જાણો તુલસીના આયુર્વેદિક પ્રયોગ | તુલસી અને તેના અદભુત ફાયદાઓ...

આવા તો બીજા અનેક રોગો પર અદ્ભુત પ્રયોગો છે, જે વિસ્તારથી અહીં સમાવી શકાયા નથી, પરંતુ એ વાત નિશ્ર્ચિત છે કે તુલસી અસાધ્ય કે કષ્ટસાધ્ય ગણાતા સર્વ રોગોનું રામબાણ ઔષધ છે, જેથી ઘરઘરમાં તે પૂજાય છે.

    21-Mar-2022
કુલ દૃશ્યો |
 
 

Benefits of Tulsi  
 

સર્વ રોગોનું અમોઘ ઔષધ : હરિપ્રિયા (તુલસી) | Benefits of Tulsi

 
સર્વરોગનું એક ઔષધ કે જે સર્વત્ર સુલભ હોય અને બિલકુલ નિર્દોષ હોય તો તે છે તુલસી. તુલસીને આયુર્વેદમાં ‘હરિપ્રિયા’ તરીકે ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ઔષધની ઉત્પત્તિથી ભગવાન વિષ્ણુના મનનો સંતાપ દૂર થયો હતો. તેથી તેને હરિપ્રિયા એવું નામ આપવામાં આવ્યું છે. તુલસીના આધ્યાત્મિક મહત્ત્વની સાથે સાથે તેના ઔષધીય ઉપયોગો એટલા બધા છે કે અનેક વૈજ્ઞાનિકોએ તેનો અભ્યાસ કર્યો છે. વેલ્થ ઓફ ઇન્ડિયાના મત અનુસાર તુલસીનો રસ કેટલાય પ્રકારના જીવાણુઓનો નાશ કરે છે. તેમાં મુખ્ય છે સ્ટેફિલો કોક્સ ઓરિયસ સાલ્મોને લાટાઈફોસા અને એસ્કેરેશિયા કોલાઈ. વળી, આજના સમયમાં તો તુલસીના ડાયાબિટીસ ઉપર, કેન્સર ઉપર, ક્ષય ઉપર, ધાતુક્ષીણતા ઉપર તથા અનેક સ્ત્રીરોગો ઉપર પ્રયોગો ચાલી રહ્યા છે. વિશેષતઃ વિષમજ્વર, શરદી વગેરે ઉપર તુલસી ખૂબ જ અદ્ભુત પરિણામ આપે છે. વૈજ્ઞાનિકો રોગનાશક ઔષધોમાં તુલસીને મોખરે ગણાવે છે.
 
ગુણોની દૃષ્ટિએ તો તુલસીને સંજીવની બુટ્ટી ગણાવાઈ છે. તુલસી અકાળ મૃત્યુનું હરણ કરનારી અને સમસ્ત રોગોને દૂર કરનારી માનવામાં આવે છે.
 
તુલસીનું પંચાંગ ઔષધ તરીકે વાપરવામાં આવે છે. તુલસીના વપરાશનું દૈનિક પ્રમાણ નીચે મુજબ રાખવું, જેમાં તુલસીનો રસ ૧૦થી ૨૦ ગ્રામ, તુલસીબીજનું ચૂર્ણ ૧થી ૨ ગ્રામ તેમજ તેનો ઉકાળો ૧થી ૨ ઔંસ જેટલો ઉપયોગમાં લઈ શકાય છે.
આજે અહીં કેટલાક રોગો ઉપર તુલસીના ખૂબ સરળ પ્રયોગ બતાવું છું, જેમાં,
 
(૧) અવાજ બેસી જવો : જેનો અવાજ બેસી ગયો હોય, ખૂબ ખાંસી આવતી હોય તેણે તુલસીના મૂળને સોપારીની જેમ ચૂસી ધીમે ધીમે તેનો રસ ઉતારવો.
 
(૨) તીવ્ર ખાંસી : કાળા તુલસીનો રસ લગભગ દોઢ ચમચી લઈ તેમાં થોડું કાળાં મરીનું ચૂર્ણ મેળવી પીવડાવવાથી ખાંસીનો વેગ એકદમ શાંત થઈ જાય છે.
 
ફેફસાંમાં કફનો ખડખડ અવાજ આવતો હોય અને સાથે ખાંસી આવતી હોય તો તુલસીનાં ૪ ગ્રામ સૂકા પાન ખડી સાકર સાથે દર્દીને ખવડાવવાં.
 
(૩) હેડકી અને શ્ર્વાસ-દમ : આ પ્રકારની તકલીફોમાં તુલસીનો રસ લગભગ ૧૦ ગ્રામ અને મધ ૫ ગ્રામ મેળવી સવાર-સાંજ પીવડાવવું.
 
(૪) વિષમજ્વર : વિષમજ્વરમાં તુલસીનાં પાનનો ઉકાળો ૩-૩ કલાકે પીવાનું વિધાન આયુર્વેદમાં છે. અથવા તો ૩ ગ્રામ તુલસીનો રસ મધની સાથે ૩-૩ કલાકના અંતરે લેવો.
 
હલકા તાવ સાથે કબજિયાત પણ હોય તો તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ ૫થી ૧૦ ગ્રામ બંનેના મિશ્રણને થોડું ગરમ કરીને દિવસમાં બે કે ત્રણવાર જરૂરિયાત પ્રમાણે લેવું જેથી તાવ અને કબજિયાત બંને મટે છે.
 
(૫) ઊલટી : ઊલટી મટાડવા માટે તુલસીના રસનું મધ સાથે સેવન કરવું. સવારે ૧ વાર લેવાથી ન મટે તો દિવસમાં બે-ચાર વાર સેવન કરવું જોઈએ. પાચકરસો વધારવા માટે અપચો દૂર કરવા માટે તથા બાળકોના યકૃત સંબંધી રોગો માટે તુલસીના પાનનો રસ પીવડાવવામાં આવે છે. નાની એલાયચી, આદુંનો રસ અને તુલસીનાં પાનનો રસ મેળવીને પીવડાવવાથી ઊલટી બંધ થઈ જાય છે.
 
(૬) અતિસાર : ઝાડા થઈ ગયા હોય તો તુલસીનાં ૧૦ પાન અડધી ચમચી શેકેલા ખાવાના જીરા સાથે ભેળવીને મધ સાથે દિવસમાં ત્રણ વાર ચટાડવાથી લાભ થાય છે.
 
(૭) હરસ : હરસ-મસા તુલસીના રસનું સેવન અને તુલસીનાં પાન વાટી હરસ પર લેપ કરવાથી હરસ બેસી જાય છે.
 
(૮) મૂત્રરોગ : કોઈ પણ પ્રકારના પેશાબ સંબંધી રોગોમાં ૧૦ ગ્રામ તુલસીના રસનું સેવન કરવું જોઈએ. પેટનાં રોગોમા પેટમાં દર્દ થતું હોય તો તુલસીનાં પાન સાથે સાકર ચાવીને ખાવાથી તરત દર્દમાં આરામ મળે છે.
 
(૯) કુષ્ઠરોગ : તુલસીનાં પાનનો રસ દરરોજ સવારે પીવાથી કોઢ મટે છે. દાદર અને ખરજવામાં તુલસીના પંચાંગને લીંબુના રસમાં વાટી દર્દવાળા ભાગ ઉપર લેપ કરવો. શરીરે ફોલ્લા થતા હોય તો તુલસીનાં બીજ અને ગુલાબનાં ફૂલ બંને એક સાથે વાટીને પીવાથી આ પ્રકારના ફોલ્લા મટે છે.
 
(૧૦) ધાતુ દૌર્બલ્યમાં : ધાતુની દુર્બળતામાં તુલસીનાં બીજ ૧ ગ્રામ ગાયના દૂધ સાથે સવારે અને સાંજે આપવાથી ઘણો ફાયદો થાય છે. ધારોષ્ણ દૂધ (તરતનું દોહેલું દૂધ) ધાતુપુષ્ટિ માટે શ્રેષ્ઠ છે. નપુસંકતામાં તુલસીબીજનું ચૂર્ણ અથવા તુલસીનાં મૂળનું ચૂર્ણ તેમાં તેટલો જ (સરખા ભાગે) જૂનો ગોળ મેળવીને દરરોજ દોઢથી ત્રણ ગ્રામમાં પ્રમાણમાં ગાયના દૂધની સાથે પાંચથી છ અઠવાડિયાં સુધી લેવાથી લાભ થાય છે.
 
(૧૧) સર્પના વિષમાં : તુલસીના કોઈ પણ અંગનો ઉપયોગ સર્પવિષ ઉપર થઈ શકે છે. સર્પદંશથી પીડાતી વ્યક્તિને જો તુરંત જ તુલસીનું સેવન કરાવવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. જે સ્થાન પર ડંખ માર્યો હોય તે સ્થાન ઉપર તુલસીનાં મૂળને માખણ કે ચીઝમાં ઘસીને લેપ કરવામાં આવે તો ડંખમાંથી ઝેર આ લેપ ચૂસી લે છે. ડંખમાંથી જેમ જેમ ઝેર ચુસાતું જાય તેમ તેમ લેપનો રંગ સફેદ અને કાળો થાય છે. આમ લેપનો રંગ બદલાઈ જાય કે તરત તે લેપ કાઢીને પાછો તેની ઉપર બીજો તાજો લેપ કરી દેવો જોઈએ. આમ વારંવાર કરવાથી ડંખમાંનું તમામ ઝેર બહાર ખેંચાઈ આવે છે અને મનુષ્યનો જાન બચી જાય છે.
 
(૧૨) નષ્ટાવર્ત : ઘણી બહેનોને નાની ઉંમરમાં માસિક બંધ થઈ જાય છે. આવી તકલીફમાં ધીરજપૂર્વક તુલસીબીજ ૨-૨ ગ્રામ મધ સાથે સવાર-સાંજ લેવાથી માસિક ચાલુ થઈ જાય છે.
 
આવા તો બીજા અનેક રોગો પર અદ્ભુત પ્રયોગો છે, જે વિસ્તારથી અહીં સમાવી શકાયા નથી, પરંતુ એ વાત નિશ્ર્ચિત છે કે તુલસી અસાધ્ય કે કષ્ટસાધ્ય ગણાતા સર્વ રોગોનું રામબાણ ઔષધ છે, જેથી ઘરઘરમાં તે પૂજાય છે.
 
ડો . જહાન્વી ભટ્ટ