@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@
લાખો રોહિંગ્યા મુસ્લિમો મ્યાંમારથી ભાગી બાંગ્લાદેશ, ભારત સહિતનાં અનેક પડોશી દેશોમાં શરણ લઈ રહ્યા છે. જો કે આ સમુદાયના માથે એક કાળી ટીલી પણ લાગેલી છે. આ જ સમુદાયના કેટલાક આતંકવાદીઓએ કેટલાક સમય પહેલાં મ્યામારમાં વસતા હિન્દુઓનો ભયંકર નરસંહાર કર્યો હતો. એમનેસ્ટી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ રોહિંગ્યા આતંકીઓએ અનેક હિન્દુઓની હત્યાઓ કરી, ગામડાઓનાં ગામડાંઓ બાળી નાખ્યાં હતાં. તેઓએ મોટા પ્રમાણમાં બિનમુસ્લિમ ખાસ કરીને હિન્દુ મહિલાઓ સાથે બળાત્કાર કર્યા હતા.
એમનેસ્ટી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ જીવ બચાવીને ભાગી શકવામાં સફળ રહેલી હિન્દુ મહિલાઓએ પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે, ૨૫ ઑગસ્ટ, ૨૦૧૭ના સવારના લગભગ ૮ વાગ્યે રોહિંગ્યા આતંકીઓની એક ટુકડીએ અહીંનાં નૉકખા ગામમાં હિન્દુઓનાં ઘરો પર હુમલો કર્યો હતો. કેટલાક આતંકવાદીઓ કાળાં કપડાંમાં તો કેટલાંક સાદાં કપડાંમાં હતા. તેઓએ ગામમાં હાજર ૬૯ હિન્દુ પુરુષ, મહિલાઓ અને બાળકોને ઉઠાવી લીધા. થોડાક જ કલાકમાં તેઓએ આમાંના મોટાભાગના હિન્દુ પુરુષોની હત્યા કરી નાખી હતી અને મહિલાઓને પોતાની સાથે ઉઠાવી ગયા હતા.
કાળાં કપડાંમાં હતા આતંકવાદીઓ
૨૨ વર્ષની બીના માલા કહે છે કે, તે એ આઠ મહિલાઓમાંની એક છે, જેમનેે રોહિંગ્યા આતંકવાદી ઊઠાવી બાંગ્લાદેશમાં લઈ ગયા હતા. તે જણાવે છે કે, તે દિવસે સવારનો સમય હતો અને હું પૂજા કરી રહી હતી. અચાનક મુસ્લિમો અમારા ઘરમાં ઘૂસી આવ્યા. તેઓએ કાળાં કપડાં પહેર્યાં હતાં. મેં એમને ઓળખી લીધા હતા. તેઓ અમારા જ ગામના મુસ્લિમો હતા. તેઓએ અમારી પાસેથી મોબાઈલ ફોન લઈ લીધા અને અમને બહાર એક મેદાનમાં ઊભા રાખી દીધાં. ત્યાં અનેક હિન્દુઓ હતા. મુસ્લિમો પાસે ધારદાર હથિયાર હતાં. તેઓએ અમારા હાથ પાછળથી બાંધી અમારી આંખો પર પટ્ટીઓ બાંધી દીધી. તે લોકો કહી રહ્યા હતા - તમે કાફિર છો, માટે અહીં ન રહી શકો. તેઓએ અમને ખૂબ માર માર્યો. ધરેણાં, પૈસા પણ લૂંટી લીધાં.
ભાગવાનો અવસર જ ન મળ્યો
એ જ દિવસે બોકક્યાર ગામે ૪૬ હિન્દુ પુરુષો, મહિલાઓ અને બાળકોને રોહિંગ્યા મુસ્લિમો ઉઠાવી ગયા. તેઓનું શું થયું એ કોઈનેય નથી ખબર. એ હુમલો જ્યારે થયો ત્યારે ૨૪ વર્ષની રીકા ઘરે જ હતી, તે જણાવે છે કે, અમને ભાગવાનો અવસર જ ન મળ્યો. મુસ્લિમોએ અમારાં ઘરેણાં પૈસા લૂંટી લીધા. અમારી આંખો પર કાળી પટ્ટીઓ બાંધી દીધી. એ લોકો અમારા જ ગામના મુસ્લિમો હતા.
પુરુષોની હત્યા કરી મહિલાઓને જંગલમાં લઈ ગયા
હિન્દુઓને રોહિંગ્યાઓ ગામથી બહાર લઈ ગયા અને સૌપ્રથમ તેમના આઈડી કાર્ડ બાળી નાખ્યાં. આતંકીઓએ હિન્દુ મહિલાઓ-પુરુષો ને બાળકોને અલગ અલગ કરી દીધાં. ત્યાર બાદ મહિલાઓને જંગલમાં ઉઠાવી ગયા અને ૫૩ હિન્દુઓની હત્યા કરી દીધી, જેમાં ૨૦ પુરુષ, ૧૦ મહિલા અને ૨૩ બાળકો હતાં. આમાંના ૧૪ બાળકોની ઉંમર ૮ વર્ષથી પણ ઓછી હતી.
ઇસ્લામ કબૂલ્યો માટે જીવ બચ્યો
એક ગામમાં-અપહરણ કરાયેલા હિન્દુઓમાંથી ૧૬ હિન્દુઓ, ૮ મહિલાઓ અને તેમના ૮ બાળકો જ જીવિત બચી શક્યાં, કારણ કે તેઓએ ઇસ્લામ કબૂલી લીધો. ઇસ્લામ કબૂલ્યા બાદ તેઓના નિકાહ રોહિંગ્યા આતંકીઓ સાથે કરી દેવાયાં હતાં. ૨૦ વર્ષની ફર્મીલા જણાવે છે કે, તેઓ હાથોમાં તલવાર લઈને ધસી આવ્યા. તલવારો પરથી લોહી ટપકતું હતું. તેઓએ અમને કહ્યું કે અમારા પતિઓને તેઓએ જહન્નમમાં પહોંચડી દીધા છે.
૧૮ વર્ષની રાજકુમારી જણાવે છે કે, તેઓએ અમારા પુરુષોની હત્યા કરી દીધી. અમારી આંખો બંધ કરાવડાવી દીધી હતી. અમને ઝાડીઓની પાછળ કેદ કરી દીધાં હતાં. મારા પિતા, મારો ભાઈ તમામને એ લોકોએ મારી નાખ્યા હતા. તેઓએ અનેક મહિલાઓને પણ રહેંશી નાખી હતી.
ફર્મીલા જણાવે છે કે, મુસ્લિમઓએ મહિલાઓના વાળ પકડી રાખ્યા હતા. ત્યારે અચાનક કેટલાક મુસ્લિમોએ તેમના ગળા પર છરો ફેરવી દીધો હતો. રોહિંગ્યા મુસ્લિમોની સાથે આતંકવાદીઓ પણ શરણાર્થી બની અન્ય દેશોમાં ભાગી ગયા છે. આ પ્રકારની ચેતવણી એમનેસ્ટીએ પોતાના અહેવાલમાં આપી છે.
ખોટાં નિવેદનો અપાવડાવ્યાં
૨૮ ઑગસ્ટના રોજ બાંગ્લાદેશ પહોંચવા પર ૮ હિન્દુ મહિલાઓના બળજબરીપૂર્વક નકલી વીડિયો નિવેદન બનાવવામાં આવ્યાં. તેમને રોહિંગ્યા દ્વારા કહેવામાં આવ્યું કે તમારે કહેવાનું છે કે સ્થાનિક બૌદ્ધો અને સેનાએ અમારા પર હુમલો કર્યો હતો. તમે જો આમ નહીં કરો તો તમે પણ જાનથી જશો. તેમના એ વીડિયો ફેસબૂક પર અપલોડ કરી દેવાયા હતા.