@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@
ઉત્તરાખંડની દેવભૂમીના ઉપરવાસમાં અનેક વખત આવતા ભૂકંપના આંચકા, પૂર અને ૨૦૧૩માં આભ ફાટવાની પ્રક્રિયા જેમાં ૬૦૦૦થી વધુ સ્થાનિક પ્રજા તથા યાત્રાળુઓએ જાન ગુમાવ્યા હતા, તે અડગ હિમાલયની મૃદુ થતી પ્રકૃતિનું જ પ્રતિબિંબ. ભોલેનાથનું કેદારનાથ અન્ય મંદિરોની જેમ જ દિવ્ય, ભવ્ય બને તથા ત્યાં પહોંચવાનો રસ્તો રોશનીથી ઝગમગતો, આજુબાજુનો વિસ્તાર રહેણાંક માટે આધુનિક સુવિધાઓથી સુસજ્જ, અને હવાઈયાન મારફતે ય આ બરફોથી હિમાચ્છાદિત પર્વતમાળામાં પહોંચાડે તેની વ્યવસ્થાવાળો બને એટલે યાત્રિકોનું જોમ અનેકગણું વધી જાય. વળી તેમની સંખ્યામાંય વધારો. શ્રદ્ધાળુ યાત્રિકોની તો આ જરૂરિયાત જ છે પરંતુ કેન્દ્ર સરકારનાં વાઈલ્ડ લાઇફ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા નાના-મોટા ૨૪ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ આ વિસ્તારોમાં રદ કરાયા છે. અમેરિકન જીઓલોજીકલ સર્વેના મતે ૨૦૧૩ની આભ ફાટવાની પ્રક્રિયામાં ક્લાઈમેટ ચેન્જ મહ્દઅંશે જવાબદાર છે. રસ્તાઓનું બાંધકામ વગેરે હાઈડ્રોલોજીને ધ્યાને લીધા વગર આડેધડ નહીં તો પણ અત્યંત મહત્ત્વકાંક્ષાથી, નિયમો સાથે સમાધાન કરીને થાય છે, અનેક વિકાસના કાર્યોમાં, પથરાળ જમીનને સમથળ કરવા, બોગદા બનાવવા વગેરે માટે વપરાતા વિસ્ફોટકોથી પણ ઇકોલોજીને મોટું નુકસાન થઈ રહ્યું છે.
સુપ્રીમકોર્ટના હસ્તક્ષેપથી બનેલ કમિટી, જીઓલોજીકલ સર્વે હાઈડ્રોજી, ભૂકંપીય ઊર્જા, ભુસ્ખલન વગેરે બાબતે મહત્ત્વપૂર્ણ અભ્યાસો હાથ ધરી રહી છે. નિષ્ણાતોના મતે, અનેક દાયકાઓથી હિમાલયન વિસ્તારમાં ભૂકંપીય ઊર્જા ઉત્પન્ન થઈ રહી છે. વાતાવરણની વિકૃત પરિસ્થિઓમાં તેના દ્વારા ૮-૮.૮૫ રીચર સ્કેલના ભૂકંપની શક્યતાઓ રહેલી છે. ૨૦૧૩ પછીના પૂર સંદર્ભે સરકારે રૂ. ૬૦૦૦ કરોડથી વધારેની જાહેરાત કરી હતી. રૂપિયા ખર્ચવાથી પણ મૃતક યાત્રિઓ પાછા લાવી શકાતા નથી.
આપણી બાજુના નેપાળમાં ય કંઈક આવી જ પરિસ્થિતિ છે જેના કારણે તેની હિમાલયન નદીઓ પર બંધ બાંધીને ૮૬૦૦૦ મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરી શકાય તેમ હોવા છતાં નિષ્ણાંતોએ ૪૩૦૦૦ મેગાવૉટ સુધી જ શક્યતા છે તેમ કહ્યું છે. નેપાળના રાજકીય વિવાદો તથા ભારત અને ચીન સાથેના દ્વિરાષ્ટ્રીય સંબંધોના ચડાવ-ઉતારમાં માત્ર ત્યાંની રાજનીતિ અને ભ્રષ્ટાચાર મુખ્યત્વે હોવા છતાં, નેપાળ સાથેનો આપણો ૫૦૪૦ મેગાવૉટનો હાઈડ્રો પ્રોજેક્ટ જે મહાકાલી નદી પર પંચેશ્ર્વર નામે ઓળખાય છે તેના કરાર આપણે ૨૧ વર્ષ પહેલાં કર્યા છતાંય કોઈ પ્રગતિ નથી. અત્યારની ગણતરી પ્રમાણે વીજળીદર રૂપિયા ૮ પ્રતિ યુનિટ થઈ શકે જ્યારે આપણે ત્યાં ૩ રૂપિયાના ખર્ચમાં વિજળી ઉપલબ્ધ છે અને તે પણ નેપાળ આપણને વર્ષો સુધી આ યોજના અન્વયે, કોઈ અવરોધ વગર ચાલવા દે તો રૂ. ૫૦,૦૦૦ કરોડનો ખર્ચ વિચારવા જેવો ખરો.
વૈજ્ઞાનિક તથ્યોનો આધાર, સ્થાનિકોની જરિયાત અને શ્રદ્ધાળુઓની યાત્રાની સગવડોના અનેક વિચારો વચ્ચે પ્રધાનમંત્રીએ કાશ્મીરથી સિક્કીમ સુધીની હિમાલયન રેન્જમાં એગ્રીકલ્ચરનાં માધ્યમથી જડીબુટ્ટીઓનું વાવેતર, ઓર્ગેનિક ખેતી જડીબુટ્ટી આધારીત દવાઓ અને શક્તિ સંચાર માટેની ઓદ્યોગિક કવાયતોની હિમાયત કરી છે. હિમાલયની નરમ માટી સંજીવની આપતી હોય તેની પવિત્ર નદીઓની આસપાસ ક્રોસ ડ્રેનેજની જરિયાતોને યોગ્ય આધાર અન્વયે જ વહેવા દેવી. વહેણ બદલતા થતા પારાવર નુકસાનનો અંદાજ સ્થાનિકોને જ સહન કરવો પડે અને નવા ઇનોવેટીવ ડેવલપમેન્ટ તેમને અગણિત ફાયદાઓ કરાવે. પરિસ્થિતિ અને વાતાવરણના તાગે પ્રજાહિત જ મુખ્ય, રાજનીતિ નહી. આખુ પ્રશાસન સમજીને કામ કરે તો હાઈડ્રોલોજી, એન્જિનિયરીંગ, ભૂકંપીય રેજિસ્ટન્સ ટેક્નોલોજી, અને વિઝન કમાલ કરી શકે.