થોડા સમય પહેલાં જ દેશનાં પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભાની ચૂંટણીઓ અને તેનાં પરિણામો બાદ ફરી એક વખત નોટાને લઈ ચર્ચા ચાલી છે. લગભગ સાડા છ ટકા લોકોએ એ ચૂંટણીઓમાં કોઈપણ ઉમેદવારને મત આપવાને બદલે નોટાનો વિકલ્પ પસંદ કર્યો. તમામ રાજ્યોની સામૂહિક રીતે જોઈએ તો નોટાએ આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને ડાબેરીઓને પણ પાછળ છોડી દીધા.
તું મારો નહીં તો કોઈનો ય નહીં ની કળા
જો મધ્યપ્રદેશની વાત કરીએ તો રાજ્યની અઢાર બેઠકો પર ઉમેદવારોની હારજીતનું અંતર તે બેઠકો પર નોટાને મળેલા મતોથી પણ ઓછું રહ્યું હતું. મતલબ સાફ છે. જો નોટા દબાવવાવાળા લોકોએ નોટાને બદલે કોઈ ઉમેદવારને મત આપ્યો હોત તો એ અઢાર બેઠકોનાં પરિણામ કંઈક અલગ જ હોત ત્યારે એ ચર્ચા થવી સ્વાભાવિક છે કે આખરે નોટાથી ફાયદો છે તો કોને છે ? શું નોટાથી જનતાને ફાયદો થાય છે ખરો ? કે પછી રાજકીય પક્ષો લોકલાગણીઓને ઉશ્કેરી તું મારો નહીં તો કોઈનો ય નહીં ની કળા કરી જાય છે.
નોટા બાબતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવતનું એકદમ સ્પષ્ટ મંતવ્ય છે. તેઓ વારંવાર લોકોને નોટાથી દૂર રહેવાની સલાહ આપે છે.
તો પછી નોટાનો કોઈ અર્થ જ રહેતો નથી.
આપણે નોટા દબાવીને હરખાઈએ કે આપણે તો બધાનો અસ્વીકાર કરી દીધો, પરંતુ એ ભૂલી જઈએ છીએ કે આપણા આ અસ્વીકાર દ્વારા પરોક્ષ રીતે અન્યનો સ્વીકાર કરી લઈએ છીએ. આપણી આ ભૂલથી કોઈ એવો ઉમેદવાર ખૂબ જ ઓછા અંતરથી હારી જાય છે. જે તે બધામાં સર્વશ્રેષ્ઠ તો નહીં, પરંતુ શ્રેષ્ઠ તો હોય છે જ. આમ જો નોટા દબાવવાથી કોઈ ખરાબ ઉમેદવાર જીતી જતો હોય તો પછી નોટાનો કોઈ અર્થ જ રહેતો નથી.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૬૦ લાખ મતદાતાઓએ એટલે કે કુલ મતદાનમાં ૧.૮% મતદાતાઓએ એક પણ પક્ષના ઉમેદવારને પસંદ ન કરતા નોટાનું બટન દબાવ્યું હતું. તમિલનાડુનાં નિલગીરી લોકસભા બેઠક પર સૌથી વધુ ૪૬,૫૫૯ લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું. ૨૦૧૪માં ૨૩ બેઠકો એવી હતી જ્યાં હાર જીતના અંતર કરતાં નોટાને મળેલા મતો વધુ હતા. ગુજરાતની વાત કરીએ તો અહીં દાહોદ લોકસભાની બેઠક પર સૌથી વધુ ૩૨,૦૦૫ કુલ મતદાનનાં ૩.૫૮ ટકા મત નોટામાં પડ્યા હતા. તો સમગ્ર રાજ્યમાં ૪,૫૪,૮૮૫ મતો એટલે કે ૧.૭૭ મત નોટાને મળ્યો હતો.
ગત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ નોટામાં અનેક રાજ્યોમાં મત પડ્યા હતા. જેમાં મણિપુરમાં ૦.૫ ટકા, પંજાબમાં ૦.૭ ટકા, ઉત્તરપ્રદેશમાં ૦.૯ ટકા, હિમાચલ પ્રદેશ ૦.૯ ટકા, ઉત્તરાખંડમાં ૧.૦ ટકા, ગોવા ૧.૨ ટકા તથા ગુજરાતમાં કુલ મતના ૧.૮ ટકા મત નોટામાં પડ્યા હતા.
મધ્યપ્રદેશમાં ભાજપને કોંગ્રેસ કરતાં વધારે મતો મળ્યા, પરંતુ બેઠકો કોંગ્રેસને વધુ મળી આમ છતાં પણ કોંગ્રેસ બહુમતીથી તો દૂર જ રહી. અહીં નોટામાં ૧.૪ ટકા મત પડ્યા, જ્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતોનું અંતર માત્ર ૦.૧ ટકા રહ્યું હતું. એવામાં નોટાના ૧.૪ ટકા મત જો બન્નેમાંથી કોઈ એકના પક્ષે ગયા હોત તો તે પક્ષને પૂર્ણ બહુમતી મળી જાત. જે સ્થિર સરકાર માટે સ્પષ્ટ જનાદેશ હોત. નોટાને કારણે જે સરકારને મત વધુ મળ્યા તેને બેઠકો ઓછી મળી અને જેને બેઠકો વધુ મળી તે પણ બહુમતીથી દૂર રહી. આમાં જનતાનો શો ફાયદો થયો ? ગમે ત્યારે સરકાર પડી ભાંગી શકે છે. રાજ્યમાં ફરી ચૂંટણી અને તેનો ખર્ચ જનતાની કેડ પર જ પડવાનો છે.
કોણ કરે છે નોટા નોટાની રાડારાડ
ત્યારે સવાલ એ થાય છે કે, આખરે એ કોણ લોકો છે જે ચૂંટણીઓ આવતાં જ સોશિયલ મીડિયા પર નોટા નોટાની રાડારાડ કરી મૂકે છે. જ્યારે સુપ્રીમ કોર્ટ એસસી-એસટી એક્ટમાં પરિવર્તનનો ચુકાદો આપે છે ત્યારે દલિતોને સરકાર વિરુદ્ધ ભડકાવવામાં આવે છે અને સરકાર આ ચુકાદા વિરુદ્ધ અધ્યાદેશ લાવે છે ત્યારે એ જ લોકો સવર્ણોને નોટા દબાવવા ઉશ્કેરે છે. જ્યારે સરકાર સબરીમાલા મંદિર મુદ્દે કોઈ સ્ટેન્ડ નથી લેતી તો દક્ષિણ ભારતીયોને નોટા દબાવવા ભડકાવવામાં આવે છે. રામમંદિર મુદ્દે સરકાર વિરુદ્ધ હિન્દુઓને ભડકાવી નોટા દબાવવા પ્રેરિત કરવામાં પ્રયાસો થઈ રહ્યા છે.
આ બાબત પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે એક ચોક્કસ ગેંગ, ચોક્કસ રાજનૈતિક પક્ષને ફાયદો કરાવવા માટે ચૂંટણીઓ આવતાં જ હિન્દુ મતોમાં ભાગલા પડાવવા માટે હિન્દુહિતની વાત કરનાર રાજકીય પક્ષ સામે હિન્દુઓને જ ભડકાવવા નોટા... નોટા...ના નારા લગાવવાના શરૂ કરી દે છે.
શું નક્સલવાદ માને છે નોટામાં?
એક સમય હતો જ્યારે દેશના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં લોકોને મતદાનનો બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવતી હતી. હવે ત્યાં લોકોને નોટા દબાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. તે વાત સ્પષ્ટ થાય છે કે, નોટાથી કોનું ભલુ થઈ રહ્યું છે. એક તરફ ગ્રામીણ ક્ષેત્રોમાં નક્સલીઓ બંદૂકના જોરે મતદાતાઓને નોટા દબાવવાનું દબાણ કરી રહ્યા છે, તો બીજી તરફ અર્બન નક્સલ ગેંગ શહેરી વિસ્તારોમાં મતદાતાઓનું બ્રેઈન વોશ કરી નોટા દબાવવા પ્રેરિત કરી રહી છે.
નોટાનો અધિકાર આપણને રાજકીય પક્ષો વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવા માટે મળ્યો છે, પરંતુ તેનાથી નોટાનો પ્રયોગ કરનારા લોકોને કાંઈ જ મળવાનું નથી એ વાત નક્કી છે. બલ્કે નોટા એ આપણા મતાધિકારનું ગળું દાબી દેવા સમાન છે. દેશભરમાં નિષ્ણાતો દ્વારા નોટાની આડઅસરો વિશે ચર્ચા યોજાય તે જરી છે. મતદાતાએ સમજવાની જરૂર છે કે આપણે નોટાનો ઉપયોગ કરી પણ લીધો તો તેનું પરિણામ એ તો આવવાનું નથી કે તે ક્ષેત્રમાં કોઈ જીતવાનું નથી કે કોઈ સરકાર બનવાની નથી. ઉમેદવાર તો જીતશે જ અને સરકારો પણ બનશે જ. હારશે તો માત્ર મતદારને વ્યવસ્થા પાસે આપણી વાતો મનાવવા માટે અન્ય વિકલ્પો છે જ. આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે વિશેષ પરિસ્થિતિઓને બાદ કરતા સરકાર ચૂંટવાનો અધિકાર આપણને પાંચ વર્ષોમાં માત્ર એક વખત જ મળે છે. ત્યારે સરકાર ચૂંટવાનો આપણો અધિકાર પણ આપણે નોટાના પ્રયોગથી ગુમાવી દઈએ એ બુદ્ધિમાની તો નથી જ.