પરંપરાઓ પર પ્રહાર
સામાયિકો - અખબારો વગેરેનું કામ સત્ય પીરસવાનું અને સમાજનું ઘડતર કરવાનું છે. સાચા સમાચારો ઉપરાંત ઐતિહાસિક વાર્તાઓ કે કાલ્પનિક વાર્તાઓમાં પણ વાચકોમાં સંસ્કાર સિંચન થાય તે પ્રકારના પ્રયત્નો કરવાની મીડિયાની ફરજ છે. પરંતુ કેટલાક સામયિકો સમાજ ઘડતર કરવાને બદલે સમાજને ભ્રમિત કરે છે. હિન્દુ સંસ્કૃતિને છિન્ન-ભિન્ન કરી મનઘડંત વાતો ફેલાવે છે તથા બાળકો, મહિલાઓ, યુવાનો વગેરેને ગેરમાર્ગે દોરે છે. પ્રખ્યાત સામયિક પાંચજન્યમાં આ વિશે છણાવટ કરતો લેખ પ્રકાશિત થયો છે. પ્રસ્તુત છે તેના કેટલાક અંશો.
સમાચારપત્રો અને સામયિકોને સમાજનો અરીસો (દર્પણ) માનવામાં આવે છે, કેમ કે તેઓ સમાજનું ન માત્ર ઘડતર કરે છે, પરંતુ લોકોનું બૌદ્ધિક સ્તર ઊંચું લઈ જવામાં સફળ નીવડે છે, પરંતુ દુઃખદ બાબત એ છે કે, કેટલીક પત્રિકાઓ કે સામયિકો હવે વધુ પડતી છૂટ લઈ, સમાજમાં અશ્ર્લીલતા પ્રસારવાનું કાર્ય કરી રહ્યાં છે. વળી, આ પ્રયાસો પ્રગતિશીલતાના નામ પર થઈ રહ્યા છે. તેમાં પ્રગટ થતા લેખોના વાચન, મનન અને ચિંતન ઉપરથી જણાઈ આવે છે, એ લેખો લખનારાઓ પોતાના અંગત જીવનમાં એવી વિચારસરણી કે મનોવૃત્તિનો સ્વીકાર કરી શકે જ નહીં.
કેટલાક લેખકો વાચકોને એવી વાચનસામગ્રી પીરસે છે કે, જેમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાઓની વિરુદ્ધમાં તેમની લેખનકલા અને શૈલીનું પ્રતિબિંબ પડતું હોય છે. દા.ત. કેટલાંક સામયિકો તો એક ખાસ વિચારસરણીને અપનાવીને જે તે સમયની પ્રવર્તમાન સરકારની વિરુદ્ધમાં ભૂમિકા તૈયાર કરતાં હોય છે, અથવા તો એકતાના તાંતણે ગૂંથાયેલ સંયુક્ત પરિવારના તાણાવાણાને નષ્ટપ્રાયઃ કરવાની જ ભૂમિકા નિભાવે છે. દૃષ્ટાંત રૂપે દિલ્હી પ્રેસ દ્વારા પ્રકાશિત પત્ર-પત્રિકાઓને પણ આ શ્રેણીમાં મૂકી શકાય. ‘ગૃહશોભા’, ‘સરિતા’ વગેરેમાં પ્રસિદ્ધ થતા લેખો, ફોટોગ્રાફ્સ ઇત્યાદિનું અવલોકન પણ કરવા જેવું ખરું. એ જ રીતે વિવિધ ભાષાઓમાં પ્રગટ થતું બાળકો માટેનું ‘ચંપક’ સામયિક પણ શું બાળકોને ભારતીય સંસ્કૃતિ અને ભારતની ઉચ્ચતમ પરંપરાઓ તથા મૂલ્યો પ્રતિ આદરભાવ શીખવવાનું કરે છે ખરું ?
ઈ.સ. ૨૦૧૯ના ઓક્ટોબરમાં પ્રકાશિત થયેલ ‘ચંપક’ના અંકમાં એક એવી વાર્તા છાપવામાં આવી હતી કે જેમાં કાશ્મિરમાં ત્યાંના સ્થાનિક લોકોને ભૂખનો સામનો કરવો પડે છે. લોકોને કામ વગર બેરોજગાર બનીને રહેવું પડે છે અને ત્યારે પણ બહારનાં (બીજાં રાજ્યોનાં) લોકો અહીં આવશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે ? આ વાર્તાનું કથાનક લેખકે ત્યારે રજૂ કર્યું હતું કે, જ્યારે ભારત સરકારે આટઆટલાં વર્ષો પછી જમ્મુ-કાશ્મિર રાજ્યને જ લાગુ પડતી આપણા બંધારણની કલમ ૩૭૦ને નાબૂદ કરી હતી અને એ ઐતિહાસિક દિવસ (તારીખ : ૫ ઓગસ્ટ, ૨૦૧૯) યાદગાર બની ગયો હતો કેમ કે ૭૦ વર્ષોથી કાશ્મિર રાજ્ય પ્રત્યેની તુષ્ટિકરણની નીતિ ઉપર સર્વપ્રથમ વાર પ્રહાર થયેલો અને સમગ્ર ભારતની એકતા પરિપૂર્ણ તથા સુદૃઢ બનેલી. બાળકોના મનમાં ખરેખર ભારતની એકતા પરિપૂર્ણ થઈ છે એ વાત દૃઢ કરવાને બદલે ત્યાં હજુ પણ ભૂખમરો, બેકારી, ગરીબી છે, તેવી વિચારધારા રજૂ કરવી એ બાળકોના મનમાં કેવી ગ્રંથિ પેદા કરે ? આપણે સૌ જાણીએ છીએ કે, કાશ્મિરની ખીણમાં વસતા હિન્દુઓને શા માટે સ્થળાંતર કરીને જતા રહેવા માટે મજબૂર બનવું પડેલું અને નિરાશ્રિત અવસ્થામાં કેવું ભટકવું પડેલું ? કાશ્મિરમાં પ્રસરેલા આતંકવાદે એ રાજ્યની કેવી દુર્દશા
કરેલી ? સંરક્ષણ અને સલામતીની સામે કેવો પડકાર સર્જેલો ? કાશ્મિરમાં નાગરિકોની સાથે કેવા અત્યાચારો થયેલા, તેની વાત સુધ્ધાં એ વાર્તાલેખકને કેમ યાદ નહીં આવી હોય ! આ જ સામયિકે બાળકોને રીતસર ભડકાવવા અને તેમના મનમાં ઝેર ભરી દેવા લખવામાં આવેલું કે, કાશ્મિર રાજ્યના વિશેષ દરજ્જાને નાબૂદ કર્યા પછી પણ તેની ઘાટીમાં સ્થિતિ સારી નથી. હજારો સૈનિકોની ટુકડીઓને કાશ્મિરમાં મોકલવામાં આવી છે. ઠેર ઠેર કરફ્યુ લાદવામાં આવ્યો છે, એટલું જ નહીં, ટેલિફોન લાઈનો અને ઇન્ટરનેટ ઠપ કરી દેવામાં આવેલ છે. આ બધું લખવાની ક્યાં જરૂર હતી ? સુરક્ષાની દૃષ્ટિએ કાશ્મિર જનતાની સલામતીની દૃષ્ટિએ જે આવશ્યક હોય તે પગલાં સરકાર ભરે જ, એમાં ખોટું પણ શું છે ? નાનાં કુમળાં બાળકોનાં મનમાં ભારત સરકાર વિરુદ્ધ આ બધી બાબતો ભરી દેવાની શી જરૂર હોય ? એ જ રીતે ફેબ્રુઆરી, ૨૦૨૨ના ‘ચંપક’ના અંકમાં એક ચીકુ નામની ચિત્રકથા છાપી છે, જેમાં પૂજાપાઠ કરવાવાળા બ્રાહ્મણોને પહેલાં તો સૂઅરના સ્વરૂપે દર્શાવાયેલ છે અને પછી તેમને કામચોર રૂપે રજૂ કરાયા છે અને તેમાં એવું રજૂ કરાયેલ છે કે તેઓ માત્ર નાણાં મેળવવા માટે કામ કરે છે. આ સામયિક ખ્રિસ્તી પાદરીઓ કે મૌલવીઓની કાર્યપદ્ધતિ સામે ચૂપ રહે છે. થોડાક સમય પૂર્વે કેનેડામાં કોણ જાણે કેટલાક બાળકોનાં અસ્થિઓ માં હતાં, જે સંભવ છે કે ધાર્મિક ક્રિયાકાંડોના કારણસર ભોગ બન્યાં હોય ! પરંતુ એ બધી બાબતો અંગે આ સામયિક જરા સરખો પણ ઉલ્લેખ કરવાની તસ્દી લેતું નથી.
અશ્લીલતાનો પ્રસાર
દિલ્હી પ્રેસની અન્ય એક પત્રિકા ‘ગૃહશોભા’એ તો અશ્ર્લીલતા ફેલાવવામાં તમામ હદો પાર કરી દધી છે. ‘સરિતા’ પણ આ જ પ્રેસની પત્રિકા છે. આ બન્ને પત્રિકાઓનો ખાસ્સો મહિલા વાચકવર્ગ છે. પરંતુ આ બન્ને સામયિકો પણ ઘોર હિન્દુવિરોધી છે. એવી વાર્તા પણ છે કે આ પ્રેસનો માલિક હિન્દુ પરંપરાઓ, રીતિરિવાજોનો ઘોર વિરોધી છે. મહિલાઓને કથિત આભડછેટ, અંધવિશ્ર્વાસ વગેરેથી મુક્તિ અપાવવા માટે આ પ્રેસની સ્થાપના કરી હતી, પરંતુ તે કયા અંધવિશ્ર્વાસોથી મહિલાઓને મુક્તિ અપાવવાની વાત કરે છે તે અંગે ધ્યાન આપવા જેવું છે. એવું લાગે છે કે તેઓએ હિન્દુ ધર્મનાં સામાન્ય કર્મકાંડો, અનુષ્ઠાનો, ધર્મગ્રંથોને જ પછાત ગણી લીધા છે. આ સામયિકના લગભગ દરેક સંપાદકીયમાં તેના વિરુદ્ધ ભરપૂર ઝેર ઓકવામાં આવે છે. ગૃહશોભામાં મહિલાઓ માટે હંમેશા ઔરત શબ્દ જ વાપરવામાં આવે છે. ઔરત અરબી મૂળનો શબ્દ છે, જેનો અર્થ યૌનાંગ છુપાવીને રાખવાવાળી વસ્તુ થાય છે. મહિલાઓ માટે આવા શબ્દો વાપરી ‘ગૃહશોભા’ કયા મહિલા સશક્તિકરણની વાતો કરે છે ?
ફેબ્રુઆરી ૨૦૨૨ના સંપાદકીયમાં હરિદ્વારમાં આયોજિત ધર્મસંસદ અને યતિ નરસિમ્હાનંદ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યું છે કે, દરેક ધર્મમાં સૌથી મોટી ગ્રાહક ઔરતો જ હોય છે.
શબ્દોની બાજીગરી
‘ગૃહશોભા’ જેવી સામયિકોમાં જાણી જોઈ શબ્દોની બાજીગરી એવી રીતે કરવામાં આવે છે કે મુસ્લિમ અને ઈસાઈ જેવા અબ્રાહમિક મતોની ટીકા પણ હિન્દુ ધર્મ સાથે જોડાઈ જાય છે. ફેબ્રુઆરીના અંકના સંપાદકીયમાં લખ્યું છે કે ઔરતોને જન્મની સાથે જ પટ્ટી પઢાવી દેવામાં આવે છે કે તેઓને જે કાંઈ પણ મળી રહ્યું છે તે પૂજાપાઠને કારણે જ મળે છે અને પછી લખે છે કે ધર્મે ક્યારેય મહિલાઓને બરાબરીનો હક્ક આપ્યો નથી. આમ વાત સમગ્ર વિશ્ર્વની મહિલાઓની કરી છે, પરંતુ નિશાન માત્ર હિન્દુ ધર્મ પર જ તાકવામાં આવ્યું છે.
કાશ્મીરની સ્થિતિ વિશે ભ્રમ ફેલાવવા માટે બાળકો પાસેથી પત્રોની ઉઘરાણી કરવામાં આવી...વાંચો આ પત્ર
સંપાદક કયા ધર્મ પર આવા આરોપ લગાવી રહ્યા છે ? હિન્દુ ધર્મમાં હંમેશા મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. વૈદિક કાળથી લઈ અત્યાર સુધી હિન્દુ મહિલાઓ શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવતી આવી છે. હિન્દુ ધર્મમાં મહિલાઓને જે સન્માન આપવામાં આવે છે તે વિશ્ર્વમાં ક્યાંય મળતું નથી, પરંતુ દિલ્હી પ્રેસનાં સામયિકોમાં લખવામાં આવે છે કે, વૈદિક કાળથી જ તમામ પ્રાકૃતિક આપત્તિઓ માટે મહિલાઓને કારણભૂત માનવામાં આવે છે. ભારતમાં વરસાદ માટે મહિલાઓને નિર્વસ્ત્ર કરી તેની પાસે હળ હંકાવી ઇન્દ્ર દેવતાને ખુશ કરવાનું કૃત્ય પણ ધર્મના નામે કરવામાં આવે છે. સામાયિક આગળ લખે છે કે, અહિલ્યાને પથ્થર બનવું પડ્યું હતું, જ્યારે મહર્ષિ વાલ્મીકિ સ્પષ્ટપણે લખે છે કે અહિલ્યા શિલા સમ થઈ હતી. શિલા નહીં, પરંતુ આપણા દેશના વામપંથીઓ ભાવાર્થ પર નહીં શબ્દાર્થ પર વધારે ભાર મૂકે છે અને હિન્દુ ધર્મની પોતાની સુવિધા મુજબ વ્યાખ્યા કરે છે.
થોડા સમય પહેલાં ‘ગૃહશોભા’માં એક લેખ પ્રકાશિત થયો હતો જે વ્યભિચારની તમામ હદો પાર કરનાર હતો.
પરિવાર વ્યવસ્થા પર પ્રહાર
વિવાહ સંસ્થાના કેટલાક આધાર હોય છે તેમાં સૌથી મોટો અને મહત્ત્વનો આધાર જીવનસાથીની પરસ્પર એકબીજા પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણ જ હોય છે અને જ્યારે આ નિષ્ઠા અને સમર્પણ તૂટે છે ત્યારે વિવાહ પણ તૂટી જાય છે. બાળકો પરસ્પરના વિશ્ર્વાસનું જ રૂપ હોય છે ત્યારે ‘ગૃહશોભા’ જેવી પત્રિકાઓ પરિવાર જે રાષ્ટ્રનું પ્રથમ અને પાયાનું એકમ છે તેના પર પણ પ્રહાર કરતાં અચકાતું નથી.
ગૃહશોભાના એક અંકમાં લખવામાં આવ્યું છે કે લગ્ન પછી પણ પૂર્વ પ્રેમથી ગર્ભ રહી જાય તો શું કરવું જોઈએ ? ત્યાર બાદ આનાથી બચવા માટેના જાતજાતના ઉપાયો બતાવવામાં આવ્યા છે, જેમ કે આવું થાય ત્યારે સાસુથી કેમ બચવું, તમારે શું કહી ઘરેથી ગર્ભપાત માટે નીકળવું, તબિયત કેવી રીતે છુપાવવી ? એક-બે દિવસ આરામ કરવા કયું બહાનું કાઢવું ? ગર્ભપાત કેવી રીતે કરાવવો, મેડિકલી કે સર્જિકલી ? વગેરે વગેરે...
ચિત્રકથામાં એક પંડિતનું અપમાન...
ત્યારે સવાલ એ થાય છે કે શું ધર્મ અને પરિવાર સાથે આ પત્રિકાઓ આવી રીતે જ લખતી રહેશે ? શું આ પત્રિકાઓ પાસે વિમર્શના નામે એ શક્તિ હંમેશા રહેશે કે સરકાર દ્વારા ઉઠાવાયેલ પ્રત્યેક પગલાનો વિરોધ માત્ર એટલા માટે કરવો કે તે સરકાર તેમના રાજનૈતિક વિચારધારાનું પ્રતિનિધિત્વ નથી કરતી ? રશિયા યુક્રેન યુદ્ધ અને ભારતના વલણ અંગે પણ આ પત્રિકાએ ભારત સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રમાં અભૂતપૂર્વ સુધારા કર્યા છે અને તમામ સ્નાતક અભ્યાસક્રમો માટે પ્રવેશપરીક્ષા ફરજિયાત કરી દીધી છે. શિક્ષણવિદો આ પગલાની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. છતાં ‘સરિતા’ સામયિક આ પગલામાં પણ વાંધાવચકા કાઢતાં લખે છે કે, આ કદમ પછાતવિરોધી છે અને લખે છે કે, એકલવ્ય અને કર્ણ સાથે પણ આવું જ થયું હતું.
ગત એપ્રિલ મહિનામાં સરિતા સામયિકમાં એક લેખ પ્રકાશિત થયો હતો, જેનું શીર્ષક હતું સીયુટીઆઈ પરીક્ષા - પિછડો પર ભારી, ઊંચો કી ચતુરાઈ. આ લેખને વાંચતાં જ ખબર પડી જાય છે કે તેનો ઉદ્દેશ્ય જ સમાજને અવળે રસ્તે વાળી ભ્રમનું વાતાવરણ ઊભું કરવાનો છે. કર્ણના નામે આ લેખમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કર્ણને શૂદ્ર હોવાને લીધે શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યો હતો, પરંતુ મહાભારતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કર્ણએ પણ દ્રોણ પાસેથી જ વિદ્યા મેળવી હતી. કર્ણને અનેક ઉચ્ચ સ્થાનો આપવામાં આવ્યાં હતાં. રાજા પણ સુધી બનાવવામાં આવ્યો હતો.
‘ગૃહશોભા’ એમ નથી ચેતવતી કે લગ્નેતર સંબંધોને કારણે એઇડ્સ જેવી બીમારી પણ થઈ શકે છે. ઔરત જો આ પ્રકારનાં અનૈતિક કાર્યો કરતાં પકડાઈ જશે તો તેની અને તેના પરિવારની આબરૂનું શું થશે ? તેના બાળકોને જ્યારે આ સંબંધોની ખબર પડશે ત્યારે તેમની હાલત શી થશે ? આ તમામ પ્રશ્ર્નો પર ‘ગૃહશોભા’, ‘સરિતા’, ચંપક જેવા સામયિકોના સંચાલકો મૌન સેવી લે છે. તેઓને પૂછવું જોઈએ કે જેટલા કુતર્ક તમે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મ, ભારત અને ભારતીયતાના વિરોધમાં આપો છો તેનો એક ટકો કુતર્ક તે લોકોની વિરુદ્ધમાં કેમ નથી લખતા, જે ત્રણ વાર તલાક તલાક બોલી પોતાની પત્નીને સડક પર લાવી દે છે ? ખબર છે કે આવા પ્રશ્ર્નોના ઉત્તર તેઓ ક્યારેય નહીં આપે.
(સાભાર : ‘પાંચજન્ય’)