@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@
પાકિસ્તાનના પદભ્રષ્ટ વડાપ્રધાન નવાઝ શરીફે મુંબઈ પરના ૨૬/૧૧ના હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સ્વીકારી પાકિસ્તાનને બરાબરનું ભેખડે ભરાવ્યું છે. એ વાત અલગ છે કે બાદમાં તેઓએ આ નિવેદન અંગે ફેરવી તોળ્યું છે, પરંતુ તીર કમાનમાંથી નીકળ્યા બાદ પાછું લાવી શકાતું નથી. તેમજ તેમનો આ ગુલાંટનો હવે કોઈ જ અર્થ નથી. ખુદ નવાઝ શરીફના મોંએ જ તેમનો દેશ ભારત પર આતંકી હુમલો કરાવે છે ની કબુલાત એ મોદી સરકારની મોટી સફળતા છે એ વાત કહેવામાં જરાય અતિશયોક્તિ ન જ હોવી જોઈએ. જાણીએ આ અંગે એક રસપ્રદ ચર્ચા....
ભારતમાં કર્ણાટકની ચૂંટણીનો મુદ્દો છવાયેલો રહ્યો તેના કારણે પાકિસ્તાનમાં બનેલા એક મહત્ત્વના ઘટનાક્રમ તરફ લોકોનું બહુ ધ્યાન ના ગયું. આ ઘટનાક્રમ પાકિસ્તાનના પદભ્રષ્ટ વડાપ્રધાન નવાઝ શરીફે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા વિશે કરેલી કબૂલાત છે.
નવાઝ શરીફે પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનને આપેલા ઈન્ટરવ્યૂમાં કબૂલાત કરી કે, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો ધમધમે છે અને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં તેમનો હાથ હતો. શરીફે શું કહેલું એ અક્ષરશ: જાણવા જેવું છે. શરીફના કહેવા પ્રમાણે, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સક્રિય છે. તમે તેમને નોન-સ્ટેટ એક્ટર્સ કહી શકો. આપણે તેમને સરહદ પાર કરવાની અને મુંબઈમાં ૧૫૦ લોકોને મારી નાંખવાની મંજૂરી આપવી જોઈએ ? આપણે મુંબઈ હુમલાનો ખટલો કેમ પૂરો ના કરી શક્યા ? નવાઝ શરીફનાં મુંબઈ હૂમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના કબૂલનામાં બાદ પાકિસ્તાનની દુનિયાભરમાં ફજેતી થઈ હતી. પાક. સરકારે તેનો તમામ દોષ પાકિસ્તાનના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર ડૉન પર ઢોળી બલૂચિસ્તાનનાં લગભગ તમામ વિસ્તારો સિંધપ્રાંત સહિત સૈન્ય છાવણીમાં પણ ડૉન અખબારનાં વિતરણ પર રોક લગાવી દીધી છે. પાકિસ્તાન સરકાર હવે ગમે તેટલા ટોટકા કરે, પરંતુ ઘોડા તબેલામાંથી ભાગી ગયા છે. હવે તાળા મારવાનો કોઈ જ અર્થ નથી. નવાઝે મુંબઈ હૂમલામાં પાકિસ્તાનનાં હાથ હોવાનો સ્વીકાર જરા પણ શબ્દોની કરકસર કર્યા વગર કર્યો છે તેનુંએવું અર્થઘટન ચોકક્સ કાઢી શકાય કે, ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠનોનો હાથ હતો.
શરીફે પોતાના નિવેદનથી ગુલાંટ કેમ મારી ?
શરીફની આ વાતથી પાકિસ્તાનમાં ખળભળાટ મચે એ સ્વાભાવિક છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન સહિતના વિરોધપક્ષના નેતાઓને ગોળનું ગાડું મળી ગયું હોય એવો ઘાટ થયો. તેમણે કકળાટ કરી મૂક્યો ને શરીફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા બોલે છે એવા આક્ષેપ કરીને શરીફના માથે માછલાં ધોવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો. શરીફના દીકરાની કંપની ભારતમાં ખાંડની નિકાસ કરે છે તેથી શરીફે દીકરાનાં આર્થિક હિતો સાચવવા માટે પાકિસ્તાન સાથે ગદ્દારી કરી છે તેવી ટીકાઓનો મારો પણ ચાલ્યો. આ ટીકાને પગલે શરીફે ગુલાંટ પણ લગાવી દીધી. રવિવારે શરીફનો ઈન્ટરવ્યૂ પ્રસિદ્ધ થયેલો ને ૨૪ કલાકમાં તો શરીફે થૂંકેલું ચાટીને જાહેર કરી દીધું કે, ભારતીય મીડિયાએ મારી વાતનું એકદમ ખોટું અર્થઘટન કર્યું છે ને કમનસીબી એ છે કે પાકિસ્તાનમાં ઈલેક્ટ્રોનિક મીડિયા ને સોશિયલ મીડિયાનો એક ભાગ ભારતીય મીડિયાના કુપ્રચારની જાળમાં ફસાઈ ગયો. તેમણે ખરેખર મેં શું કહેલું તેની ચકાસણી કર્યા વિના ઠોકાઠોક કરી નાંખી તેમાં ઓડનું ચોડ થઈ ગયું.
પાકિસ્તાનમાં જે કંઈ થયું એ ત્યાંનું આંતરિક રાજકારણ છે. પાકિસ્તાનના રાજકારણીઓ ભારત વિરોધી ઉન્માદ પેદા કરીને પોતાની દુકાન ચલાવે છે તેથી શરીફના નિવેદનના પગલે તેમના વિરોધીઓને મોટો મુદ્દો મળી ગયેલો. સામે શરીફે પણ કબૂલાત કરતાં તો કરી નાંખી પણ પછી તેનાં પરિણામ વિશે વિચારીને ગભરાયા તેથી તેમણે ગુલાંટ લગાવી દીધી.
આ બધી પાકિસ્તાનના રાજકારણની વાતો છે ને તેનાથી આપણને કંઈ લેવાદેવા નથી પણ ભારત માટે આ મોટી વાત છે અને નરેન્દ્ર મોદી સરકારે સત્તામાં આવ્યા પછી પેદા કરેલા દબાણના કારણે આ શક્ય બન્યું છે. મુંબઈમાં આતંકવાદી હુમલો પાકિસ્તાને કરાવેલો એ જગજાહેર વાત છે પણ પાકિસ્તાન આ વાત કબૂલવા તૈયાર નથી. પાકિસ્તાને તો ભારતમાં પકડાયેલો આતંકવાદી અજમલ કસાબ પાકિસ્તાનની હતો એ મામલે પણ હાથ ખંખેરી નાંખેલા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાનપદે રહી ચૂકેલી વ્યક્તિ આ કબૂલાત કરે એ ખરેખર મોટી વાત કહેવાય.
અગાઉ પણ પાક. સત્તાધીશો આ કબૂલાત કરી ચૂક્યા છે
નવાઝ શરીફ આ કબૂલાત કરનારા પહેલા પાકિસ્તાની સત્તાધીશ નથી. આ પહેલાં પાકિસ્તાનની સરકારમાં ચાવીરૂપ સ્થાને રહી ચૂકેલી બે વ્યક્તિએ આ કબૂલાત કરેલી. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા (એનએસએ) મહમુદ અલી દુર્રાનીએ ગયા વરસે આતંકવાદ પરની એક કોન્ફરન્સમાં જાહેર કરેલું કે, મુંબઈમાં ૨૦૦૮માં થયેલો આતંકવાદી હુમલો પાકિસ્તાનમાં રહીને કામ કરતાં આતંકવાદી સંગઠનોએ કરેલો ને આ હુમલો સરહદ પારના આતંકવાદનો નાદાર નમૂનો છે.
દુર્રાનીએ આ હુમલામાં પાકિસ્તાનનો હાથ નહોતો એવી ચોખવટ કરેલી પણ સાથે સાથે આ હુમલાના માસ્ટરમાઈન્ડ મનાતા હફીઝ સઈદને સાવ નકામો માણસ ગણાવી તેને જેલભેગો કરી દેવો જોઈએ એવું પણ કહેલું. એ પહેલાં પાકિસ્તાનમાં મુંબઈ હુમલાની તપાસ કરનારી ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)ના એ વખતના વડા તારીક ખોસાએ પણ આ વાત કહેલી.
તારીક ખોસાએ તો વિગતવાર પાકિસ્તાનની ભૂમિકા સ્પષ્ટ કરેલી. મુંબઈ હુમલા મામલે હોહા થઈ પછી અમેરિકાના દબાણ હેઠળ આ હુમલાની તપાસ પાકિસ્તાન સરકારે તેની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)ને સોંપેલી.
ખોસાએ પાકિસ્તાનના બહુ જાણીતા અખબાર ધ ડોનમાં બે વરસ પહેલાં એક લેખ ફટકારીને ધડાકો કરેલો કે, પાકિસ્તાનને એવા પુરાવા મળેલા કે મુંબઈ પરના હુમલાનું કાવતરું પાકિસ્તાનની ધરતી પર લશ્કરે તઈબાએ ઘડેલું તેના પુરાવા મળેલા. અજમલ કસાબ સહિતના આતંકવાદીઓને તાલીમ અપાયેલી તે સિંધના થટ્ટાના લશ્કરે તઈબાના કેમ્પમાંથી મુંબઈના હુમલામાં વપરાયેલા વિસ્ફોટકોનાં બોક્સ મળેલાં. આતંકવાદીઓ જે ફિશિંગ ટ્રેલરમાં જવા નીકળેલા એ પાછું લાવીને તેને કલર કરીને છુપાવી દેવાયેલું. પાકિસ્તાની એજન્સીઓને હાથ એ લાગ્યું હતું પણ પાકિસ્તાને આખી વાત પર પડદો પાડી દીધેલો. આતંકવાદીઓએ મુંબઈના દરિયાકાંઠે જે ડિંઘી (સ્પોર્ટ્સ બોટ) છોડેલી તેનું જાપાની એન્જીન ખરીદીને લાહોર લવાયેલું. લાહોરમાં એન્જીનવાળી ડિંઘી બનાવીને કરાચીની સ્પોર્ટ્સ શોપમાં લઈ જવાયેલી. લશ્કરે તઈબાએ એ કરાચીથી એ ડિંઘી ખરીદેલી. તેના પર જે પેટન્ટ નંબર હતો તેના આધારે આતંકવાદીઓ પાકિસ્તાની હતા ને લશ્કરે તઈબાના પીઠ્ઠુ હતા તે સાબિત થયેલું જ.
આ ડિંઘીના પૈસા ચૂકવનારો ઝડપાઈ ગયેલો પણ પાકિસ્તાને તેને કશું ના કર્યું. કરાચીમાં જે ઓપરેશન મમાં બેઠા બેઠા આતંકવાદી આકાઓ કસાબ ને તેની ગેંગને સૂચનાઓ આપતા હતા તે ઓપરેશન રૂમ પણ મળી આવેલો. આતંકવાદીઓ વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકલ (વીઓઆઈપી)ના માધ્યમથી વાત કરતા હતા તેનો ભાંડો પણ ફૂટેલો પણ પાકિસ્તાને એ પણ દબાવી દીધેલું. ઝકી ઉર રહેમાનની સાથે કોણ કોણ આ હુમલામાં સામેલ હતા તેમનાં નામ પણ મળેલાં પણ પાકિસ્તાને કશું ના કર્યું. આ ઓપરેશન માટે પૈસા આપનારા વિદેશમાં બેઠા હતા. તેમને ઝડપીને પાકિસ્તાન લવાયેલા પણ એ બધી વાતો પર પછી પડદો પાડીને કુલડીમાં ગોળ ભાંગી દેવાયેલો એવો દાવો ખોસાએ કર્યો હતો.
મોદી સરકારની જીત...
ખોસા અને દુર્રાની મુંબઈ હુમલા કેસની તપાસ સાથે સીધા સંકળાયેલા હતા. આ સંજોગોમાં તેમની કબૂલાત મોટી કહેવાય પણ પાકિસ્તાને કશું ના કર્યું કેમ કે પાકિસ્તાનને તેમાં રસ નથી. હવે શરીફની કબૂલાત પછી પણ પાકિસ્તાન કશું કરે તે વાતમાં માલ નથી પણ ભારતને એક મોટો મુદ્દો મળી ગયો છે તેનો ઈન્કાર ના થઈ શકે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન કબૂલાત કરે એ મુદ્દાને આગળ કરીને ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન વિરોધી માહોલ પેદા કરી શકશે અને મોદી સરકારે એ શરૂ કરી જ દીધું છે.
આતંકવાદી સરદાર હફિઝ સઈદના મામલે અમેરિકાએ લીધેલું આકરું વલણ તેનો પુરાવો છે. મુંબઇ હુમલાના સૂત્રદાર અને જમાત-ઉલ-દાવાના સરદાર હાફીઝ સૈઇદને પાકિસ્તાન સરકાર સુરક્ષા આપતી. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના હુક્મને પગલે આ સુરક્ષા પાછી ખેંચી લેવાઈ હતી. હવે તેના પર જીવનું જોખમ છે એ બહાને તેને ફરી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની શાહબાઝ શરીફ સરકારના હુકમને પગલે સઇદને ફરી સુરક્ષા અપાઈ છે ને શાહબાઝ શરીફ નવાઝ શરીફના ભાઈ જ છે એ અલગ વાત છે પણ તેના પગલે અમેરિકા ભડક્યું છે.
અમેરિકાએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, સઈદ ખુલ્લો ફરે એ ચિંતાનો વિષય છે ને પાકિસ્તાન પગલાં નહીં લે તો તેનાં માઠાં પરિણામ ભોગવશે. અમેરિકાએ તો એમ પણ કહ્યું કે, અમે સઈદને પકડવા માટે ઈનામ જાહેર કરેલું, સઈદની ધરપકડ થઈ છે તેની માહિતી આપવા નહીં.
અમેરિકાના આ આકરા તેવર ભારતની મોદી સરકારની નીતિની જીત છે ને આ રીતે મોદી સરકાર દબાણ સર્જતી રહેશે તો પાકિસ્તાને સઈદ જેવા લોકો સામે પગલાં લેવાની ફરજ પડશે જ.