- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચૌરીચોરાના શતાબ્દી મહોત્સવનાં શુભારંભ નિમિત્તે વિશેષ
- ચૌરીચોરા Chauri Chaura જનવિદ્રોહ જેના વગર ભારતીય સ્વાતંત્રતાના ઇતિહાસની વાત અધૂરી છે
ઇતિહાસમાં ચૌરીચૌરા ( Chauri Chaura ) ની ઘટના આજથી ૧૦૦ વર્ષ પહેલા થઇ હતી. આ પ્રસંગને શતાબ્દી મહોત્સવ તરીકે મનાવાઇ રહ્યો છે. ચૌરી ચૌરામાં યોજાનારા શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સત્યાગ્રહીઓના પરિવારના સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૌરીચોરાની અદ્ભૂત ઘટના વિશે જાણીએ.
ચૌરીચૌરા ( Chauri Chaura ) ની ઘટના શું હતી ?
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની પાસે એક કસ્બો છે તે ચૌરીચૌરા ( Chauri Chaura ) તરીકે ઓળખાય છે. ઇતિહાસની તે ઘટનાએ મહાત્મા ગાંધીને એટલી હદે પરેશાન કર્યા હતા કે તેમણે પોતાનું અસહયોગ આંદોલન પાછું ખેંચી લેવાનું નક્કી કર્યું. ચૌરીચૌરાના બનાવે બ્રિટિશ શાસનને હચમચાવી નાખ્યું હતું. તે દિવસોમાં અસહયોગ આંદોલન ચરમસીમાએ હતું, હકીકતમાં, ગાંધીજીએ બ્રિટિશ શાસનના વિરોધમાં અસહયોગ આંદોલન શરૂ કર્યું હતું. તે સમયે ચૌરીચૌરા બ્રિટિશ કાપડ અને અન્ય વસ્તુઓની મંડી હતું. આંદોલન હેઠળ દેશવાસીઓ બ્રિટિશ ઉપાધિઓ, સરકારી શાળાઓ અને અન્ય વસ્તુઓનો ત્યાગ કરી રહ્યા હતા. જે અંતર્ગત સ્થાનિક બજારમાં પણ વિરોધ પ્રદર્શન જારી રહ્યું હતું.
૨ ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ પોલીસે આંદોલનકારીઓના બે નેતાઓની ધરપકડ કરી હતી. તેના વિરોધમાં ૪ ફેબ્રુઆરીના રોજ લગભગ ૩૦૦૦ આંદોલનકારીઓએ પોલીસ સ્ટેશન સામે દેખાવો કરી બ્રિટિશ શાસન સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. અહીં ૪ ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ ચૌરીચૌરા ( Chauri Chaura ) ના ભોપા માર્કેંટમાં સત્યાગ્રહી એકત્રિત થયા. જ્યારે તેઓ શાંતિ માર્ચ કાઢી રહ્યા હતા ત્યારે બ્રિટિશ સરકારની એક પોલીસચોકીએ તેને ગેરકાયદેસર જાહેર કરી દીધી. ઘટનાસ્થળ પર રહેલા એક પોલીસ કોન્સ્ટેબલે ગાંધી ટોપીને પગ વડે કચડી નાંખી, જેના કારણે સત્યાગ્રહી આક્રોશમાં આવી ગયા. ભારતીયોએ બ્રિટિશ સરકારની એક પોલીસ ચોકીને આગ લગાડી હતી. જેના કારણે ત્યાં છુપાયેલા ૨૨ પોલીસ કર્મચારીઓ જીવતા બળીને મૃત પામ્યા હતા. આ ઘટના ચૌરીચૌરા કાંડ તરીકે ઓળખાય છે.આ ઘટનાના પરિણામે ગાંધીજીએ કહ્યું હતું કે આ હિંસા કરી હોવાને કારણે અસહકાર ચળવળની જરૂરિયાત લાગતી નથી અને તેને પાછી ખેંચી લીધી હતી.
આ ઘટના બાદ તરત જ ગાંધીજીએ અસહકાર આંદોલન સમાપ્ત કરવા માટે જાહેરાત કરી હતી. ઘણા લોકોને ગાંધીજી (Gandhiji) નો આ નિર્ણય યોગ્ય લાગ્યો ન હતો. ખાસ કરીને ક્રાંતિકારીઓ દ્વારા તેનો સીધી કે આડકતરી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ૨૨ પોલીસ કર્મચારી જીવતા સળગી ગયા હતા. ત્યારબાદ ગોરખપુર કોર્ટેં ૯ જાન્યુઆરી ૧૯૨૩ના રોજ ચુકાદો આપ્યો. તેમાં ૧૭૨ લોકોને દોષિત ઠરાવવામાં આવ્યા હતા અને તમામને ફાંસી આપવાનો ચુકાદો આપ્યો હતો અને ૪૭ લોકોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ આ ચુકાદાના લઈને વિરોધ થતાં ફરીથી કોર્ટેં ચુકાદો આપ્યો આ કેસ ૮ મહિના સુધી ચાલ્યો હતો. અને બાદમાં ૨૦ એપ્રિલ ૧૯૨૩ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટેં ચુકાદામાં ફેરફાર કરીને ૧૯ લોકોને ફાંસી અને ૧૧૦ લોકોને આજીવન કેદ તેમજ બાકીના લોકોને લાંબી કેદની સજા આપી હતી. આ ઘટનામાં જીવ ગુમાવનાર સત્યાગ્રહીઓને શહીદ માનવામાં આવ્યા હતા. ચૌરીચૌરા વિદ્રોહ ( Chauri Chaura Janvidroh ) ને અત્યાર સુધી ‘કાંડ’ના રૂપમાં યાદ કરાતો હતો, પણ વડાપ્રધાન શહીદોના સન્માનમાં નવી વ્યાખ્યા કરશે. હવેથી આ ઘટના જનવિદ્રોહ કહેવાશે.
આ ૧૯ લોકોને આપવામાં આવી હતી ફાંસી
અબ્દુલ્લા ઉર્ફેં સુખી, ૨. ભગવાન આહિર, ૩. વિક્રમ આહિર, ૪. દુધાઈ, ૫. કાલીચરણ, ૬. લાલ મુહમ્મદ, ૭. લવતુ, ૮. મહાદેવ, ૯. મેઘુ તિવારી ઉર્ફેં લાલબિહારી, ૧૦. નઝર અલી, ૧૧. રઘુવીર , ૧૨. રામલગન, ૧૩. રામરૂપ, ૧૪. રૂદાલી, ૧૫. સહદેવ, ૧૬. સંપત, ૧૭. સંપત આહિર, ૧૮. શ્યામસુંદર, ૧૯. સીતારામ.