રણુજાના રાજા.. અજમલજીના બેટા.. વીરમદેના વીરા.. રાણી નેતલના ભરથાર

    ૧૮-સપ્ટેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

ranuja na raja_1 &nb 
 
રણુજાના રાજા.. અજમલજીના બેટા.. વીરમદેના વીરા.. રાણી નેતલના ભરથાર
 
આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે!
હાથ હોવાથી જ કંઈ ક્યાં કશું પકડાય છે?
શ્ર્વાસ જેવા શ્ર્વાસ પણ વાય છે તો વાય છે !
-રાજેન્દ્ર શુક્લ
 
ઈશ્ર્વર પાસે અહંમનો અંચળો ફેંકી દઈ એક નિર્દોષ, નિરપેક્ષ નગ્ન બાળકની માફક, નિર્દંભ દિગંબર ડીમ્ભની જેમ એની સમક્ષ ઊભા રહો. માગણની માફક હરગિજ નહીં ! આ આપ; તે આપની વૃત્તિથી કદી નહીં. નશ્ર્વર જગતમાં તે નાટકી નટવરની રમતનું રમકડું થાય ને રહી ને જુઓ શી મજા આવે છે ! જગત કે જગદીશ કોઈની પાસે માંગણીની કશી જ કિંમત નથી, કદાચ બટકું મળે તો પણ તિરસ્કારથી, પરાયાની બુદ્ધિથી, વિશ્ર્વબાપની અનંત સમૃદ્ધિના વારસ હોવા છતાં, કોઈ અશરણ અનાથની માફક ભિખારીવેડા શે આચરો છો? ઊઠો, જાગો અને તમારા સ્વયંભૂ હકની જાણ સાથે એ અનાદિહકની વિશ્ર્વમ્ભર પરમાત્માની અનંત ઐશ્ર્વર્યભરી છાયામાં વિનમ્ર થઈ બાળભાવે બાંગ પુકારો ને એની અખંડ યાદમાં નિર્ભય નચિંત થઈ મસ્ત વિચરો ને તમારી જન્મજાત બાદશાહીનો ઉપભોગ લો !
 
રંગ અવધૂતની આ વાણી. આપણી સંસ્કૃતિમાં આવા અનેક રંગ અવધૂતો થઈ ગયા. જેમણે જગતની ચેતનાને ઢંઢોળી છે. એમાંના એક એટલે રામદેવપીર, જેમણે હંમેશા પીર પડાઈ જાણી છે. રાજસ્થાનના રામદેપરામાં એમની સમાધિ છે, જ્યાં મને કથા કરવાનું સૌભાગ્ય મળેલું છે. રામચરિત માનસમાં રામનું નામ અનેકવાર આવે છે, દેવ શબ્દ પણ આવે છે અને કુલ અઢાર વખત પીર શબ્દ પણ પ્રયોજાયો છે. દરેકના હૃદયમાં એક રામદેવપીર જીવંત છે. સાડા છ શતાબ્દી પહેલાથી શ્રદ્ધાજગત જેમને ભગવાન દ્વારિકાધીશનો અવતાર માને છે. મારી સમજ મુજબ આ આખુયે વિશ્ર્વ તીર્થ છે. જો કે આ તીર્થને આપણે મલિન કરી નાખ્યું છે. લગભગ ચોવીસેય તત્ત્વોને પ્રદૂષિત કર્યા છે. પૃથ્વીને શાસ્ત્રમાં ગો એટલે ગાય કહેવામાં આવી છે. ગાયને આપણે તીર્થ કહીએ છીએ.
 
રાજસ્થાન ધીર સંતગણ મીરાં, મહારાણા પ્રતાપ આદિ અનેક વીરપુરુષોની ભૂમિ છે.જેહદિનિ રામ જનમ શરુતગિવાહી, તીરથ સકલ તહાં ચલિ આવહી ॥ જ્યા રામકથા થાય છે ત્યાં બધાં તીર્થ હોય છે. ભાગવતજીમાં ઉદ્ધવના સંવાદમાં આવ્યું. લાભૌ ભક્તરુતતમા. ઉત્તમ પુરુષની ભક્તિ જેવો કોઈ લાભ નથી. રામદેવપીર એક ઉત્તમ પુરુષ છે. હું નાનો હતો ત્યારે ગામમાં રામદેવપીરનું આખ્યાન સાંભળવા જતો. રણુજાના રાજા અજમલજીના બેટા, વિરમદેના વીરા, રાણી નેતલના ભરથાર મારો હેલો સાંભળોજી. રામાપીર... આખી રાત હેલાની હેલીમાં ભીંજાયા કરતા. રામદેવપીરના નવરાત ઉત્સવ મનાવવામાં આવતા હતા. ચોવીસ પરચા અને ચોવીસ ફરમાન આપ્યાં હતાં. મને કેવળ સ્થૂળ ચમત્કારમાં રસ નથી. રોજ સવારે સૂરજ નીકળે એ મારા માટે ચમત્કાર છે. રોજ ફૂલ ખીલે એ બહુ મોટો પરચો છે. એક માણસ બીજા માણસને મળે એ બહુ મોટો મિરેકલ છે. જે ઘોડા પર બાબા બિરાજમાન હતા એ લીલુડો ઘોડો છે. લીલું એટલે હરિયાળા રંગનું. શબ્દકોશમાં ઘોડાનો એક અર્થ છે મન. માણસનું મન અશ્ર્વ છે. મન ચંચળ છે. આ દુનિયામાં જેનું મન હરિયાળું હશે, પવિત્ર હશે એના ઉપર બાબા આવીને બેસશે.
 
નાના મોટા ચમત્કાર તો આજનું વિજ્ઞાન પણ કરી શકે છે. આ મહાન જ્યોતિએ અસ્પૃશ્યતાનો નિષેધ કર્યો, જેમણે વર્ણભેદ, ધર્મભેદ, અંધશ્રદ્ધાનો નાશ કર્યો. બાબા અજમલરાયને ઘરે ગયા કારણ કે અજમલ ભક્તિ કરે છે. અજ એટલે અજન્મા ઈશ્ર્વર, મલ એટલે મેલ. જેમના જીવનમાં મેલ, ગંદકી ન રહ્યાં હોય એવા પવિત્ર ઘરે બાબા પ્રગટે છે. દ્વારકાધીશના પૂજારીએ તો કેવળ ટાળવા માટે કહ્યું, આ દરિયામાં જે જાય એ ભગવાનના દર્શન કરી શકે. સિંધુમાં રહે છે પરમાત્મા. તો પૂજારીને અજમલરાયએ પૂછ્યું કે મારી પહેલાં કોઈ ગયું છે ? તો પૂજારીએ કહ્યું, હા, એક પીપાજી ગયા છે. કેવળ ટાળવા માટે જ કહ્યું અને અજમલરાયે વિશ્ર્વાસપૂર્વક એ વાતને પકડી લીધી. અને બધા કથાથી પરિચિત છો. રામદેવપીરે તો સભ્યતાનો બહુ મોટો સંગમ કર્યો છે. એક બહુ જ મોટો મેસેજ આપ્યો છે સેતુનો, સમન્વયનો. પીર એટલે કિનારો, તીર. આપણને ડૂબવા ન દે. તારી દે. કિનારા પર લાવી દે.
 
- આલેખન - હરદ્વાર ગોસ્વામી