીને લાવ્યા હતા. સુરેંદ્રબાબુએ એ વાંચી સંભળાવ્યું. એ ભાષણ દુઃખાચરણ આંદોલનના આહ્વાન તરીકે લેવાયું. બ્રિટિશોના ભારતીય સામ્રાજ્યની રાજધાનીમાં અખંડ બંગ ભવનના નિર્માણ માટે સુરેંદ્રબાબુએ આહ્વાન કર્યું. આનંદબાબુએ તત્કાલ એક લાખ રૂપિયાનો વાયદો કર્યો. એની સાથે સ્વદેશી આંદોલનને ઉગ્ર બનાવવાનું આહ્વાન થયું. સભામાંથી જ ૭૦૦૦૦ રૂા.નું દાન મળ્યું. સભામાં બૅરિસ્ટર અબ્દુલ રસૂલ મૌલવી, અબુલ કાસિમ, અબુલ હુસેન વગેરેએ કર્ઝનના ષડયંત્રની ખૂબ નિંદા કરી. એ જ દિવસે સરક્યુલર રોડ પાસે એ લોકનેતાઓ સમક્ષ અખંડ બંગ ભવનનો શિલાન્યાસ સુરેન્દ્રનાબાબુના વરદ્ હસ્તે કરવામાં આવ્યો. મહાન નેતાએ જ્યારે શિલાન્યાસ માટે શિલા ઉઠાવી ત્યારે અંતરિક્ષમાં મારું નામ ગગનભેદી અવાજે સાંભળવા મળ્યું. સ્વર્ગમાંથી મારા જનકે પણ એ સાંભળ્યું જ હશે.
 
***
 
(ક્રમશઃ)