પ્રાણીની જેમ મનુષ્ય પણ તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય દવા વગર ભોગવી શકે, વાંચો

    ૨૦-મે-૨૦૧૯

 
 
શરીર-સ્વાસ્થ્યે આધુનિક જમાનાનું સૌથી વધારે ધ્યાન ખેંચવા માંડ્યું છે કારણ કે અનેક વિચિત્ર પ્રકારના નવાનવા પેદા થતા રોગોથી આખી દુનિયા પરેશાન છે. દવાઓ, તેને બનાવનાર કંપ્નીઓ, અને દવાઓ લખી આપ્નાર ડાક્ટરોને આનો કોઈ અંત દેખાતો નથી. તેમાંય હવે ધીમે ધીમે અસાધ્ય રોગોની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. જાણે રોગોની હરીફાઈ જામી હોય!!!
 
દવાથી રોગો મટાડવાની આખી પદ્ધતિ ધરમૂળથી ખોટી છે કારણ કે ‘કોઈપણ દવા કોઈપણ રોગ મટાડી શકતી નથી’ એ કથન ઘણા વિદ્વાન સીનિયર ડાક્ટરોએ પોતાનાં લખાણોમાં વારંવાર જાહેર કરેલ છે. શરીરમાં જંતુઓથી રોગો થાય છે અને જંતુઓ મારવાથી રોગો મટે છે તે પણ અર્ધસત્ય છે. તો પછી રોગોનું કારણ શું છે? શું દવાઓ પણ નવા નવા રોગોને જન્મ આપે છે? શું રોગ વગરનું જીવન શક્ય છે કે નહીં? શું રોગોને દવા વગર મટાડી શકાય કે નહિ? આવા વિચારો છેલ્લાં ત્રણસો વર્ષમાં ઘણા વિદ્વાન અને આત્મજાગૃતિવાળા ડાક્ટરોએ કરવા માંડેલા અને એમના અભ્યાસ અને સંશોધનના પરિપાક રૂપે ‘પ્રાકૃતિક ચિકિત્સા’ અથવા ‘નેચરોપથી’ નામની સ્વાસ્થ્યની એક નવી જ પદ્ધતિ ધીમે ધીમે જાણવામાં - વિકસાવવામાં આવી. રોગ થવાનાં સાચાં કારણો અને રોગ મટાડવાની સાચી રીતો પણ આ અભ્યાસમાં જાણવામાં આવી.
 

કુદરતી નિયમોના ભંગનો દંડ છે 

 
પ્રાકૃતિક ચિકિત્સા એ ચિકિત્સા પદ્ધતિ કરતાં ‘જીવન જીવવાની કળા’ વધુ છે. જીવન જીવવાનો તાલમેલ જો કુદરતની સાથે ગોઠવવામાં આવે તો જેમ લાખો પ્રકારના જીવો જે રીતે તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય બીમારી કે દવા વગર ભોગવે છે, તે પ્રમાણે મનુષ્ય પણ તંદુરસ્ત અને પૂર્ણ આયુષ્ય દવા વગર ભોગવી શકે. માંદગી એ ખોટી જીવનપદ્ધતિની સજા છે, કુદરતી નિયમોના ભંગનો દંડ છે. દવાઓ આમાં કશું જ કરી શકે નહિ.
 
 
 

દૈનિક જીવનકાર્યો તમારું આરોગ્ય નક્કી કરે છે 

 
તંદરુસ્તીનો ખરો આધાર રોજબરોજનાં દૈનિક જીવનકાર્યો ઉપર છે. ખાવા-પીવાની ચીજોની પસંદગી, તેને બનાવવાની પદ્ધતિ, તેને ખાવાની પદ્ધતિ, કેટલું ખાવું તેની આત્મસૂઝ, પાણી પીવાની સમજ, શ્ર્વાસોચ્છ્વાસની ખરી પદ્ધતિ, બેસવાની - ઊભા રહેવાની - ચાલવાની પદ્ધતિ, જરૂરી શરીરશ્રમ, સૂવાની ખરી પદ્ધતિ, પંચમહાભૂતોનું સાંનિધ્ય વગેરે. ઉપરાંત માનસિક સ્થિતિ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનું સંતુલન અને તપ, સેવા અને પ્રાર્થના. આ બધું મળીને દૈનિક જીવનકાર્યો તમારું આરોગ્ય નક્કી કરે છે. યોગ્ય લાઇફસ્ટાઇલ એ તંદુરસ્તીની ખરી ચાવી છે.
 
આટલા આરોગ્યમંથન પછી આપણે એકાદ ખૂબ જ સહેલા મુદ્દા વિશે ઉપયોગી લાઇફસ્ટાઇલની ચર્ચા કરીશું. તે મુદ્દો પાણીનો છે. પાણી આપણે જન્મથી મૃત્યુ સુધી પીવાનું હોય છે પણ આશ્ર્ચર્યની વાત એ છે કે પાણી પીવાની આરોગ્યદાયક ખરી રીત શું છે તે આપણે ભાગ્યે જ જાણીએ છીએ.
 

 
 

થોડુંક જાણીએ....

 
(1) પાણી આપણી જરૂરિયાત જેટલું જ પીવું જોઈએ. કોઈના કહેવાથી ખૂબ વધારે કે ખૂબ ઓછું પાણી ન પીવું જોઈએ. શરીરની તરસને ધ્યાનમાં રાખીને તેને પ્રાધાન્ય આપવું જ જોઈએ.
 
(2) પાણી હંમેશા શરીરના તાપમાન જેટલા ઉષ્ણતામાનવાળું જ પીવું જોઈએ. એટલે કે હૂંફાળું - બહુ ગરમ કે બહુ ઠંડું નહિ. શરીરનું તાપમાન 98.60 ફે. કે 370 સે. જેટલું હોય છે. તેનાથી ગરમ કે ઠંડું પાણી શરીરની શક્તિનો વ્યય કરે છે. તે પાણીને શરીરના તાપમાન પર લાવવું પડે છે પછી જ શરીર તેનો ઉપયોગ કરે છે. આને માટે લોહીને પેટ તરફ ધસવું પડે છે. તેથી શરીરમાં ઘણી જગ્યાએ લોહીની અછત ઊભી થાય છે અને આ અછત શરીરના જે તે ભાગનું પોષણ અને સફાઈનું કામ ઘટાડે છે. આથી લાંબે ગાળે અનેક રોગો માટેની ભૂમિકા તૈયાર થાય છે. ગરમ કે ઠંડાં પીણાં પણ એ રીતે હાનિકારક છે. ફ્રીજનું પાણી શરીર માટે અત્યંત હાનિકારક છે. તે દુનિયામાં વધતા રોગોનું એક સૌથી વજનદાર કારણ છે.