દુનિયામાં રાજાઓ તો ઘણા થયા છે, એમાંય ખાસ કરીને ભારતમાં હિન્દુત્વની રક્ષા તો ઘણા રાજાઓએ કરી છે, જેઓ ભારતીય સંસ્કૃતિની શાન છે, પણ વાત જ્યારે હિન્દુત્વની આવે તો એક નામ સામે આવે છે. બાજીરાવ પ્રથમ. આ મહાન યોદ્ધાએ ભારતમાં સૌથી વધારે ૪૧ વિજયો મેળવ્યા છે. પોતાની આગવી પ્રતિભા અને આગવી તાકાતથી તેમણે માત્ર મુસ્લિમોથી ભારતને નથી બચાવ્યું પણ વારાણસી, સોમનાથ જેવાં આપણાં જ્યોતિર્લિંગો બચાવીને એમને ભયમુક્ત કર્યાં હતાં. આ સિવાય અનેક હિંદુ મંદિરોની તેમણે રક્ષા પણ કરી હતી.
૨૭ ઓગસ્ટ ૧૭૨૭ના રોજ, બાજીરાવે નિઝામને પાઠ ભણાવવા કૂચ શરૂ કરી. તેમજલના, બુરહાનપુર અને ખાનેશ જેવા નિઝામના ઘણા પ્રદેશોમાં દરોડા પાડ્યા અને બધાને મારી ભગાવ્યા હતા. ૨૮ ફેબ્રુઆરી, ૧૭૨૮ના રોજ પાલખંડના યુદ્ધમાં બાજીરાવ અને નિઝામની સેનાઓ એકબીજાની સામે આવી. નિઝામને હારનો સામનો કરવો પડ્યો. ૨૯ નવેમ્બર, ૧૭૨૮ના રોજ ચિમાજીની સેનાએ આમજેરાના યુદ્ધમાં મોગલોને પરાજિત કર્યા.
બુંદેલખંડમાં છત્રસાલે મોગલ સામ્રાજ્ય સામે બળવો કર્યો હતો અને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ડિસેમ્બર ૧૭૨૮માં, મોહમ્મદ ખાન બંગુશના નેતૃત્વમાં મોગલની સેનાએ તેને હરાવી અને તેના પરિવારને કેદ કરી દીધો. છત્રસાલે બાજીરાવની મદદ માંગી. માર્ચ ૧૭૨૯માં, પેશ્ર્વાએ છત્રસાલની વિનંતીનો જવાબ આપ્યો અને બુંદેલખંડ તરફ પ્રયાણ કર્યું.
મોહંમદખાનને ધૂળ ચટાવી બંગાશને બુંદેલખંડ છોડવાની ફરજ પાડી. બુંદેલખંડના શાસક તરીકે છત્રસાલની સ્થિતિ પુનઃસ્થાપિત થઈ.
જંજીરાના સિદ્દીઓએ ભારતના પશ્ર્ચિમ કિનારે આવેલા એક નાનકડા પણ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ક્ષેત્રને નિયંત્રિત કર્યું. તેઓ મૂળમાં ફક્ત જંજીરા કિલ્લો ધરાવતા હતા. પરંતુ શિવાજીના દેહાવસાન પછી તેઓએ તેમનું શાસન મધ્ય અને ઉત્તર કોંકણ ક્ષેત્રના મોટા ભાગમાં વિસ્તૃત કરી દીધું હતું. ઈસવીસન ૧૭૩૩માં સિદ્દી પ્રમુખ યાકુત ખાનના અવસાન પછી તેમના પુત્રો વચ્ચે ઉત્તરાધિકારનું યુદ્ધ શરૂ થયું. તેમના એક પુત્ર અબ્દુલ રહેમાને બાજીરાવને મદદ માટે વિનંતી કરી. બાજીરાવે સેખોજી આંગ્રે (કાન્હોજી આંગ્રેનો પુત્ર)ની આગેવાની હેઠળ મરાઠા દળ મોકલ્યું. મરાઠાઓએ કોંકણમાં અનેક સ્થળો પર ફરીથી નિયંત્રણ મેળવ્યું અને જંજીરાને ઘેરી લીધું અને સિદ્દીઓને હરાવ્યા. જો કે, પેશ્ર્વાના સાતારા પાછા ફર્યા પછી તરત જ સિદ્દીઓએ તેમના ખોવાયેલા પ્રદેશો ફરીથી મેળવવા માટે આક્રમણ શરૂ કર્યું. જૂન ૧૭૩૪માં બાજીરાવે તેમનાં રાયગઢનો કિલ્લો કબજે કરવાથી બચાવવા માટે એક સૈન્ય રવાના કર્યું. ત્યારબાદ ૧૯ એપ્રિલ ૧૭૩૬ના રોજ ચિમનાજીએ રેવાસ નજીક સિદ્દી છાવણી પર આશ્ર્ચર્યજનક હુમલો કર્યો, જેમાં તેમના નેતા સિદ્ધી સત સહિત આશરે ૧૫૦૦ લોકો માર્યા ગયાં. ૨૫ સપ્ટેમ્બરના રોજ સિદ્દીઓએ શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
૧૨ નવેમ્બર ૧૭૩૬ના રોજ પેશ્ર્વાએ પૂનાથી મુગલની રાજધાની દિલ્હી તરફ કૂચ શરૂ કરી. મરાઠા સૈન્યની આગળ વધવાની વાત સાંભળીને, મોગલ બાદશાહે સઆદત અલી ખાન ૧ને આગ્રાથી કૂચ કરવા અને મરાઠાની આગોતરી ચાલ તપાસવા કહ્યું.. મરાઠા સરદારો મલ્હાર રાવ હોલકર અને પીલાજી જાધવે યમુનાને પાર કરી અને ગંગા-યમુના દોઆબમાં મોગલ પ્રદેશોને સ્વાતંત્ર્ય કરાવ્યાં. ત્યારબાદ મરાઠાઓએ ર૪ ડિસેમ્બર, ૧૭૩૭ના રોજ ભોપાલની લડાઈમાં મોગલોને પરાજિત કર્યા હતા. ફરી એકવાર નિઝામને ૭ જાન્યુઆરી, ૧૭૩૮ના રોજ દોરાહા ખાતે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાની ફરજ પડી હતી. માલવા પ્રાંત ઔપચારિક રીતે મરાઠાઓને સોંપવામાં આવ્યો હતો અને મોગલો રૂપિયા પ૦,૦૦,૦૦૦ નુકસાન ભરપાઈ તરીકે ચૂકવવા સંમત થયા હતા. આ વખતે નિઝામે સંધિનું પાલન કરવાના કુરાનના શપથ લીધા હતા !
આમ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા સ્થાપિત હિન્દુ પદપાદશાહી અંતર્ગત હિન્દુ સામ્રાજ્યના પુનઃઉત્થાનમાં બાજીરાવ પ્રથમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેઓએ પોતાનાં શાનદાર સૈન્ય અભિયાનો થકી હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન બનાવી દીધું હતું. મહાન મરાઠા સેનાપતિ અને રાજનીતિજ્ઞ પેશ્ર્વા બાજીરાવે ૧૮મી સદીના મધ્યે પોતાનાં પરાક્રમોથી ભારતનું માનચિત્ર જ બદલી નાખ્યું હતું.