@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@
અખંડ ભારતવર્ષનો વિચાર આગામી યુગો સુધી પ્રકાશતો રહે અને તેનું પ્રતીક બને સરદાર પટેલ તેવું એક સ્વપ્ન વર્ષ ૨૦૦૮માં ગુજરાતના વિકાસપુરુષ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવ્યું હતું, જેમાં તેમણે સરદાર પટેલના એવા રાષ્ટ્રીય સ્મારકના નિર્માણનો સંકલ્પ કર્યો હતો જે વિશ્ર્વભરમાં સરદાર પટેલના વ્યક્તિત્વ જેવું અજોડ અને અવિસ્મરણીય હોય. વર્ષ ૨૦૧૩ સુધીમાં આ સંકલ્પને કેવો આકાર આપવો તે પણ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું અને તેમાં સરદાર પટેલની સમગ્ર વિશ્ર્વમાં સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણના મનોરથ સાથે તેનું ૩૧મી ઑક્ટોબર ૨૦૧૩ ‘સરદાર જયંતી’ના રોજ ભૂમિપૂજન કરાયું હતું. જેટલો સુયોગ્ય વિચાર પ્રતિમાના સ્થાપનનો હતો તેથી વિશેષ પ્રતિબદ્ધતા તેમણે આ પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ એટલે કે સરદાર પટેલના કાર્ય અને વ્યક્તિત્વને અક્ષરશ: શબ્દાર્થ કરતું ‘એકતાની મૂર્તિ’ સમું નામ સૂચવ્યું. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ બોલતાં જ અમેરિકાની જગવિખ્યાત પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ યાદ આવી જાય, પરંતુ તેને કદની દૃષ્ટિએ વામણી બનાવવા જઈ રહેલી ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ને કુલ ૧૮૨ મીટરની ઊંચાઈ પ્રાપ્ત થવાની છે જે પૃથ્વી પર સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમા બની રહેશે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની કુલ ૧૮૨ મીટરની ઊંચાઈ જાણે ગુજરાતની સાડા ૬ કરોડ જનતાના સમગ્ર જન પ્રતિનિધિત્વની ૧૮૨ બેઠકોના હાર્દની લાગણીને વાચા આપશે. સરદાર પટેલના તેજોમય વ્યક્તિત્વને પ્રતિબિંબ કરતી કાંસ્યાની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ માત્ર સરદાર પટેલનું સ્મારક નહીં બની રહે પરંતુ ગુજરાતની જીવાદોર સમી નર્મદા નદીના સાંનિધ્યમાં વસવાટ કરતા કરોડો વનબંધુઓ સહિત સંપૂર્ણ ગુર્જર ધરાને ખમીરવંતા વિકાસનાં સોનેરી કિરણોને રેલાવાશે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ નર્મદા નદી પર કેવડિયા કોલોની ખાતે બંધાયેલા સરદાર સરોવર ડેમની નજીક વિંધ્યાચલ-સાતપુડાની સોહામણી ગિરિમાળા વચ્ચે સાધુબેટ પર બની રહી છે.
અત્યારે વિશ્ર્વમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રથમ પાંચ પ્રતિમાઓ જોઈએ તો તેમાં ચીનનું ‘સ્પ્રિંગ ટેમ્પલ’ ૧૫૩ મીટરની ઊંચાઈ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે જાપાનની ‘ઉશીકું દાઈબુત્સું’ ૧૨૦ મીટર ઊંચાર સાથે દ્વિતીય અમેરિકાની ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ ૯૩ મીટર ઊંચાઈ સાથે તૃતીય, રશિયાની ‘ધ મધરલેન્ડ કોલ્સ’ ૮૫ મીટર લંબાઈ સાથે ચોથા સ્થાને અને બ્રાઝિલની ‘ક્રાઈસ્ટ ધ રીડીમર’ ૩૯.૬ મીટર ઊંચાઈ સાથે પાંચમું સ્થાન ધરાવે છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ૧૮૨ મીટરની ઊંચાઈ સાથે માત્ર વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા જ નહીં બની રહે પરંતુ સરદાર સરોવર ડેમ કરતાં લગભગ દોઢી અને અમેરિકાની ‘સ્ટેચ્યુ ઓફ લીબર્ટી’ કરતાં આશરે બમણી ઊંચાઈ સાથે ભારતને વૈશ્ર્વિક સ્તરે પ્રવાસનની નવી અનંત દિશા ખોલી આપશે જેનો લાભ ભારતવર્ષને યુગો સુધી પ્રાપ્ત થતો રહેશે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ માત્ર એક પ્રતિમા નથી, પરંતુ સરદાર પટેલે વિશ્ર્વને આપેલ અર્વાચીન ભારતની એકતા-અખંડિતતાની ભાવનાનો સંદેશ છે જે વિસ્તારવાદ અને આતંકવાદના વિભાજનકારી ચક્રવ્યૂહમાં સપડાયેલી દુનિયાને શાંતિ સાથે સ્વમાનભેર વિચારભેદને સ્વીકારી એકત્વ તરફ દોરી જાય છે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ હિન્દુસ્તાનની દૃઢતા, ક્ષમતા અને એકતાના પ્રતીક સમી બની રહેશે તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ૧૯ હજાર સ્કવેર મીટરની વિશાળ જગ્યામાં અંદાજે ા. ૨૩૩૨ કરોડના ખર્ચે આકાર પામી રહેલા સરદાર પટેલ સ્મારક પ્રોજેક્ટનો એક ભાગ છે, જેની મુલાકાતે વિશ્ર્વભરમાંથી પ્રતિદિન ૧૫ હજાર જેટલા પ્રવાસીઓ આવશે તેવો એક પ્રાથમિક અંદાજ છે જે રાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને ધરમૂળથી બદલી નાખશે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ સરદાર સરોવર ડેમના હેઠવાસમાં ૩.૨ કિમી દૂર નર્મદા નદીના મધ્યમાં સાધુ બેટ પર નિર્માણ પામી રહી છે. જ્યાં સુધી પહોંચતાં પ્રવાસીઓને ૩ કિલોમીટરના નૌકાવિહારનો આનંદ પણ પ્રાપ્ત થવાનો છે.
‘એક ભારત - શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે સાકાર થવા જઈ રહેલ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પ્રોજેક્ટમાં સરદાર પટેલ સ્મારકમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનકાર્યને આવરી લેતું એક મ્યુઝિયમ બની રહ્યું છે, જેમાં ૪૦ હજાર જેટલા દસ્તાવેજો, ૨ હજાર જેટલા ફોટોગ્રાફ્સ અને રીસર્ચ સેન્ટર હશે. તે સાથે નર્મદા તટે ૧૭ કિમીના ૨૩૦ હેક્ટર વિસ્તારમાં દેશ-વિદેશમાં રંગબેરંગી ફૂલોથી શોભતી નયનરમ્ય ફ્લાવર વેલીનું નિર્માણ થશે અને પ્રવાસીઓ માટે ફૂડ પાર્ક, વોટર પાર્ક તથા બોટિંગની સુવિધા પણ વિકસાવવા સાથે ૧ હજાર જેટલા યુવાનોને ગાઈડ તરીકે કામ કરવાની રોજગારી પ્રાપ્ત થશે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના થોડા અંતરે અનેક દેશોના દૂતાવાસ બનશે તેમજ ભારતનાં તમામ રાજ્યોનાં અતિથિ ભવનો અને કાયમી ટેન્ટ સીટીનું પણ નિર્માણ થશે. ૨૫૦ જેટલા કુશળ ઇજનેરો અને ૩૭૦૦ જેટલા તાલીમ બદ્ધ કારીગરોના દિવસ રાતના અથાગ પરિશ્રમથી નિર્માણ પામી રહેલ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની ૨૫ મીટર ઊંચી પીઠિકા પર અત્યારે ૧૫૭ મીટરથી વધુ ઊંચાઈનું નિર્માણ થઈ ચૂક્યું છે. પ્રતિમામાં અંદરના ભાગે ૨૦૦ સહેલાણીઓ એકસાથે ઊભા રહી શકે તેવી પ્રદર્શન અટારી એટલે કે વ્યુઇન્ગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાંથી મુલાકાતીઓને સરદાર સરોવર ડેમ અને વિંધ્યાચલ-સાતપુડા ગિરીમાળા નિહાળી શકાશે. વ્યુઈન્ગ ગેલેરી સુધી પહોંચવા બનાવાયેલ હાઈસ્પીડ એલિવેટર્સ પ્રતિદિન ૩ હજાર મુલાકાતીઓને લઈ જવા સક્ષમ છે. સૂર્યદેવના તેજથી દેદીપ્યમાન ૨૨,૬૦૦ ચો. મી.નું કાંસ્ય આવરણ ધરાવતી ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું કુલ વજન ૧૭૦૦ મેટ્રિક ટન જેટલું થશે જેમાં ૧૮,૫૦૦ ટન રિન્ફોર્સમેન્ટ સ્ટીલ અને ૬ હજાર ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરાયો છે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’માં મેમોરિયલ અને વિઝિટર સેન્ટરનું નિર્માણ જેના થકી અત્યાધુનિક પ્રોજેક્શન મેપિંગ દ્વારા સરદારની જીવનગાથા રજૂ કરાશે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ ખાતે નિર્માણ પામેલ શ્રેષ્ઠ ભારત ભવનમાં રહીને સહેલાણીઓ પ્રતિમાનો ભરપૂર આનંદ ઉઠાવી શકશે. શ્રેષ્ઠ ભારત ભવનથી મેમોરિયલ સેન્ટર સુધી ફોરલેન રોડ બનાવ્યો છે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’થી ૪ કિમી દૂર વાહન પાર્કિંગની સુવિધા સાથે પ્રતિમા સુધી પહોંચવા વિશેષ વાહનોની સગવડ કરાઈ છે, સાધુ ટેકરીથી મુખ્ય રસ્તાને જોડતો વિશિષ્ટ ડિઝાઈન ધરાવતો પુલ પણ પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ બની રહેશે.
ગુજરાત હંમેશા રાષ્ટ્રને વખતોવખત નવા વિચાર, નવા સાહસ અને ભારતીયતાની આગવી ઓળખ પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યું છે. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ હવે આ બાબતે સદીઓ સુધી શિરમોર યોગદાન સમી બની રહેશે જે આગામી સમયમાં ભારતવર્ષને ફરી એકવાર વિશ્ર્વગુરુ સ્થાને પ્રસ્થાપિત કરવા સાથે વિશ્ર્વમાં ભારતમાતાનું મસ્તક આત્મસન્માન અને આત્મગૌરવથી ઉન્મત કરશે જે માટે આવનારી પેઢીઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના ઐતિહાસિક સમર્પણ બદલ યાદ કરશે.