ભારતગાથા । જ્યારે મેઘાણીએ સંઘ-શાખામાં રાષ્ટ્રીય ગીત ગાયું!

સંઘ, મેઘાણી, અને કવિતાનું આ સંભારણું `ભારતગાથા" મા ગુજરાતની રજતરેખ છે. કવિ ઉમાશંકર જોશીએ તેમના ગીતમાં કહ્યું હતું તેમ `હું ગુર્જર ભારતવાસી!" રાષ્ટ્રભાવનો રણકાર!

    ૦૯-જૂન-૨૦૨૫   
કુલ દૃશ્યો |

jhaverchand meghani RSS shakha botad
 
 
 
વર્ષ ૧૯૪૫ - સ્થાન : બોટાદ
 
સૌરાષ્ટ્રના આ નાનકડા પણ સુંદર ગામની શાળાના મેદાનમાં સ્વયંસેવકો શિસ્તબદ્ધ ઊભા છે. પહેલાં કસરતના દાવ થયા. એક સ્વયંસેવકે ગીત ગાયું. ભારત માતાકી જયના નાદ સાથે સૌએ પલાંઠી વાળીને સ્થાન લીધું. સામે ભગવો ધ્વજ લહેરાય છે.
એક ખુરશીમાં બેઠેલા મહાનુભાવને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ યુવકોને કૈંક સંબોધન કરે. તે ઊભા થાય છે. માથાના ફગફગતા વાળ, તેના પર પાઘડી, અદ્દલ દેશી પોશાક, હાથને ઢાંકતો, લાંબો ઝભ્ભો, ઉપર બંડી, તેજીલી આંખો, હોઠ પર શોભતી મૂછો.
 
તે પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે. દેશ, જુવાની, વર્તમાન સંજોગો, અને વર્ણન એક કવિતાની પંક્તિમાં
 
ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ,
વણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ...
 
કવિના હૃદયના બંધ સામે બેઠેલા તરુણો અને યુવકોને જોઈને ખૂલી જાય છે. આખું વાતાવરણ બદલાઈ જાય છે. આસપાસ બેઠેલા નગરજનો પણ ડોલી ઊઠે છે, પોતાના પ્રિય કવિ સાહિત્યકાર પત્રકાર લોકગાયકને સાંભળીને.
 
આ કવિ તે આપણા ઝવેરચંદ મેઘાણી. છેલ્લાં વર્ષોમાં મુંબઈને બદલે તેમણે બોટાદમાં રહેવાનું પસંદ કર્યું હતું, ને કેમ ના કરે? કોલકાતાથી ૧૯૨૨માં, જીવણલાલ શેઠની મોટી નોકરી હતી. (આ જીવણલાલ એટલે બંગાળના રાજ્યપાલ બનેલા, ઉદ્યોગપતિ વીરેન શાહના પિતા.) તે છોડીને નીકળી પડ્યા અજાણ કાર્યક્ષેત્રમાં, અને પત્ર લખ્યો `લિખિતંગ હું આવું છું.' આ પત્ર પત્રકારત્વમાં કામ કરવા ઇચ્છતા કોઈને પણ માટે પ્રેરક બને તેવો છે. પત્રકારત્વના અભ્યાસક્રમમાં ભણાવતાં પહેલાં હું આ પત્રની વાત કરું છું. પત્રકારત્વ તેમણે માટે વ્યવસાય કે ધંધો નહોતો. એક સેવાવ્રત હતું. (પશ્ચિમી ઈસાઈ પદ્ધતિમાં મિશન શબ્દ વારંવાર પ્રયોજાય છે, પણ ભારતીય પરંપરામાં તેને માટે સેવાવ્રત શબ્દ વધુ ઉચિત છે.
 
મેઘાણી નોકરી છોડીને આવ્યા, લીંબડીના ન્યાયાધીશ અમૃતલાલ દલપતભાઈ શેઠ પણ અજંપિત જીવ હતા, રાણપુરમાં ધામા નાખ્યા, સૌરાષ્ટ્ર સાપ્તાહિક શરૂ કર્યું. મેઘાણીના પત્રકારત્વ અને સાહિત્યની આ પ્રથમ કર્મભૂમિ. ત્યાંથી જ તેમણે કાઠિયાવાડના લોકજીવનને પોતાના શબ્દનું માધ્યમ બનાવ્યું. લોકકથા, લોકગીત. બહારવટિયાઓ, સંતો, સતીઓ, વીરો,.. બધાને આલેખ્યા અને તેને માટે આખું સૌરાષ્ટ્ર ઘૂમી વળ્યા. સૌરાષ્ટ્ર અખબાર તો સ્વતંત્રતાની રણભેરી હતું. ભારતવર્ષની અને દૂર આયર્લેંડ, ઇજિપ્ત, અમેરિકાની અસંખ્ય કથાઓ, ઘટનાઓ, અત્યાચારો .. બધું આ બાર પાનાંના ટેબ્લો સાઇઝના અંકોમાં આવતું. લોકો શુક્ર-શનિવારે તેની આતુરતાથી રાહ જોતા. અહી ગુણવંતરાય આચાર્ય અને બીજા સાહિત્યકારોનું ઘડતર થયું. અસહકાર કે સત્યાગ્રહના શૂરાઓ માટે સૌરાષ્ટ્ર પત્ર હિમ્મતની પાઠશાળા બની ગયું.
 
મેઘાણી લીમડાની નીચે એક ટેબલ અને ખુરશી નાખે. અહેવાલો લખે, સમાચારો તારવે. વાર્તા પણ આવે. કવિતા વિના કેમ ચાલે? એક બુધવારે પહેલું પાનું કોરુંધાકોડ હતું. કોઈ સમાચાર નહોતા મળ્યા. લેખ પણ પહેલા પાનાને અનુકૂળ નહિ. હવે કરવું શું? ત્યાં મેઘાણીના મનમાં એક તણખો થયો. ગાંધીજી ગોળમેજી પરિષદમાં જવા આજે મુંબઈથી જહાજમાં રવાના થઈ રહ્યા હતા. ગોળમેજી પરિષદ બ્રિટિશ તરકટ હતું. ભારતની આઝાદી માટે કશું પ્રાપ્ત થવાનું નહોતું. કવિના ચિત્તમાં દુખી ગાંધી આવ્યા અને એક પછી એક પંક્તિ રચાતી ગઈ. પછીથી એ કવિતા જગજાણીતી બની, `છેલ્લો કટોરો ઝેરનો પી જજો, બાપુ!'
 
મેઘાણીના સૌરાષ્ટ્ર-કર્મ પછી વારો ફૂલછાબનો આવ્યો. મુંબઈ જઈને જન્મભૂમિ સંભાળ્યું. કલમ અને કિતાબ પાનું સાહિત્યને માટેનું માધ્યમ બન્યું. કેટલું મબલખ લખ્યું અને પુસ્તક સ્વરૂપે આવ્યું.. ૧૬ લોકકથાસંગ્રહો, ૧૦ લોકગીતોના સંગ્રહો, પ લોકસાહિત્યનાં વિવેચન પુસ્તકો, ૪ ભ્રમણકથાઓ, ૯ કાવ્યસંગ્રહો, ૧૨ વાર્તાસંગ્રહો, ૧૪ નવલકથાઓ, ૪ નૃત્યસંગ્રહો, ૧૦ જીવનકથાઓ, ૧૬ ઇતિહાસવિષયક પુસ્તકો...
 
મુંબઈમાં તેમણે ફિલ્મ કથાઓ પણ લખી. જીવનની રઝળપાટને હવે વિસામો જોઈતો હતો. એક ઇચ્છા શાંતિનિકેતન જઈને ગુરુદેવ ટાગોરને મળવાની હતી, એટલે પહોંચ્યા. મેઘાણીના કંઠે લોકગીત સાંભળીને ટાગોર તો નાચી ઊઠ્યા. કહે, મારે તમારા મુલકમાં જવું છે, લઈ જશોને? પછી મજાકમાં કહ્યું આસપાસ કોઈ ટોપી ના હોવી જોઈએ.. અસહકારની ગાંધીજીની ચળવળ માટે તેમની નારાજગી હતી તેની આ હળવી પ્રતિક્રિયા હતી!
 
અમૃતલાલ શેઠના આગ્રહ છતાં તેઓ પોતાની પ્રિય કર્મભૂમિ બોટાદ આવીને વસી ગયા હતા. એક ગાય રાખી હતી, સંતાનોની દેખભાળ રાખતા. હાથમાં કંપ-વા હતો, આંગળાં થીજી જતાં છતાં લખતા, વાંચતા. બોટાદમાં ત્યારે નવીસવી શાખા શરૂ થઈ હતી. ૧૯૨૫માં નાગપુરમાં આરંભાયેલ હિન્દુ-સંગઠન, વિચાર અને સંસ્કારનો યજ્ઞ દેશવ્યાપી બન્યો હતો. ગુજરાતમાં તેની શરૂઆત વડોદરાથી થઈ, પછી સુરત, મહેસાણા, કર્ણાવતી, રાજકોટ, જૂનાગઢ, લીંબડી વગેરે સ્થાનો સુધી પહોંચી. મધુકરરાવ ભાગવત (વર્તમાન સરસંઘચાલક મોહનરાવજીના પિતા), રાજાભાઈ નેને, તે પછી લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ), પારડીમાં પંડિત સાતવળેકર વગેરે તે સમયના સમર્પિત સંગઠકો. કૉલેજોમાં અભ્યાસ કરતા અથવા કરી ચૂકેલા યુવકો પણ વિસ્તારક-પ્રચારક તરીકે જોડાયા. તેમાંના એક રમણભાઈ શાહ હતા. (પછીથી તેઓ અમદાવાદમાં સરસ્વતી વિદ્યાલયના પ્રાચાર્ય બન્યા) સંઘ-વિચારનું માધ્યમ બને તે માટે પહેલાં `સાવધાન' અને પછી `સાધના' સાપ્તાહિકની શરૂઆત કરી.
 
એ પહેલાં રમણભાઈને બોટાદ અને ભાવનગર જિલ્લામાં સંઘકાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી. બોટાદમાં શાખા હતી, વિજયાદસમીનું પર્વ ઊજવવાનું નક્કી થયું. કોઈ મહાનુભાવને વક્તવ્ય માટે બોલાવવાની પરંપરા હતી. કોને બોલાવવા? ઝવેરચંદ મેઘાણી બોટાદમાં હતા. પણ આવડા મોટા, દિગ્ગજ સાહિત્યકારને આમંત્રણ આપવું કઈ રીતે? સંઘ વિષે શું પરિચય આપવો? અને તેઓ આ બાલ-તરુણોની વચ્ચે આવશે ખરા?
 
આવી મૂંઝવણ સાથે રમણભાઈ અને બીજા અધિકારીઓએ સાહસ કર્યું. સાધના-કાળ દરમિયાન મેં તેમને સૂચન કર્યું હતું કે, તમે આ બધાં સંસ્મરણો લખો. એવું તો ના થયું પણ એ વખતે સંઘ-વિશેષાંકમાં તેમણે આ સંસ્મરણ લખ્યું. મને કહેતા હતા કે મેઘાણી જેવા મોટા ગજાના સાહિત્યકારની પાસે જતાં મૂંઝવણ તો હતી, પણ સંઘ-કાર્ય વિષે જે અમે વિચારતા હતા તે સ્પષ્ટ્ર રીતે કહેવું, એ જ તો લોકસંગ્રહ હતો. અમે તેમના ઘરે ગયા, હીંચકે બેઠા. વિચારમગ્ન અવસ્થામાં હતા. અમે આમંત્રણ આપ્યું. તેમણે પૃચ્છા કરી. સંઘનું ધ્યેય અને કાર્યના પ્રશ્નો કર્યા. હિન્દુ સંગઠન જ શા માટે, એ સ્વાભાવિક સવાલ કર્યો. અમે ડૉક્ટર હેડગેવાર અને શ્રી ગુરુજીના વિચારોની નાની પત્રિકા આપી. તે ઝીણવટથી વાંચી ગયા, અને કહ્યું, હું આવીશ.
મેઘાણી આવ્યા. કોઈ પૂર્વગ્રહ વિના યુવાનોની પીઠ થાબડી. પોતાના વક્તવ્યમાં તેમણે એક ગીત ગાયું-
 
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ,
મરેલાનાં રુધિર ને જીવતાંના આંસુડાંઓ,
સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ!
 
એક પછી એક પંક્તિઓ તે ગાતા ગયા. અદ્ભુત હતો તેમનો સ્વર. કોઈના પણ હૃદયને હચમચાવી દે તેવો. બોટાદ માટે તો પહેલો પ્રસંગ હતો કે જાહેરમાં તેમણે ગીત ગયું હોય. તેની અંતિમ પંક્તિ હતી
 
ભલે હો રાત કાળી,
આપ દીવો લૈ ઊભા જો!
ભલે રણમાં પથારી -
આપ છેલ્લાં નીર પાજો !
લડતને મહા-રણખંજરીના ઘોષ ગાજો,
મરન્તાને મધુરી બંસરીના સૂર વાજો !
 
સંઘ, મેઘાણી, અને કવિતાનું આ સંભારણું `ભારતગાથા' મા ગુજરાતની રજતરેખ છે. કવિ ઉમાશંકર જોશીએ તેમના ગીતમાં કહ્યું હતું તેમ `હું ગુર્જર ભારતવાસી!' રાષ્ટ્રભાવનો રણકાર!

વિષ્ણુ પંડયા

લેખક રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. સાધના સાપ્તાહિકના પૂર્વ તંત્રીશ્રી છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ચેરમેન છે. રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા ૪૦ વર્ષોથી સક્રિય છે. ૨૦૧૭માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો છે.