
મકાન બોલતાં બિલ્ડર અને ઘર બોલતાં પરિવાર યાદ આવે છે. ઘર માત્ર ચાર દીવાલથી નહીં પણ ચાર આંખોથી સર્જાય છે. જ્યાં ઈંટ અને ચૂના સાથે હૂંફનું પણ ચણતર થવું જોઈએ. પ્રવેશતાંની સાથે હૂંફાળી હાશનો અનુભવ થાય તો સમજવું કે તમારું ઘર છે. તમારે તાળું ખોલવું ન પડે કે ડોરબેલ મારવી ન પડે એ ઘરની તો મજા ઓર છે. મતલબ ઘરમાં બીજું કોઈ રહેતું હોય તો એ ઘર જીવંત લાગે. સાંજે આપણી પ્રતીક્ષા કરનારું કોઈ હોય તો ઘરે જવાનો ઉત્સાહ વધી જાય છે. સૌરાષ્ટ્રમાં જે ઘરમાં મહેમાન વધુ આવતા એની પ્રતિષ્ઠા વધુ ગણાતી. મહેમાન રાતવાસો કરે તો તો ઘરને ચાર ચાંદ લાગી જાય. પૂર્વાભિમુખ દ્વાર શુકનિયાળ હોય છે એના કરતાં પૂર્વ તરફ મુખ રાખીને કરેલા સવારના સૂર્ય નમસ્કાર વધુ શુકનિયાળ હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની ગોઠવણ ફાયદાકારક હોય છે એના કરતાં વસ્તુ પ્રમાણે ઘરની ગોઠવણ વધુ આંખને ગમે તેવી હોય છે. આજના સમયમાં તો આંગણે કાગડો બોલે તો ફડક બેસે છે. ચીનમાં તો કોઈના ઘરે જવાનો રિવાજ બહુ ઓછો છે. અતિ નિકટની વ્યક્તિ હોય તો જ ઘરે આવે, અને એ પણ જવલ્લે જ. જો કે આજના સમયમાં ગમે તેવી વ્યક્તિને ઘર બતાવવા જેવું નથી. દિગ્દર્શક એલી રોથની ‘નોક નોક’ અદ્ભુત ફિલ્મ છે, જેમાં અચાનક ઘરમાં આવેલા અજાણ્યા બે મહેમાન ઓચિંતા આક્રમણ અને ત્રાસથી બેરહેમ બદલો લઈ રહ્યા છે. એક વ્યક્તિ તૂટે છે ત્યારે ઘર આખું તૂટી જાય છે, એવો સુંદર સંદેશ મળે છે.
ઇન્કમટેક્ષવાળા રેડ પાડે ત્યારે કહેવાય કે ઘર ફૂટે ઘર જાય... રામના નામે પથ્થર તરે છે એ સાંભળેલું પણ વર્ષો પછી રામાયણ ફરી દર્શાવી દૂરદર્શન પણ તરી ગયું. વિભીષણ માટે કહેવાયું હતું...ઘરકા ભેદી લંકા ઢાયે. રામે પણ વચન ખાતર પોતાનું ઘર છોડ્યું અને વનવાસમાં જ ઘરવાસ બનાવ્યો. ‘અતિથિ તુમ કબ જાઓગે’ ફિલ્મમાં કે પછી જ્યોતીન્દ્ર હ. દવેના હાસ્યલેખમાં આવતા કેટલાક ચોટડુંક મહેમાનથી ઘરમાલિકની કફોડી સ્થિતિ થઈ જતી હોય છે. આ પ્રકારના મહેમાન આખી અતિથિપરંપરાને લજવે છે. એના પાપે ઘરે આવનારા બીજા સારા મહેમાનને પણ યોગ્ય સત્કાર નથી મળતો. દીકરો હોવા છતાં બાપને ઘરડાઘરમાં જવું પડે એ સમાજની કરુણતા છે. ‘યે ઘર બહુત હસીન હૈ’ કહેવા આપણે બેઝિક સુવિધા સાથે આસપાસ ગ્રીનરી છે કે નહીં એ મોટાભાગે જોતા નથી. બારી ખોલતાંની સામે જ વૃક્ષ દેખાય એ ઉત્તમ ઘર કહેવાય છે. જો કે ફલેટ કલ્ચરમાં આંગણું વિસરાઈ ગયું છે અને એના કારણે બાળકની ધમાચકડી પણ ક્યાંક ખોવાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વધુ સમય આપતા હોવાથી પરિવારના સભ્યો વચ્ચે દૂરી વધી રહી છે.
ટી.એસ. એલિયટ કહે છે કે Home is where one starts from. જે લોકોએ લોકડાઉનની લહેરમાં કોઈ ને કોઈ શોખ વિસ્તાર્યો છે એને કંટાળાનો કાટમાળ સ્પર્શી ન શકે. વર્ષો પહેલાં કુન્દનિકા કાપડિયાએ સ્ત્રી સંદર્ભે કરેલો પ્રશ્ર્ન આજે પણ વિચારતા કરી દે છે...કામ કરવા માટે પતિનું ઘર, આરામ કરવા માટે માનું ઘર, તો પછી પોતાનું ઘર કયું? હિન્દી ફિલ્મી ગીતોમાં પણ ગવાયું છે કે ‘અપના ઘર હો સ્વર્ગ સે સુંદર’. એ માટે એકમેકમાં સમજણની સુગંધ હોવી જોઈએ. ચિનુ મોદીના એકાંકી ‘હુકમ માલિક’માં એક વ્યક્તિ પર જીન પ્રસન્ન થાય છે. જીન કહે છે કે, હું દુનિયાની કહે તે વસ્તુ ઘરમાં હાજર કરી દઈશ. પણ ઘરની બહાર નીકળ્યો તો વાત ખતમ. આજે ઉંબર ડુંગર થઈ ગયા છે અને પાદર પરદેશ. સૂર્યભાનુ ગુપ્તની અદ્ભુત કવિતા ‘શામ કે વક્ત કભી ઘરમેં અકેલે ન રહો’ આજે યાદ આવે પણ એનું પાલન નથી કરી શકતા. બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’માં મૃત બાળકના અવાજની ભ્રાંતિ હલબલાવી જાય છે. દરેકને ઘરનું સપનું હોય છે અને સપનાંનું ઘર હોય છે. ધરતીનો છેડો ઘર એમ ધરતીના છેડે ઘર હોય તો પણ માણસ પહોંચી જાય છે.
ગુસ્સો એ શક્તિ નથી, પણ શક્તિનો બગાડ છે - જેમ્સ એલન