ચેરાપૂંજી નહી પણ હવે મૌસિનરામ દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે…
મેઘાલયમાં આવેલ મૌસિનરામ એ જગ્યા છે જેના વિશે એમ કહેવાય છે કે અહીં સૌથી વધુ વરસાદ પડે છે. મેઘાલયનું ચેરાપૂંજી આ માટે જાણીતું છે પણ આ વર્ષે અહીં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૦૦૩.૬ મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે અહીં જૂન મહિનામાં પડતા સરેરાશ વરસાદથી ૧૬ ગણો વધારે છે. આવો જાણીએ આ જગ્યા વિશે કે જ્યા દુનિયામાં સૌથી વધારે વરસાદ પડે છે. કેવું છે અહીંનું જનજીવન…? સમસ્યા…? કેવી રીતે જીવે છે અહીં ના લોકો…?
૧૬ જૂનની સવારથી ૨૪ કલાક માટે મેઘાલયના આ મૌસિનરામ વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે તેણે દુનિયાના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ૨૪ કલાકમાં અહીં ૧૦૦૩.૬ મીલીમિટર વરસાદ નોંધાયો છે. આ પહેલા વર્ષ ૧૯૬૬માં અહીં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૪૫.૪ મીલીમિટર વરસાદ પડ્યો હતો. આ વિસ્તાર ચેરાપૂંજીની નજીક આવેલ છે. મૌસિનરામને દુનિયાનો સૌથી ભેજવાળો વિસ્તાર પણ ગણવામાં આવે છે. આ માટે મૌસિનરામનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયું છે. જરા વિચારો જ્યાંનું વાતાવરણ સતત ભેજવાળું અને વરસાદવાળું રહેતું હોય ત્યાના લોકોનું જીવન કેટલું પડકાર જનક હશે.
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીના કારણે આ વિસ્તારનું વાતાવરણ આટલું ભેજવાળું રહે છે. અહીં વર્ષે ૧૧,૮૭૧ મિલીલીટર જેટલો વરસાદ થાય છે પણ આ વખતે કુલ વરસાદનો ૧૦ ટકા જેટલો વરસાદ ૧૬ જૂને એક જ દિવસમાં પડ્યો છે.
પહેલા દુનિયાનો સૌથી વધુ વરસાદ ચેરાંપૂંજીમાં પડતો હતો પણ હવે ચેરાંપૂંજીનું સ્થાન મૌસિમરામે લીધું છે જ ચેરાંપૂજીથી માત્ર ૧૫ કિલોમીટરના અંતરે જ આવેલું છે. ઉલ્લેખનીય છે કે કોબંબિયાના આઈઓરો અને લોપેલ ડે મિસી શહેરમાં પણ વધુ વરસાદ પડે છે પણ ભારતના ચેરાંપૂજી અને મૌસિમરામ પછી તેનો નંબર આવે છે. જોકે હવે અહીં વરસાદ ઘટી ગયો છે.
કેવું છે અહીંનું જીવન?
આપણે બે દિવસના વરસાદમાં કંટાળી જઈએ છીએ ત્યારે જરા વિચારો અહીં બારેમાસ વરસાદ પડે છે અને એ પણ ધમાકેદાર. ઉલ્લેખનીય છે કે જે વિસ્તારનું જેવું વાતાવરણ હોય તે પ્રમાણે જ ત્યાંના લોકોનું જીવન હોય છે. વાતાવરણ પ્રમાણે લોકોની જીવનશૈલી ઘડાઈ જતી હોય છે. મૌસિનરામ અને ચેરાપૂંજીમાં વાતાવરણ હંમેશાં ભેજવાળુ રહે છે એટલે અહીંનો લોકો તેનાથી ટેવાઈ ગયા છે અને તેમની જીવનશૈલી તેને આધારિત ઘડાઈ ગઈ છે.
અહીંના લોકોની રહેણી-કહેણી, ખોરાક, પોષાક, કામ-કાજ બધું આ વાતાવરણ પ્રમાણે વિકસિત થયું છે. અહીં સતત વરસાદ થવાના કારણે ખેતી કરવી શક્ય નથી માટે અહીં બધો સામાન બીજા ગામમાંથી લાવવો પડે છે. સતત ભેજવાળું વાતાવરણ હોવાથી બધો સામન પ્લાસ્ટિકમાં પેક કરીને રાખવો પડે છે. પ્લાસ્ટિકની મોટી થેલી, રેનકોટ, છત્રી સાથે રાખવી પડે છે. અહી જે પણ સામાન વેચાય છે તેને ભેજમુક્ત રાખવા માટે ખૂબ કાળજી રાખવી પડે છે. જો સામાન ખુલ્લો રાખવામાં આવે તો તેમા ભેજ જતો રહે છે અને તે સામાન કે ખાવાની વસ્તું બગડી જાય છે. અહીંના લોકો હંમેશાં વાંસમાંથી બનેલી છત્રી જોડે રાખે છે. જેને આ સ્થાનિક લોકો કનૂપના નામે ઓળખે છે. વરસાદના કારણે અહીંના લોકોનું જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું રહે છે. પ્રાકૃતિક સૌંદર્ય અહીંનું અદભુત છે આ માટે આ સ્થળ પ્રસિદ્ધ છે પણ સ્થાનિક લોકો માટે તેજ પડકાર જનક સાબિત થાય છે.
વરસાદમાં ભેજવાળું વાતારવણ, અઢળક ઝરણાં, વાદળોથી ભરેલું આકાશ….આનો આનંદ જ અલગ હોય છે. અહીંની માવજિમ્બુઇનની પ્રાકૃતિક ગુફાઓ પણ પ્રસિદ્ધ છે. જો કે વરસાદ વધુ પડતો હોવાથી અહીં પ્રવાસીઓ વધારે આવતા નથી. પ્રવાસીઓને આકર્ષે તેવું કુદરતી સૌંદર્ય અહીં છે પણ સગવડતા માટેની કોઇ સુવિધા અહીં નથી. અહીં નદી કે ઝરણાં પર બાંધેલા પુલ પણ વાંસમાંથી બનેલા છે. ખરાબ હાલાતમાં છે પણ ટૂટે એવા નથી હોતા. હા મુંબઈ, બેંગલોર શહેર જેવા પુલ અહીં નહી મળે. ભોજન અને હોટલની સુવિધાઓ પણ અહીં ખાસ વિકસી નથી. જો અહીં પ્રવાસીઓ માટે થોડી સુવિધાઓ વધાવામાં આવે તો અહીં પ્રવાસનનો વિકાસ થાય એવો છે. જેનાથી સ્થાનિકોને રોજગારી મળી શકે છે. પણ ચિંતાનો વિષય એ પણ બની શકે કે પ્રવાસન વધશે તો પર્યાવરણને નુકસાન ન થાય.
મૌસિનરામ કેવી રીત પહોંચાય?
મૈસિનરામ ગુવાહાટી અને શિલાંગ જતા માર્ગ સાથે જોડાયેલ છે. ગુવાહાટીથી આ વિસ્તાર ૧૫૫ કીલોમીટર દૂર છે. ૪ કલાકમાં તમે આ માર્ગ થકી પહોંચી શકે અને શિલાંગથી આ વિસ્તાર માત્ર ૬૦ કીલોમીટર દૂર છે. અહીંથી માત્ર ૨ કલાકમાં તમે રોડ માર્ગે પહોંચી શકો છો.