દિવળીની રજાઓમાં ફરવા નીકળાયું ન હોય અને હજી થોડી રજાઓ બાકી હોય તો ભારતના આ સ્થળોએ અચૂક ફરી આવો. અહીં ભારતના એવા સ્થળોની માહિતી આપવામાં આવી છે જ્યાં તમે જશો તો જરૂર તમે પ્રવાસનો, પ્રકૃતિનો અને આધ્યાત્મનો આનંદ લઈ શકશો...
ઋષિકેશ | Rishikesh
પ્રકૃત્તિ, અધ્યાત્મ અને સાહસનો ત્રિવેણી સંગમ એટલે ઋષિકેશ. ઋષિકેશમાં ત્રિવેણીઘાટ, તેરા મંજિલ મંદિર, શિવપુરી મંદિર, નીર ગઢ ધોધ, કુંજાપુરી મંદિર ટ્રેક, રામ ઝુલા, લક્ષ્મણ ઝુલા સહિતના અનેક ફરવાલાયક સ્થળો છે, જે પ્રકૃત્તિ અને અધ્યાત્મ સાથે જોડે છે. યોગ અને પ્રકૃત્તિમાં રસ ધરાવનારા લોકો આ સ્થળે કુદરતમાં એકાકાર થવાનું પસંદ કરે છે. ઋષિકેશમાં રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા વિશેની જાણકારીથી સહેલાણીઓ અજાણ નહીં હોય પરંતુ અહીં આવેલ બિટલ્સ આશ્રમ વિશે બહુ ઓછા લોકોને જાણ હશે.
બિટલ્સ આશ્રમ | Beatles Ashram
1960ના દાયકામાં ઇંગ્લેન્ડમાં રહેતા ચાર મિત્રોનું એક બેંડ અતિ લોકપ્રિય બન્યું. ભારતમાં પણ તેના ચાહકોનો બહોળો વર્ગ હતો. જોન લેનન, પોલ મેકાર્ટની, જ્યોર્જ હેરિસન અને રિંગો સ્ટાર આ ચારેય મિત્રોએ 1968માં ઋષિકેશના એક આશ્રમમાં રોકાણ કર્યું. આ આશ્રમમાં રહીને આ બેંડે લગભગ 40 ગીતો લખ્યા. તેઓ ઋષિકેશમાંથી પરત ફરીને જિંદગીની ઘટમાળમાં પાછા જોડાયા. પરંતુ ઋષિકેશમાં લખેલા 40 ગીતોના બે આલ્બમો રીલિઝ થયા બાદ અત્યંત લોકપ્રિય બન્યા. બસ, ત્યારથી બિટલ્સ બેંડ મહેશ યોગીના જે આશ્રમમાં રોકાયા તે દુનિયાભરના સહેલાણીઓ માટે પ્રવાસન સ્થળ બન્યું. મહેશ યોગી આ સ્થળે સાધના કરતા હોવાથી આ સ્થળ પ્રત્યે ભારતીયો અનેરું આકર્ષણ ધરાવે છે, જ્યારે વિદેશી સહેલાણીઓ અને સંગીતપ્રેમીઓ માટે આ સ્થળ મ્યુઝિકલ લેજન્ડએ વીતાવેલી પળને નિહાળવાનો અવસર આપે છે.
અહીં રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, ટ્રેકિંગ સહિતની સાહસિક પ્રવૃત્તિઓ થતી હોવાથી સહેલાણીઓ માટે આ સ્થળ તમામ રીતે પરફેક્ટ ડેસ્ટિનેશન બની રહેશે.
મેક્લોડગંજ | Mcleodganj
હિમાચલ પ્રદેશનું આ એક એવું સ્થળ છે, જ્યાં બરફથી આચ્છાદિત પર્વતનો સંગાથ તમારામાં નવા જોમનો સંચાર કરશે તો સાથે નાઇટલાઇફની રંગતને પણ માણી શકાય છે. અહીં ત્રિઉંડ મંદિર, ભાગસૂનાથ મંદિર અને ત્યાં નજીકમાં આવેલો ધોધ, નામગ્યાલ મઠ,મિકિયાની દરા, કરેરી ઝીલ, વ્યૂ પોઇન્ટ, ડલ ઝીલ, ચર્ચ, બૌદ્ધ મંદિર જેવા અનેક સ્થળો આવેલા છે. આરામ દાયક પળો વિતાવવા મેક્લોડગંજમાં 3 થી 4 દિવસનો સ્ટે લઇ શકાય છે. પર્વતોની વચ્ચે સમય વિતાવવા માગતા પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આ સ્થળ ‘સ્વર્ગ’ની ગરજ સારશે.
ઉદયપુર | Udaipur Palace
આ શહેર સહેલાણીઓને ખાસ કરીને ગુજરાતી સહેલાણીઓને વિશેષ રીતે આકર્ષે છે. ગુજરાતથી નજીક આવેલા આ શહેરમાં ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે. અહીં પિછોલા તળાવ અને ઘાટી છે. તો રાજા- રજવાડાના સમયના જાહોજલાલી ભરેલા ઇતિહાસને ધરબાઇને બેઠેલા મહેલો પણ છે, મંદિરો સહિત અનેક ધાર્મિક સ્થળો છે, સાથે ખાવાના શોખીન ચટાકિયાઓની સ્વાદેન્દ્રિયોને સંતોષ આપતા રસથાળ વ્યંજનો પણ મળી રહે છે. અહીં સહેલીઓ કી બાડી, મોતી નગરી, જગદીશ મંદિર, સિટી પેલેસ, ફતેહપુર સાગર, વિન્ટેજ કાર સંગ્રહાલય, એકલિંગજી મંદિર જેવા અનેક આકર્ષણો ધરાવતા સ્થળો આવેલા છે. જો તમારી પાસે જૂજ રજાઓ અને મુસાફરીમાં ઓછો સમય વિતાવવા માગતા હોવ તો ઉદેપુર શહેરમાં અનેક લક્ઝુરિયસ વિલાથી લઇ બજેટને પરવડે તેવા હોમ સ્ટે મળી રહેશે.
દાર્જિલિંગ | Darjeeling
દાર્જિલિંગમાં કુદરતે મન ભરીને સુંદરતા વેરી છે. અહીં લીલીછમ હરિયાળી, બરફ, પર્વતો ઉપરથી પસાર થતા વાદળોને જોવાનો અને પ્રકૃત્તિના સાનિધ્યમાં રહી નિરાંતની પળો વિતાવી શકાય છે. કુસોર્ગ, લેપ્ચાજગત,જોરપોખરી, મિરિક, લાલકોઠી જેવા અનેક ફરવાલાયક સ્થળો છે.
વારાણસી | Varanasi
વારાણસીને મંદિરોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. વારાણસીમાં કાશી વિશ્વનાથમંદિર, અસ્સી ઘાટ, સંકટ મોચન હનુમાનનું મંદિર, વિશ્વનાથ મંદિર, દશાશ્વમેઘ ઘાટ જેવા અનેક આધ્યાત્મિક સ્થળો આવેલા છે. સાથે પવિત્ર ગંગાનો પ્રવાહ અહીંથી વહેતો હોવાથી અધ્યાત્મ અને ધર્મ સાથે જોડાવવા માગતા લોકો માટે આ સ્થળ બેસ્ટ પ્લેસ બની રહેશે.